Home Literature રાત પડી ગઈ…

રાત પડી ગઈ…

5
રાત પડી ગઈ…

જાણીતા લેખક, રાજકીય વિશ્લેષક, ઇતિહાસના અધ્યાપક અને પદ્મશ્રી એવા શતાયુ શ્રી નગીનદાસ સંઘવીને શ્રધ્ધાંજલી રૂપે અર્પણ…

તાજેતરમાં જાણીતા લેખક, રાજકીય વિશ્લેષક, ઇતિહાસના અધ્યાપક અને પદ્મશ્રી એવા શ્રી નગીનદાસ સંઘવીએ આપણા બધાની વચ્ચેથી વિદાય લીધી. મેં તેની બહુચર્ચિત રામાયણની અંતર્‌યાત્રા” બુક વાંચી હતી. ભલે આ બૂક મોટાભાગે વિવાદાસ્પદ રહી હોય, પરંતુ આ બૂક વાંચ્યા પછી મારો તો રામાયણ પ્રત્યેનો ભાવ વધ્યો અને તેને વાંચવા સમજવાનો નવો નજરીયો પણ મળ્યો. રામાયણ પ્રત્યે મારા ભાવમાં કંઈક ઉમેરો કરવાના નાતે પણ શતાયુ શ્રી નગીનદાસ સંઘવીજીને શ્રધ્ધાંજલી રૂપે કંઈ લખવું મનોમન નક્કી કર્યું. માટે આજનો લેખ તેને શ્રધ્ધાંજલી રૂપે અર્પિત છે.

આમ તો ગુજરાતી સાહિત્ય, કાવ્યરસ આ બધા મારા ગજા બહારના વિષયો રહ્યા છે, પરંતુ નાનપણની ઘણી સ્મૃતિઓ એવી હોય છે, કે જે આપણા મગજમાં કાયમ માટે કંડારાઈ જતી હોય છે. વર્ષાઋતુનો સમય છે, આજે ગાંધીનગરમાં પણ આ સીઝનનો પહેલો સારો કહી શકાય તેવો વરસાદ પડ્યો અને રોમેન્ટીક વાતાવરણ બની ગયું. આવા સમયે ન જાણે ક્યાં સાંભળેલી અને ન જાણે કોણે લખેલી પણ એક નાનકડી કવિતા યાદ આવી ગઈ. આ કવિતામાં ગુજરાતી ભાષાની જાજરમાન ગરિમા અને તેની ઊંડાઇનો તાદશ પરિચય છે.

આપણે ત્યાં જ્યારે રાત થાય છે, ત્યારે ગુજરાતીમાં તેના માટે “રાત પડી ગઈ” એવો શબ્દ વાપરીએ છીએ. આ રાત પડી ગઈ એટલે શું? ત્યારે તેના માટે એક પરિકલ્પના કરવામાં આવી છે કે, રાત એક સ્ત્રીનું નામ છે. રાતના લગ્ન સૂરજની સાથે થયેલા છે. આ રાત કંઈ અંધારી નથી, પરંતુ એક સૌભાગ્યવતી સ્ત્રી છે. તે તેના પતિને મળવા આતુર છે, પરંતુ કરુણા એવી છે કે રાત સુરજને મળી શકતી નથી. સુરજ રાતને કેવી રીતે મળી શકે? બિચારી પરણીને આવી છે, વિરહથી વ્યાકુળ છે, પતિને મળવાની આશ છે અને એ વિરહિણી પતિને મળવા તેની પાછળ ઘેલી થઈને દોટ મૂકે છે અને ત્યાંથી આ કવિતાની શરૂઆત થાય છે…

પ્રીતની ઘેલી હાય બિચારી, સુરજ પાછળ રાત પડી ગઈ

પ્રીતની તરસી ઘેલી થઈને આ રાત સુરજની પાછળ દોટ મુકે છે, પોતાના પતિને પામવા, તેને મળવા, તેનો સંગાથ મેળવવા પરંતુ….

ઘોડલાવાળો ઘડી ન રોકે, ત્યારે રીસ હૈયાને હાટ ચડી ગઈ

આપણે જાણીએ છીએ કે સુરજનું વાહન સાત ઘોડાવાળો રથ છે. તે સતત ચાલ્યે રાખે છે, આખા દિવસમાં એક ક્ષણ માટે પણ ઉભો નથી રહેતો. રાત તેની પાછળ-પાછળ દોડે છે, આખો દિવસ દોડે છે, સુરજ આગળ અને રાત પાછળ. અંતે રાત થાકી જાય છે અને તેને ખીજ ચડે છે, કેટલું દોડવું? વ્યથા અને ખીજમાં તે અથડાઈ પડે છે. અથડાય છે પણ કોની સાથે?  

