Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૭ | ખાવું વાસી અને રહેવું ઉપવાસી | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૭ | ખાવું વાસી અને રહેવું ઉપવાસી | Sundarkand | सुंदरकांड

2
શ્રી સુંદરકાંડ | ભાગ – ૭ | ખાવું વાસી અને રહેવું ઉપવાસી | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આગળના લેખ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૬ | કવન સો કાજ કઠિન જગ માહીં – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-006/ )માં આપણે શ્રીહનુમાનજી માટે કેમ કોઈ કામ અશક્ય નથી અને શ્રીજામવંતજીએ ‘આપનો તો જન્મ જ શ્રીરામ પ્રભુ કાર્યાર્થે થયેલો છે’ તેવું કેમ યાદ કરાવવું પડ્યું હતુ? તેના વિશે વાત કરી હતી. આ વાત તો થઈ બળ, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ એવા શ્રીહનુમાનજીની, પરંતુ આ ચોપાઈ મારફતે શ્રીતુલસીદાસજી મહારાજ આપણને બધાને એટલે કે સામાન્ય માનવીને શું કહેવા માંગે છે? શું સંદેશો આપવા માગે છે? તે સાથે આજે સુંદરકાંડની આ સુંદર કથામાં આગળ વધીએ.

અહીં તુલસીદાસજી મહારાજ આપણને બધાને સંદેશો આપે છે, ટકોર કરે છે અને યાદ અપાવે છે કે, હે માનવી! તારો અવતાર ફક્ત સાંસારિક અને ભૌતિક સુખો મેળવવા અને તેને ભોગવવા ખાતર જ નથી થયો. સમગ્ર સૃષ્ટિ પ્રભુએ જ બનાવેલી છે અને તેણે જ આપણને સહુને કોઈને કોઈ પાત્ર ભજવવા નિયુક્ત કરેલા છે, તેને સુપેરે નિભાવો. સાંસારિક જીંદગી, ભૌતિક સુખો વગેરે પ્રભુની માયાનો જ એક ભાગ છે, પરંતુ તે જ સર્વસ્વ નથી. ભગવાને માનવ દેહ આપ્યો છે, તો પ્રભુકાર્ય પણ કરવું જોઈએ. આપણે આખી જીંદગી ધન-દોલત-ઐશ્વર્ય, સંપતિ-સંતતિ, કુટુંબ-કબિલા પાછળ વ્યતિત કરી દઈએ છીએ અને એવું વિચારીએ છીએ કે, વૃધ્ધાવસ્થા પ્રભુ સાથે ગાળીશું એટલે કે પાછલી જીંદગીમાં એય ને નિવૃત્ત થયા પછી શાંતિથી પ્રભુને ભજીશુ; જે નિશ્ચિતરૂપે અનિશ્ચિત હોય છે.

મારા માતુશ્રી એક વાત હંમેશા કહેતા, બેટા “લોકો ખાય છે વાસી અને રહે છે ઉપવાસી” ખાવું વાસી અને રહેવું ઉપવાસી કહેવતનો અર્થ હવે કંઈક થોડો-ઘણો સમજાય છે. આ કહેવત સમજાવતી વાર્તા ટૂંકમા એવી છે કે, એક સુખી-સંપન્ન પણ લોભી કુટુંબ હતુ. એક વખત તે ઘરમાં દિકરાના લગ્ન થયા. દિકરાની વહુ સામાન્ય કુટુંબની દિકરી હતી, પરંતુ ભક્તિભાવ વાળી અને ઉદાર હૃદયવાળી હતી. જ્યારે કોઇ માગવાવાળું ઘર આંગણે આવે એટલે સાસુજી કોઇને કોઇ બહાનું બતાવી, તેને કંઈ જ આપ્યા વગર પાછા મોકલી દેતા. વહુ જ્યારે-જ્યારે આવું જોવે ત્યારે ધીમેથી બોલે કે, “ખાવું વાસી અને રહેવું ઉપવાસી”. એક વખત તેના સાસુએ તેણીને પુછ્યુ કે આ તું શું બબળ્યે રાખે છે? તેનો અર્થ શું થાય? તું કહેવા શું માગે છે? તેણીએ સાસુમાને સારી રીતે સમજાવ્યા કે આપણે આ જન્મમાં જે કંઇ સુખ-સુવિધા ભોગવીએ છીએ, આપણી પાસે જે કંઇ ધન-દોલત છે, તે આપણા પૂર્વજન્મના પુણ્યનું ફળ કે પ્રતાપ છે; એટલે કે આપણે ખાઈએ છીએ વાસી. આ જન્મમાં કોઇ સત્‌કાર્ય કે દાન-પૂણ્ય તો કરતા નથી, એટલે કે રહીએ છીએ ઉપવાસી. આપણે આ જન્મમાં સારા કર્મો, દાન-દક્ષિણા, પુજા-પાઠ અને ભગવાનનું ધ્યાન ધરવું જોઇએ, જેથી તેના પુણ્ય પ્રતાપે આપણને ભગવાન આવતા ભવમાં કે આ જીવનના હવે પછીના સમયમાં સારું સુખ-સુવિધાપૂર્ણ જીવન આપે. સાસુમાને આ વાત હૈયામાં ઉતરી ગઈ અને ત્યારપછી તેના આંગણેથી કોઇ ખાલી હાથે પાછુ ફરતું ન હતું.    

