Home Contemporary કોવિડ – ૧૯ અને શિક્ષણ

કોવિડ – ૧૯ અને શિક્ષણ

16
કોવિડ – ૧૯ અને શિક્ષણ

મારી લાડલી દિકરી નીરજાના જન્મ દિવસ નિમિતે તેને સમર્પિત…

જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. શિક્ષણ આપણી રોટી-કપડા-મકાનની જેમ મૂળભૂત જરૂરિયાત છે. કોઈ પણ પ્રજા, દેશ, જાતી વગેરેના વિકાસનું મૂળ શિક્ષણમાં છે. વિશ્વના લગભગ બધા દેશો શિક્ષણનું મહત્વ સુપેરે સમજે છે. જેમ-જેમ પ્રજામાં શિક્ષણ વધે તેમ-તેમ ગરીબી, ભૂખમરો, ગુનાખોરી વગેરે જેવા દૂષણો ઘટે અને સુખ, શાંતિ, સ્વચ્છતા, જાતીય સમાનતા, આવકની સમાનતા, આરોગ્ય, આયુષ્ય વગેરે વધે છે. ટૂંકમાં, જે-તે પ્રદેશના સર્વાંગી વિકાસનો આધાર શિક્ષણ છે. એક અભ્યાસ મુજબ એક વર્ષનો વધુ અભ્યાસ કરવાથી વ્યક્તિની આવકમાં ૯%નો વધારો થાય છે.

વિકાસશીલ દેશોએ છેલ્લા અમૂક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારો વિકાસ કર્યો છે. શિક્ષણના મુદ્દાને વિશ્વ કક્ષાએ સંયુક્ત રાષ્ટ્રના ૧૭ ટકાઉ વિકાસ લક્ષ્યો (Sustainable Development Goals – SDG)માં ચોથા સ્થાને રાખવામાં આવેલ છે. જેમાં વ્યાપક અને ગુણવત્તાવાળું શિક્ષણ સુનિશ્ચિત કરવાનો અને બધા માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવાનો ધ્યેય નિયત કરવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રના આ અભિયાન હેઠળ વિશ્વબેંક દ્વારા આપવામાં આવતી સહાય, શિક્ષણના મહત્વ માટે સજાગ થતી જતી સરકારોના અથાક પ્રયત્નો અને શિક્ષણ ક્ષેત્ર માટે દરેક દેશો દ્વારા વધુમાં વધુ ફાળવવામાં આવતું ભંડોળ વગેરેના પરીણામે શિક્ષણનો દર વધતો જાય છે. શિક્ષણનો દર વધારવામાં આપણા દેશની વાત કરીએ તો, સૌથી અગત્યનો તેવો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ યોજનાઓ જેવી કે, મધ્યાહન ભોજન યોજના, ડ્રૉપ આઉટ રેશીયો ઘટાડવાની યોજનાઓ, શિષ્યવૃતિ વગેરે જેવી અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે અને તેની ખૂબ જ સારી તથા હકારાત્મક અસરો જોવા પણ મળી રહી છે. આખા વિશ્વની વાત કરીએ તો વર્ષ – ૨૦૧૮ની સ્થિતિએ ૧૫ વર્ષથી વધુ ઉંમરની કુલ વસ્તીના ૮૬% લોકો સાક્ષર છે. જેમાં નોર્થ કોરિયા ૧૦૦% સાથે પ્રથમ ક્રમાંક ઉપર અને નાઇજર ૧૯% સાથે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો દેશ છે. ભારતમાં સાક્ષરતાનો દર ૭૪.૦૪% જેટલો છે.

આ બધી આંકડાઓની માયાજાળ તો જોઈ અને શિક્ષણ ક્ષેત્રે વિશ્વ આખું ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે. પરંતુ, મોટાભાગે એકબીજાના પર્યાય તરીકે વપરાતા સાક્ષરતા કે શિક્ષણ (Education) અને ભણતર (Learning) આ બે શબ્દોને આપણી સામાન્ય સમજ માટે અહીં થોડા જુદા પાડુ છું. આખા વિશ્વમાં સાક્ષરતાનો દર (Literacy Rate) તો વધતો જાય છે, પરંતુ ભણતર (Learning) બહુ કથળેલું છે. જેને ભણતરની કટોકટી એટલે કે Learning Poverty કહેવાય છે. આપણે દેશી ભાષામાં કહીએ છીએ ને કે, ‘ભણ્યો પણ ગણ્યો નહી’, બસ એવું જ. ૧૦ વર્ષના બાળકને વાંચતા ન આવડે તો તેને ભણતરની કટોકટી (Learning Poverty) ગણવામાં આવે છે. વિશ્વબેંકના છેલ્લા આંકડાઓ મુજબ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ૫૩% બાળકોને પ્રાથમિક શિક્ષણ પુરું કરે ત્યાં સુધી વાંચતા કે નાની વાર્તાઓ સમજતા નથી આવડતું અને ગરીબ દેશોમાં આ પ્રમાણ ૮૦% જેટલું છે.