અથડાણી આથમણી ભીંતે, સિંદૂર ખર્યું એની સાંજ ઢળી ગઈ

આથમણી દિશારૂપી દિવાલ સાથે તે અથડાય છે અને તેના માથામાંથી સિંદૂર ખરે છે. કોઈએ લખ્યું છે ને કે, સંધ્યાની આંખમાં લાલાશ શેની છે? પુછોને તેને તલાશ શેની છે?” અહીં પશ્ચિમ દિશાને એક દિવાલ સમી ગણાવી છે. દિવસભર આખી સૃષ્ટિને જીવંત રાખીને અંતે સુરજ અસ્તાચળમાં જતો રહે છે. પતિ મળ્યો નહીં તેથી ક્ષુબ્ધ થઈને રાત બિચારી આથમણી દિશા સાથે અથડાઈ પડી છે અને તેના માથામાંથી જે સિંદૂર ખર્યું તેની સંધ્યા સમયે આકાશમાં લાલી છવાઈ ગઈ. આખો દિવસ મહેનત કરીને અનેક મોરચે લડીને સ્ત્રીઓ શું અનુભવતી હશે તેનો પણ અહીં આભાસ જણાય છે. પરંતુ જ્યારે એક શક્તિ સ્વરૂપ સ્ત્રી થાકીને પડી જાય છે અને તેના વાળ વિખેરાઈ જાય છે, ત્યારે તેની છાયાથી પૃથ્વી ઉપર રાત થઈ જાય છે. રાતના વાળ છૂટા થઇને વિખેરાઇ ગયા અને તેની છાયાથી રાત પડી ગઈ. આવી રીતે રાત પડે છે માટે રાત પડી ગઈ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. કવિતા અહિં પુરી નથી થતી…

હાર ગળાના હીરલા તૂટ્યા, એના આકાશ મધ્યે તારલા થૈ ગયા

રાત બહુ દોડી છે, અથડાય છે, પડી છે, પરંતુ પતિ નથી મળ્યા. તે જ્યારે પડે છે, ત્યારે તેના ગળાનો હાર તૂટી જાય છે. તેના હારના ખરી પડેલા મોતીડા આકાશમાં તારાઓ થઈને ટમટમે છે. ત્યારબાદ રાત રડી પડે છે, તેનાં આંસુમા આ તારાઓનું પ્રતિબિંબ જાણે એક આકાશગંગા રચાઈ ગઈ હોય એવું પ્રતીત કરાવે છે. આ.. હા.. !! શું ગુઢ કલ્પના છે, પણ હજુ હદતો આગળની કડીમાં છે.

નંદવાણી સૌભાગ્યની ચૂડી, એની આકાશ મધ્યે બીજ બની ગઈ

રાતના હારની સાથે તેની પહેરેલી સૌભાગ્ય ચૂડલી પણ તૂટી જાય છે, જે આકાશમાં બીજનો ચંદ્રમા થઈને બિરાજે છે. ગુજરાતી સાહિત્યની વૈવિધ્યતા અને ઉંડાણની સાથે-સાથે વિવિધ રસોનો સંગમ અહિં જોવા મળે છે. શણગારરસ, પ્રેમરસ, વિરહરસ વગેરેની સાથે અધ્યાત્મરસનું અદ્ભુત સંયોજન આ કવિતાની આખરી કડીમાં જોવા મળે છે.

નૂપુર પગે ઠેસ વાગી, એની ગામે ગામ મંદિરમાં ઝાલર થૈ ગઈ

રાત સુહાગનનો શણગાર સજીને સૂરજની પાછળ દોડી, તેના સિંદૂરનું ઢોળાઈ સંધ્યાની લાલી થઈ જવું, વાળ છૂટા થઈ વિખેરાઈ જતા રાત થઈ જવી, હાર તૂટતા તેના મોતિડા તારલાઓ થઈ જવા, તેના આંસુના પ્રતિબિંબ થકી આકાશગંગા બની જવી, બંગડી તૂટી બીજ સ્વરૂપે શોભવી, આ બધાની સાથે તેણે ઝાંઝર પહેરેલા હતા. આ ઝાંઝરવાળા પગે ઠેસ વાગવાથી એક રણકાર થયો, ઝાંઝરનો ઝણકાર થયો, જાણે તે ગામે-ગામ મંદિરની ઝાલરોનો સુંદર રણકાર થઈ ગયો. આવી પડે છે આપણી રાત. જેના માટે આપણે ‘રાત પડી ગઈ’ રૂપક વાપરીએ છીએ.

5 COMMENTS

  1. Vah saheb…..school life ni yad aavi gai…… પદ્ય વિસ્તાર……. ગદ્ય વિસ્તાર😊

  2. ખૂબ જ સુંદર રચના જે તમે બહુ સરળ ભાષામાં સમજાવી દીધી સર. વાંચતી વખતે મને એવુ લાગ્યુ કે હુ મારી શાળાના વર્ગખંડમાં બેસીને ગુજરાતી નો પીરીયડ ભણુ છું..Thanks for making my school memories alive.

Leave a Reply to Bindulakhani Cancel reply

Please enter your comment!
Please enter your name here