Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, આવકારો મીઠો આપજે રે…, ભાગ – ૪૭ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-047/) માં આપણે ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીની મુલાકાતની વાત લખી છે, તેના સમર્થનના તર્કો, શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને વિભીષણજીને કેમ મળ્યા? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ વિભીષણજીને શું વચનો સંભળાવ્યા? શ્રીહનુમાનજીના વચનો સાંભળીને વિભીષણજીએ કુશળ સમાચાર અને વિગતવાર પરિચય કેમ પુછ્યા? ત્યાંસુધીની કથા જોઇ હતી. વિભીષણજી શ્રીહનુમાનજીને બીજુ આગળ શું કહે છે? ત્યાંથી આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

બાબાજીએ આગળ લખ્યું છે કે વિભીષણજી કહે છે કે –

કી તુમ્હ હરિ દાસન્હ મહઁ કોઈ મોરેં હૃદય પ્રીતિ અતિ હોઈ

કી તુમ્હ રામુ દીન અનુરાગી આયહુ મોહિ કરન બડ઼ભાગી

શું આપ હરિભક્તો પૈકી કોઈ છો? કેમ કે આપને જોઇને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનોને પ્રેમ કરનારા સ્વયં શ્રીરામપ્રભુ જ છો, જે મને ધનભાગી બનાવવા અર્થાત ઘરેબેઠાં દર્શન આપીને કૃતાર્થ કરવા આવ્યા છો?

કી તુમ્હ હરિ દાસન્હ મહઁ કોઈ” અર્થાત શું આપ હરિભક્તોમાંથી કોઇ છો? વિભીષણજી આવું પુછે છે કારણ કે હરિભકત માટે પ્રભુ સ્મરણ કરતા-કરતા લંકામાં પ્રવેશ કરવો જ શક્ય નથી, તો નિશાચરોની નગરીમાં અને વળી રાત્રે આવી રીતે રામધૂન કરતા-કરતા ફરવું તો શક્ય જ નથી. લંકામાં પ્રવેશની દુર્ગમતા, હરિ સ્મરણ અને રાવણના મહેલના વિસ્તારમાં, જ્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોય તે સ્વાભાવિક છે, ત્યાં પણ આ બ્રાહ્મણ દેવતા આટલી વહેલી સવારે સીતારામ-સીતારામ કરતા તેઓના મહેલના દ્વારે આવી પહોંચ્યા એટલે તેને શંકા ગઈ કે આ કોઇ ખાસ હોવા જોઇએ. હરિભક્ત કે હરિદાસમાં કોઇ સમર્થ એટલે કે નારદજી વગેરે જેવા બ્રહ્મર્ષિ જ આવી રીતે લંકામાં પ્રવેશી શકે અને અહીં સુધી આવીને મને મળી શકે. અહીં વિભીષણજીનો આશય એવો હશે કે આવા કોઈ ખાસ હરિભક્ત છો? તો આપ કોણ છો? શું ખાસ પ્રયોજનથી આવ્યા છો? વળી આવુ પુછવાનું કારણ પણ જણાવી રહ્યા છે કે, “મોરેં હૃદય પ્રીતિ અતિ હોઈ” અર્થાત આપને જોઇને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. એક હરિભક્ત બીજા હરિભક્તને મળે ત્યારે હૃદયમાં પ્રેમનો ઉમળકો આવવો સ્વાભાવિક છે. આપણે રોજીંદી જીંદગીમાં પણ આ લાગણી અનુભવીએ છીએ. કોઇ સારી વ્યક્તિ મળે તો આપણને આનંદ થાય અને તેની જોડે વાત કરવાનું મન પણ થાય. જ્યારે અમૂક લોકો મળે એટલે નેગેટીવ વાઇબ્સ જ આવે, વાત કરવાનું મન ન થાય અને કંટાળો જ આવે. એવું થાય કે ‘હવે તો આ જાય તો સારુ’.

