Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ – તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ – તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ – તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ - તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૪૪, રામાયુધ અંકિત ગૃહ… (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-044/)માં આપણે વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં વૈચારિક ભેદભાવો અને વૈમનસ્ય, સનાતન ધર્મની સર્વધર્મ સમભાવની ભાવના અને સ્વધર્મના રક્ષણની વાતો જોઇ હતી. આ ઉપરાંત ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલો માટે મંદિર અને વિભીષણજીના મહેલ માટે ભવન શબ્દનો ઉપયોગ કર્યો છે, તેનો તર્ક તથા વિવિધ ગ્રંથોમાં પોતાના ઇષ્ટદેવના ચિહ્નો અંકિત કરવા બાબતના વિધાનોની વિગતો જોઇ હતી. આજે “નવ તુલસિકા બૃંદ તહઁ દેખિ હરષ કપિરાઇ”થી કથાની સુંદર શરૂઆત કરીએ.

નવ તુલસિકા બૃંદ” અર્થાત આ ઘરના આંગણામાં તુલસીવન હતુ. તુલસીવનવાળું અને તુલસીવન ન હોય તો કંઇ નહી, તુલસીજીનો એક ક્યારો પણ જો આંગણામાં હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીના ઔષધિય ગુણો અદ્વિતિય છે, માટે તેનું ખૂબ જ મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં આવા એટલે કે તુલસીજી, પીપળો, વડલો વગેરે ઉપયોગી વૃક્ષોને આધ્યાત્મિકતા સાથે જોડી દેવામાં આવેલા છે. વિવિધ શાસ્ત્રોમાં તુલસીજી વિષે અલગ-અલગ કથા વર્ણવવામાં આવેલી છે, તે આપણે જોઇશુ. પરંતુ ઘણા લોકો સમજ્યા કે જાણ્યા વગર અવૈજ્ઞાનિક વાતો ફેલાવે છે કે તુલસીજીનો છોડ ૨૪ કલાક ઓક્સિજન આપે છે, તેવી અવૈજ્ઞાનિક કે ક્રિસમસ ટ્રી કરતા તુલસીનો છોડ વધુ સારો, જે બન્નેની સરખામણી (ક્રિસમસ ટ્રી – તુલસીજી) જ થઈ શકે તેમ નથી, તેવી બાબતો જોડે સહમત ન થઈ શકાય.

વિવિધ ગ્રંથોમાં તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ વિશે અલગ-અલગ કથાઓ આપવામાં આવેલી છે. જે પૈકી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પ્રિય પુષ્પોના નામ કહ્યા છે. સૌથી પ્રિય પુષ્પોના નામ કહ્યા છે, તેમાં સૌથી પ્રિય પુષ્પ પુંડરીક કહ્યુ છે અને આવા એક હજાર પુંડરીકથી પણ વધુ મહત્વ ભગવાને તુલસીજીનું કહ્યુ છે. તુલસીજીથી ભગવાનની પુજાના સંદર્ભમાં શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનને તુલસીજીના ફૂલ (માંજર) ધરવામાં આવે તો અતિ ઉત્તમ, માંજર ઉપલબ્ધ ન હોય તો તુલસીદલથી પુજા કરવી, તુલસીદલ પણ ન હોય તો તેની ડાળીઓથી પુજા કરવી, એ પણ ન હોય તો થળના લાકડાથી અને અંતે કંઇ જ ઉપલબ્ધ ન થઇ શકે તેમ હોય તો તુલસીજીનો છોડ ઉગેલો હોય તે માટીથી ભગવાન શ્રીકૃષ્ણની પુજા કરવામાં આવે, તો પ્રભુ પ્રસન્ન રહે છે. આ કારણે જ તુલસીજી વૈષ્ણવોના પ્રિય છે. પદ્મપુરાણમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, ભગવાન શંકર પોતાના પુત્ર કાર્તિકેયજીને કહે છે કે, ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી અને મારા જેટલા જ તુલસીજી પણ પરમપ્રિય છે. ભગવાન અન્ય કોઇ ફૂલ, પત્રો કે ચંદન વગેરેથી પ્રસન્ન નથી થતાં, તેટલા તુલસીજી ધરવાથી થાય છે.

