Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન।Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન।Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન।Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન... ।Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

વ્હાલી દિકરી નીરજાને જન્મદિવસની શુભકામનાઓ સહ સમર્પિત…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “ભક્તિ રે કરવી એણે…”, ભાગ – ૫૪ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-054/) માં માતા જાનકીજીના દર્શન કરવા માટે વિભીષણજી યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્‌ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની વગેરે કથા જોઇ હતી. માતા જાનકીજીને હૃદયપૂર્વક પ્રણામ કરી આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

કૃસ તનુ સીસ જટા એક બેની જપતિ હૃદયઁ રઘુપતિ ગુન શ્રેની

શરીર દૂબળું થઈ ગયુ છે અને માથાના વાળની એક જ વેણી જેવી જટા થઇ ગઇ છે. હૃદયમાં શ્રીરઘુનાથજીના ગુણસમૂહોના જપ કરતા રહે છે.

શ્રીહનુમાનજીએ માતાજીને પહેલી વખત જોયા તેનું માનસકારે એકદમ ટૂંકમાં વર્ણન કર્યું છે. પ્રથમ તો બાહ્ય વર્ણન કરતા ગોસ્વામીજીએ લખ્યુ છે કે, “કૃસ તનુ સીસ જટા એક બેની” અર્થાત શરીર ખૂબ જ દૂર્બળ થઇ ગયેલુ હતુ અને માથાના બધા વાળ એક જ લટ જેવા થઇ ગયા હતા. સીતાજી ત્યાં ફક્ત ફળોનો જ આહાર કરતા હતા અને વારંવાર ઉપવાસો પણ કરતા હતા, તેથી તેઓનું શરીર દૂબળુ પડી ગયેલું વર્ણવેલુ છે. સામાન્ય રીતે સ્ત્રીઓ વાળની ખૂબ જ માવજત કરતી હોય છે અને તેને ત્રણ લટમાં વિભાજીત કરી તેનો ચોટલો વાળતી હોય છે. વાળની યોગ્ય માવજત ન થાય, વધુ પડતા મેલા થઇ જાય, ત્યારે આવા એક જટા જેવા થઇ જતા હોય છે. સાધુ-સંતોની વાળની આવી સ્થિતિ, જટા થઇ ગયેલા વાળ, જોવા મળતી હોય છે. માતાજીના વાળ પણ આવી એક વેણી જેવી જટા થઇ ગયા હતા.

ત્યારબાદ આંતરિક વર્ણન કરતા શ્રીતુલસીદાસજીએ લખ્યુ છે કે, “જપતિ હૃદયઁ રઘુપતિ ગુન શ્રેની” અર્થાત તેઓના હૃદયમાં પ્રભુ શ્રીરામના ગુણસમૂહોનો તેઓ નિરંતર જાપ કરતા હતા. ફક્ત રામનામનું રટણ કરવું અને પ્રભુના ચરિત્રનું અને ચરિતનું મનન કરવું, તેની કથા અને વિવિધ પ્રસંગો મનમાં વાગોળવા, તેઓની દીનબંધુતા, કરુણા, અસીમ કૃપા યાદ કરતા-કરતા રામનામ લેવુ, આ બન્નેમાં તફાવત છે. શ્રીહનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવનિધિના સ્વામી છે. તેઓની સિદ્ધિના બળે માતાજીને જોતાવેત જ જાણી લીધુ કે, તેઓ પ્રભુનું સ્મરણ કરે છે અને તેઓનું અંત:કરણ પ્રભુમાં સ્થિત છે. “એકસ્થહૃદયા નૂનં રામમેવાનુપશ્યતિ” અર્થાત એકાગ્રચિત્તે મનની આંખોથી માત્ર પ્રભુ શ્રીરામનું જ નિરંતર ધ્યાન કરતા હતા. તેઓ પ્રભુની વાતો-કિસ્સાઓ યાદ કરે છે, પ્રભુની કરૂણતા, વીરતાઅને મર્યાદાના પ્રસંગો યાદ કરે છે. પ્રભુનો સ્નેહ યાદ કરે છે અને તેઓને હૃદયમાં ધારણ કરેલા છે, અથ: તેનું સતત સ્મરણ પણ કરતા રહે છે.

માનસમાં સીતાજીનું વર્ણન ટૂંકમાં કરવામાં આવેલુ છે, જ્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં તેઓનું શારીરિક, તેઓની અવસ્થાનું અને આસપાસનું વિગતે વર્ણન કરવામાં આવેલુ છે. વાલ્મીકિય રામાયણમાં તેઓના મેલા વસ્ત્રો, ઝાંખા આભૂષણો વગેરેનું વર્ણન છે, જ્યારે માનસમાં આવું કોઇ વર્ણન નથી, કારણ કે બાબાજીએ અગાઉ જ લખી દીધુ હતુ કે “દિવ્ય બસન ભૂષન પહિરાએ, જે નિત નૂતન અમલ સુહાએ” અર્થાત અત્રિ મુનિના પત્ની અનસૂયાજીએ જાનકીજીને એવા દિવ્ય વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા હતા કે જે નિત્ય નૂતન, નિર્મળ સોહામણાં જ રહે છે.