આપણા પૂર્વજન્મના સત્‌કર્મોના ફળસ્વરૂપે આ જન્મમાં સુખ-સાહબી, ધન-દોલત, સમૃદ્ધિ-સંપતિ-સંતતિ વગેરે મળેલી હોય છે. આપણે તેને ભોગવવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ; એટલે કે આપણે ખાઈએ છીએ વાસી. પછી આ જ વાસી ખાવામાં, અગાઉના સત્‌કર્મો થકી પ્રાપ્ત દુન્યવી સુખો ભોગવવામાં આવતા જન્મ કે સમય માટે નવા સત્‌કર્મોનું ભાથું બાંધવાનું ચૂકી જઈએ છીએ; એટલે કે રહીએ છીએ ઉપવાસી. મારા માતુશ્રીની આ વાત મને ડગલેને પગલે મારું જીવન જીવવા, તેનો પથ નક્કી કરવા ઉપયોગી સાબિત થાય છે. આશા રાખું છું કે, આ ગાગરમાં સાગર જેવી શીખ આપ સહુને પણ ઉપયોગી નીવડશે. આટલું ગૂઢ અને શાશ્વત જ્ઞાન આટલી સરળતાથી આપવા બદલ મારા માતુશ્રીને સાભાર વંદન. હવે કથામાં આગળ વધીએ – 

રામ કાજ લગિ તવ અવતારા । સુનતહિં ભયઉ પર્બતાકારા ॥

જેવું જામવંતજી કહે છે કે, રામ કાજ લગિ તવ અવતારા, શ્રીહનુમાનજીના શક્તિ વિસ્મૃતિના શ્રાપનો અંત આવી જાય છે અને પોતાની અમાપ શક્તિઓનું સ્મરણ થઈ જાય છે. શ્રીહનુમાનજી પર્વતાકાર એટલે કે વિશાળકાય થઈ જાય છે. સામાન્ય રીતે આપણને કોઈ મિત્ર, સગા-સંબંધી કોઈ કામ કરવા પ્રોત્સાહિત કરે, આપણને આપણી આવડત યાદ કરાવે, ત્યારે આપણી મનોસ્થિતિ શું હોય છે? યાદ કરો. મન પ્રફુલ્લિત મહેસૂસ કરે છે, કંઈક કરવાની ભાવના ઉત્પન્ન થઈ જાય છે, અતિશય આનંદનો અનુભવ કરીએ છીએ, અલગ જ પ્રકારની હકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે. અહીં તો શ્રીહનુમાનજી રામભક્ત છે અને કાર્ય શ્રીરામપ્રભુનું છે. વિચારો કેટલો અજબ ઉમળકો હશે? શ્રીતુલસીદાસજી લખે છે કે, તેઓ પર્વતાકાર થઈ ગયા. તેણે પોતાના શરીરમાં અપાર શક્તિનો અનુભવ કર્યો. તેમના વિરાટ, તેજસ્વી, શક્તિશાળી, નિર્ભય, ઉત્તમ સ્વરૂપનું શબ્દોથી તો વર્ણન કરવું પણ શક્ય નથી.

અહીં એક વાત એ પણ નોંધવા જેવી છે કે, જ્યાં સુધી જામવંતજી શ્રીહનુમાનજીના વખાણ કરતા હતા, ત્યાં સુધી શ્રીહનુમાનજી એકદમ શાંતચિતે સાંભળતા હતા. જેવું પ્રભુ શ્રીરામનું નામ સાંભળ્યું કે તેઓ અતિ ઉત્સાહમાં આવી ગયા અને ગર્જી ઉઠ્યા, જય શ્રીરામ…. સદ્‌ગૃહસ્થનો એક ગુણ હોય છે કે તેઓ પોતાના વખાણ થતા હોય, ત્યાંસુધી ચુપ રહે છે; તો પછી શ્રીહનુમાનજી તો એક સંત છે. આગળ શ્રીતુલસીદાસજી લખે છે,

