Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના | Sundarkand

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના | Sundarkand

4
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના | Sundarkand

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આપણે આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_003/)માં છેલ્લે જોયું હતું કે, બધા વાનર વીરો સમુદ્ર કિનારે પહોંચી ગયા છે. ચારેય તરફ નિરાશા અને ભય છે. આવા સમયે સંકટમોચન શ્રી હનુમાનજી શાંતચિત્તે પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા સ્થિતપ્રજ્ઞ મુદ્રામાં સમુદ્ર કિનારે બેઠા છે, તે સમયે –

કહઇ રીછપતિ સુનુ હનુમાના કા ચુપ સાધિ રહેઉ બલવાના

પવન તનય બલ પવન સમાના બુધિ બિબેક બિગ્યાન નિધાના

ઋક્ષરાજ શ્રી જામવંતજીએ શ્રી હનુમાનજીને કહ્યું, હે મહાબળવાન વીર ! હે મહાવીર ! સાંભળો, તમે કેમ ચૂપ બેઠા છો ? તમે પવનદેવના પુત્ર છો અને બળમાં પણ પવનના સમાન છો. તમે બુદ્ધિ-વિવેક અને વિજ્ઞાનની ખાણ છો.

સામાન્ય રીતે આપણે ઘર, કુટુંબ, સમાજ કે દેશમાં જોઈએ છીએ કે, જ્યારે કોઈ મુશ્કેલી આવે કે સંકટની ઘડી આવે, ત્યારે ઘર કે કુટુંબના (બુદ્ધિથી) વડીલ અથવા સમાજના મોભી હોય તે પોતાના અનુભવ મુજબ અન્ય સભ્યોને સંકટ સામે લડવા પ્રોત્સાહિત કરે છે, યોગ્ય માર્ગદર્શન પુરું પાડે છે અને સમસ્યાનો હલ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. મોડર્ન મેનેજમેન્ટના પાઠમાં પણ આપણે એવું જ ભણીએ છીએ કે, ટીમના સીનીયર મેમ્બર પોતાના અનુભવ મુજબ ટીમને ગાઈડ કરે, તો નિશ્ચિત ધ્યેય અવશ્ય હાંસલ થાય છે. કોઈપણ કાર્યની સફળતા માટે ટીમના વરિષ્ઠ સભ્યના અનુભવનો નિચોડ જડીબુટ્ટી સમાન હોય છે. ટીમનો વરિષ્ઠ સભ્ય તેની ટીમના ક્યા સભ્યની શું તાકાત છે અને શું નબળાઈ છે? ક્યું કામ કોણ સારી રીતે કરી શકે તેમ છે? વગેરે બાબતોથી અવગત હોવો જોઈએ, He should have SWOT Analysis of each member, તો જ એક સબળ ટીમ બને અને આવી સબળ ટીમ જ નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરી શકે કે અઘરામાં અઘરું કામ પણ પુરું કરી શકે.

તેવી જ રીતે યુવાન આગેવાન યુવરાજ શ્રીઅંગદજીની અધ્યક્ષતામાં માતા સીતાજીની શોધમાં નીકળેલી આ વાનર વીરોની સેનાના સૌથી વરિષ્ઠ સભ્ય એવા શ્રીજામવંતજીને ખબર છે કે, આ કાર્ય શ્રી હનુમાનજી સિવાય અન્ય કોઈ સભ્ય સારી રીતે કરી શકે તેમ નથી. તેઓ શ્રી હનુમાનજીને કહે છે કે, હે હનુમાનજી! તમે કેમ આમ ચૂપચાપ બેસી ગયા છો? તમે ‘પવન તનય બલ પવન સમાના પવનદેવના પુત્ર છો અને બળમાં પણ પવન સમાન જ છો. તમારું બળ અપાર છે.

અહીં જામવંતજી શ્રી હનુમાનજીને એવું કહે છે કે આપ પવન તનય એટલે કે આપ પવનદેવના પુત્ર છો. હનુમાનજીના જન્મની અલગ-અલગ શાસ્ત્રોમાં અલગ-અલગ કથાઓ વર્ણવવામાં આવેલી છે. આ કથાઓ પૈકી શ્રીમદ્‌ વાલ્મીકીય રામાયણ અનુસારની કથા નીચે મુજબ છે:

