Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ – ૨ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ – ૨ । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ – ૨ । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ - ૨ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૬, સત્‌સંગનું મહત્વ – ૧ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-036/)માં શું સ્વર્ગ એટલે જ હેવન (Heaven)? સ્વર્ગ અને હેવન (Heaven) વચ્ચેનો તફાવત અને સંસ્કૃતના અન્ય ભાષામાં ભાષાંતર વખતે તેના મૂળ શબ્દોને જેમના તેમ જ ઉપયોગમાં લેવાની આવશ્યકતા તથા સત્‌સંગનો અર્થ અને તેનું ટૂંકમાં મહત્વ વગેરેની કથા જોઇ હતી. સત્‌સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતા એક સુંદર પ્રસંગથી આજની કથાની શરૂઆત કરીએ.

એકવાર નારદજી ભગવાન શ્રીહરિ પાસે ગયા અને તેઓએ ભગવાનને પુછ્યું, હે પ્રભુ! સત્‌સંગનો મહિમા જણાવો. ભગવાને કહ્યુ, સત્‌સંગનો મહિમા તો નર્કમાં રહેલો એક કીડો પણ કહી શકશે. આપ ત્યાં જઇને જ પુછો. નારદજી નર્કમાં ગયા. ત્યાં જઈને એક કીડાને પુછ્યું કે, તમે મને સત્‌સંગનો મહિમા જણાવશો? આટલું સાંભળતા વેંત જ કીડો મૃત્યુ પામ્યો. નારદજી વિલા મોઢે ભગવાન પાસે પરત આવ્યા. તેઓએ ભગવાનને કહ્યુ, પ્રભુ! સત્‌સંગનો મહિમા પૂછતા જ કીડાએ દેહ છોડી દીધો. ભગવાને કહ્યુ, નારદજી! એક કામ કરો, જુઓ પહેલું પોપટનું બચ્ચુ તાજું જ જન્મેલું છે, તેને જઈને પુછો, તે સત્‌સંગનો મહિમા કહી શકશે. નારદજી પોપટના બચ્ચા પાસે ગયા અને તેને પુછ્યુ કે સત્‌સંગનો મહિમા કહેશો? આટલું સાંભળતા જ પોપટના બચ્ચાએ આંખો મીંચી દીધી. નારદજીને આ જોઇને દુ:ખ થયુ અને ખિન્ન વદને ફરિ ભગવાન પાસે આવ્યા. પ્રભુને કહ્યુ કે તે પણ મૃત્યુ પામ્યુ છે. ભગવાને કહ્યું, સારું અને પછી એક તાજું જન્મેલું વાછરડું બતાવ્યું અને કહ્યુ કે તેને પુછી જુઓ. ભગવાનની આજ્ઞા હતી એટલે ના તો પડાય નહી. નારદજી હવે વાછરડા પાસે ગયા અને તેને સત્‌સંગનો મહિમા પુછ્યો. જેવો નારદજીએ સત્‌સંગનો મહિમા પુછ્યો કે વાછરડું પણ મૃત્યુ પામ્યું. આ વખતે નારદજીને ગૌહત્યાની લાગણી થઈ અને તેઓને ખૂબ જ દુ:ખ થયુ. તેઓ પ્રભુ પાસે આવ્યા અને દુ:ખી હૃદયે વાછરડાના મૃત્યુની વાત કરી.

