Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “એકલા ચોલો રે….”, ભાગ – ૫૦ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-050/)માં વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તેના પરિપ્રેક્ષ્યમાં એક સત્ય ઘટના, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે અને વિભીષણજી પોતાને કર્મ, જ્ઞાન અને ઉપાસના ત્રણેયથી રહિત જણાવે છે, ત્યાંસુધીની કથા જોઇ હતી. જ્યારે સાચા સંત મળેને એટલે જીવનના ઘણાય પ્રશ્નોના જવાબ તો આપમેળે જ મળી જતા હોય છે. બીજું કંઇ ન થઈ શકે તો કંઇ નહી, પ્રભુ ઉપર દ્રઢ શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. આવી જ દ્રઢ શ્રદ્ધા સાથે વિભીષણજી આગળ જે કહે ત્યાંથી  આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

અબ મોહિ ભા ભરોસ હનુમંતા  બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા

હે હનુમાનજી! હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે શ્રીરામચંદ્રજીની મારા ઉપર ચોક્કસ કૃપા છે; કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી.

અબ મોહિ ભા ભરોસ હનુમંતા ।  બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા ॥ શ્રીરામચરિતમાનસ અને ખાસ કરીને શ્રીસુંદરકાંડની મારી સૌથી વધુ પ્રિય ચોપાઇઓ પૈકીની આ એક ચોપાઇ છે. વિભીષણજીમાં પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરવાના અન્ય કોઇ ગુણ હોય કે ન હોય, પરંતુ તેઓને સાચા સંતનો સમાગમ થઇ ગયો, શ્રીહનુમાનજી જ તેઓ માટે પ્રભુપ્રાપ્તિનું દ્વાર હતા. આગળની ચોપાઈ “તામસ તનુ કછુ સાધન નાહીં પ્રીતિ ન પદ સરોજ મન માહીં ।।”માં દર્શાવ્યા મુજબ ગુણ રહિતતાને લીધે તેઓને વિશ્વાસ ન હતો કે તેઓને ભગવાન મળશે કે કેમ? પરંતુ હવે અહીં પાકો વિશ્વાસ જતાવી દીધો, “અબ મોહિ ભા ભરોસ હનુમંતા” કે ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થશે જ કારણ કે, “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા”.

અહીં એક પ્રશ્ન એવો ઉદ્‌ભવે કે આ લેખમાળાના ૩૫માં મણકામાં એવું લખ્યું છે કે, “પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા” પુણ્યનો ઉદય થયા વગર સંત મળતા નથી, તેનો સંગ થતો નથી, તેની કૃપા થતી નથી. અહીં લખ્યું છે કે, “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા” અર્થાત હરિની કૃપા વગર સંત મળતા નથી. ગોસ્વામીજીએ એક વખત એવું કહ્યુ કે પુણ્યનો ઉદય થયા વગર સંત મળતા નથી અને બીજી વખત એવું કહ્યુ કે હરિકૃપા વગર સંત મળતા નથી. બાબાજી શબ્દોની પસંદગી, વિચારોની સ્પષ્ટતા અને કથામાં વાતોની એકસુત્રતામાં પ્રવિણ છે, તો પછી આવા અલગ-અલગ કથન કેમ? એક જગ્યાએ એવો મત વાંચવામાં આવ્યો કે બન્ને એક જ વાત છે. હરિકૃપા થાય તો જ પુણ્યનો ઉદય થાય અને તો જ સંત મળે અથવા તો સંત મળે એટલે પુણ્યનો ઉદય થાય અને તો જ હરિકૃપા થાય.

