Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૮ | રાજિવનયન ધરેં ધનુસાયક | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૮ | રાજિવનયન ધરેં ધનુસાયક | Sundarkand | सुंदरकांड

2
શ્રી સુંદરકાંડ | ભાગ – ૮ | રાજિવનયન ધરેં ધનુસાયક | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની રચના અને ક્રમમાં એક સુંદર સંયોગ ઉભો થયેલો છે. અગાઉ જામવંતજી શ્રીહનુમાનજીને પ્રોત્સાહિત કરવા જે-જે વાત કહે છે, તે બધાના જવાબ, બસ પ્રભુ શ્રીરામનું નામ પડતા જ, પછીની ચોપાઈઓમાં સુવ્યવસ્થિત રીતે આવી જાય છે. આ સંયોગ પણ હોઈ શકે અથવા તો શ્રીતુલસીદાસજીનું કુશાગ્ર બુદ્ધિ ચાતુર્ય પણ હોઈ શકે છે. આપણે આ દરેક ચોપાઈ અને તેના સુંદર જવાબોના સુભગ સંગમને જોઇશુ. તો ચાલો જોઈએ આ સુંદર સંગમ – (૧) અગાઉ શ્રીજામવંતજીએ કહ્યુ હતુ કે, કા ચુપ સાધિ રહેઉ બલવાના અર્થાત તમે ચૂપ કેમ બેઠા છો? તો શ્રીહનુમાનજી ‘સિંહનાદ કરિ બારહિં બારા એટલે કે તેઓ વારંવાર સિંહની જેમ ગર્જના કરે છે એટલે કે તેઓ ચૂપ નથી. (૨) શ્રીજામવંતજીએ એવું કહ્યું કે ‘પવન તનય બલ પવન સમાના’ તમે પવનદેવના પુત્ર છો અને બળમાં પણ પવનના સમાન છો, શ્રીહનુમાનજી કહે છે કે તેથી જ તો હું ‘લીલહિં નાઘઉઁ જલનિધિ ખારા’ આ ખારા સમુદ્રને પળભરમાં ઓળંગી શકુ છું. (૩) અગાઉ જામવંતજી કહે છે, બુધિ બિબેક બિજ્ઞાન નિધાના’; શ્રીહનુમાનજી તેના જવાબમાં કહે છે, આ બળ અને બુદ્ધિથી જ હું ‘સહિત સહાય રાવનહિ મારી’ રાવણને તેના સહાયકો સહિત મારી નાખી શકુ છું. (૪) શ્રીજામવંતજીએ કહ્યું છે, ‘કવન સો કાજ કઠિન જગ માહીં’ દુનિયામાં એવું ક્યું દુર્ગમ કામ છે, જે આપનાથી ન થઈ શકે? ત્યારે શ્રીહનુમાનજી કહે છે ‘આનઉઁ ઇહાઁ ત્રિકૂટ ઉપારી’, મારા માટે કોઈ કામ અઘરું નથી; હું આખા ત્રિકૂટ પર્વતને માતા સીતાજી સહિત ઉખાડીને અહીં લાવી શકું તેમ છું. (૫) જ્યારે શ્રીજામવંતજી કહે છે ‘રામ કાજ લગિ તવ અવતારા’, હે પવનપુત્ર! આપનો તો અવતાર જ પ્રભુ શ્રીરામના કાર્ય માટે થયેલો છે, ત્યારે આટલું સાંભળતા જ ‘સુનતહિં ભયઉ પર્બતાકારા’ શ્રીહનુમાનજી પર્વતાકાર થઈ ગયા. ખરેખર, શ્રીતુલસીદાસજી મહારાજની આ ચોપાઈઓનો ક્રમ અને તેનું અનુસંધાન અજોડ અને અદ્‌ભૂત છે. ઉપર જણાવ્યા મુજબના ચોપાઈઓના સુંદર સંગમને સારી રીતે સમજવા, આપે મારા અગાઉના બધા લેખ જીણવટથી વાંચવા પડશે, તો ખરેખર બહુ જ આનંદ આવશે, તેવું મારું માનવું છે.