હવે ભગવાને નારદજીને કહ્યુ કે આ એક રાજાને ત્યાં બાળકનો હમણા જ જન્મ થયો છે, તેને જઈને પુછી આવો, તે આપને સત્‌સંગનો મહિમા કહેશે. નારદજીએ કહ્યુ, હે પ્રભુ! અગાઉ કીડો, પોપટનું બચ્ચુ અને વાછરડુ, આ બધાના મૃત્યુથી હું આમેય દુ:ખી છું. વળી, હું જેને પણ સત્‌સંગનો મહિમા પુછવા પ્રશ્ન પુછુ છું, તે તુરંત જ મૃત્યુને પામે છે. આ તો રાજકુંવર છે. જો તેને જઈને સત્‌સંગનો મહિમા પુછુ અને તેનું પણ મૃત્યુ થાય, તો રાજા મને જીવતો ન છોડે. હું ત્યાં નહીં જાઉં, આપ જ મહેરબાની કરીને સત્‌સંગનો મહિમા જણાવી દો. ભગવાને કહ્યુ, નારદજી! આ વખતે બાળકનું મૃત્યુ નહીં થાય અને આપને જવાબ પણ મળી જશે, આપ જાઓ અને તેને સત્‌સંગનો મહિમા પુછો. ફરી ભગવાનની આજ્ઞા થઈ એટલે નાછૂટકે તાજા જન્મેલા રાજકુંવરને સત્‌સંગનો મહિમા પુછવા તેની પાસે પહોંચી ગયા. ત્યાં જઈને તેઓએ સત્‌સંગનો મહિમા પુછ્યો. તે બાળક ખડખડાટ હસી પડ્યુ અને નારદજીને કહેવા લાગ્યુ, હે નારદજી! આપ હજુ સુધી સત્‌સંગનો મહિમા સમજી ન શક્યા? આપના પ્રથમ વખત દર્શનથી મારી નર્કની યાતનાઓમાંથી મુક્તિ થઈ ગઈ. ત્યારબાદ કીડાથી સારી યોનિઓમાં જન્મ પામી, આપના દર્શનના પ્રભાવે તેમાંથી પણ મારો તુરંત જ છુટકારો થઈ ગયો. આપના એટલે કે એક સાચા સંતના દર્શન સત્‌સંગથી જ મને રાજકુંવર તરીકે જન્મ મળ્યો. આ બધો આપના દર્શનનો જ એટલે કે સત્‌સંગનો જ મહિમા છે. સત્‌સંગથી તો ભવબંધનથી પણ મુક્તિ મળી જાય છે. જેને સત્‌સંગ પ્રિય નથી, તેના માટે ખૂબ સરસ લખ્યુ છે –

તુલસી પૂરબ પાપ તે, હરિચર્ચા ન સુહાત જૈસે જ્વર કે જોર સે, ભૂખ બિદા હો જાત

કોઇને તાવ આવે તો તેને જમવાનું ભાવતુ નથી અને તેની સુગંધ પણ ગમતી નથી, તેનો એ મતલબ નથી કે તેને જમ્યા વગર ચાલશે, પરંતુ તે શરીરની અંદરની ખરાબી છે. આવી જ રીતે અંત:કરણમાં ખરાબી હોય, તેને હરિચર્ચા, પ્રભુના ગુણગાન કે સત્‌સંગ પ્રિય લાગતા નથી. બાકી પ્રભુ તો સત્‌સંગીને જ વશ હોય છે. તેનું પણ એક સુંદર ઉદાહરણ જોઈએ તો –

પ્રસિદ્ધ ભક્ત શ્રીનાભાજી મહારાજે “ભક્તમાલ”ની રચના કરી છે. તે પદોની શ્રીપ્રિયાદાસજીએ કવિતામાં ટીકા લખી છે. શ્રીપ્રિયાદાસજી પોતે ઠાકોરજીને એક સિંહાસન ઉપર પધરાવીને, તેમને કથા સંભળાવતા. આ કથા એટલે કે સત્‌સંગમાં ઘણા લોકો આવતા. તેમાં ઘણા અમીર લોકો પણ આવતા. જ્યાં અમીર લોકો આવતા હોય કે આવવાના હોય ત્યાં થોડી વધુ કાળજી રાખવી પડે, કારણ કે ત્યાં ચોરીનો ભય પણ વધી જાય. આ સત્‌સંગ નિયમિત ચાલતો, તેવામાં ચોરોને ખબર પડી ગઈ કે અહીં અમીર લોકો પણ સત્‌સંગમાં આવે છે. એક દિવસ ચોર ચોરી કરવા આવ્યા. બીજો કોઈ મેળ ન પડ્યો, તો ઠાકોરજીની મૂર્તિ જ ચોરીને લઈ ગયા. શ્રીપ્રિયાદાસજીને ખબર પડી કે ઠાકોરજીની પ્રતિમા ચોરાઈ ગઈ એટલે તેઓએ કહ્યુ, આ સત્‌સંગના મુખ્ય શ્રોતા તો જતા રહ્યા માટે સત્‌સંગ બંધ. ઠાકોરજી નથી તો ભોગ કોને ધરાવવો? માટે રસોઈ બંધ. પોતે ભુખ્યા રહ્યા અને આ બાજુ ચોર લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ ઠાકોરજીની મૂર્તિ પાછી આપી ગયા. ઠાકોરજીને સ્નાન કરાવી, શણગાર કરી સિંહાસન ઉપર પધરાવ્યા. રસોઈ બનાવી ભોગ ધરાવ્યો. આ બધી ભાગદોડમાં કથાના ક્યા પ્રસંગ સુધી પહોંચ્યા હતા, તે કોઈનેય યાદ ન રહ્યુ. આ સમયે ઠાકોરજી પોતે મૂર્તિમાંથી બોલી ઉઠ્યા કે કથા ક્યાં પહોંચી હતી. આ પ્રમાણ છે કે સત્‌સંગ થતો હોય, કથા-વાર્તા થતી હોય, ભજન-કીર્તન થતા હોય, પ્રભુસ્મરણ થતું હોય, સાચા સંતનો સમાગમ થતો હોય, ત્યાં ભગવાન પોતે હાજરાહજુર હોય છે. જ્યાં રામાયણ વંચાતી હોય કે સંભળાવાતી હોય, ત્યાં શ્રીહનુમાનજી સ્વયં ઉપસ્થિત હોય છે, તે સર્વવિદિત છે. સત્‌સંગ દરેકને નથી મળતો,