તુલસીજીની ઉત્પતિના સંદર્ભમાં અમૂક જગ્યાએ તુલસીજીની ઉત્પતિ અમૃતમાંથી થયેલી વર્ણવેલી છે, તો ક્યાંક સમુદ્રમંથન વખતે ભગવાન શ્રીવિષ્ણુના હર્ષાશ્રુથી થયેલ વર્ણવેલી છે. એક કથાનુસાર સમુદ્રમંથન વખતે ક્ષીરસાગરમાંથી ચાર કન્યાઓ પ્રગટ થઈ હતી – લક્ષ્મી, વારુણી, કામોદા અને જ્યેષ્ઠા. આ ચાર પૈકી કામોદા અમૃતની લહેરથી ઉત્પન્ન થઈ હતી અને ભગવાન શ્રીવિષ્ણુએ તેને ભવિષ્યમાં વૃક્ષરૂપ ધારણ કરી પરમ પવિત્ર એવા તુલસી નામથી પ્રખ્યાત થવાના આશીર્વાદ આપેલા હતા, તેવો પણ ઉલ્લેખ જોવા મળે છે. ધાર્મિક ગ્રંથોમાં આ ઉપરાંત પણ અનેક કથાઓ જોવા વાંચવા મળે છે, પરંતુ આપણા વ્યાવહારિક જીવનમાં પણ તુલસીજી એક અમૂલ્ય ઔષધ છે. ઘણી બધી દવાઓ અને ઝેરી જાનવર કરડે ત્યારે તેના ઝેર ઉતારવા સુધીની સારવારમાં તુલસીજી અને તેના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.

જૈન સંપ્રદાયના એક મહારાજે તુલસીજી વિશે એક સુંદર કથા કહેલી કે આજના સમયમાં પણ તુલસીજી આયુર્વેદના ભગવાન ધનવંતરીના સ્વરૂપે જ પૃથ્વી ઉપર સાક્ષત ઉપસ્થિત છે. આપણા ઘર કે કુટુંબના કોઇ સભ્ય ગંભીર કે જીવલેણ બિમારીથી પીડાતા હોય અને કોઇ દવા લાગુ ન પડતી હોય, તો રોજ તુલસીજીના ક્યારા પાસે જઇ, તેની સાથે મનથી જોડાઇને વિનંતી કરવી. હે તુલસીજી! મારા આ સ્વજનને જે અસાધ્ય બિમારી છે, તેનો કોઇ ઇલાજ અમને મળતો નથી, આપ આ સૃષ્ટિની તમામ દવાઓ જાણો છો. આ રોગ માટેની યોગ્ય દવા મેળવી આપવા અને મારા સ્વજનને આ અસાધ્ય બિમારીમાંથી મુક્ત કરવા કૃપા કરો. તુલસીજી સાથે યોગિક ઐક્ય સાધી, જો સાચા દિલથી અને પુરા વિશ્વાસ સાથે, તુલસીજીની પરીક્ષા કરવાના આશય માત્રથી નહી, વિનંતી કરવામાં આવે તો કોઇપણ રોગ માટેની બ્રહ્માંડમાં કોઇપણ જગ્યાએ ઉપલબ્ધ યોગ્ય ઔષધી, તુલસીજી કોઇને કોઇ સ્વરૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દર્દી માટે ઉપલબ્ધ કરાવી આપે છે. બસ સાચી શ્રદ્ધા હોવી જોઇએ.

આમ, રામાયુધ અંકિત અને તુલસીવનથી સુશોભિત આંગણું જોઇને શ્રીહનુમાનજી હરખાઈ ગયા. શ્રીહનુમાનજી એટલા માટે પણ આનંદવિભોર થઈ ગયા હોય શકે કે રામાયુધ અંકિત અને તુલસીવનથી શોભતા ઘરમાં કદાચ માતા સીતાજીને રાખવામાં આવેલા હોઇ શકે. આગળ ગોસ્વામીજીએ લખ્યું છે કે –

લંકા નિસિચર નિકર નિવાસા ઈહાઁ કહાઁ સજ્જન કર બાસા

મન મહુઁ તરક કરૈં કપિ લાગા તેહીં સમય બિભીષનુ જાગા

શ્રીહનુમાનજી મનમાં તર્ક કરવા લાગ્યા કે, લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસ સ્થાન છે. અહીં સજ્જનનો નિવાસ ક્યાંથી? આ સમયે જ વિભીષણજી જાગ્યા.

શ્રીહનુમાનજી મનમાં તર્ક કરવા લાગ્યા. શું તર્ક કરતા હશે? તેઓ વિચારવા લાગ્યા કે અહીં લંકામાં આવું કોણ રહે છે? જેના મહેલમાં અલગ મંદિર હોય, રામાયુધ અંકિત થયેલા હોય અને તુલસીજીના એકાદ-બે છોડ નહી, આખું તુલસીવન હોય? આવું આ ઘર કોનું હશે? લંકા તો રાક્ષસોનું રહેવાનું સ્થળ છે, અહીં કોઇ સજ્જન કઈ રીતે હોઇ શકે? ‘નિવાસા’ અર્થાત કાયમી વસવાટ કે રહેઠાણ એવું સમજી શકાય. જ્યારે ‘બાસા’ એટલે કે ટૂંક સમય માટેનો વાસ. રાક્ષસોના સમૂહ વચ્ચે કોઇ સજ્જન ટૂંકા સમયગાળા માટે પણ રહી ન શકે, તો આવો મહેલ છે એટલે કે કોઇ સ્થાયી નિવાસ કરી રહ્યુ છે. જ્યારે ભક્તને તર્ક થાયને ત્યારે ભગવાન કંઇક તો રસ્તો કરે જ અર્થાત કોઇ હિંટ તો આપે જ. અહીં ‘તેહીં સમય બિભીષનુ જાગા’ એટલે કે તે જ સમયે વિભીષણજી જાગ્યા.