હવે કિષ્કિંધાકાંડની આ છેલ્લી ચોપાઈઓની કથામાં થોડા આગળ વધીએ. આગળ માનસકાર શ્રીહનુમાનજીના અતુલ્ય વિવેકનું આલેખન કરતા લખે છે –

જામવંત મૈં પૂઁછઉઁ તોહી । ઉચિત સિખાવનુ દીજહુ મોહી ॥

જ્યારે માણસ આવેગમાં કે આવેશમાં હોય, જ્યારે શરીરમાં વીરરસ ઉત્પન્ન થયેલો હોય, ત્યારે તે સારા-નરસાનો ભેદ જાળવી શકતો નથી કે હિત-અહિત યોગ્ય રીતે નક્કી કરી શકતો નથી. અહીં શ્રીહનુમાનજી પોતે શું-શું કરી શકે તેમ છે? પોતાનામાં કેટલી અપાર શક્તિ છે? તેના વિશે બોલે છે ત્યારે તેઓ પણ આવેશમાં આવી ગયા હોય અને તેથી પોતાના અપાર સામર્થ્યના ગુણગાન ગાવા માંડ્યા હોય તેવું લાગે છે; પરંતુ આપણે અગાઉ જોઈ ગયા તેમ શ્રીહનુમાનજી તો બુધિ બિબેક બિગ્યાન નિધાના છે. પોતે બધી જ રીતે સામર્થ્યવાન હોવા છતાં, સેનાના વરિષ્ઠ સભ્ય એવા શ્રીજામવંતજીને વિવેક કરવાનું ચૂકતા નથી. શ્રીહનુમાનજી શ્રીજામવંતજીને કહે છે, હે જામવંતજી! હું આપને પુછું છું, આપ જ મને યોગ્ય સલાહ આપો કે મારે હવે આગળ શું કરવું જોઈએ?

જ્યારે શ્રીહનુમાનજી જામવંતજીને ઉચિત શિખામણ પુછે છે કે તેણે હવે શું કરવું જોઈએ? ત્યારે શ્રીજામવંતજી કહે છે – “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ” હે તાત! આપ બસ એટલુ કરો કે લંકા જાવ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા આવો અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને પહોંચાડો. તમે પોતાની જે શક્તિનું વર્ણન કર્યું, તે બધુ જ કરી શકવા આપ સમર્થ છો. પરંતુ, હે હનુમાનજી! હાલ આપ આટલું જ કરો.

જ્યારે આપણને નોકરી કે ધંધામાં કોઈ ખાસ કામ માટે નિયુક્ત કરવામાં આવે, ત્યારે કામ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં કરવાનું ખૂબ જ મહત્વ છે. જો અધુરું કામ મૂકીને આવીએ, તેના દરેક પાસાની વિગતે તપાસ કરીને ન આવીએ, તો પણ યોગ્ય પરિણામ ન મળે અને નિશ્ચિત કરેલ ધ્યેય કરતા વધારાનું એવું કંઈક કરીને આવીએ કે પછી આગળના બીજા કામમાં નડે, તો પણ સફળતામાં સાતત્ય ન રહે. તેવી જ રીતે આપ જે હેસિયતથી કોઇ કાર્ય કરવા ગયા હોઇએ, તે દરજ્જો ન દર્શાવીએ, તો સામેવાળા યોગ્ય માન નહિં જાળવે અને ધાર્યું કામ નહીં થાય અને હેસિયતથી વધુ અધિકૃતિ દર્શાવીએ, તો પોતે મુશ્કેલીમાં મૂકાવાનો ચોક્કસ વારો આવે અને/અથવા આ કામ કરવાને બદલે બગાડીને આવીએ. કોઈપણ કામમાં ઈષ્ટતમ ભાગ ભજવવો ઉચિત જાણી, વાનર સેનાના વરિષ્ઠ અને અનુભવી સભ્ય શ્રીજામવંતજી અહીં એવી સલાહ આપે છે કે, આપ ફક્ત માતા સીતાજીની ભાળ મેળવીને પાછા આવી જાવ. પછી શું થશે? તો –  

