Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड

1
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૦ | પ્રભુકૃપાનો અપાર મહિમા । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૩૯ (શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-039/)માં ભગવાન આપણને જીવનમાં જે કંઇ કરવાનું હોય, તેનો સંદેશો કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે. બસ, આપણે સમજી શકવા જોઇએ, તે બાબત સીયા રામમય સબ જગ જાની । કરહું પ્રનામ જોરી જુગ પાની ॥ ચોપાઈના માધ્યમથી સમજ્યા હતા. ત્યારબાદ લંકામાં પ્રવેશી શ્રીહનુમાનજીએ ક્યા બધા કાર્યો કરવાના હતા? અને આ બધા કાર્યો કરતી વખતે હૃદયમાં અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીનું સ્મરણ રાખવાનું તથા પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે, ત્યાંસુધીની કથા જોઇ હતી. પ્રભુ કૃપાથી શું સરળ થઈ જાય અને કેવી વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે, તેના સુંદર ઉદાહરણો બાબાજીની શ્રીસુંદરકાંડની ચોપાઇઓમાં જ આપેલ છે, ત્યાંથી આજની સુંદર કથાની શરૂઆત કરીએ.

ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ ગોપદ સિંધુ અનલ સિતલાઈ

ગરુડ સુમેરુ રેનુ સમ તાહી । રામ કૃપા કરિ ચિતવા જાહી

જેમાં પહેલુ આવે છે, ‘ગરલ સુધા’ અર્થાત વિષ અમૃત સમાન થઈ જાય છે. ૧) સુરસા એટલે કે નાગોની માતા, જેને વિષ સમાન ગણી શકાય. જે શ્રીહનુમાનજીનું ભક્ષણ કરવા આવી હતી અને પ્રભુકૃપાથી અમૃત સમાન થઈ ગઈ એટલે કે – રામ કાજુ સબુ કરિહહુ તુમ્હ બલ બુદ્ધિ નિધાન આસિષ દેઇ ગઈ સો હરષિ ચલેઉ હનુમાન – શુભ આશીર્વાદ આપીને ગઈ. ૨) અન્ય વિષ કે ઝેર તો ઔષધિ વગેરેથી પણ શાંત કરી શકાય, પરંતુ મેઘનાદનું બ્રહ્માસ્ત્રરૂપી વિષ પણ પ્રભુકૃપાથી જ અમૃત સમાન થઈ ગયું અને શ્રીહનુમાનજીને રાવણની સામે અમૃત સમાન વાણી વહાવવાનો અવસર પ્રાપ્ત થયો તથા લંકાદહન રૂપી પરાક્રમથી તેઓ અમર થઈ ગયા. ) રાણાએ એક વાર મીરાંબાઇને એક ટોપલામાં ભયંકર ઝેરી સાપ મોકલ્યો અને કહેવડાવ્યું કે, “આમાં તમારા ઠાકોરજી માટે ફૂલોની માળા છે.” મીરાંબાઇએ કરંડિયો ખોલ્યો અને નાગ નહિ પણ સાચેસાચ ફૂલોની માળા જ નીકળી. આ માળા મીરાએ શ્રીકૃષ્ણના ગળામાં પહેરાવી અને ભજન ગાયું હતું કે, પાયોજી મૈને રામ રતન ધન પાયો.. ૪) એક વાર રાણાએ દાસી મારફતે મીરાંબાઇને પ્રભુના પ્રસાદના નામે ઝેરનો કટોરો પણ મોકલાવ્યો હતો. મીરાંબાઇ અમૃત જાણીને એ ઝેર પી જાય છે અને ખરેખર તેને કંઇ થતું નથી. આ સમયે પણ મીરાંબાઇએ લખ્યું છે, ઝેરના કટોરા જ્યારે, રાણાજી મોકલે, તેના બનાવ્યા દૂધ-પાણી… પ્રભુકૃપાથી ‘ગરલ સુધા’ વિષ પણ અમૃત સમાન થઈ જાય છે, તેના આ બધા પ્રમાણ છે.

