શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૨૭, “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ”માં કમિયાળા ધામની યાત્રા, આપણે સિંહિકા શ્રીહનુમાનજી સાથે શું છળ કરે છે? સુગ્રીવને આ છાયાગ્રહી જીવ સિંહિકા વિશે કઇ રીતે જાણકારી હતી? સો યોજનનો સમુદ્ર પાર કર્યા બાદ શ્રીહનુમાનજીની પરિસ્થિતિ શું હતી? અને પશુ-પક્ષીઓના સમૂહોને જોઇને શ્રીહનુમાનજીના મનમાં કેમ પ્રસન્નતા થઇ? વગેરે કથા જોઇ હતી. આગળ ગોસ્વામીજી લખે છે –
સૈલ બિસાલ દેખિ એક આગે । તા પર ધાઇ ચઢે઼ઉ ભય ત્યાગે ॥
સામે એક વિશાળ પર્વત જોઇને શ્રીહનુમાનજી ભય ત્યાગીને તેના ઉપર દોડીને ચઢી ગયા.
સૈલ એટલે પર્વત. શ્રીમદ્વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે વાનરશિરોમણી શ્રીહનુમાનજી વૃક્ષોથી આચ્છાદિત અને ફૂલોથી ભરેલી વનોની હારમાળામાં વિચરવા લાગ્યા. વનમાં થોડા આગળ વધતા પર્વત દેખાયો. કેવો હતો આ પર્વત? બિસાલ અર્થાત તે એક વિશાળ પર્વત હતો. જેવી રીતે કોઇ વિશિષ્ટ વસ્તુ કે વ્યક્તિના નામ સાથે અંગ્રેજીમાં “THE” વાપરવામાં આવે છે, તેમ અહીં “એક” વાપરવામાં આવ્યુ છે. આવું જ આપણે રાક્ષસીઓના નામ સાથે પણ “એક” વપરાયેલું છે, તેની વિગતો આપણે ભાગ – ૨૫માં અગાઉ જોઇ હતી. આ પર્વત વિશાળ હતો અને કંઇક ખાસ પણ હતો એટલે કે દુર્ગમ પણ હતો. શ્રીહનુમાનજી “તા પર ધાઇ” તેના ઉપર દોડીને ચઢી ગયા. વાનરો દુર્ગમ વિસ્તાર બે રીતે પાર કરતા હોય છે, એક કૂદીને અને બીજુ દોડીને. અહીં શ્રીહનુમાનજી દોડીને તેના ઉપર ચઢી જાય છે.
શ્રીતુલસીદાસજીએ છેલ્લે લખ્યુ છે, “ભય ત્યાગે”. અહીં ભય ત્યાગીને એવું કેમ લખ્યુ છે? તેનો કોઇ સ્પષ્ટ આશય સમજાતો નથી, પરંતુ ઘણા બધા તર્ક કરી શકાય. જેમ કે, પહેલો, સામા કાંઠે જેવો શ્રીહનુમાનજીએ પર્વત ઉપરથી કૂદકો માર્યો કે તે પાતાળમાં ચાલ્યો ગયો હતો. તેમ છતાં અહીં તેનો ભય રાખ્યા વગર કે આ પર્વતનું શું થશે? તેઓ દોડીને તેની ઉપર ચઢી ગયા. બીજો, સમુદ્ર પાર કરતી વખતે રસ્તામાં ઘણાં વિઘ્નો આવ્યા હતા. હવે તો તેઓ આ પાર ઉતરી ગયા છે માટે નવું કોઇ વિઘ્ન આવશે તેવો ભય ત્યાગીને તેઓ દોડીને પર્વત ઉપર ચઢી ગયા, એવું સમજી શકાય. ત્રીજો, લંકાનગરીથી તેઓ ઘણા જ નજીક આવી ગયા હતા. લંકાના સૈનિકો આ વનમાં પહેરો કરતા હોઇ શકે. આવા પહેરાની પણ ચિંતા કર્યા વગર તેઓ દોડીને પર્વત ઉપર ચઢી ગયા, એવો તર્ક પણ કરી શકાય. ચોથો, આ પર્વત સંબંધી બ્રહ્માજીના શ્રાપની પણ એક કથા છે. આ શ્રાપ મુજબ જે કોઇ આ પર્વત ઉપર પગ મૂકે તેનું મસ્તક ફાટી જાય. આવો શ્રાપ હોવા છતાં તેનો ભય ત્યાગીને શ્રીહનુમાનજી દોડીને પર્વત ઉપર ચઢી ગયા. પાંચમો અને છેલ્લો તર્ક જોઇએ તો, પર્વત ઉપર ચઢવાથી લંકાના રક્ષકો તેઓને જોઇ જશે, તેવો ભય ત્યાગીને શ્રીહનુમાનજી દોડીને પર્વત ઉપર ચઢી ગયા.