કી તુમ્હ રામુ દીન અનુરાગી” પ્રભુ શ્રીરામ દીનો ઉપર અનુરાગ રાખવાવાળા છે. રામજીલાલા કેવા દીનબંધુ કે દીનદયાલ છે? તો “જન અવગુન પ્રભુ માન ન કાઊ, દીન બંધુ અતિ મૃદુલ સુભાઊ”, “અબ કુછ નાથ ન ચાહિઅ મોરેં, દીનદયાલ અનુગ્રહ તોરેં” અને “મોરે સબઈ એક તુમ્હ સ્વામી, દીનબંધુ ઉર અંતરજામી” વગેરે ચોપાઈઓમાં સુંદર રીતે વર્ણવેલું છે. વિભીષણજીના હૃદયમાં એવો ઉમળકો આવ્યો હતો કે તેને લાગ્યું કે સામે સાક્ષાત ભગવાન જ તેને દીન જાણીને તેને કૃતાર્થ કરવા ઘરે બેઠા દર્શન આપવા પધાર્યા છે, “આયહુ મોહિ કરન બડ઼ભાગી”. જીવનમાં પહેલા સંત મળે અને તેઓના મળવાથી મન નિર્મળ થઈ જાય પછી જ પ્રભુપ્રાપ્તિ થાય. આમ અહીં ગોસ્વામીજીએ પહેલા હરિભક્તનું મળવાનું અને પછી પ્રભુ પોતે જ પધાર્યા હોય તેવું લખેલુ છે.

શ્રીહનુમાનજી વિભીષણજીને મળ્યા ત્યારે તેને ભગવાન પોતે મળ્યા સમાન આનંદ કેમ થયો હશે? એક તો, “હેતુ રહિત પરહિત રતસીલા” અર્થાત હરિભકતનો સ્વભાવ પોતાના સ્વાર્થ વગર પણ બીજાનું હિત કરવાનો હોય છે એટલે કે “આયહુ મોહિ કરન બડ઼ભાગી”. બીજુ, પ્રભુને મન તો તેઓથી વધુ તેઓના ભક્તોનું મહત્વ કે માન હોય છે, “રામ તે અધિક રામ કર દાસા”. વિભીષણજી શ્રીહનુમાનજીને તેઓનો પરિચય પુછતા આવા બધા પ્રશ્નો પુછવા લાગ્યા, ત્યારે શ્રીહનુમાનજી કહે છે –

:: દોહા – ૬ ::

તબ હનુમંત કહી સબ રામકથા નિજ નામ

સુનત જુગલ તન પુલક મન મગન સુમિરિ ગુન ગ્રામ

ત્યારે શ્રીહનુમાનજીએ પ્રભુ શ્રીરામચંદ્રજીની સમસ્ત કથા કહી અને પછી પોતાનું નામ જણાવ્યુ. આટલું સાંભળતા જ બન્નેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રીરામજીના ગુણસમૂહોનું સ્મરણ કરીને બન્નેના મન (પ્રેમ અને આનંદમાં) મગ્ન થઈ ગયા.

