Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

રામભક્ત મામાને સુંદરકાંડના સુંદર રંગો, સ્વાદો સાથેનો આ લેખ સમર્પિત અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “કી તુમ્હ રામુ દીન અનુરાગી”, ભાગ – ૪૮ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-048/)માં આપણે વિભીષણજીએ શ્રીહનુમાનજીને કુશળ સમાચાર અને વિગતવાર પરિચય પુછ્યા પછી શું કહ્યું? દીન અનુરાગી પ્રભુ શ્રીરામ, શ્રીહનુમાનજી વિભીષણજીને મળ્યા ત્યારે તેને ભગવાન પોતે મળ્યા સમાન આનંદ કેમ થયો હશે? વગેરે પ્રશ્નોના જવાબમાં શ્રીહનુમાનજી સમસ્ત રામકથા અને પછી પોતાનું નામ કહે છે, જીવની વ્યથા હોય જ્યારે પ્રભુની કથા હોય, પોતાનો પરિચય કેવી રીતે આપવો જોઇએ અને આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ તે જાણવા માટેના એક અનોખા પ્રયોગ સુધીની કથા જોઇ હતી. રામકથા સાંભળવાથી રામભકતને કેવી લાગણી થાય છે અને બે હરિભક્તો મળે ત્યારે શું પરિસ્થિતિ થાય છે? ત્યાંથી આજની કથાની સુંદર શરૂઆત કરવાની છે.

આજની કથાની શરૂઆત કરતા પહેલા ગયા અંકના સંદર્ભમાં જ એક નાનકડી વાત કહેવી છે. શ્રીહનુમાનજીએ રામકથા અને પોતાનો પરિચય આપ્યો, પરંતુ વિભીષણજીના આપ કુશળ તો છો ને? તે પ્રશ્નનો જવાબ નથી આપ્યો. કારણ કે આગળ શ્રીસુંદરકાંડમાં જ આવશે કે શ્રીહનુમાનજી કહે છે કે, “કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોઈ ”. શ્રીહનુમાનજીના મનમાં તો પ્રભુ શ્રીરામનું અવિરત સ્મરણ હતુ માટે કુશળતાનું તો પુછવાનું જ ન હોય છે? પ્રભુ સ્મરણ હોય, ત્યાં બધુ કુશળ મંગલ જ હોય. હવે આજની કથામાં આગળ વધીએ.   

સુનત જુગલ તન પુલક મન મગન સુમિરિ ગુન ગ્રામ

રામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. તેની આંખોમાંથી પ્રભુપ્રીતિના હર્ષાશ્રુ વહેવા માંડે તે સ્વાભાવિક છે. જો રામકથા સાંભળીને રોમાંચ નથી થતો ને! તો આ જન્મારો વ્યર્થ છે, “કછુ હૈવ ન આઈ ગયો જનમ જાય, સુને ન પુલકિ તનુ કહે ન મુદિત મન કિયે જે ચરિત રઘુબંસરાય”. એક તો રામભક્ત આંગણે પધાર્યા હોય અને વધુમાં રામકથા પણ થઈ હોય, બન્ને રામભક્તોના શરીર પુલકિત થઈ ગયા.

ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર

હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ

બે આંખોથી બે આંખો ‘ચાર મિલે’ મળે, તો બન્નેના મોઢા ઉપર સ્મિત આવી જાય. કોઇ બે ઓળખીતાઓ, સ્નેહીઓ કે પ્રેમીઓ મળે તો એકબીજાને જોઇને ખુશ થઈ જાય અને બન્નેની બત્રીસીઓ ‘ચોસઠ ખિલે’ ખીલી ઉઠે કે હસી પડે. જો બે મહાપુરુષો કે એકબીજા પ્રત્યે આદર કરનારા મળે, તો બન્ને એકબીજાને પ્રણામ કરે, વીસ આંગળીઓ જોડાય જાય, એકબીજાની સામે બે હાથ જોડાય જાય, સ્વાભાવિક જ પ્રણામ થઈ જાય, “બીસ રહે કર જોર”. પરંતુ જો “હરિજન સે હરિજન મિલે” બે રામભક્તો કે હરિભક્તો મળે તો “તે’દિ નાચે સાત કરોડ”. તે’દિ એટલે તે દિવસે જ નહી, તે ક્ષણે સાત કરોડ રૂંવાડાઓ નાચી ઉઠે અર્થાત બન્નેના શરીરમાં રોમાંચ ફેલાઇ જાય, બન્નેના તન પુલકિત થઈ જાય. બન્નેની આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહેવા લાગે, શરીરનું ભાન ન રહે, મન રામલીન થઈ જાય. અહીં બન્ને રામભક્તો મળ્યા અને રામકથા સાંભળીને બન્ને પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા, ભાવવિભોર થઈ ગયા.