બીજું, “રિપુ કરહિં મિતાઇ” અર્થાત શત્રુઓ પણ મિત્રતા કરવા લાગે છે. ૧) લંકિની પહેલા શત્રુની જેમ વાત કરે છે કે મને જાણતો નથી? મને પુછ્યા વગર કેમ લંકામાં પ્રવેશ કરી રહ્યો છે? અને અંતે? પ્રબિસિ નગર કીજૈ સબ કાજા હૃદય રાખિ કોસલપુર રાજા લંકામાં પ્રવેશ કરવાનું અને પ્રભુ શ્રીરામના સર્વે કાર્યો કરવાનું કહે છે. ૨) સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો, વિભીષણ રાવણનો ભાઈ એટલે સીધી રીતે તો દુશ્મન જ થયો. તેઓ પણ પ્રભુકૃપાથી શ્રીહનુમાનજીના મિત્ર બની ગયા અને માતા સીતાજીની શોધમાં સહાયક પણ બન્યા. આમ, પ્રભુકૃપા હોય તો શત્રુ પણ મિત્રતા કરી લેતો હોય છે.

ત્રીજું, “ગોપદ સિંધુ” અર્થાત સમુદ્ર ગાયની ખરીથી પડેલા ખાડા સમાન થઈ જાય છે. ૧) આટલા મોટા ચારસો યોજનના અફાટ સમુદ્રને પાર કરવા ભલભલા વાનરવીરો પણ અસમર્થ હતા, ત્યારે પ્રભુકૃપાથી તે શ્રીહનુમાનજી માટે ગાયની ખરીથી પડેલા ખાડા જેવડો થઈ ગયો. અહીં સમુદ્રનો વિસ્તાર નાનો નહોતો થયો, પરંતુ તેને પાર કરવો સરળ થઈ ગયો હતો, પ્રભુકૃપાથી શ્રીહનુમાનજીનું સામર્થ્ય વધી ગયુ હતું. જેમ આપણે બજારમાં જઇએ અને ગાય કે અન્ય પ્રાણીઓની ખરીથી પડેલા ખાડામાં પાણી ભરાયું હોય, તો કેમ સહજતાથી પાર કરી આગળ વધી જઇએ છીએ, તેમ સમુદ્ર પાર કરવો શ્રીહનુમાનજી માટે આટલો જ સરળ થઈ ગયો. અગાઉ આપણે જોયું હતું, બારિધિ પાર ગયઉ મતિધીરા” (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-027/) – શ્રીહનુમાનજીને કોઇ થાક નહોતો લાગ્યો કે તેઓને લાંબો શ્વાસ પણ નહોતો લેવો પડતો. સમુદ્ર ઓળંગવા છલાંગ મારતી વખતે તેઓ જેટલા સામાન્ય હતા, તેટલા જ સમુદ્ર ઓળંગીને સામે પાર ઉતર્યા બાદ પણ સામાન્ય દેખાતા હતા. તેઓના મુખ પર લગીરે થાક વરતાતો ન હતો. ૨) રાવણનું પરાક્રમ પણ સમુદ્ર સમાન જ હતું, “મમ ભુજ બલ સાગર જલ પુરા”. રાવણનું આ અપાર બળ, અક્ષકુમાર અને મેઘનાદ જેવા મહાબળવાન યોદ્ધાઓ તથા લંકાના કરોડો સૈનિકોરૂપી મહાસાગર પણ શ્રીહનુમાનજી માટે તુચ્છ થઈ ગયો હતો.

