Home Governance પબ્લિક ગ્રિવન્સ પોર્ટલ – PG Portal

પબ્લિક ગ્રિવન્સ પોર્ટલ – PG Portal

1
પબ્લિક ગ્રિવન્સ પોર્ટલ – PG Portal

પી. જી. પોર્ટલ – https://www.youtube.com/watch?v=39IDREhHrTc

કોઇપણ દેશની સરકારનો મુખ્ય આશય તેની પ્રજાને સારામાં સારી જાહેર સેવા પુરી પાડવાનો હોય છે અને દરેક સરકાર માટે સૌથી મોટો પડકાર પણ એ જ હોય છે. જ્યારે જાહેર (રાજ્ય વ્યવસ્થા) તંત્ર આપેલ વચન મુજબ કે નિયત કરેલા ધોરણો મુજબ સેવા પુરી પાડી શકે નહીં ત્યારે ફરિયાદને અવકાશ રહે છે. જાહેર સેવાને લગતી ફરિયાદોનો સમયસર અને યોગ્ય નિકાલ એ જાહેર તંત્રની પ્રાથમિક્તા રહેવી જોઇએ. ભારત સરકાર દ્વારા પણ નાગરિકોને જાહેર સેવા બાબતે કોઇ ફરિયાદ હોય કે તેના અધિકારોનું માન ન જળવાતું હોય તો તેને લગતી ફરિયાદ કરવા એક વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં આવેલું છે. સરકારના વિવિધ ખાતા, વિભાગો અને અન્ય સરકારી સંગઠનોની કામગીરી સંદર્ભે ઉદ્‌ભવતી ફરિયાદોના નિવારણ માટે વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગને મુખ્ય સંકલન એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. વર્ષ – ૧૯૬૧ના કામગીરી વહેંચણીના નિયમો એટલે કે, Allocation of Business Rule અન્વયે જાહેર ફરિયાદના નિવારણ ક્ષેત્રમાં વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગનું મુખ્ય કાર્ય સામાન્ય જાહેર ફરિયાદ નિવારણ અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સંબંધિત ફરિયાદો સંદર્ભમાં નીતિ વિષયક બાબતો અને સંકલનની કામગીરીનું છે. વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ હેઠળનું જાહેર ફરિયાદ ડિવિઝન નીચે મુજબની મુખ્ય જવાબદારીઓ સુપેરે નિભાવે  છે.

જાહેર ફરિયાદોના નિવારણ માટે નીતિ વિષયક માર્ગદર્શિકા બહાર પાડવી

કર્મચારી ગણની ફરિયાદોના નિવારણ માટે નીતિ વિષયક માર્ગદર્શિકા બહાર પાડવી

માહિતી અને સુવિધા કેન્દ્રો સ્થાપી નાગરિક અધિકારપત્રને વધુ અસરકારક બનાવવા સેવા વિતરણ સુધારણા ઉપર ભાર મૂકવો.

મળેલ ફરિયાદોની વિગતોનો ઉપયોગ કરી પાયારૂપ સુધારા હાથ ધરવા         

ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય તે માટે એક કેન્દ્રિય જાહેર ફરિયાદ નિવારણ અને મોનીટરીંગ સીસ્ટમ વિકસાવવામાં આવેલ છે જે પી. જી. પોર્ટલ (Public Grievance Portal)ના નામથી વ્યાપક રૂપે જાણીતી છે અને તા. ૧લી જુન, ૨૦૦૭થી કાર્યરત છે. પી. જી. પોર્ટલ એન.આઈ.સી. દ્વારા વિકસિત એનઆઈસીનેટ ઉપર પ્રસ્થાપિત ઓનલાઇન વેબ-એનેબલ્ડ સીસ્ટમ છે. પી. જી. પોર્ટલની વેબસાઇટનું એડ્રેસ https://pgportal.gov.in છે. આ પોર્ટલની મોબાઇલ ઍપ્લિકેશન MyGrievance પણ વિકસાવવામાં આવેલ છે જે https://pgportal.gov.in/Home/MobileApp લિંક અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી સીધી ડાઉનલોડ કરી શકાય છે.

પી. જી. પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગતી કોઇપણ ફરિયાદ સરળતાથી અને કેન્દ્રિયકૃત પ્લેટફોર્મ ઉપર નોંધાવી શકે તથા નોંધાયેલી ફરિયાદોનું યોગ્ય મોનીટરીંગ થાય અને નિવારણ સમયમર્યાદામાં થાય તેવો છે. વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DAR&PG) (http://pgportal.gov.in), રાષ્ટ્રપતિ ભવન સેક્રેટરીએટની પબ્લિક વિંગ (http://helpline.rb.nic.in), વડાપ્રધાન કચેરી (PMO)ની પબ્લિક વિંગ, કેબીનેટ સેક્રેટરીએટનું ડાયરેક્ટર ઓફ પબ્લિક ગ્રિવન્સ (DPG) (http://dpg.gov.in) તથા પેન્શન અને પેન્શન સુધારણા વિભાગ (DP&PW) (http://pgportal.gov.in/pension/) વગેરે પી. જી. પોર્ટલ પર ફરિયાદો સ્વીકારવા માટે નોડલ એજન્સીઓ છે. આ બધી જ નોડલ એજન્સીઓને પી. જી. પોર્ટલ મારફતે ફરિયાદો મળે છે અને આવી મળેલી ફરિયાદોના નિયમાનુસાર નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે છે. વધુમાં, પી. જી. પોર્ટલ પર નાગરિકો ફરિયાદ નિવારણ થયા બાદ પોતાના પ્રતિભાવ પણ આપી શકે છે. પી. જી. પોર્ટલમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે.   