સજ્જન કે સાચા સંતો સામાન્ય રીતે રાત્રીના છેલ્લા પહોરે જાગી જતા હોય છે. શ્રીહનુમાનજી લંકામાં બધે ફર્યા અને લંકાનું નિરીક્ષણ કર્યું. રાવણનો વૈભવ, શસ્ત્રાગાર, કોઠાર, પુષ્પક વિમાન, રક્ષકો અને તેની ગોઠવણી, ભૌગોલિક પરિસ્થિતિ બધુ જ જોતા-જોતા ત્રણ પ્રહરનો સમય વિતી ગયો હતો. રાત્રીનો છેલ્લો પ્રહર બાકી હતો અને શ્રીહનુમાનજી વિભીષણજીના ઘર પાસે પહોંચ્યા હતા. આ પાછલા પહોરમાં “ભોર ભયેં” વિભીષણજી જાગ્યા. અહીં શ્રીહનુમાનજી તર્ક કરી રહ્યાં હતા એટલે ભક્તના મનના સમાધાન માટે ભગવાને વિભીષણજીને જગાડ્યા તેમ સમજીએ કે સાચા સંત આંગણે પધારે એટલે સજ્જનનો અંતરાત્મા જાગી જાય છે, તેમ સમજીએ; આ બન્ને તર્ક પ્રભુની જ અસીમ કૃપાનો પ્રભાવ હોય છે. આપણે જાગીએ તો દરરોજ છીએ, પરંતુ સાચા સંત મળવાથી જીવનમાં જાગૃતી આવે છે. દરેક સ્થળે, કુટુંબમાં, સમાજમાં, સંપ્રદાયમાં, ધર્મમાં વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા લોકો હોય જ છે. અયોધ્યામાં જેવી સજ્જનોની નગરીમાં કૈકયી અને મંથરા જેવા ખરાબ પાત્રો હતા, લંકા જેવી રાક્ષસોની નગરીમાં વિભીષણજી અને ત્રિજટા જેવા સજ્જનો હતા. એક માત્ર મિથિલા નગરી એવી હતી જ્યાં કોઇ જ દુર્જન ન હતુ. આવા વિદેહી અને નિષ્કામ બનીએ, તો જ જીવનમાં વિરુદ્ધ પ્રકૃતિ ન વ્યાપે. તે માટે જેમ મિથિલામાં સીતાજીનો જન્મ થયેલો છે, તેમ જીવનમાં ભક્તિનો ઉદય થવો જોઇએ, તો આપણી જીવનયાત્રા મિથિલા જેવી નિર્મળ રહે. અથવા તો મિથિલા જેવું નિર્મળ મન હોય, તો જ સીતાજીરૂપી ભક્તિનો જીવનમાં આવિર્ભાવ થાય.

હે પરમ કૃપાળુ નિરંતર સ્મરણીય સદ્‌ગુરુ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજ! અમે (હું, મારું સંપૂર્ણ કુટુંબ અને બાલા હનુમાન પરીવાર) આપના બાળકો છીએ. અમને આપનો જ આધાર છે. અમે આપના શરણોમાં છીએ. અમે શું કર્મો કરીને આવ્યા છીએ, અમારી ગતિ શું હોઇ શકે, તે અમને ખબર નથી; પરંતુ આપની જ અસીમ કૃપાથી પ્રભુ શ્રીરામ પ્રત્યે અમારો ભાવ છે. આપના વિના અમારો કોઇ ઉદ્ધાર નથી. અમે આપના જ શરણાર્થી છીએ. આપની અસીમ કૃપા અમારી ઉપર હંમેશા રહે, અમે આપની નિશ્રામાં જ રહીએ. આપની જ કૃપાથી અમોને પ્રભુમાં નિરંતર પ્રીતિ રહે, તેવી અંત:કરણથી પાર્થના કરીએ છીએ. આપની અસીમ કૃપા સદૈવ રાખજો. અમારું જીવન મિથિલા સમાન નિર્મળ બને, આપનો અનુગ્રહ સદાય રહે અને પ્રભુની અવિચળ ભક્તિ મળે, તેવી અમારા બધા ઉપર કૃપા કરજો. ત્વમેવાશ્રય.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, ચોથા પ્રહરમાં જાગતાને સાથે વિભીષણજીએ શું કર્યું? ત્યાંથી આગળની કથા આવતા અંકે જોઇશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here