Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે…. । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે…. । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે…. । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે.... । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, રામનામની બમ્પર ઓફર, ભાગ – ૪૬ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-046/)માં આપણે સજ્જનના ચિહ્નો, રામનામની બમ્પર ઓફર અને શ્રીહનુમાનજી વિભીષણજી જોડે સામેથી ઓળખાણ કરવાનું કેમ વિચારે છે? ત્યાંસુધીની કથા જોઇ હતી. હવે આગળની કથામાં શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર શ્રીહનુમાનજી અને વિભીષણજીની મુલાકાત વર્ણવેલી છે, જ્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આ સમયે વિભીષણજી સાથેની મુલાકાતની વાત નથી. શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં મળતા તર્કથી આજની સુંદર કથાની શરૂઆત કરીએ.

પહેલો, જ્યારે શ્રીહનુમાનજીએ આખી લંકા સળગાવી, ત્યારે વિભીષણજીનું ઘર છોડી દીધુ હતું. જો શ્રીહનુમાનજી વિભીષણજીને મળ્યા ન હોત કે ઓળખતા ન હોત, તો તેનું જ ઘર કેમ બાકી રાખી દેત? બીજો, જ્યારે વિભીષણજી પ્રભુ શ્રીરામના શરણે જાય છે, ત્યારે સુગ્રીવ સહિત બધા જ વાનરવીરો એવો રાજનીતિજ્ઞ મત વ્યક્ત કરે છે કે આ રાવણની કોઇ ચાલ હોઇ શકે. તે શત્રુનો ભાઇ છે માટે તેનો વિશ્વાસ ન કરવો જોઇએ. આ સમયે શ્રીહનુમાનજી વિભીષણજીની તરફેણમાં મત વ્યક્ત કરે છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે શ્રીહનુમાનજી તેઓને અગાઉથી જાણતા હતા અર્થાત શ્રીહનુમાનજી-વિભીષણજીની અગાઉ મુલાકાત થયેલ હતી. ત્રીજો, આપણે હમણાં જ આગળ જોઇ ગયા કે વિભીષણજી પ્રખર રાજનીતિજ્ઞ હતા. માનસમાં તેના પ્રમાણ આપેલા છે, “નીતિ બિરોધ ન મારિય દૂતા” અને “અતિ નયનિપુન ન ભાવ અનીતી”. આવા રાજનીતિજ્ઞ વ્યક્તિ સ્વાભાવિક છે કે શ્રીહનુમાનજીને જાહેરમાં ન મળ્યા હોય, ગુપ્ત મંત્રણા થઈ હોઇ શકે. ગોસ્વામીજીએ માનસમાં લખ્યું છે તેમ શ્રીહનુમાનજી અને વિભીષણજીનો મેળાપ થયો હતો. વાલ્મીકિજીને રામાયણ સમકાલિન માનવામાં આવે છે, તો મંત્રણાની ગુપ્તતાને ધ્યાને લઈ, તેઓએ અહીં ઉલ્લેખ ન કર્યો હોય, તેવું બની શકે. આપણે શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર શ્રીસુંદરકાંડની કથા જોઇએ છીએ માટે શ્રીહનુમાનજીની અને વિભીષણજીની મુલાકાત થઇ જ હશે, તેમ માની, તે જ ક્રમાનુસાર કથામાં આગળ વધીએ.

બિપ્ર રૂપ ધરિ બચન સુનાએ સુનત બિભીષન ઉઠિ તહઁ આએ

કરિ પ્રનામ પૂઁછી કુસલાઈ બિપ્ર કહહુ નિજ કથા બુઝાઈ

બ્રાહ્મણનું રૂપ ધરીને શ્રીહનુમાનજીએ તેમને વચન સંભળાવ્યા, સાંભળતા જ વિભીષણજી ઊઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પુછ્યા અને કહ્યુ કે હે બ્રાહ્મણ દેવ! આપની અથથી ઈતિ કથા સમજાવીને કહો.

બિપ્ર રૂપ ધરિ” અર્થાત બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને. શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને વિભીષણજીને કેમ મળ્યા? અન્ય કોઇ સ્વરૂપ ધારણ કેમ ન કર્યું? તો પ્રાથમિક રીતે એવું સમજી શકાય કે સજ્જનોને બ્રાહ્મણ પ્રત્યે સ્વાભાવિક જ લાગણી અને આદરભાવ હોય છે. વળી, જો તે રાક્ષસીવૃત્તિ ધરાવતો હશે, તો ચોક્કસ બ્રાહ્મણનો અનાદર કરશે. આમ, છેલ્લે ફરી એક પરીક્ષા લઇ લીધી કે ખરેખર સજ્જન જ છે ને?

બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરવા પાછળ બીજી એક સુંદર વાત જોઇએ તો, આ પહેલો પ્રસંગ નથી જ્યાં શ્રીહનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું હોય. ઘણા અન્ય અગત્યના પ્રસંગોએ પણ તેઓએ બ્રાહ્મણનું રૂપ ધારણ કરેલુ છે. જેમ કે પહેલા, રામ-લક્ષ્મણ કિષ્કિંધાની નજીક આવી રહ્યા હતા, ત્યારે તેનો પરીચય મેળવવા સુગ્રીવજીએ શ્રીહનુમાનજીને મોકલ્યા હતા. આ સમયે તેઓએ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને ભગવાનનો પરીચય મેળવ્યો હતો. ત્યારબાદ, અહીં વિભીષણજીને પ્રથમ વખત મળતી વખતે પણ શ્રીહનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે. અંતે, પ્રભુ શ્રીરામ રાવણનો વધ કરી લંકાથી અયોધ્યા પરત ફરતા હતા, ત્યારે શ્રીભરતજીને પ્રભુ આગમનના અગાઉથી સમાચાર આપવા શ્રીહનુમાનજીને મોકલ્યા હતા. આ સમયે પણ તેઓએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું હતુ.

બ્રાહ્મણનું રૂપ ધારણ કરવાનું કારણ તેના પ્રત્યેનો સમાજનો આદરભાવ, બ્રાહ્મણના જ્ઞાનની સર્વોપરિતા કે સામેવાળાને સમભાવ સાથે પ્રતિક્રિયા આપવા પ્રેરિત કરવાનું હોઇ શકે. બીજી એકવાત પણ ખાસ ધ્યાને લેવા જેવી છે કે, શ્રીહનુમાનજી માતા જાનકીજીને મળ્યા ત્યારે મૂળ સ્વરૂપે જ અર્થાત વાનર સ્વરૂપે જ મળ્યા હતા. આવું કેમ? તો માતાને મળીએ ત્યારે જેવા હોઇએ તેવા જ મળવું જોઇએ. જન્મદાતા માતાની વાત કરીએ તો તેના શરીરનો જ ભાગ છીએ, તેનાથી શું છુપું હોય? જેણે નવ મહિના ગર્ભમાં રાખીને જન્મ આપ્યો હોય, પાળી-પોશીને મોટા કર્યા હોય, તેને ખબર જ હોય કે આપણે ખરેખર કેવા છીએ. ત્યાં હૃદય કે દેખાવ કંઇ છુપાવવાનું ન હોય. લોકો તેની પાસે પણ છુપાવવા પ્રયત્ન કરે છે અને જ્યારે તેની છાયા માથેથી જતી રહે પછી અફસોસ કરતા હોય છે. તેનાથી થોડું આગળ વિચારીએ તો જાનકીજી મતલબ આપણે અગાઉ જોઇ ગયા તેમ ભક્તિ સ્વરૂપા. ભક્તિને મેળવવા માટે જેવા હોઇએ તેવા જ પ્રભુ સમક્ષ કે સદ્‌ગુરુના ચરણે સમર્પિત થવું જોઇએ. ભક્તિની ખોજ કરવી હોય તો સદ્‌ગુરુમાં નિરંતર પ્રેમ રાખવો જોઇએ. તેઓના ચરણોમાં પ્રીતિ રાખવી જોઇએ, “સંત ચરન પંકજ અતિ પ્રેમા”. તો જ ભક્તિની પ્રાપ્તિ થાય, તો જ ભગવદ્‌ પ્રાપ્તિ થાય. ત્યાં કોઇ મુખૌટા ચાલતા નથી, ૧૦૦% પારદર્શિતા જ જોઇએ.

બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ શું કર્યું? તો “બચન સુનાએ” અર્થાત વચન સંભળાવ્યા. શું વચન સંભળાવ્યા હતા? તો આ બાબતે ઘણા અલગ-અલગ મંતવ્યો છે. કોઇ કહે છે કે શ્રીહનુમાનજી વેદોના જ્ઞાતા હતા, માટે વેદોનું ગાન કરવા લાગ્યા હતા. કોઇ એવું કહે છે કે વિભીષણજીએ ઉઠતાવેત જ રામનામનું સ્મરણ કર્યું હતું, તો શ્રીહનુમાનજીએ પણ સીતારામ-સીતારામનો ઉચ્ચાર કર્યો હતો. કોઇ એવું પણ કહે છે કે બ્રાહ્મણ સ્વરૂપે હતા માટે એવું કહ્યુ હતું કે, હું બ્રાહ્મણ છું અને આપને મળવા આવ્યો છું. આવા અલગ-અલગ મંતવ્યોનો છેદ ઉડાડતા બાબાજીએ લખી દીધુ કે, “બચન સુનાએ”. જેથી બધાનું માન રહી જાય. મારું અંગત માનવું એવું છે કે જે વ્યક્તિ જેને માનતો હોય, તે ઇષ્ટદેવનું નામ સ્મરણ કરે. જેમ નારદજી નારાયણ… નારાયણ… કરે તેમ. અહીં વિભીષણજીએ “રામ રામ તેહિ સુમિરન કીન્હા”, તો શ્રીહનુમાનજીએ પણ સીતારામ-સીતારામ જ શબ્દો ઉચ્ચાર્યા હશે. કોઇ બે વૈષ્ણવો મળે, ત્યારે ‘જય શ્રીકૃષ્ણ’ કહીને જ એકબીજાનું અભિવાદન કરે, તે સ્વાભાવિક છે.