વિભીષણજીએ શ્રીહનુમાનજીને પ્રશ્નો પુછ્યા કે આપ કોણ છો? હરિભક્ત છો કે સ્વયં શ્રીહરિ? આપને જોઇને મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. ત્યારે શ્રીહનુમાનજી પ્રથમ રામકથા કહિ અને પછી પોતાનુ નામ કહ્યુ. શ્રીહનુમાનજીએ પહેલા રામકથા કહિ કારણ કે જીવની કથા ન હોય, તેની વ્યથા હોય, જ્યારે પ્રભુની કથા હોય. પોતાની જ વાતો કરવી, આત્મશ્લાઘા કરવી, લાંબી-લાંબી વાતો કરવી એ આપણી આદત હોય શકે, સાચા સંત તો રામકથા જ કહે. ભગવાનના ભકતનું પણ આ એક લક્ષણ છે, જે પહેલા પ્રભુકથા, પ્રભુનામ લે અને પછી જ પોતાનું નામ કહે. આપણે હોઇએ તો? મારુ નામ આ, હું આ છું, હું તે છું, હું ફલાણા હોદ્દા ઉપર છું, હું ફલાણી સંસ્થાનો આ હોદ્દેદાર છું વગેરે-વગેરે… હું-હું કરતા-કરતા ચાર-પાંચ વાક્યો તો કહિ જ દઇએ. પછી સામેવાળો પુછે કે ભાઈ, એ તો કહે કે ક્યાંથી આવો છે? કોના પ્રતિનિધિ છો? તો વળી કચેરી કે સંસ્થાનું નામ આપીએ. અહીં શ્રીહનુમાનજી, જે પોતાને રામદૂત કહેવડાવવાનું વધુ પસંદ કરે છે, તેઓએ પહેલા રામકથા કહી કે રામ કોણ છે? કેમ વનમાં આવ્યા? રાવણ કેવી રીતે માતા જાનકીજીને હરી લાવ્યો? અને પોતે રામદૂત તરીકે માતાજીને શોધતા-શોધતા અહીં આવ્યા છે. રામકથામાં પોતાનો રોલ આવ્યો ત્યારે છેક પોતાનું નામ “નિજ નામ” કહ્યુ કે, હું હનુમાન નામનો વાનર, પવનનો પુત્ર અને પ્રભુ શ્રીરામનો દૂત છું. આપણે જ્યારે હું-હું કરતા હોઇએ ત્યારે આપણે આપણું કદ, આપણી હેસિયત, આપણું વજુદ ખાસ સમજી લેવાની જરૂર છે. આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા એક પ્રયોગ કરવા જેવો છે.

એક મોટો પૃથ્વિનો નકશો લેવો. આપને જેટલો મોટો મળી શકે તેટલો મોટો લેવો. પછી ઉદાહરણરૂપે હું મેખાટીંબી ગામનો છું, તો તે શોધવા પહેલા પૃથ્વિના નકશામાં એશિયા ખંડ શોધવો, તેમાં ભારત દેશ, તેમાં ગુજરાત રાજ્ય, તેમાં રાજકોટ જીલ્લો, તેમાં ઉપલેટા તાલુકો, તેમાં મેખાટીંબી ગામ, તેમાં જે ફળીયામાં ઘર હોય તે ફળીયું, ફળીયામાં ઘર, ઘરમાં બેઠકરૂમ અને આ બેઠકરૂમમાં વચ્ચોવચ એક ખુરશી નાખીને તેના ઉપર બેસવું અને પછી પોતાને નકશામાં દર્શાવવા પ્રયત્ન કરવો. સોયની અણી જેવડું એક ટપકું પણ મોટુ પડશે, ભાઈ. બહુ હું-હું કરવાની આવશ્યકતા નથી. આપણી હેસિયત આપણું કદ, આપણું વજુદ આટલું અને આવડું જ છે. કોઇ કાર્ય કરવા કે મીટીંગ વગેરેમાં જઇએ તો પહેલા કઈ કચેરી તરફથી અને કોના પ્રતિનિધિ સ્વરૂપે ગયા છીએ, તે પહેલા જણાવવું વધુ ઉચિત છે, ત્યારબાદ પોતાની અંગત ઓળખાણ આવશ્યકતા પુરતી આપવી. આજના મોર્ડન યુગમાં, કોર્પોરેટ વર્લ્ડમાં આપણે ઓળખાણ આપતી વખતે પહેલા પોતાનું નામ જ કહેવા ટેવાયેલા છીએ. ઠિક છે, પરંતુ ઓફિસિયલ કામથી ગયા હોઇએ ત્યાં ફક્ત અંગત ઓળખાણ જ આપવી, એ થોડુ વધુ પડતુ છે. ઘણી વખત તો કચેરી કે સંસ્થા એકબાજુ રહી જાય છે અને ભાઈ પોતાનું અંગત કામ જ પતાવી આવે છે કે, અંગત ગોઠવણ કરીને આવી જાય છે.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, રામકથા સાંભળવાથી રામભકતને કેવી લાગણી થાય છે અને બે હરિભક્તો મળે ત્યારે શું પરિસ્થિતિ થાય છે? તે આવતા અંકમાં જોઇશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here