ગોસ્વામીજીનો ભય ત્યાગીને પર્વત ચડવા માટેનો તર્ક જે પણ હોય, પરંતુ એ બાબત એટલી જ સાચી છે કે, પ્રભુભક્તિ મેળવવા માટે સંસારસાગરના ભયને ત્યાગીને, દોડીને કે કૂદીને જ આગળ વધવુ પડે. એય… ને… આરામથી… ટહેલતા રહીએ તો ભક્તિ ન મળે. ભક્તિ મેળવવા માટેની મનમાં આગ જોઇએ, દ્રઢ નિષ્ચય જોઇએ. આમ, માનસકારે મનમાં કોઇપણ ભય રાખ્યા વગર ભક્તિમાર્ગે આગળ વધવા જણાવ્યું છે, તે તર્ક તો ચોક્કસ બંધ બેસે જ છે. આગળ શ્રીતુલસીદાસજીએ લખ્યુ છે –
ઉમા ન કછુ કપિ કૈ અધિકાઈ । પ્રભુ પ્રતાપ જો કાલહિ ખાઈ ॥
ગિરિ પર ચઢિ઼ લંકા તેહિં દેખી । કહિ ન જાઇ અતિ દુર્ગ બિસેષી ॥
અતિ ઉતંગ જલનિધિ ચહુઁ પાસા । કનક કોટ કર પરમ પ્રકાસા ॥
હે ઉમા! આમાં વાનર શ્રીહનુમાનની કોઇ મોટાઈ નથી. આ બધો તો પ્રભુ શ્રીરામનો પ્રતાપ છે, જે કાળને પણ ગ્રસી જાય છે. પર્વત ઉપર ચઢીને તેઓએ લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, એટલો વિશિષ્ટ છે કે તેનું વર્ણન થઇ શકતુ નથી. તે અત્યંત ઉંચો છે, તેની ચારેય બાજુ સમુદ્ર છે. સોનાના કોટ(વંડા)નો પરમ પ્રકાશ થઇ રહ્યો છે.
અહીં એકવાત એ યાદ કરી લઇએ કે, શ્રીરામચરિતમાનસ એ ભગવાન શંકર માતા પાર્વતીજીને પ્રભુ શ્રીરામની કથા કહે છે, તેવા વાર્તાલાપ સ્વરૂપે છે. અગાઉની ચોપાઇઓમાં ભગવાન શિવજી માતા પાર્વતીજી સામે શ્રીહનુમાનના પરાક્રમનું વર્ણન કરે છે. બીજા કોઇ કવિ હોત અને તેઓ શ્રીહનુમાનજીના સતત વખાણ કર્યે જાત તો ઠિક છે, પરંતુ અહીં તો શિવજી સ્વયં શ્રીહનુમાનજીના રૂપમાં છે. પોતાના મુખે પોતાનાને પોતાના વખાણ કરાય? આત્મશ્લાઘા કરવી એ તો સદ્ગૃહસ્થોમાં નિંદનીય બાબત છે. આમ, શિવજી શ્રીહનુમાનજીની અર્થાત પોતાની પરાક્રમ ગાથામાં થોડા અટકે છે અને કહે છે કે, આમાં કપિરાજ શ્રીહનુમાનજીની કોઇ મોટાઇ નથી. તેઓ જે કંઇ પણ કરે છે તે પ્રભુ શ્રીરામનો જ પ્રતાપ છે. પોતાના મુખે પોતાના વખાણ કરતા પરશુરામજીને બાલકાંડમાં લક્ષ્મણજીએ કટાક્ષમાં કહ્યુ જ હતુ ને કે, “અપને મુઁહ તુમ્હ આપનિ કરની, બાર અનેક ભાઁતિ બહુ બરની”. આમ, અહીં પ્રભુ શ્રીરામની સર્વોપરિતા કાયમી રાખવાનો ગોસ્વામીજીનો ભાવ છે.