આપણે કોઇના ઘરે જઈએ, ઘરધણી આપણને આવકારો આપે, પછી આપણે પણ તેના ખબરઅંતર પુછીએ, કેમ છો? બધા મજામાં? નોકરી કે ધંધાપાણી કેવા ચાલે છે? વગેરે વગેરે… ઘરધણી વળી કાઠિયાવાડી હોય તો કહે, અરે.. મોજે મોજ… જલસા છે…. અહીં વિભીષણજીએ પરિચય અને કુશળતા પુછ્યા એટલે શ્રીહનુમાનજીએ રામકથા અને પોતાની ઓળખાણ વગેરે આપ્યા, પછી  વિભીષણજીને તેઓના ખબરઅંતર પુછ્યા હશે કે તમે કેમ છો? અહીં તો બધા રાક્ષસો જ છે અને તમે હરિભકત જણાવ છો. આ રાક્ષસોની નગરીમાં બધાની વચ્ચે કેવી રીતે રહો છો? ત્યારે વિભીષણજી કહે છે –

સુનહું પવનસુત રહનિ હમારી જિમિ દસનન્હિ મહુઁ જીભ બિચારી

હે પવનપુત્ર! મારી રહેણી સાંભળો. હું અહીં એવી રીતે રહું છું, જેવી રીતે દાંતોની વચ્ચે બિચારી જીભ.                   

સુનહું પવનસુત”, શ્રીહનુમાનજીએ રામકથાની સાથે “નિજ નામ” કહ્યુ હતુ, માટે વિભીષણજીએ સીધુ જ સંબોધન કર્યું છે કે જે પવનપુત્ર! અને પછી પોતે લંકામાં કેવી રીતે રહે છે? તેની વાત કરતા કહે છે કે જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ રહે છે, તેમ હું અહીં રહુ છું. કેમ બિચારી જીભ? તો જીભ જેવી સહેજ પણ આઘીપાછી થાય કે દાંત તેને ચીપી દે, કાપી નાખે. સહેજ પણ આમતેમ હલવા-ચલવા ન દે, તેની મર્યાદામાં જ રહેવું પડે. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ઘણા ગુઢ અર્થો થાય છે. બાબાજીએ આ દાંત વચ્ચે જીભનું બહુ સુંદર ઉદાહરણ આપ્યુ છે. આ જ ઉદાહરણ આપવા પાછળના તર્કો જોઇએ તો –

પહેલો, જીભ એટલે કે વિભીષણજી એટલે કે ભક્ત અને દાંત એટલે કે અન્ય રાક્ષસો અર્થાત ટીકાકારો. ભક્તિના માર્ગ ઉપર ચાલનાર સહેજ પણ માર્ગથી હટે, ભુલ કરે કે આધાપાછા થાય એટલે તુરંત જ ટીકાકારો તેના ઉપર તૂટી પડે અને જીભને કચડી નાખે કે ટીકારૂપી મહેંણાથી સતત ચુભતા રહે. ભક્ત કંઇ પણ ભુલ કરે એટલે તુરંત જ ટીકાકારો મારફતે ધ્યાનમાં આવી જાય. આમ, ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. અઘરું કામ છે, પરંતુ ભક્તિના પથ ઉપર લાંબો સમય સુધી રહેવું હોય, કાયમી રહેવું હોય અને પ્રભુ પ્રાપ્તિરૂપી અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, તો દાંત (ટીકાકારો) વચ્ચે જીભ (વિભીષણ – ભક્ત) રહે તે જરૂરી જ છે, તે જ ભકતનું ઉત્તમ રહેઠાણ છે.              