તબ નિજ ભુજ બલ રાજિવનૈના કૌતુક લાગિ સંગ કપિ સેના ॥

ત્યારબાદ કમળનયન શ્રીરામજી પોતાના બાહુબળથી રાવણનો રાક્ષસકુળ સહિત સંહાર કરશે અને માતા સીતાજીને આદર સાથે લઈ આવશે. આ સમયે તેઓ કૌતુક એટલે કે કેવળ રમત માટે જ વાનરોની સેનાને સાથે લેશે. અહીં શ્રીતુલસીદાસજીએ બહુ જ ઉત્તમ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરેલો છે. નિજ ભુજ બલ અર્થાત પ્રભુ શ્રીરામ પોતે જ રાવણને તેના કુળ સહિત મારવા અને સીતાજીને પાછા લાવવા સમર્થ છે, તેને કોઈની પણ મદદની જરૂર નથી. તેવો સર્વ શક્તિમાન અને સામર્થ્યવાન છે, એવો ભાવ અહીં વર્ણવેલો છે. પછી ગોસ્વામીજી કહે છે, રાજિવનૈના. પ્રભુ શ્રીરામ માટેનું, મારું પ્રિય એવું, એક સુંદર અને અદ્‌ભુત નામ. આ ‘રાજિવનયન’ શબ્દનો અક્ષરસહ અર્થ થાય છે, કમળ જેવા નયનવાળા. સામુદ્રિક શાસ્ત્ર (વ્યક્તિના અંગો, હાવ-ભાવ, હલન-ચલન ઉપરથી તેનું ચરિત્ર, ભવિષ્ય વગેરે જાણવાનું શાસ્ત્ર) મુજબ જેની આંખો કમળ જેવી હોય છે, તેઓ બહુ દયાવાન, બીજાને મદદ કરનારા અને અન્યોના દુ:ખ દુર કરવાવાળા હોય છે. આખા શ્રીરામચરિતમાનસમાં ભગવાનની આંખોનો લગભગ એકસઠ વખત ઉલ્લેખ થયેલ છે. જે પૈકી તેના માટે બાવીસ વખત રાજીવ વિશેષણ વાપરવામાં આવ્યું છે, સોળ વખત કમળ, સરોજ વગેરે સમાનાર્થી શબ્દો વાપરવામાં આવેલા છે, જ્યારે ત્રેવીસ વખત કમળના અર્થ સિવાયના વિશેષણો ઉપયોગમાં લેવામાં આવેલા છે. જ્યાં-જ્યાં રાજીવ વિશેષણ વાપરવામાં આવેલ છે, ત્યાં-ત્યાં પ્રભુની કૃપાદ્રષ્ટિ હોવાનું સૂચિત થાય છે. જેમ કે, “રાજિવનયન ધરેં ધનુસાયક ભગત બિપતિ ભંજન સુખદાયક અને આવી જ બીજી ચોપાઈ જોઇએ તો “દેખી રામ સકલ કપિ સેના ચિતઈ કૃપા કરિ રાજિવનયના .

અત્યારે આપણે જે ચોપાઈ વિશે વાત કરી રહ્યા છીએ એટલે કે, તબ નિજ ભુજ બલ રાજિવનૈના,  આ ચોપાઈમાં પ્રભુ શ્રીરામની પોતાની શક્તિથી જ રાક્ષસોને મારી નાખવાની વાત છે; પરંતુ આશય તો અહીં પણ કૃપાદ્રષ્ટિનો જ છે. આ બધા રાક્ષસોનો સંહાર કરીને તેઓને પરમધામ પ્રદાન કરવાનો ભાવ છે. ચોપાઈના ઉતરાર્ધમાં ‘કૌતુક લાગિ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. અહીં તેનો એક અર્થ એવો પણ કરી શકાય કે જે રાક્ષસોએ દેવતાઓને હેરાન-પરેશાન કરી મુક્યા હતા, દેવતાઓ, નાગ, ગંધર્વો વગેરેને બંદી બનાવીને રાખ્યા હતા, તેવા બળવાન રાક્ષસોને મારવા પ્રભુ વાનરોની સેના લઈને જશે અને તેઓના ગર્વને ચૂર કરી નાખશે. આવું કૌતુક પ્રભુ શ્રીરામ કરવાના હોય, ‘કૌતુક લાગિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો હોય શકે.

આજની કથાને અહીં વિરામ આપીએ. આવતા અંકે કિષ્કિંધાકાંડનો અંતિમ ભાગ છંદ, ચોપાઈ તથા સોરઠાની સંગાથે જોઇશું તથા તેની સાથે કિષ્કિંધાકાંડની અમૂક ગૂઢ વાતો જાણીશું અને તેની પૂર્ણાહુતિ કરીશું.            

સર્વે વાચકોને મારા જય સીયારામ….

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

ખાસ નોંધ: – આધ્યાત્મની દુનિયામાં હું રજ માત્ર છું. ઉકત લેખમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો ચોક્કસ આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને અનુભવો પણ આપ મોકલી શકો છો, જે મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

2 COMMENTS

Leave a Reply to Bindu Lakhani Cancel reply

Please enter your comment!
Please enter your name here