ચોથું, “અનલ સિતલાઈ” અર્થાત અગ્નિ પણ શીતળ થઈ જાય છે. ૧) પહેલા તો સુંડરકાંડનું જ બહુ સુંદર ઉદાહરણ આપણી સામે છે. લંકામાં રક્ષકોએ શ્રીહનુમાનજીનું પુછડુ સળગાવ્યું, તેનાથી તેઓ ન બળ્યા અને શ્રીહનુમાનજીએ આખી લંકા બાળી ત્યારે તેઓ પોતે અને વિભીષણનું ઘર નહોતુ બળ્યુ. બસ પ્રભુ કૃપા હોવી જોઇએ. શ્રીહનુમાનજી કેમ નહોતા બળ્યા? તે માટે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે, “યદ્યસ્તિ પતિશુશ્રુષા યદ્યસ્તિ ચરિતં તપ: યદિ વાસ્ત્યેકપત્નીત્વં શીતો ભવ હનૂમત: અર્થાત માતા સીતાજી પ્રાર્થના કરે છે કે, જો મેં પતિની સેવા કરી હોય, જો મેં તપસ્યા કરી હોય, જો હું એકમાત્ર પ્રભુ શ્રીરામની જ પત્ની છું, તો હે અગ્નિ! શ્રીહનુમાનજી માટે આપ શીતળ થઈ જાઓ. ૨) પ્રહલાદની વાર્તા પણ આપણે જાણીએ જ છીએ. હિરણ્યકશિપુને ચાર પુત્રો હતા. સૌથી નાના પુત્રનું નામ હતું, પ્રહલાદ. પ્રહલાદ અસુર કુળનો હતો, છતાં પણ ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત હતો. પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા કરે, એ વાત તેના પિતાને જરાય પસંદ ન હતી. તેમણે પ્રહલાદને ઘણો સમજાવ્યો કે એ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું છોડી દે, પણ પ્રહલાદ માન્યો જ નહીં. હિરણ્યકશિપુ પોતાના બાળકને પાઠ ભણાવવા માંગતો હતો. તેમણે પ્રહલાદને મારી નાખવાનો વિચાર કર્યો. પ્રહલાદને મારવા માટે તેણે પોતાની બહેન ‘હોલીકા’ની મદદ લીધી. હોલીકાને ભગવાન શંકર પાસેથી વરદાનમાં એક ચુંદડી મળેલ હતી. જેને ઓઢવાથી અગ્નિ પણ તેણીને બાળી નહોતી શકતી. હિરણ્યકશિપુએ એક હોળી તૈયાર કરાવી અને હોલીકા વરદાનમાં મળેલ ચુંદડી ઓઢીને, પ્રહલાદને ખોળામાં લઈને હોળી ઉપર બેસી ગઈ. સૈનિકોએ હોળી પેટાવી. હરિકૃપાથી ચુંદડી ઉડીને પ્રહલાદને વિંટળાઈ ગઈ અને હોલીકા પોતે જ બળી ગઈ, જ્યારે આ હોળી પ્રહલાદ માટે ફૂલોના ઢગલા સમાન બની ગઈ. રામ રાખે તેને કોણ ચાખે?

પાંચમું, “સુમેરુ રેનુ સમ તાહી” અર્થાત વિશાળ સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. માનસમાં ઘણા ઉદાહરણ છે, જ્યાં મોટા-મોટા પર્વતો રજકણ સમાન થઈ જાય છે. ૧) “જેહિ ગિરિ ચરન દેઇ હનુમંતા ચલેઉ સો ગા પાતાલ તુરંતા . જેવો શ્રીહનુમાનજીએ સમુદ્ર પાર કરવા પર્વત ઉપર પગ દબાવી કુદકો માર્યો કે મહેન્દ્રાચલ તુરંત જ પાતાળમાં જતો રહ્યો. ૨) જ્યારે લંકામાં યુદ્ધ દરમ્યાન શ્રીલક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને શ્રીહનુમાનજી સંજીવની જડીબુટ્ટી લેવા જાય છે, ત્યારે તે પર્વત ઉપર વિવિધ પ્રકારની ઔષધિઓ હોય, આખો પર્વત જ ઉઠાવીને લઈ આવે છે. ત્યારે માનસમાં લખ્યું છે કે “દેખા સૈલ ન ઔષધ ચીન્હા સહસા કપિ ઉપારિ ગિરિ લીન્હા ॥ ) રાવણનું અભિમાન પણ બહુ વધુ હતું, સુમેરુ પર્વત જેટલું હતું, “સહિત પ્રાન કજ્જલ ગિરિ જૈસા”. જેનો માન-ભંગ અને લંકાદહન શ્રીહનુમાનજી માટે ધૂળ ઉડાડવા સમાન સહજ થઈ ગયા.

આમ, પ્રભુકૃપાથી કે પ્રભુની દયાદ્રષ્ટિથી દરેક વસ્તુ સહજ થઇ જાય છે. (https://youtu.be/df829wbPXvI) પ્રભુની કૃપા દ્રષ્ટિ માટે ભક્તિ કરવી પડે, સત્‌સંગ કરવો પડે. https://youtu.be/6ogfV7IHtlU લંકિની લંકામાં પ્રવેશી સર્વે કાર્યો કરવાનું કહે છે, તેને બ્રહ્માજીનું વરદાન જ જાણી, શ્રીહનુમાનજી ત્યાંથી આગળ વધે છે. આજની કથાને અહીં વિરામ આપીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

1 COMMENT

  1. “Sundarkand “reading & learning is Elixir for Life”.As per my meaning “Sundarkand is not for reading & learning but as a drinking like water.understand sundarkand deeply.
    My relative “Kamleshbhai Darji’is Devottee of “Sundarkand”.He gives good speech like “Ashwin Pathak”who famous devottee of “Sundarkand”in “Gujarat.
    Udaybhai your name as like”SUN”.Your learing of “Sundarkand ” is excellent as per my opinion.
    JAY HANUMAN DADA
    JAY SHRI RAM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here