ફરિયાદી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે.

નોંધાયેલી ફરિયાદોની અદ્યતન સ્થિતિ જોઇ શકે છે.

ફરિયાદ ખૂલી હોય ત્યારે અધવચ્ચે વિગતો ઉમેરી શકે છે અને ફરિયાદ નિવારણ થયા બાદ પોતાના પ્રતિભાવ આપી શકે છે.

સરકારના તમામ ખાતાઓ, વિભાગો, રાજ્યો વગેરે માટે ફરિયાદોના રીયલ ટાઇમ સઘન નિરીક્ષણની વ્યવસ્થા છે.

ફરિયાદોના ખાતા, વિષય, વિભાગ, રાજ્ય વગેરે વાર વિશ્લેષણની સુવિધા છે.

સરકારી ખાતું/કચેરી વચગાળાનો જવાબ પાઠવી શકે છે.

પી. જી. પોર્ટલ ઉપર રાષ્ટ્રના સાર્વભૌમત્વને લગતી બાબતો, અન્ય દેશો સાથે સંબંધોને લગતી બાબતો, માહિતી અધિકાર હેઠળની બાબતો, પેટા ન્યાયિક બાબતો, વ્યક્તિની અંગત અને કૌટુંબિક બાબતો અને સૂચનો પ્રકારની ફરિયાદો બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.      

પી. જી. પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોનું સામાન્ય રીતે ૬૦ દિવસમાં નિવારણ લાવવાનું હોય છે. જો સમયમર્યાદામાં નિવારણ થઇ શકે તેમ ના હોય, તો અરજદારને કારણોની વિગત સહ વચગાળાનો જવાબ કરવાનો હોય છે. આ ૬૦ દિવસની મર્યાદા ફરજિયાત નથી. જો ફરિયાદનું નિવારણ નિયત સમયમર્યાદામાં ના થાય તો સબંધિત અધિકારી સામે પગલાં લેવાની કોઇ જોગવાઈ નથી પરંતુ કોઇ અધિકારી પોતાની ફરજ પ્રત્યે ઉપેક્ષા કરતા જણાય કે કર્તવ્યચ્યુતિ જણાય તો સબંધિત ખાતા કે વિભાગની જવાબદારી છે કે આવા કર્મચારી/અધિકારીઓ સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરે.

આમ, પી. જી. પોર્ટલ નાગરિકોને દેશના કોઇપણ ખાતા, વિભાગ, દેશ કે કેન્દ્રશાસિત પ્રદેશની સામે કોઇપણ ફરિયાદ હોય તો તે નોંધાવવાનું અને તેનું નિરાકરણ લાવવા માટેનું એક ખૂબ જ સારુ માધ્યમ છે. પી. જી. પોર્ટલની બહોળી પ્રસિધ્ધિ અને જાહેર જનતામાં તેનો વધુમાં વધુ પ્રચાર થાય તથા નાગરિકો આ સુવિધાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા થાય, તે માટે વર્ષ – ૨૦૧૫માં ડીડી-ગિરનાર ચેનલ ઉપર ડીજીટલ ઇન્ડિયા શૃંખલાના ભાગરૂપે પી. જી. પોર્ટલ વિષય ઉપર એક પ્રોગ્રામ રજુ થયેલ હતો. આ પ્રોગ્રામમાં વિષય નિષ્ણાત તરીકે ડૉ. નીતાબેન શાહ, પૂર્વ નિયામક (ઇ – ગવર્નન્સ), ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લીમીટેડ (GIL)ની સાથે મને પણ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ પ્રોગ્રામની લિંક https://www.youtube.com/watch?v=39IDREhHrTc છે.

વ્હાલા વાચક મિત્રો, નમ્ર નિવેદન છે કે, આ પોર્ટલ વિશે જાહેર જનતામાં જાગૃતિ વધે, તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે હેતુથી આ લેખને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની નૈતિક જવાબદારી અદા કરજો અને લેખ વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું અને ડીડી-ગિરનાર પર પ્રસિધ્ધ થયેલ મારા આ પ્રોગ્રામને https://www.youtube.com/watch?v=39IDREhHrTc લિંક ઉપર ક્લિક કરી જોવાનું ચૂકશો નહીં.

આભાર…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here