Home Banking આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)

3
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)

નોવેલ કોરોના વાયરસથી ફેલાયેલી કોવિડ-19 નામની બિમારીની મહામારીના આ કપરાકાળમાં દવા તથા રસીની અનુપલબ્ધીમાં સોશીયલ ડિસ્ટન્સીંગ એકમાત્ર ઉપાય હોય, વિશ્વના દરેક દેશોએ લોકડાઉનનો સહારો લીધો. બે મહિનાથી વધુ સમયના અને હજુ પણ વિવિધ દેશોમાં અમૂક છૂટછાટો સાથે ચાલી રહેલ લોકડાઉન તથા આપણા દેશમાં થોડા બંધનો સાથે ચાલી રહેલ અનલોક – 1ના સમયમાં વિશ્વની સાથે દરેક દેશ અને રાજ્યોના અર્થતંત્ર ઉપર ખૂબ જ વિપરીત અસર પડી છે. તેમાં પણ નાના વેપારીઓ, કારીગરો, શ્રમિકો વગેરે પારાવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આવા મુશ્કેલ સમયે દેશના અર્થતંત્રને ફરીથી ધબકતું કરવા કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડનું “આત્મનિર્ભર ભારત યોજના” પેકેજ જાહેર કરવામાં આવેલ છે. આ પેકેજનો લાભ ગુજરાત રાજ્યના લાભાર્થીઓને મળશે; વધુમાં, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આર્થિક સંકળામણ ભોગવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો વગેરે પોત-પોતાના ધંધા રોજગાર પુન: સરળતાથી શરુ કરી શકે તે માટે “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)” સ્વરૂપે વ્યાજ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં લાભાર્થીઓને નજીવા વ્યાજ દરે લોન આપવાનું આયોજન છે. જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે આ યોજનાની વિગતો સરળ ભાષામાં રજુ કરેલ છે.

આ યોજના અંતર્ગત રાહત વ્યાજના દરે લોન કોને મળવાપાત્ર છે

આ રાહત વ્યાજ દરની લોન નાના વેપારીઓ, મધ્યમ વર્ગના લોકો, કુશળ કારીગરો જેવા કે સુથાર, લુહાર, પ્લમ્બર, ફિટર, ઇલેક્ટ્રિશિયન તથા શ્રમિકો અને ફેરિયાઓ વગેરેને મળવાપાત્ર છે. ધિરાણની મર્યાદામાં ક્યા પ્રકારના વ્યવસાયોને આવરી લેવા તે સબંધિત ધિરાણકર્તાએ નક્કી કરવાનું રહેશે; પરંતુ, આ ધિરાણ મેળવવા ગુજરાતના ડોમીસાઈલ એટલે કે રહેવાસી હોવું આવશ્યક છે. તા. 01.01.2020ના રોજ હયાત વ્યવસાયમાં કાર્યરત હોય તેને આ રાહત વ્યાજ દરની લોન મળવાપાત્ર છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિને એક જ વખત અને કોઈ પણ એક જ સંસ્થા પાસેથી લાભ મળવાપાત્ર છે. પરિવારમાંથી પુખ્ત વય (18 વર્ષથી 60 વર્ષ સુધીની ઉંમર) અને ધંધો કરતી કોઈ પણ વ્યક્તિને મળી શકે.  

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર નથી

(1) તા. 01.01.2020 બાદ નવો ધંધો શરૂ કરનારને, (2) રાહત વ્યાજ દરની લોન મેળવવા ઇચ્છતા લાભાર્થીની કોઈ ચાલુ લોન મુદ્દતવીતી એટલે કે ટાઈમ બાર્ડ હોય, (3) કેન્દ્ર તથા રાજ્ય સરકારની સરકારી કે અર્ધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ, (4) સ્થાનિક સત્તામંડળ એટલે કે પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેના કર્મચારીઓ, (5) સરકારી બોર્ડ/કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ, (6) કોઈપણ બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓ, (7) ઉપરોક્ત કચેરીઓ કે સંસ્થાઓમાં કરાર આધારિત કે એડહોક ધોરણે કામ કરતી વ્યક્તિઓ વગેરે.

આ યોજના અંતર્ગત શું મળશે?

નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો વગેરેને રૂ. 1.00 (એક) લાખ સુધીનું બિન તારણ ધિરાણ પૂરું પાડવામાં આવશે. આ રાહત દરના ધિરાણનો વ્યાજનો દર વાર્ષિક 8% રહેશે. આ ધિરાણ પર ઘટતી જતી બાકી મુજબ વ્યાજની ગણતરી કરવામાં આવશે. આ 8% વ્યાજ પૈકી 6%ના દરે સરકાર દ્વારા વ્યાજ સહાય આપવામાં આવશે અને લાભાર્થીએ 2% જેટલું નહિવત વ્યાજ ભોગવવાનું રહેશે. ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ તેઓના પેટા કાયદાની જોગવાઇઓની મર્યાદામાં ધિરાણ કરી શકશે.