બીજો, વ્યક્તિ જન્મે એટલે જીભ સાથે જન્મે અને દાંત પાછળથી આવે. જે આવે, તે જાય. દાંત પાછળથી આવે એટલે તે પડી જવાના કે ઉખડી જવાના અને જીભ છેક સુધી સાથે રહે છે. અહીં રાક્ષસો મરી જવાના અને લંકામાં વિભીષણજી જ રહેવાના છે, રાજ કરવાના છે. જે કાપે તે કપાય જે ભેળવવાનું કામ કરે તે ચિરંજીવી થાય. ખીલા જેવા અકડ હોય તે તુટે, જીભ જેવા નરમ હોય તે જ લાંબુ ટકે.

ત્રીજો, દાંત કઠોર અને જીભ બિચારી, પરંતુ જીભ વૈદ્યને ફરીયાદ કરે કે આ દાંત બહુ દુખે છે, તો વૈદ્ય તેને કાઢી નાખે, જડમૂળથી ઉખેડી નાખે. એવી જ રીતે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે, જેવી રીતે ધરતી માતાએ બધા દેવો અને બ્રહ્માજી તથા શીવજી સાથે કરી હતી, તો વૈદ્ય અર્થાત કરુણાના સાગર, દીનબંધુ પ્રભુ શ્રીરામ માનવ અવતાર ધારણ કરીને રાક્ષસોનો નાશ ચોક્કસ કરે જ. આમ, વિભીષણજી દાંત વચ્ચે રહેતા હતા તે યથાર્થ જ છે.

ચોથો, દાંત ગમે તેવા અક્કડ, ધારદાર, જીભને કચડી શકે તેવા તાકાતવર, પરંતુ જો જીભ કોઇને એક અપશબ્દ બોલે તો બધાના સ્થાન હલી જાય. સામેવાળો પહેલવાન હોય અને ફેરવીને એક મુક્કો મારે તો બત્રીસે-બત્રીસ બહાર આવી જાય. બોલો, કોણ મહત્વનું? ભક્ત કે સજ્જન પોતાની મર્યાદામાં રહે છે એટલે જ દુર્જનો પોતાની જગ્યાએ શાંતિથી રહી શકે છે. જીભ પોતાની મર્યાદામાં રહીને પણ કંઇક આડાઅવળું બોલેને તો બત્રીસે-બત્રીસનું સ્થાન હલી જાય, જોખમમાં મુકાય જાય; આટલી તાકાત એક ભકતના શબ્દોમાં હોય છે.

પાંચમો, દાંત કાપવાનું કામ કરે, જ્યારે જીભ ખોરાકને ભેળવવાનું કામ કરે. દાંત કાપે પરંતુ સ્વાદ તો જીભ જ લઇ જાય. જે જીવનમાં અન્યને કાપવાનું કામ કરતા હશે, તે પોતે પણ તુટી જ જવાના અને જે જીવનમાં, ઘર, કુટૂંબ, સમાજ, કાર્યસ્થળ વગેરે જગ્યાએ, કોઇને ભેળવવાનું કામ કરતા હશે, તેને જ સાચો સ્વાદ મળશે. કોઇને તોડી નાખવો, કોઇને પુરો કરી દેવો બહુ જ સરળ છે. કોઇને ઉભો કરવો, કોઇને માફ કરી દેવું, એ જ અગત્યનું છે. તેનો સ્વાદ જ અલૌકિક હોય છે. જીવનમાં બધુ ટેસ્ટ કરવું જોઇએ. એક વાર ક્ષમારૂપી છમ્મવડા અને બધાને ભેળવવારૂપી બોમ્બે ભેળ ટેસ્ટ કરી જુઓ, ખરેખર ટેસ્ટી લાગશે અને જીંદગીભરના ચાહક થઈ જશો.  

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here