Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૮ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ – ૩ । Sundarkand | सुंदरकांडhttp://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-038/ )માં આપણે સત્‌સંગના પ્રકારો, સત્‌સંગથી  લંકિનીને શું પ્રાપ્ત થયું? તપ કરતા પણ સત્‌સંગ શ્રેષ્ઠ છે, એક લવ એટલે કેટલો સમય? અને ભગવાન આપણને જીવનમાં જે કંઇ કરવાનું હોય, તેનો સંદેશો કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે. બસ, આપણે સમજી શકવા જોઇએ, ત્યાંસુધીની કથા જોઈ હતી. હવે આ જ બાબત વધુ સારી રીતે સમજવા આજની આ સુંદર કથાની શુભ શરૂઆત ગોસ્વામીજીની એક સુંદર ચોપાઈથી કરીએ. ગોસ્વામીજી એક દિવસ તેઓના આશ્રમે ચોપાઇ લખી રહ્યા હતા. તેઓએ એક સુંદર ચોપાઇ લખી –

સીયા રામમય સબ જગ જાની કરહું પ્રનામ જોરી જુગ પાની

આખી સૃષ્ટિને, આખા સંસારને, તમામ જડ-ચેતનને રામમય જાણી, આ બધામાં ભગવાનનો વાસ છે, તેમ માની તમામને બે હાથ જોડીને વંદન કરું છું.

આ ચોપાઇ લખ્યા બાદ બાબાજી આશ્રમેથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં એક બાળક મળ્યું. બાળકે બાબાજીને કહ્યુ, મહાત્માજી! આપ આ રસ્તેથી ઘરે ન જાઓ. આ રસ્તે આગળ એક આખલો ગાંડો થયો છે અને બધાને મારી રહ્યો છે. વળી આપે તો લાલ જેવા રંગના કપડા પહેર્યા છે, માટે આપ તો આ રસ્તે બિલકુલ જતા જ નહી. શ્રીતુલસીદાસજીએ વિચાર્યું કે, આ બાળકને શું ખબર પડે? મેં હમણા જ ચોપાઈ લખી છે કે દરેક જીવમાં ભગવાન રહેલા છે. તે આખલામાં પણ એ જ ભગવાન બેઠા છે ને? તેને બે હાથ જોડીને વંદન કરીશ, આગળ જવા દેવા વિનંતી કરીશ અને શાંતિથી નિકળી જઇશ. તેમાં ડરવાનું શું હોય? જેવા ગોસ્વામીજી આગળ વધ્યા કે પેલા ગાંડા આખલાનો સામનો થયો. બાબાજીએ તેને બે હાથ જોડીને વંદન કર્યા, તેની સામે ઉભા રહી આગળ જવા દેવા વિનંતી કરી અને જેવા આગળ નિકળવા ગયા કે આખલાએ જોરથી લાત મારી. ગોસ્વામીજી પડી ગયા અને ખરાબ રીતે ઘાયલ પણ થઈ ગયા.

ગોસ્વામીજી ત્યાંથી ઉભા થઈને ઘરે જવાને બદલે સીધા આશ્રમ પહોંચ્યા અને પેલી ચોપાઈને ફાડવા ગયા કે શ્રીહનુમાનજી પ્રસન્ન થઈ ગયા. શ્રીહનુમાનજીએ કહ્યુ કે અરે! અરે! મહાત્મન્‌! આ શું કરી રહ્યા છો? ગોસ્વામીજીએ કહ્યું કે મારાથી એક ખોટી ચોપાઈ લખાઇ ગઇ છે, તે ફાડી રહ્યો છું. શ્રીહનુમાનજીએ તેના હાથ પકડી લીધા અને કહ્યું, કંઇ ખોટી ચોપાઈ નથી લખાઇ, જે લખ્યુ છે તે સાચુ જ છે. ગોસ્વામીજીએ કહ્યુ કે આખલામાં મે ભગવાનનો વાસ જાણી તેને પ્રણામ કર્યા, તો પણ તેણે મને લાત કેમ મારી? શ્રીહનુમાનજી હસવા લાગ્યા અને શ્રીતુલસીદાસજીને સમજાવ્યું કે આપને આખલામાં ભગવાન દેખાયા પરંતુ તેની પહેલા મળેલા બાળકમાં પ્રભુ ન દેખાયા? પ્રભુ આપની પાસે બાળક સ્વરૂપે આવ્યા અને આપને પહેલા જ ચેતવ્યા હતા. તે સમયે આપે તેને ગણકાર્યું નહી, એટલે આ તકલીફ ભોગવવી પડી. આટલું સાંભળતા જ ગોસ્વામાજીના નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને તેઓ શ્રીહનુમાનજીના ચરણોમાં પડી ગયા. મિત્રો આપણને બધાને પણ ભગવાન દરેક વસ્તુનો સંદેશો આપે જ છે અને ચેતવે છે કે સમજાવે છે. બસ આપણે સમજી શકતા નથી એટલે દુ:ખી થઇએ છીએ.