ડૉ વસંત પરીખે તેઓની વાલ્મીકિ કૃત રામાયણ આધારિત શ્રીસુંદરકાંડ પરની બુકમાં સીતાજીના વર્ણનમાં એવું લખ્યુ છે કે, ‘સ્નાનાદિસંસ્કાર પામ્યા વિનાની, અનલંકૃતિ, દેશાન્તરમાં આવી પડેલી આ સીતા સંસ્કાર (વ્યાકરણના નિયમ પ્રમાણેના) નહીં પામેલી, અલંકાર વિનાની અને અર્થાન્તર પામેલી વાણી જેવી લાગતી હતી’. પરંતુ મારા મતે તો શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં જ દર્શાવેલા વર્ણન મુજબ “ભર્તૂવાત્સલ્યભૂષિતામ્‌” અર્થાત પતિનું વાત્સલ્ય કે સ્નેહ જ જેનું આભૂષણ છે, તેવા “ઉત્થિતા મેદિનીં ભિત્ત્વા ક્ષેત્રે હલમુખક્ષતે, પદ્મરેણુનિભૈ: કીર્ણા શુભૈ: કેદારપાંસુભિ:” એટલે કે હળના ફળપૂણી(હળનો આગળનો મોઢાનો ભાગ)થી ખેતર ખેડતી વખતે પૃથ્વીને ચીરીને કમળના પરાગની જેમ ક્યારીની સુંદર ધૂળથી લપેટાઇને પ્રગટ થયેલા સીતા, “રામસ્ય વ્યવસાયજ્ઞા લક્ષ્મણસ્થ ચ ધીમત:, નાત્યર્થં ક્ષુભ્યતે દેવી ગંગેવ જલદાગમે” અર્થાત જેમ વર્ષાઋતુ આવે તો પણ દેવી ગંગા વધારે ઉત્તેજિત કે વ્યાકુળ થઇ જતા નથી, તેમ પ્રભુ શ્રીરામ અને બુદ્ધિશાળી લક્ષ્મણજીના અમોઘ પરાક્રમ જાણનારા જનકનંદીની શોકથી વધુ વિચલિત નથી. કારણ કે હૃદયમાં પ્રભુ શ્રીરામ ધારણ કરેલા છે, મનમાં અવિરત પ્રભુ સ્મરણ છે અને –

:: દોહા –૮::

નિજ પદ નયન દિએઁ મન રામ પદ કમલ લીન । પરમ દુખી ભા પવનસુત દેખિ જાનકી દીન ॥

શ્રીજાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રીરામજીના ચરણકમળોમાં લીન છે. જનકદુલારીને દીન જોઇને પવનપુત્ર શ્રીહનુમાનજી ઘણા જ દુ:ખી થયા.

નિજ પદ નયન દિએઁ” અર્થાત સીતાજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે. આપણા શાસ્ત્રોમાં નેત્રોને ચરણોમાં સ્થિત કરવાનું, ધ્યાન કેન્દ્રિત કરવાનું ખૂબ મહત્વ છે. અહીં માતાજીએ પોતાના નેત્રો ચરણોમાં સ્થિત કરેલા હતા. તેના મર્મ સમજીએ તો – પહેલો, મન વચન અને કર્મ ત્રણેયના સંયમને ત્રિદંડ સન્યાસ કહેવામાં આવે છે. ચરણોમાં ધ્યાન સ્થિત કરવુ તે ત્રિદંડ સન્યાસનું એક અગત્યનું લક્ષણ છે. સીતાજીનો લંકાનો આ સમય સન્યાસનો સમય હતો, માટે માતાજીએ પોતાના નેત્રો ચરણોમાં સ્થિત કરેલા હતા. બીજો, બન્ને પગના અંગુઠાઓની વચ્ચે નજર સ્થિર કરવી એ યોગાંગસિદ્ધ એક પ્રકારની મુદ્રા છે. અહીં જાનકીજીની યોગાવસ્થાનું નિરૂપણ કરવામાં આવેલું છે. ત્રીજો, નજર ચરણોમાં સ્થિર કરવાથી ચિત્તવૃત્તિ શાંત થાય છે. નેત્રોની ચંચળતા મનની ચંચળતાનું મુખ્ય કારણ છે. ચિત્ત શાંત કરવું હોય, ક્યાંક સ્થિર કરવું હોય, તો નેત્રોનો સંયમ જરૂરી છે. આમ, પ્રભુમાં મન સ્થિર કરવા નેત્રોનો સંયમ દર્શાવેલો છે. ચોથો, અને એક સુંદર મર્મ જોઇએ તો, પ્રભુ શ્રીરામના ચરણોમાં ૪૮ ચિહ્નો છે. ભગવાનના જમણા પગમાં અંકિત ૨૪ ચિહ્નો માતાજીના ડાબા પગમાં રહેલા છે અને ભગવાનના ડાબા પગમાં અંકિત ૨૪ ચિહ્નો માતાજીના જમણા પગમાં રહેલા છે. અહીં માતાજીનું મન પોતાના ચરણોમાં રહેલા પ્રભુના ચરણોના ચિહ્નોના દર્શનમાં લીન છે, તેવું દર્શાવેલું છે.