પુંજિકસ્થલા નામની એક અતિસુંદર અને પ્રસિદ્ધ અપ્સરા હતી. તે બધી અપ્સરાઓમાં મુખ્ય હતી. એકવાર શ્રાપવશ તેનો કપિયોનિમાં (વાનરકુળમાં) જન્મ થયો અને વાનરરાજ કુંજરની, ઇચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી, પુત્રી બની. તેનું નામ અંજના હતું, જેના રૂપની બરાબરી કરી શકે તેવું કોઈ ન હતું. તેના વિવાહ વાનરરાજ કેસરી સાથે કરવામાં આવ્યા. રૂપ અને યૌવનથી સુશોભિત તેવી અંજના એક દિવસ મનુષ્યનું-સ્ત્રીનું શરીર ધારણ કરી, પીળા રંગનું લાલ કિનારીવાળું રેશમી વસ્ત્ર પહેરી, ફૂલોના અદ્‌ભુત આભૂષણો ધારણ કરીને વર્ષાઋતુના મેઘની જેમ શ્યામ કાન્તિ ધરાવતા એક પર્વતના શિખર ઉપર વિચરતી હતી. તે સમયે વાયુદેવે તેના શરીર ઉપરથી વસ્ત્ર ધીરેથી હરી લીધું એટલે કે પવનથી તેનું વસ્ત્ર શરીર ઉપરથી થોડું સરકી ગયું. વાયુદેવ તેનું શરીર-સૌષ્ઠવ જોઇને તેના ઉપર મોહિત થઈ ગયા. વાયુદેવના બધા અંગોમાં કામભાવનાનો આવેશ થઈ ગયો અને મન અંજનામાં મગ્ન થઈ ગયું. વાયુદેવે એ નિર્દોષ અને નિષ્કલંક સુંદરીને પોતાની વિશાળ ભુજાઓમાં જકડીને હૃદય સરસી ચાંપી દીધી. અંજના એકપતિવ્રતા હતી. તે ગભરાઈ ગઈ અને બોલી, તમે કોણ છો? જે મારા પાતિવ્રત્યનો નાશ કરવા માંગો છો? ત્યારે વાયુદેવે જવાબ આપ્યો કે, સુશ્રોણી ! હું તમારા પાતિવ્રત્યનો ભંગ નથી કરી રહ્યો. મેં અવ્યકતરૂપે તમારું આલિંગન કરીને માનસિક રીતે તમારી સાથે સમાગમ કર્યો છે. જેનાથી તમને વીર્યવાન્‌ બુદ્ધિસમ્પન્નસ્તવ પુત્રો ભવિષ્યતિ” બળ-પરાક્રમથી સંપન્ન અને બુદ્ધિમાન પુત્ર પ્રાપ્ત થશે. આમ, અતુલિત બળવાળા અને જ્ઞાનીઓમાં પ્રથમ હરોળના એવા સકળ ગુણોના ધામ મારુતિનંદનનું પ્રાગટ્ય થયું, જેને આપણે પવનપુત્ર એટલે કે પવન તનયતરીકે પણ સંબોધિએ છીએ.

શ્રી હનુમાનજીની વિવિધ શાસ્ત્રોમાં વર્ણવેલી જુદી-જુદી કથાઓ મારા “રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ” વિષય પરના લેખમાં http://udaybhayani.in/ramayan-hanumanjayanti2020/ લિંક ઉપર ક્લિક કરી વાંચી શકો છો.

આગળ આ ચોપાઈમાં તુલસીદાસજીએ કહ્યું છે કે, ‘બલ પવન સમાના’, એટલે કે તમે બળમાં પણ પવનદેવ સમાન છો. શ્રીહનુમાનજી જન્મથી પરમ શક્તિશાળી હતા, તેનું એકમાત્ર ઉદાહરણ જોઇએ તો –

એક દિવસની વાત છે, માતા અંજનાજીના પ્રાણપ્રિય અને ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર એવા શ્રીહનુમાનજી પારણામાં પોઢી રહ્યાં હતા. તેઓના પિતા કેસરીજી ઘરે ન હતા અને માતા અંજનાજી પણ કંઈ કામથી બહાર ગયા હતા. બાળક શ્રીહનુમાનજી જાગી ગયા અને તેને ભૂખ લાગી. તેણે આકાશમાં ઉગતા સૂર્યને જોઈ, તેને ફળ સમજીને, એક છલાંગ લગાવી. આ સમયના બાળ હનુમાનજીના તેજ અને પરાક્રમની તેની અવસ્થા સાથે સરખામણી થઈ શકે તેમ ન હતી. શ્રીહનુમાનજી છલાંગ લગાવીને એકદમ ઝડપથી સૂર્યની તરફ ઉડવા માંડ્યા. તેને આટલા ઝડપ ‘મારુતતુલ્ય વેગમ્‌’થી ઉડતા જોઈને દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે, આટલી ઝડપ તો પવનદેવની પોતાની પણ નથી. જો તેઓ બાલ્યાવસ્થામાં જ આટલા પરાક્રમી છે, તો યુવાનીમાં તેઓની શક્તિ કેટલી હશે?

શ્રીહનુમાનજી સૂર્ય પાસે પહોંચી ગયા અને તેને સુંદર ફળ સમજી મુખમાં મૂકી દીધા. ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો, દેવો, માનવો અને દાનવો બધા ત્રાહિમામ પોકારી ગયા. આ જોઈને દેવરાજ ઇંદ્રએ બાળ હનુમાનજી ઉપર વજ્રથી પ્રહાર કર્યો. વજ્રના પ્રહારથી હનુમાનજીની દાઢી તૂટી ગઈ અને તેઓ પર્વતના શિખર ઉપર મૂર્છિત થઈને પડી ગયા, પરંતુ સૂર્યને મુખમાંથી બહાર ન કાઢ્યા. ત્રણેય લોકોના પ્રાણોને સંકટમાં જોઈ દેવરાજ ઇન્દ્ર દેવતાઓ, ગંધર્વો, અસુરો, નાગ બધાને લઈ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધાને લઈ શ્રીહનુમાનજી પાસે જાય છે અને સ્તુતિ કરી કે, હે મહાવીર! આપ સૂર્યને મુક્ત કરો જેથી સૃષ્ટિનો વિનાશ અટકે. શ્રીહનુમાનજીએ સૂર્યને મુકત કરતાં જ સૃષ્ટિ પૂર્વવત્ત થઈ ગઈ. સૂર્યથી પૃથ્વી સુધીની છલાંગ લગાવી તેનું અંતર સૌથી પહેલા શ્રીહનુમાનજીએ માપેલુ. 

આમ, શ્રીહનુમાનજી પવનપુત્ર હતા તથા બાલ્યકાળથી જ તેઓ અતિશય બળશાળી અને મહાપરાક્રમી હતા, જેનું વર્ણન ‘પવન તનય બલ પવન સમાના’ ચોપાઈમાં કરવામાં આવ્યું છે.

આજની કથાને અહિં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

4 COMMENTS

Leave a Reply to Keyur pandya Cancel reply

Please enter your comment!
Please enter your name here