આગળની કથાનો સંદર્ભ લઈએ તો, પ્રબિસિ નગર કીજૈ સબ કાજા ચોપાઈમાં સબ કાજા અર્થાત શ્રીહનુમાનજીએ ક્યા બધા કાર્યો કરવાના હતા, તેની વાત કરતા હતા. શ્રીહનુમાનજીએ ઘણાં કાર્યો કરવાના હતા જેવા કે, વિભીષણ સાથે મિલાપ, જનકનંદિનીની શોધ, અશોકવાટીકાને નષ્ટ કરવી, અક્ષકુમારનો વધ, લંકાને બાળવી તથા તેની રચના અને શસ્ત્રો વગેરેનો તાગ મેળવવો, રાવણનો માનભંગ કરવો તથા માતાજીને સાંત્વના આપી, તેઓની પાસેથી નિશાની મેળવી પ્રભુ શ્રીરામને આપવાની હતી. ભગવાને સુરસા અને લંકિની બન્ને મારફતે આ સંદેશો આપ્યો કે, હે હનુમાન! આપે આ બધા કાર્યો કરવાના છે.

એક સંતે એવો પણ મત વ્યક્ત કર્યો કે છે કે સર્વે કાર્યો મતલબ લંકિની એવું કહેવા માંગતી હતી કે આપના એક મુક્કાના પ્રહારથી હું લંકાનગરી અધમૂવી થઈ ગઈ છું. હવે પ્રભુના આવવાથી રાક્ષસોનો વિનાશ થશે અને અહીં ધર્મનું રાજ્ય સ્થપાશે. હવે મારી, લંકાનગરીની, લંકિની સ્વરૂપે નગરીની રક્ષા કરવાની આવશ્યકતા નહિ રહે. તો હું પૂર્ણ રીતે મૃત્યું પામવા માંગુ છું, આપ મારો અગ્નિસંસ્કાર વગેરે બધા કાર્યો પૂર્ણ કરજો. શ્રીહનુમાનજી આખી લંકાનગરીને બાળી દે છે, જે આપણે જાણીએ જ છીએ.