ભણતર (Learning) વગરનું શિક્ષણ (Education) નકામું છે. ભણતર (Learning) વગરનું શિક્ષણ (Education) ફક્ત સંસાધનોનો બગાડ જ નથી, પરંતુ બાળકોને હળાહળ અન્યાય પણ છે. નબળા ભણતરના ઘણાં કારણો છે, જેવા કે એક તો નબળું ભણતર પોતે જ, કુવામાં હોય તો હવાડામાં આવે ને? બીજુ, બાળકો ભણવાની તૈયારી કે માનસિકતા સાથે સ્કૂલે આવતા જ નથી. તેઓને મધ્યાહન ભોજનમાં રસ છે યા શિષ્યવૃતિ વગેરે જેવા પ્રલોભનો માટે ઘરેથી ફરજિયાત મોકલવામાં આવે છે. ત્રીજું, શિક્ષકોમાં જ્ઞાનનો અથવા બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવાની કુનેહનો અભાવ. ચોથું, ભણાવવાની પદ્ધતિ, નબળું સ્કૂલ સંચાલન વગેરે. પાંચમું, મૂળભૂત શિક્ષણ પ્રથામાં લાગેલો લૂણો જ કારણભૂત હોઈ શકે.

કોવિડ – ૧૯ પહેલા જ વિશ્વ શિક્ષણની બાબતમાં ભણતરની ગુણવત્તાના મોરચે લડી રહ્યું હતું, તેમાં અધુરામાં પુરી આ મહામારી આવી ગઈ. આ મહામારીના સમયમાં દવા અને રસીની અનુપલબ્ધીમાં સોશીયલ ડિસ્ટન્સીંગ એકમાત્ર સચોટ ઉપાય હોય, ૧૯૦થી વધુ દેશોએ શાળાઓ અને કોલેજો બંધ કરવાની ફરજ પડી. આ રીતે શૈક્ષણિક સંસ્થાઓ બંધ થવાથી વિશ્વના લગભગ ૯૦% એટલે કે ૧૬૦ કરોડ બાળકોનું ભણતર ઠપ્પ થઈ ગયું. એકવાર શૈક્ષણિક સંસ્થાઓ બંધ તો કરી દીધી, અઢી-ત્રણ મહિના જેટલો સમય પણ પસાર થઈ ગયો અને હજુ કોરોનાની દવા કે રસી શોધાઈ નથી. આવા સમયમાં હવે શું કરવું?  શાળાઓ ખોલવી કે ન ખોલવી? આવા સમયે શ્રેષ્ઠ વિકલ્પ શું? આ વિશે જાણતા પહેલા લોકડાઉનની વિપરીત અસરો વિશે થોડું જાણી લઈએ.

વાયરસનું ખરું સ્વરૂપ હજુ સુધી જાણી શકાયું નથી અને હજુ પણ ખૂબ જ ખરાબ રીતે પ્રજાને અસર કરી શકે તેમ છે. આવી અનિશ્ચિતતા વચ્ચે વિશ્વના દરેક દેશોમાં અને આપણા દેશ તથા તમામ રાજ્યોમાં લોકડાઉન ધીમે-ધીમે જ દુર કરવામાં આવશે, તે નિશ્ચિત છે. લાંબો સમય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાથી ભણતરમાં મોટું નુકશાન થઈ રહ્યું છે. આ નુકશાન ફક્ત શૈક્ષણિક બાબતોનું જ નથી, પરંતુ લાંબાગાળે અર્થતંત્ર અને સમાજ માટે યોગ્ય માનવ મૂડીનું અને ઘટતી જતી આર્થિક તકોનું પણ છે. વધુ સમય સુધી શાળાઓ બંધ રહેવાથી સામાજિક અને આર્થિક અસમાનતા વધશે, ભણતરની કટોકટી વધુ ગંભીર બનશે અને સૌથી સંવેદનશીલ કહી શકાય તેવું બાળકોનું ખાસ કરીને છોકરીઓનું શોષણ વધશે. આપને કદાચ એવું લાગશે કે, બાળકોના શોષણને અને બંધ શાળાઓને શું સંબંધ? તો આપને જણાવું કે, વિશ્વબેંકના એક અહેવાલ મુજબ પશ્ચિમ આફ્રિકામાં ઇબોલાની કટોકટીને લીધે શિક્ષણ કાર્ય ખોરવાયા પછી જાતીય શોષણ અને કિશોરવયની બાળાઓમાં ગર્ભાવસ્થાના દરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જે સ્પષ્ટ દર્શાવે છે કે, છોકરીઓમાં શોષણનું જોખમ વધુ છે તથા એક વાર છોકરાઓ પણ મજૂરી કરવા કે કમાવા લાગી ગયા પછી આવા આર્થિક પછાત બાળકોની શાળામાં પાછા ફરવાની સંભાવના ખૂબ ઓછી છે.