આ વાતને જેમ સમજવી હોય તેમ સમજાય, પરંતુ મારા મતે આ બન્ને ચોપાઈઓમાં કહેવામાં આવેલી વાતો વચ્ચે એક નાનકડી ભેદ રેખા છે. જ્યારે પુણ્યનો ઉદય થાય અને શોધવા જાવ તો સંત મળે, પરંતુ હરિકૃપા થાય કે હોયને તો સંત સામેથી મળે. વિભીષણજીની સાથે શ્રીહનુમાનજી સામેથી પરિચય કરવાનું વિચારતા હતા અને તેઓની ઘરે જેમ સામેથી ગયા હતા, તેમ પ્રભુકૃપા હોય તો સંત સામેથી આપણી ઘરે પધારે અથવા તો સામેથી જ મળી જાય. ભાગ્ય ઉઘડે તો આપણે ઘરેથી બહાર નિકળીએ, સત્‌સંગમાં જઈએ, કથાવાર્તા-ભાગવત સાંભળવા જઈએ, મંદિરે દર્શન કરવા જઈ શકીએ અર્થાત જીવ સંતને કે ભગવાનને શોધવા જઈ શકે તેવા સંજોગો ઊભા થાય. જ્યારે પ્રભુકૃપા થાય તો બહાર નિકળવાના, સંતને મળવાના કે તેનું સાનિંધ્ય પ્રાપ્ત કરવાના સંજોગો આપોઆપ ઊભા થઇ જાય, સત્‌સંગ અનાયાસે જ થઈ જાય. હે પરમપુજ્ય સદ્‌ગુરુ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજ! અમે તો પામર જીવ છીએ, અમને કંઇ ખબર નથી, આ અમારા પુણ્યનો ઉદય થયો છે કે હરિકૃપા. અમને તો બસ આપનો અનુગ્રહ, આપની અનુકંપા, આપના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, તે જ અમારું સર્વસ્વ છે. અમે તો બસ દીનભાવે, શરણાગતભાવે આપના શરણોમાં છીએ. આપ જ અમારી ઉપર અસીમ કૃપા રાખજો. અમારું ધ્યાન અને ધ્યેય પ્રભુ તરફથી ક્યાંય ભટકે નહી, તેવી કૃપા કરજો. જય ગુરુદેવ…. આગળ ગોસ્વામીજીએ લખ્યુ છે –

જૌં રઘુબીર અનુગ્રહ કીન્હા તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા

જ્યારે શ્રીરઘુવીરે કૃપા કરી છે, ત્યારે જ તમે મને સામેથી દર્શન આપ્યા છે.

જૌં રઘુબીર અનુગ્રહ કીન્હા” અર્થાત જ્યારે રઘુકુળના વીર શ્રીરામચંદ્રજીએ કૃપા કરી. અગાઉ “બાર બાર રઘુબીર સઁભારી । તરકેઉ પવન તનય બલ ભારી ॥” ચોપાઇ સમજતી વખતે આ લેખમાળાના ૧૭મા મણકામાં જોયું હતુ કે ‘રઘુબીર’ નામનું સ્મરણ કરવાથી વીરતા સુનિશ્ચિત થાય છે. આજે ભગવાનના ‘રઘુબીર’ સંબોધન વિશે થોડું વિગતે જોઇએ. પ્રભુના ‘રઘુબીર’ નામમાં પાંચ પ્રકારની વીરતાનો સમાવેશ થાય છે.

ત્યાગવીરો દયાવીરો વિદ્યાવીરો વિચક્ષણ: પરાક્રમમહાવીરો ધર્મવીર: સદા સ્વત:

પંચવીરા: સમાખ્યાતા રામ એવ ચ પંચધી રઘુવીર ઇતિ ખ્યાત: સર્વવીરોપલક્ષણ:

પહેલી વીરતા છે, ત્યાગવીર. સવારે જેમનો રાજયાભિષેક થવાનો હોય, તે વ્યક્તિ આગલી રાત્રે માતાએ – એ પણ જન્મદાત્રી માતા નહી એવી – પિતા પાસે માંગેલા બે વચનોને પિતાશ્રીની આજ્ઞા માની, અયોધ્યાનું રાજ્ય છોડી, વનવાસી થઇ જાય, તેને જ સાચો ત્યાગવીર ગણી શકાય. બીજી વીરતા છે, દયાવીર. ભગવાન શ્રીરામ કેટલા દયાળું છે? કેવા દીનબંધુ છે? તેની અસંખ્ય કથાઓ છે. અહીં અહલ્યાના ઉદ્ધારને યાદ કરીને આગળ વધીએ. ત્રીજી વીરતા છે, વિદ્યાવીર. જેમનું નામ લખવા માત્રથી પથ્થર સમુદ્રમાં તરવા લાગે, તે એક વિદ્યા જ છે. આવી તો અસંખ્ય વિદ્યાઓ શ્રીરામ ધરાવતા હતા. ચોથી વીરતા છે, પરાક્રમવીર. પૃથ્વિ પરનો એક પણ રાજા શીવધનુષને ઉઠાવવું તો ઠિક, તસુભાર હલાવી પણ ન શક્યો. આ સમયે જનકજી ઉંડા આધાતમાં હતા, ત્યારે શીવધનુષને ઉઠાવી, પ્રત્યંચા ચઢાવવાનું અને પ્રત્યંચા ચઢાવવા જતા તેનો ભંગ કરવાનું પરાક્રમ પ્રભુ શ્રીરામમાં જ હતું. પાંચમી વીરતા છે, ધર્મવીર. પ્રભુ શ્રીરામે દરેક જગ્યાએ ધર્મને પાળ્યો છે, ધર્મનો આદર કર્યો છે કે ધર્મને પ્રસ્થાપિત કર્યો છે. વિભીષણજી હોય કે સમુદ્ર, શરણે આવનારને શરણાગતિ આપવી, તે ધર્મવીરતાનું જ સૂચક છે. આ પાંચેય પ્રકારની વીરતા કોઇ એકમાં જ હોય, તેવા પ્રભુ શ્રીરામ એકમાત્ર છે.

તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા” અર્થાત ત્યારે જ તમે મને સામેથી દર્શન આપ્યા છે. આગળ શ્રીહનુમાનજીએ જ વિચાર્યું હતું કે, “એહિ સન હઠિ કરિહઉઁ પહિચાની” એટલે કે આમની સાથે સામેથી જ પરિચય કરીશ. શ્રીહનુમાનજીનાઆ વિચારનું અનુસંધાન અહીં મળે છે. “કરિ પ્રનામ પૂઁછી કુસલાઈ” થી “તૌ તુમ્હ મોહિ દરસુ હઠિ દીન્હા” સુધીની ચોપાઇઓમાં વિભીષણજી જ બધુ બોલે છે. પહેલા શ્રીહનુમાનજીને કુશળતા પુછે છે, ત્યારબાદ પોતાના ઉપર પ્રભુ શ્રીરામ કૃપા કરશે કે કેમ? તે પણ તેઓ જ પુછે છે અને પોતાના ઉપર પ્રભુકૃપા થશે જ તેવો ભરોસો પણ પોતે જ જતાવે છે. હવે શ્રીહનુમાનજી કહે છે –

સુનહુ બિભીષન પ્રભુ કૈ રીતી । કરહિં સદા સેવક પર પ્રીતી

હે વિભીષણજી ! સાંભળો પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ વરસાવ્યે રાખે છે.

સુનહુ બિભીષન” અર્થાત હે વિભીષણજી ! સાંભળો. અહીં શ્રીહનુમાનજી શું સાંભળવાનું કહે છે? તો “પ્રભુ કૈ રીતી” એટલે કે પ્રભુની રીત, પ્રભુનો સ્વભાવ, પ્રભુની કરની. પ્રભુ શ્રીરામનો સ્વભાવ કેવો છે? “કરહિં સદા સેવક પર પ્રીતી” અર્થાત કોઇ જ ભેદભાવ વગર તમામ જીવો ઉપર અવિરત પ્રેમ જ વરસાવવો. સેવક ઉપર કોઇપણ કારણ વગર અથવા થોડી સેવાથી પણ ખુશ થઈને અસીમ કૃપા કરવી, “કહહુ કવન પ્રભુ કૈ અસિ રીતી। સેવક પર મમતા અરુ પ્રીતી।।”. પ્રભુ પોતાના તમામ સેવકોને એકસમાન પ્રેમ કરે છે. અહીં શ્રીહનુમાનજી પ્રભુના વિલક્ષણ સ્વભાવનું વર્ણન કરે છે, કારણ કે તેઓ જ “જાનત પ્રીતિ-રીતિ રઘુરાઈ”. પ્રભુનો સ્વભાવ અને તેઓની ભક્તો પ્રત્યેની પ્રીતિને શ્રીહનુમાનજી જ સાચી રીતે જાણે છે.

આ પ્રસંગે મને એક સરસ વાત યાદ આવી ગઈ. મારા સૌથી નાના મામા, સંત સ્વરૂપ રાજુમામા, એવું કહેતા કે, “ઉદય ! હંમેશા કોઇપણ નાનું-મોટું સારુ કામ કરતુ રહેવું. ભગવાનને આપણી ઉપર કૃપા કરવા માટે બસ બહાનું જોઇએ. ભલેને કોઇ નાનું અમથું સારુ કામ કર્યું હોય અથવા તો કોઇ માટે ફક્ત સારો વિચાર જ કેમ ન કર્યો હોય. દિલથી કોઇના માટે ફક્ત શુભ વિચારવાથી પણ પ્રભુની અસીમ કૃપા રહે છે, Just give reason to the God (બસ, ફક્ત ભગવાનને કૃપા કરવાનું કારણ આપો).” પ્રભુ શ્રીરામ અતિશય માયાળું છે, દીનદયાળું છે, તેઓની આવી જ રીતી છે કે તેઓ સદાય સેવક ઉપર પ્રીતિ રાખે છે.

પ્રભુને કૃપા કરવાનું હંમેશા કારણ આપતા રહેવાના શુભ સંકલ્પ સાથે આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here