સંત સમાગમ હરિ-કથા, તુલસી દુર્લભ હોય સુત દારા અરુ લક્ષ્મી, પાપી કે ભી હોય

ભગવાનની કથા અને સત્‌સંગ એટલે કે સંતનો સંગ આ બન્ને દુર્લભ વસ્તુઓ છે, બાકી પુત્ર, સ્ત્રી અને ધન તો પાપી માણસના ઘરે પણ કર્મોનુસાર હોય જ છે. રાવણનું આટલુ મોટું સામ્રાજ્ય હતું જ ને! જેમ સુર્યોદય થવાથી ધરતી ઉપરનો અંધકાર દૂર થઈ જાય છે, તેમ સાચા સંતનો સંગ થવાથી અંત:કરણનું અંધારું દૂર થઈ જાય છે. માટે ભગવાન પાસે માંગવામાં આવ્યુ છે કે –

રામજી સાધુ સંગત મોહિ દીજીયે વાઁરી સંગત દો રામજી પલભર ભૂલ ન હોય

સત્‌સંગ વિશે જેટલું લખીએ તેટલું ઓછુ છે. મનને સંતોષ જ ન થાય, આ વિષય ઉપર વધુને વધુ લખતા જ રહેવાનું મન થાય છે. સત્‌સંગ વિશે લખવું એ પણ એક સત્‌સંગ જ છે. સત્‌સંગ વિશેની વાત પુરી કરતા પહેલા એક ખાસ વાત કહેવી છે કે પ્રભુકૃપા વગર સત્‌સંગ કે સંત સમાગમ પણ શક્ય જ નથી. આગળ મારી પસંદગીની ખાસ ચોપાઈઓ પૈકીની એક એવી ચોપાઈ આવશે, જેમાં વિભીષણજી શ્રીહનુમાનજીને કહે છે કે –

અબ મોહિ ભા ભરોસ હનુમંતા । બિનુ હરિ કૃપા મિલહિં નહિં સંતા

મને જીવનમાં આવા જ એક સાચા સંત સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજીનો આશ્રય મળ્યો છે, તેઓની અનુકંપા પ્રાપ્ત થઈ છે, તે ચોક્કસ મારા રામની જ અસીમ કૃપા છે. હે રામજી લાલા! હું આપનો આભારી છું, આપની કૃપા મને પ્રત્યક્ષ જણાય જ છે. આપની કૃપા વગર મારા આખા કુટુંબને શ્રી વિશ્વંભરદાસજી મહારાજનું સાનિંધ્ય પ્રાપ્ત ન થઈ શકે. હે કૃપાળુ! હે દિનબંધુ રામજી લાલા! અમે સતત આપના શરણોમાં જ સમર્પિત રહીએ અને ગુરુદેવનો સત્‌સંગ રહે તેવી કૃપા કરજો. અંતે સત્‌સંગ વિશે ખૂબ જ સુંદર અને પ્રસિદ્ધ કડી –

એક ઘડી આધી ઘડી, આધી કી પુનિ આધ તુલસી સંગત સંત કી, કટે કોટી અપરાધ

એક ઘડીની અડધી અને તેની પણ અડધી એટલે કે પા. એક ઘડીના ચોથા ભાગના સમયના સત્‌સંગથી કરોડો અપરાધ, અસંખ્ય પાપો દૂર થઈ જાય છે. અમારા આવા કેટલા જન્મોના અમાપ પાપો હશે? કંઇ ખબર નથી. હે રામ! આ સદ્‌ગુરુનો સંગ આપી, આપ અમને તારી રહ્યા છો, તે દિવા જેવું સ્પષ્ટ જ છે. સત્‌સંગનો મહિમા અમાપ છે. સત્‌સંગની વ્યાખ્યા ગત અંકમાં આપી હતી, આપને જે પ્રકારનો સત્‌સંગ યોગ્ય અને અનુકૂળ લાગે, તે એકવાર ટેસ્ટ જરૂર કરજો, તેવી પ્રાર્થના અને પ્રભુ શ્રીરામને કોટી-કોટી પ્રણામ સહ આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here