આગળ બાબાજીએ લખ્યુ છે કે, “કરિ પ્રનામ પૂઁછી કુસલાઈ” અર્થાત શ્રીહનુમાનજીના વચનો સાંભળીને વિભીષણજી ત્યાં આવ્યા અને તેને પ્રણામ કરીને કુશળ સમાચાર પુછ્યા. શ્રીવિભીષણજીએ પહેલા તો બ્રાહ્મણને આંગણે જોઇને એક સજ્જનના સાહજીક ગુણ મુજબ પ્રણામ કર્યા, પછી કુશળ સમાચાર પુછ્યા. કવિ કાગની સુપ્રસિદ્ધ રચના, જે મારે ભણવામાં આવતી અને મારા માતુશ્રી અને હું જોડે ઘણી વખત ગાતા પણ હતા, આવકારો મીઠો આપજે રે….. આ કવિતાની પહેલી જ કળી છે, “એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે રે…”. આપણા આંગણે કોઇપણ આવે, પછી તે જાણીતુ હોય કે અજાણ્યું, પહેલા તો તેને મીઠો આવકારો આપવો જોઇએ. મીઠો આવકારો એટલે શું? ભવ્યાતીભવ્ય મહેમાનગતિને જ મીઠો આવકારો કહેવાય તેવું નથી. કોઇ ઘરે આવે તેને પ્રણામ કરીને અથવા તેનું અભિવાદન કરીને તેની કુશળતા પુછવી તેને જ સાચા અર્થમાં મીઠો આવકારો ગણી શકાય. મારા માતુશ્રીનો મીઠો આવકારો જ્યારે કોઇ સગાસબંધીઓ કે સ્નેહીજનો યાદ કરે છે, ત્યારે મારા મનમાં આ જ લોકગીત ગુંજવા લાગે છે…

એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે રે…

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે. આવકારો મીઠો આપજે રે…

અહીં વિભીષણજીએ બ્રાહ્મણરૂપે રહેલા શ્રીહનુમાનજીને કુશળતા પુછી તે માટે એવો પણ તર્ક કરી શકાય કે, લંકામાં કોઇ બ્રાહ્મણ આવી રીતે ખુલ્લેઆમ રામનામનું સ્મરણ કરી શકતો ન હતો. શ્રીહનુમાનજી રામનામનું સ્મરણ કરતા, વિભીષણજીના ઘરસુધી પહોંચી ગયા માટે કુશળતા પુછી હશે કે કોઇ તકલીફ તો નથી થઇ ને? લંકામાં હરિ સ્મરણ કરનારને મુશ્કેલી હતી માટે વિભીષણજીએ પુછ્યુ હશે કે અહીં પહોંચતા સુધીમાં કોઇ તકલીફ તો નથી પડીને? વિભીષણજીને આશ્ચર્ય પણ થયું હશે કે આ બ્રાહ્મણ દેવતા રાત્રે બહાર ફરતા-ફરતા અને સીતારામ-સીતારામ કરતા આટલી વહેલી સવારે અહીં કઇ રીતે આવી પહોંચ્યા? કુશળતાની સાથે-સાથે વિભીષણજીએ શ્રીહનુમાનજીએ તેઓનો પરિચય પણ પુછ્યો, “બિપ્ર કહહુ નિજ કથા બુઝાઈ”. કારણ કે વિભીષણજીને લાગ્યુ હશે કે આ કોઇ અલગ જ વ્યક્તિત્વ છે, જે સીતારામ-સીતારામ કરતા કરતા આટલી વહેલી સવારે અહીં આવી પહોંચ્યા. વિભીષણજીએ પરિચય “નિજ કથા” પુછ્યો, પરંતુ આટલી વહેલી પરોઢે બ્રાહ્મણ દેવતાને પોતાના ઘરના આંગણે જોઇ કંઇ સમજાણું નહી અને આશ્ચર્ય થયું માટે “બુઝાઈ” અર્થાત કહ્યુ કે મને કંઇ સમજાતુ નથી, માટે સમજાવીને કે વિગતવાર પરિચય આપો.

આ ઉપરાંત વિભીષણજી શ્રીહનુમાનજીને શું કહે છે? અને શ્રીહનુમાનજી પોતાનો પરિચય કેવી રીતે અને શું આપે છે? વગેરેની કથા આવતા અંકમાં જોઈશુ, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here