અગત્યની તારીખો અને સમયગાળો

આ યોજના નાણાકીય વર્ષ 2020-21 માટે છે. આ યોજનાની શરૂઆત તા. 21.05.2020થી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ધિરાણ મેળવવા માગતા સૂચિત લાભાર્થીએ તા. 21.05.2020 થી તા. 31.08.2020 સુધીમાં નિયત ધિરાણ એજન્સી એટલે કે જ્યાંથી લોન લેવી હોય તે સહકારી બેંક કે ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં લોન માટેની અરજી કરવાની રહેશે. તા. 31.08.2020 બાદ કરવામાં આવેલ અરજી આ યોજના હેઠળ માન્ય ગણાશે નહી. સબંધિત સહકારી બેંકો/ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓએ અરજી મળ્યે તુરંત ધિરાણ આપવા સંદર્ભનો નિર્ણય લેવાનો રહે છે, પરંતુ છેલ્લી તારીખ સુધીમાં મળેલ તમામ અરજીઓ ઉપર તા. 31.10.2020 સુધીમાં નિર્ણય લઈ લેવાનો રહે છે. મંજુર કરવામાં આવેલી અરજીઓ મુજબની ધિરાણની રકમ તા 15.11.2020 સુધીમાં લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે. આ રાહત દરના ધિરાણનો સમયગાળો 3 વર્ષ એટલે કે 36 મહિનાનો રહેશે. જે પૈકી પ્રથમ 6 મહિનાનો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આ સમયગાળા દરમિયાન મુદ્દલ કે વ્યાજ કંઈપણ ભરવાનું રહેશે નહિ. પ્રથમ 6 મહિના પુરા થયે, આ 6 મહિનાના વ્યાજની રકમ સહિતની રકમ ત્યારબાદના 30 સરખા માસિક હપ્તામાં લાભાર્થીએ પરત ચુકવવાની રહેશે.

લોન મેળવવા જરૂરી દસ્તાવેજો

(1) નિયત નમુનાનું અરજી ફોર્મ – https://rcs.gujarat.gov.in/Images/ccrcs/pdf/Atma-Nirbhar-loan-form.pdf (2) કેવાયસી ડૉક્યુમેન્ટ, (3) પાન કાર્ડ, આધાર કાર્ડ તથા રાશન કાર્ડ, (4) બેંકની વિગતો માટે બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક પાસબુકની નકલ, (5) 01.01.2020ના રોજ ધંધાના અસ્તિત્વનું માન્ય પ્રમાણપત્ર અને કુશળ કારીગરો માટે તાલીમી સર્ટીફિકેટ, (6) બાંહેધરી પત્રક, (7) પાસપોર્ટ સાઈઝનો ફોટો, (8) બે જામીનદારોના અનુક્રમ નંબર – 2, 3 અને 7 મુજબના દસ્તાવેજો. (જરૂરી દસ્તાવેજોમાં સબંધિત ધિરાણકર્તા સહકારી બેંકો/ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પોતાના નિયમોની જોગવાઈ મુજબ ફેરફાર કરી શકે છે.)

ચાર્જીસ અને જામીન

આ યોજના હેઠળ બિન તારણ ધિરાણ આપતી વખતે ધિરાણકર્તા સંસ્થા ફોર્મ ફી, સ્ટેમ્પ ડ્યુટી, પ્રોસેસીંગ ફી વગેરે જેવા કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં. ધિરાણ આપનાર સંસ્થા ધિરાણની સલામતી માટે લાભાર્થી પાસેથી ઍડ્વાન્સ ચેક અને બિન તારણ સાદા વ્યક્તિગત જામીનદાર મેળવી શકશે. આ યોજનાના અમલીકરણ પુરતી સરકારશ્રી દ્વારા બિન તારણ ધિરાણ ઉપર સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ધિરાણ મેળવવા સહકારી બેંક/ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ હોવું આવશ્યક છે માટે જે વ્યક્તિ/વેપારી સભાસદ ન હોય તેઓને નોમિનલ સભાસદ બનાવી ધિરાણ આપવામાં આવે અને આવા કિસ્સામાં નોમિનલ સભાસદ બનાવવા માટે લેવા પાત્ર નિયમાનુસારના ફી/ચાર્જીસ લઈ શકશે. આ ઉપરાંત જે ધિરાણકર્તા સંસ્થા CIBIL દ્વારા ચકાસણી કરાવવા ઇચ્છતી હશે તેઓ અરજદાર દીઠ વધુમાં વધુ રૂ. 100/- ચાર્જ લઈ શકશે. જામીનદાર પોતે અલગથી આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે.     