શાળાઓ ફક્ત ભણવાનું સ્થાન જ નથી, શાળામાં બાળક ઘણા સંસ્કારો મેળવે છે. તેના જીવનનું ઘડતર ત્યાંથી શરુ થાય છે. શાળામાં બાળકને સામાજિક સુરક્ષા મળે છે. શાળામાં મધ્યાહન ભોજન જેવી યોજનાઓ મારફતે પોષણ મળે છે. શાળામાં જ ગુજરાત રાજ્યના “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” જેવી યોજનાઓ થકી આરોગ્યની જાળવણી થાય છે. શાળામાં જ મિત્રો વચ્ચે લાગણીના સંબંધો વિકસે છે અને શાળામાં જ ટીમ વર્ક અને ટીમ મેમ્બર તરીકે કામ કરવાની ભાવના વિકસે છે. આવા સમયમાં ભણતરને બંધ રાખવું કોઈ રીતે પરવડે તેમ નથી. કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી અને સલામતીના પૂરતા પગલાઓ લીધા સિવાય સ્કૂલો પુન: શરૂ કરવી જરાય યોગ્ય નથી. ગમે તેવી સારી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે, તેની અમલવારી કેવી અને કેટલી થઈ શકે છે કે થઈ રહી છે તે આપણી નજર સમક્ષ જ છે. તેમાં પણ નાના ભૂલકાઓ પાસેથી આવી બધી અપેક્ષા ન જ રાખી શકાય અને તેઓને કોઈ પણ સંજોગોમાં જોખમમાં મૂકી શકાય નહી.

એક બાજુ શિક્ષણને બંધ રાખવું પરવડે તેમ નથી અને બીજી બાજુ સ્કૂલો ચાલુ કરવી હિતાવહ જણાતી નથી. આવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સૌથી સારો વિકલ્પ છે, “દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)”. આવતા લેખમાં આપણે વિવિધ કક્ષાઓના વિદ્યાર્થીઓ અને અન્ય પાસાઓ સાથે દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System) કેવી હોવી જોઈએ તે બાબતે વિગતે જોઈશું.

16 COMMENTS

    • Sir indeed due to this pandemic, children are not able to even go out and attend the school and take the education and bcz of that the ration will be dropping down but along with that if we put the earlier situatuation when covid 19 was not there, that time also education level was too weak in our india as child who comes from poor background is being forced to beg or engage in any kind of labour rather than going school.another sad side in our country and mostly in our state, the tradition to pass the children till 8th std, the way of teaching, become lazy in schools bcz of too much emphasize on tuition teaching are called too pathetic thoughts which ur statement comes to prove right…that..ભણ્યો પણ ગણ્યો નહિ. કેમ કે અત્યારે કોઈ ને ચીવટથી અને પોતાવટથી ભણાવવા મા રસ જ નથી.

  1. નીરજા ને જન્મદિવસ ની શુભેચ્છાઓ…. ભણતર અને શિક્ષણ ની ખૂબ સાચી માહિતી આપી…. દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)”. ની માહિતી માટે રાહ જોવી રહી…

  2. એવો કોઈ ઉપાય, જેમ કે આખા દેશમાં શાળાઓ દિવાળી વેકેશન પછી તુરંત શરૂ કરવાનું રાષ્ટ્ર જોગ સંબોધન કરવામાં આવે અને અભ્યાસ ક્રમ બનાવી શકાય

    • I am not expert in education policy matters as well as not a health expert so can’t comment much but some time will yet required to understand virus and development of medicine as well as vaccine. Other side, for education temporarily, remote learning can be explored but it has also large challenges.. So let’s hope for best to come…

  3. Very nice information of educational topics in present circumstances , I hope in the next article on RLS we know more effective action. Thanks

Leave a Reply to Bindulakhani Cancel reply

Please enter your comment!
Please enter your name here