આ બધા કાર્યો કરતી વખતે લંકિની બીજું શું કરવાનું કહે છે? તો, હૃદય રાખી કોસલપુર રાજા અર્થાત હૃદયમાં અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીનું સ્મરણ રાખવાનું કહે છે. લંકિનીએ ભગવાનનું સ્મરણ કરતાં-કરતાં બધા કાર્યો કરવાનું કહ્યુ, તેના માટે ઘણા સુંદર તર્ક કરી શકાય. પહેલો, પ્રભુને હૃદયમાં રાખીને કોઇપણ કાર્ય કરીએ તો તે કાર્ય કરવાનું કર્મનું બંધન થતું નથી. તે કાર્ય નિષ્કામ કર્મ બની જાય છે અને આવા કર્મ માટે કોઇ દોષ લાગતો નથી. બીજો, અયોધ્યા પતિનું અર્થાત અયોધ્યાના ઐશ્વર્યનું સ્મરણ રહે, તો લંકાના ઐશ્વર્યથી મન વિચલિત ન થાય. ત્રીજો, ‘દેવ જચ્છ ગંધર્વ નર કિન્નર નાગકુમારિ જીતિ બરીં નિજ બાહુ બલ બહું સુંદર બર નારિ ’ અર્થાત રાવણ ત્રણેય લોકની સુંદરીઓને હરિ લાવતો હતો. લંકામાં ‘નર નાગ સુર ગંધર્બ કન્યા’ એટલે કે મનુષ્ય, નાગ, દેવો, ગંધર્વો, યક્ષો વગેરેની કન્યાઓ હતી. અને આ બધી કન્યાઓ કેવી હતી? તો ‘રૂપ મુનિ મન મોહહીં’ અર્થાત તેઓના રૂપ મુનિઓના મનને પણ મોહી લે તેવા હતા. ભલ-ભલા મુનિઓનો વૈરાગ્ય છૂટી જાય તેવી સુંદર આ સ્ત્રીઓ હતી. (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-029/) અહીં લંકિનીએ શ્રીહનુમાનજીને મુખ્યમંત્ર સમજાવ્યો કે પ્રભુને હૃદયમાં ધારણ કરી રાખો, તો આવા કોઇ વિઘ્નો આપને નડી નહીં શકે. લંકિની અયોધ્યાનાથ રાઘવેન્દ્રજીને હૃદયમાં ધારણ કરી, તેનું સતત સ્મરણ રાખી, નગરમાં પ્રવેશ કરવાનું અને આગળના તમામ કાર્યો કરવાનું કહે છે. અમારા ગુરુદેવ શ્રીવિશ્વંભરદાસજી હંમેશા “કામ કરતે રહો, પ્રભુ નામ જપતે રહો”નો મંત્ર આપે છે. સતત પ્રભુ સ્મરણ કરવામાં આવે, અવિરત પ્રભુ કૃપા કે પ્રભુની કૃપા દ્રષ્ટિ સતત રહે તો શું થાય?

ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ ગોપદ સિંધુ અનલ સિતલાઈ

ગરુડ સુમેરુ રેનુ સમ તાહી । રામ કૃપા કરિ ચિતવા જાહી

હે ગરુડજી! શ્રીરામચંદ્રજી જેને એકવાર કૃપા કરીને જોઇ લે છે અથવા તો જેના ઉપર પ્રભુ શ્રીરામની કૃપાદ્રષ્ટિ હોય છે, તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે, વિષ અમૃત સમાન થઈ જાય છે, સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે, અગ્નિ શીતળ થઈ જાય છે અને સુમેરુ પર્વત રજકણ સમાન થઈ જાય છે.

પ્રભુ કૃપાથી બધુ જ સરળ થઈ જાય છે. ભગવાનની કૃપાદ્રષ્ટિથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે. વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે, જેમ કે – “મૂકં કરોતિ વાચાલં, પંગું લંઘયતે ગિરિમ્ । યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ્ ॥” અર્થાત જેમની કૃપાથી મુંગા બોલતા થઈ જાય છે અને લંગડા ડુંગર ચઢી જાય છે, તેવા પરમ આનંદ સ્વરૂપ શ્રીમાધવને હું વંદન કરુ છું. આ પ્રસંગે મને સ્કુલની એક પ્રાર્થના – सूरज की गर्मी से जलते हुए – યાદ આવી ગઈ, જેમાં આ બાબત રોજ ગાતા હતા. થોડા શબ્દો યાદ કરીએ તો,

सूरज की गर्मी से जलते हुए तन को मिल जाये तरुवर की छाया,

ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया | मेरे राम ||

शीतल बने आग चन्दन के जैसी राघव कृपा हो जो तेरी,

उजयाली पूनम की हो जाये राते जो थी अमावस अँधेरी,

युग युग से प्यासी मुरुभूमि ने जैसे सावन का संदेस पाया,

ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया | मेरे राम ||

આવી જ રીતે અહીં પણ પ્રભુની કૃપાદ્રષ્ટિનું મહત્વ વર્ણવવામાં આવેલું છે. આપણા જીવનમાં પણ આવું જ બને છે, પરંતુ શ્રીસુંદરકાંડમાં તો શ્રીહનુમાનજીના કિસ્સામાં આ બાબત સિદ્ધ કરતા ઘણા પ્રસંગો અને પ્રમાણ ઉપલબ્ધ છે. આવા શ્રીહનુમાનજીના સુંદરકાંડમાં અને અન્ય થોડા પ્રમાણોની કથા આવતા અંકથી જોઇશુ, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here