વાત ચરણોની નીકળી છે તો એક અદ્‌ભૂત પ્રયોગની વાત કરવી છે. આ પ્રયોગ ખરેખર કરવા જેવો છે. કુટુંબ, સમાજ, કાર્યસ્થળ કે અન્ય કોઇપણ જગ્યાએ બિનજરૂરી ધર્ષણથી કે વિજાતીય આકર્ષણથી બચવાનો એક સુંદર પ્રયોગ છે. આ પ્રયોગના પ્રત્યક્ષ પ્રમાણો જોયેલા અને અનુભવેલા છે. આપની સામે જે વ્યક્તિ આવે, ઘરે કોઈ આવે, કચેરીએ કોઇ આવે, મીટીંગ કે મેળાવળામાં કોઇ આવે, તો સૌથી પહેલા સામેવાળી વ્યક્તિના પગ સામે જોવું, તેના ચરણો ઉપર નજર નાખવી. આ સમયે શક્ય હોય તો, પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું. સામેવાળી વ્યક્તિ ગમે તેટલી ખરાબ હશે, ગમે તેવા આશયથી આવી હશે, ગમે તેવા પૂર્વગ્રહો સાથે આવી હશે કે વિજાતીય આકર્ષણથી આવી હશે; તે તમારા માટે સારુ જ વિચારશે કે કરશે અને તમારી તરફેણમાં, તમારા હિતમાં જ કામ કે વાત કરશે. વિજાતીય આકર્ષણથી બચવાનો આ અક્સીર નૂસખો છે.

મન રામ પદ કમલ લીન” અર્થાત સીતાજીનું મન શ્રીરામ ભગવાનના ચરણ કમળોમાં લીન હતું. અહીં એક પ્રશ્ન સ્વાભાવિક જ ઉદ્ભવી શકે કે, આગળની ચોપાઇમાં લખ્યુ છે કે, “જપતિ હૃદયઁ રઘુપતિ ગુન શ્રેની” અર્થાત હૃદયમાં શ્રીરઘુનાથજીના ગુણ સમૂહોનું સ્મરણ કરી રહ્યા હતા. અહીં આ દોહામાં લખ્યુ છે, “મન રામ પદ કમલ લીન” એટલે કે મન પ્રભુના ચરણકમળોમાં લીન હતુ. મન એક સમયે બે જગ્યાએ સ્થિર કઇ રીતે હોઇ શકે? તો મન બે પ્રકારના હોય છે. એક બાહ્ય મન અને બીજુ આંતર્મન. બાહ્ય સ્થૂળ મન ચરણોમાં લીન હતુ, જ્યારે આંતર્મન પ્રભુના ગુણ સમૂહો એટલે કે પ્રભુએ પોતાના માટે શિવધનુષનો ભંગ કર્યો, પરશુરામજીના ક્રોધ અને ગર્વને ચૂર કર્યો, જયંતની આંખ ફોડી નાખી વગેરેને યાદ કરી રહ્યા હતા. દીનદયાળુ પ્રભુ શ્રીરામ પોતાને છોડાવવા જરૂર આવશે, તેવા ભાવ સાથે પ્રભુના ચિંતનમાં લીન છે.

પરમ દુખી ભા પવનસુત દેખિ જાનકી દીન” અર્થાત જાનકીજીને દીન જોઇને પવનપુત્ર શ્રીહનુમાનજી ઘણા જ દુ:ખી થયા. “પરમ દુખી” રાવણ માતાજીને હરિ ગયો એટલે પ્રભુ શ્રીરામ દુ:ખી હતા અને તેઓના દુખે શ્રીહનુમાનજી દુ:ખી હતા જ. હવે માતાજીની આવી દીન દશા જોઇને “પરમ દુખી” ઘણા વધુ દુ:ખી થઇ ગયા. દીન દશા અને પતિપારાયણતા જોઇ વાલ્મીકિય રામાયણમાં લખ્યુ છે કે, શ્રીહનુમાનજી વિચારે છે કે આવા પતિવ્રતા જાનકીજી માટે શ્રીરામ સકળ જગતને ઉપરતળે કરી નાંખે તો પણ ઉચિત જ છે. અહીં માનસકારે માતાજી માટે ‘જાનકી’ સંબોધનનો ઉપયોગ કર્યો છે. જાનકીનો એક ભાવાર્થ રાત-દિવસ જાગવું એવો પણ થાય છે. અગાઉ માનસકારે લખ્યુ છે કે, “બૈઠેહિં બીતિ જાત નિસિ જામા” તેઓની રાત્રીઓ બેઠા-બેઠા જ વિતી જાય છે. રાત-દિવસ સતત જાગતા રહીને એક જ આસન ઉપર પ્રભુમાં મન લીન કરવું એ યોગીઓનું કામ છે. જાનકીજી યોગીરાજ જનકજીની પુત્રી છે, માટે અહીં ‘જાનકી’ એવું સંબોધન કરવામાં આવેલું હોઇ શકે.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here