યોજનાની અન્ય અગત્યની બાબતો

  • આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય સહકારી બેંક લી., જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક્સ લી., રાજ્યની તમામ નાગરિક સહકારી બેંકો (મલ્ટી સ્ટેટ કો. ઓપરેટીવ એક્ટ હેઠળ નોંધાયેલ બેંકો સહિત) તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા રૂ. 1,00,000/- (અંકે રૂપિયા એક લાખ) સુધીનું ધિરાણ પુરું પાડવામાં આવશે.
  • જેમાં આશરે 1000 જેટલી કો-ઓપરેટીવ બેંકની શાખાઓ, 1400 જેટલી અર્બન કો-ઓપરેટીવ બેંકની શાખાઓ તથા 7000 જેટલી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ મળી કૂલ 9400 જેટલી બેંક-બ્રાંચોનો સમાવેશ થાય છે.
  • આ યોજના અંતર્ગત ધિરાણ માટેનું ફોર્મ સબંધિત સંસ્થાઓએ વિના મૂલ્યે પુરું પાડવાનું રહેશે. (https://rcs.gujarat.gov.in/Images/ccrcs/pdf/Atma-Nirbhar-loan-form.pdf)    
  • ધિરાણની મર્યાદામાં ક્યા પ્રકારના વ્યવસાયોને આવરી લેવા તે સબંધિત ધિરાણકર્તાએ નક્કી કરવાનું રહેશે; પરંતુ, સરકારશ્રીનો આશય વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તેવો છે.
  • ધિરાણની રકમ, રૂ. એક લાખની મર્યાદામાં, અરજદારની આર્થિક પરિસ્થિતિના આધારે સહકારી બેંક/ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીઓ નક્કી કરી શકે છે.  
  • વ્યવસાય બે વ્યક્તિના નામે હોય, કાયમી અને હાલનું સરનામું અલગ-અલગ હોય, રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં સરનામું અલગ-અલગ હોય વગેરે કેસમાં લોન આપનાર સહકારી બેંક/ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી ઘટિત નિર્ણય લઈ શકશે.   
  • રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીના લોન ખાતામાં વાર્ષિક 6%ના દરે ત્રિમાસિક ધોરણે વ્યાજ સહાય પુરી પાડવામાં આવશે એટલે કે લાભાર્થીએ વાર્ષિક 2% જેટલું નહિવત વ્યાજ ભોગવવાનું રહેશે.
  • આ યોજના અંતર્ગત મેળવવામાં આવેલ ધિરાણ મુદત કરતા વહેલા પરત કરી શકાય છે. તેના માટે કોઈ પેનલ્ટી લાગશે નહીં. પરંતુ, વ્યાજ સહાયની રકમ તે મુજબ એડજસ્ટ થશે.
  • શ્રમયોગી નોંધણી નંબર દર્શાવવો ફરજિયાત નથી. પરંતુ, જે અરજદાર પાસે હોય તેણે અરજી ફોર્મમાં દર્શાવવાનો રહેશે.
  • જો કોઈ લાભાર્થી લોનનો હપતો ભરવામાં ચૂક કરે તો ધિરાણકર્તા સંસ્થા દંડનીય વ્યાજ અને ફોજદારી સહિત કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
  • આ યોજના અંતર્ગત ધિરાણ લેનાર અવસાન પામે તો તેના પરત ચૂકવણીની જવાબદારી તેના વારસદારોની રહેશે.
  • ધિરાણકર્તા સંસ્થાના ધારા-ધોરણો મુજબ ન હોય તેવી અરજીઓ ના મંજુર થઈ શકે છે.
  • લાભાર્થી તેને મંજુર થયેલ રકમ કરતા ઓછી રકમની આવશ્યકતા હોય તો સહકારી બેંક/ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીને અરજી કરી ઓછી રકમ સ્વીકારી શકે છે.

નોડલ એજન્સી અને તેના કાર્યો

આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક, નાગરિક સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ માટે સબંધિત જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ રહેશે. આ યોજનાના સુચારૂ સંચાલન, અમલ, નિયંત્રણ, દિશા-નિર્દેશ વગેરેનું સંકલન રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. યોજનાના સુચારૂ અમલીકરણ અને ફરિયાદ નિવારણ માટે નોડલ એજન્સી દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા ઉભી કરવાની રહેશે.    

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની આ વિગતોમાં 27.05.2020 સુધી થયેલા સુધારાઓ આવરી લેવામાં આવેલ છે. આ યોજનાની અદ્યતન અને અધિકૃત માહિતી માટે https://rcs.gujarat.gov.in/aatmnirbhar-yojna-guj.htm વેબસાઈટનો ઉપયોગ કરવો. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની તલસ્પર્શી વિગતો આ લેખમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને આશા છે કે જરૂરિયાતમંદ લોકોને આ યોજના માટેની જોઈએ તેવી યોગ્ય માહિતી મળી રહેશે. વાચક મિત્રોને વિનંતી છે કે, આ યોજનાના અપેક્ષિત લાભાર્થીઓ અને એજ્યુકેશનલ હેતુથી ઉપયોગ કરી શકે તેમ હોય, તેઓને ચોક્કસ ફોરવર્ડ કરજો.   

3 COMMENTS

  1. Sir u have explained the entire detail regarding skim sooo minutely and in an understanding and simple way so that anyone can go through. It’s good not to use so heavy gujarati otherwise it would create a chaos and a little tough to get proper gvrmnt vocab.

Leave a Reply to Bindulakhani Cancel reply

Please enter your comment!
Please enter your name here