‘પ્રભુ પ્રતાપ જો કાલહિ ખાઈ’ આ બધો તો પ્રભુ શ્રીરામનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. આ ચોપાઇ સંદર્ભમાં એક કથા એવી પણ છે કે, ત્રિકૂટા ચલ પર્વતના ત્રણ શીખરો પૈકીના આ એક શીખરની રક્ષાની જવાબદારી રાવણે સ્વયં કાળને સોંપી હતી. આ વાતની શ્રીહનુમાનજીને જાણ હતી, તેમ છતાં કાળનો પણ ભય રાખ્યા વગર તેઓ દોડીને પર્વત ઉપર ચઢી ગયા. જેવા શ્રીહનુમાનજી પર્વત ઉપર ચડ્યા કે કાળનો સામનો થયો. શ્રીહનુમાનજીએ કાળને પકડીને મોઢામાં દાંતથી દબાવ્યો. આમ, કાળને પકડીને દાંતથી દબાવવો એ કંઇ નાની-શુની વાત નથી. આ સંદર્ભમાં અહીં લખવામાં આવ્યુ છે કે, આમાં શ્રીહનુમાનની કોઇ બડાઇ નથી. આ બધો તો પ્રભુ શ્રીરામનો પ્રતાપ છે, જે કાળને પણ ગ્રસી જાય છે. આપણે નિમિત માત્ર હોઇએ છીએ, જે કંઇ પણ બનતુ હોય છે, તે પ્રભુનો પ્રતાપ જ હોય છે. “આ હું કરુ છું”, તેવો ભાવ છોડી દો કારણ કે –
मेरा राम की कृपा से सब काम हो रहा है । मेरा राम की कृपा से सब काम हो रहा है ॥
करते हो मेरे राघव मेरा नाम हो रहा है । करते हो मेरे राघव मेरा नाम हो रहा है ॥
मेरा आपकी कृपा से सब काम हो रहा है ॥
पतवार की बिना ही मेरी नाव चल रही है || पतवार की बिना ही मेरी नाव चल रही है ||
हैरान है जमाना मंजिल भी मिल रही है || हैरान है जमाना मंजिल भी मिल रही है ||
करता नहीं मै कुछ भी, करता नहीं मै कुछ भी, सब काम हो रहा है ||
मेरा राम की कृपा से सब काम हो रहा है ||
तुम साथ हो जो मेरे किस बात की कमी है || तुम साथ हो जो मेरे किस बात की कमी है ||
तेरे सिवा किसी की परवाह भी नही है || तेरे सिवा किसी की परवाह भी नही है ||
तेरी दया से दास अब, तेरी दया से दास अब, मालामॉल हो रहा है ||
मेरा राम की कृपा से सब काम हो रहा है ||
तूफान आंधियो में तुमने ही मुझको थामा || तूफान आंधियो में तुमने ही मुझको थामा ||
तुम कृषण बन कर आये मै जब बना सुदामा|| तुम कृषण बन कर आये मै जब बना सुदामा||
तेरा करम ये मुझ पर, तेरा करम ये मुझ पर, सरेआम हो रहा है ||
मेरा राम की कृपा से सब काम हो रहा है ||
मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ || मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ ||
टूटी हुई वाणी से, गुणगान कैसे गाऊँ || टूटी हुई वाणी से, गुणगान कैसे गाऊँ ||
तेरी ही प्रेरणा से, तेरी ही प्रेरणा से, ये कमाल हो रहा है ||
मेरा राम की कृपा से सब काम हो रहा है ||
करते हो मेरे राघव मेरा नाम हो रहा है । मेरा आपकी कृपा से सब काम हो रहा है ॥
मेरा राम की कृपा से सब काम हो रहा है || मेरा राम की कृपा से सब काम हो रहा है ||
હે મેરે રામ! હે પ્રભુ! આપકી કૃપાસે હી સબ હો રહા હૈં. ‘ગિરિ પર ચઢિ઼’, અહીં પર્વત ઉપર ચઢીને શ્રીહનુમાનજી લંકાનું નિરીક્ષણ કરે છે, અર્થાત આ પર્વત એટલો ઊંચો છે કે તેના ઉપરથી આખી લંકા નગરી જોઇ શકાય છે. કોઇ અજાણ્યા દેશમાં કે અજાણી જગ્યાએ જઇએ તો તેના વિશે અગાઉથી પુરતી માહિતી મેળવી લેવી જોઇએ, તેમાંય શત્રુના દેશમાં જતા હોઇએ ત્યારે તો ખાસ. તે સમયે માહિતી મેળવવાના સંશાધનો મર્યાદિત હતા. સુગ્રીવ અને સંપાતિ પાસેથી જે જાણવા મળ્યુ હતું, તેના આધારે લંકાના દ્વાર સુધી તો પહોંચી ગયા, હવે તેઓ ‘લંકા તેહિં દેખી’ અર્થાત પર્વત ઉપર ચઢીને લંકા નગરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેની રચના વગેરે એટલી વિશિષ્ટ છે કે તેનું વર્ણન થઈ શકતુ નથી.
આગળ માનસકાર લખે છે, ‘અતિ ઉતંગ જલનિધિ ચહુઁ પાસા’. લંકાપુરી ઉંચાઇ ઉપર વસેલી છે. ‘ગિરિ ત્રિકૂટ ઊપર બસ લંકા’ અર્થાત ત્રિકૂટ પર્વત ઉપર લંકા વસેલી છે અને કિલ્લાની ચારેય બાજુ સમુદ્રના રૂપમાં ઊંડી ખાડીઓ છે. ‘કનક કોટ કર પરમ પ્રકાસા’ અર્થાત આખો કિલ્લો સુવર્ણમંડિત હોય, સૂવર્ણના પ્રકાશથી ઝળહળ રહ્યો હતો અને વધુમાં કોટમાં દિવ્ય મણિઓ જડેલા હોય, તેનો પ્રકાશ પરમ હતો, શ્રીતુલસીદાસજીએ કિલ્લાનું ખૂબ જ ટૂંકમાં આવું અદ્ભુત વર્ણન કર્યુ છે. ત્યારબાદ છંદના માધ્યમથી શ્રીતુલસીદાસજી લંકાનું વર્ણન કરે છે. જે આવતા અંકથી જોઇશુ.
સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||