કનક બરન તન તેજ બિરાજા । માનહુઁ અપર ગિરિન્હ કર રાજા ॥

શ્રીહનુમાનજી પર્વતાકાર થઈ ગયા પછી કેવા લાગતા હતા? તેનું વર્ણન કરતા શ્રીતુલસીદાસજી કહે છે કે, તેના શરીરનો રંગ સૂવર્ણ જેવો એટલે કે સોનેરી હતો, શરીર ઉપર અપાર તેજ સુશોભિત હતું. શ્રીહનુમાનજી વાનર સેના સાથે જ્યાં હતા ત્યાં ‘સિંધુ તીર એક ભૂધર સુંદર’ એટલે કે સમુદ્ર કિનારે એક પર્વત હતો, તેની પાસે આ બીજા પર્વત જેવા લાગતા હતા અને આ બીજા પર્વત જેવા તેઓ જાણે બધા જ પર્વતોના રાજા સુમેરુ હોય તેવા ભાસતા હતા. અહીં શ્રીતુલસીદાસજીએ શ્રીહનુમાનજીને સુમેરુ પર્વતની ઉપમા આપી છે; કારણ કે તેઓનું શરીર કનકવર્ણ – સુવર્ણ રંગનું છે, તેઓનું કદ પર્વત જેવડું તથા પર્વતની જેમ ભારે પણ છે. આ ઉપરાંત, સુમેરુને પર્વતોનો રાજા કહેવામાં આવે છે અને શ્રીહનુમાનજીને “વાનરાણામધીશમ્‌” અર્થાત કપિરાજ કહેવામાં આવે છે. આમ, શ્રીહનુમાનજીને સુમેરુ પર્વતની ઉપમા આપવામાં આવેલી હોઈ શકે.

સિંહનાદ કરિ બારહિં બારા । લીલહિં નાઘઉઁ જલનિધિ ખારા ॥

સહિત સહાય રાવનહિ મારી । આનઉઁ ઇહાઁ ત્રિકૂટ ઉપારી ॥

તેઓ વારંવાર સિંહની જેમ ગર્જના કરતા કહેતા હતા કે, પ્રભુ શ્રીરામની કૃપાથી હું આકાશના તમામ ગ્રહો અને નક્ષત્રોને ઓળંગી શકુ તેમ છું, હું ઇચ્છું તો મહાસાગરને શોષી શકું છું, હું પૃથ્વીને ચીરી નાખી શકું છું અને પર્વતો ઉપર કૂદી-કૂદીને તેનું ચુર્ણ બનાવી શકું છું. તો આ ખારા સમુદ્રની શું વિસાત છે? તેને તો હું પળભરમાં ઓળંગી જઈશ. વામન અવતારમાં ત્રણ ડગલાં ભરતી વખતે પ્રભુએ જેવું રૂપ ધારણ કર્યું હતુ તેવું રૂપ ધરી, મેઘમાંથી ઉત્પન્ન થયેલી વિજળીની જેમ હું ક્ષણમાત્રમાં ઉડીને સમુદ્રને પાર કરી જઈશ. એટલું જ નહીં, વજ્રધારી ઇંદ્ર અને શ્રીબ્રહ્માજીના હાથમાંથી અમૃત છીનવી લાવી શકું તેટલું સામર્થ્ય ધરાવું છું, તો રાવણને તો તેના કુટુંબ-કબિલા અને સેના-સહાયકો સહિત મારીને, આખા ત્રિકૂટ પર્વતને માતા સીતાજી સહિત ઉખાડીને અહીં લાવી શકું તેમ છું.

‘લીલહિં નાઘઉઁ જલનિધિ ખારા’ ચોપાઈમાં ‘ખારા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. સમુદ્રનું જલતો ખારું જ હોય છે, તે સર્વવિદિત છે, તેનો અલગથી ઉલ્લેખ કરવાની સામાન્ય રીતે કોઈ આવશ્યકતા નથી. અહીંયા એક એવો પણ તર્ક છે કે શ્રીહનુમાનજી તેને પળવારમાં ઓળંગી જવાની વાત કરી છે, તેના સમર્થનમાં એટલે કે સમુદ્રનું જલ ખારું છે, મીઠું નથી કે તેના જલપાન, સ્નાન વગેરેમાં મારો સમય વ્યતિત થાય, આ શબ્દ વાપરવામાં આવ્યો હોઇ શકે છે.

આજની કથાને અહીં વિરામ આપીએ. હવે પછીના લેખમાં શ્રી હનુમાનજીના વિવેકનું એક સુંદર ઉદાહરણ જોઈશું. ત્યારબાદ આ શ્રીરામચરિતમાનસની ચોપાઈઓનો કિષ્કિંધાકાંડના અંતમાં કેવો સુંદર સંયોગ ઉભો થાય છે, તે જોઈ કથામાં આગળ વધીશું.

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

2 COMMENTS

Leave a Reply to Bindu Lakhani Cancel reply

Please enter your comment!
Please enter your name here