Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૦ | લંકા વર્ણન (ભાગ – ૨) | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૦ | લંકા વર્ણન (ભાગ – ૨) | Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૦ | લંકા વર્ણન (ભાગ – ૨) | Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૦ | લંકા વર્ણન (ભાગ – ૨) | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર અને અલૈકિક કથાના આગળના ભાગ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન – ૧ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-029/)માં ગોસ્વામીજીએ છંદના માધ્યમથી લંકા નગરીનું અદ્‌ભુત વર્ણન કરેલ છે, તેની શરૂઆત કરી હતી. એ જ કથામાં આગળ વધીએ તો –

કહુઁ માલ દેહ બિસાલ સૈલ સમાન અતિ બલ ગર્જહીં

નાના અખારેન્હ ભિરહિં બહુબિધિ એક એકન્હ તર્જહીં

કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુઁ દિસિ રચ્છહીં

કહુઁ મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં ॥

ક્યાંક-ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન પહેલવાનો ગર્જના કરી રહ્યા છે. તેઓ અનેક પ્રકારે એકબીજાની સાથે ભીડાય છે અને એકબીજાને લલકારે પણ છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધાઓ યત્ન કરીને (ઘણી ચોકસાઈથી) નગરની ચારેય દિશાઓમાં બધી બાજુથી રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસો ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓનું ભક્ષણ કરી રહ્યાં છે.

યોદ્ધાઓ તો ઘણા હોય છે, પરંતુ પહેલવાન હજારોમાં કોઇ એક જ હોય છે; જેમ કે સુશીલકુમાર, પ્રિયા મલિક વગેરે. પહેલવાનો બહુ ઓછા હોય બાબાજીએ લખ્યુ છે, ‘કહુઁ’ અર્થાત ક્યાંક-ક્યાંક દેખાતા હતા. ‘માલ દેહ બિસાલ સૈલ સમાન’ પર્વત સમાન શરીરવાળા પહેલવાનો ‘અતિ બલ ગર્જહીં’ અર્થાત બહું ભારે ગર્જનાઓ કરી રહ્યાં છે. ત્યારબાદ બાબાજીને લીખા હૈ, ‘નાના અખારેન્હ’ એટલે કે ચારેય દિશાઓમાં અનેક અખાડાઓ હતા. આ અખાડાઓમાં પહેલવાનો ‘બહુબિધિ’ ઘણી બધી અલગ-અલગ રીતે જેમ કે, દાવ-પેચ કરીને, એકબીજાની સામે ઘુરકીને, એકબીજાને ખીજાઈને ‘તર્જહીં’ અર્થાત એકબીજાનો તિરસ્કાર કરી રહ્યાં છે કે એકબીજાને લલકારી રહ્યાં છે       

આગળ નગરની રક્ષાની વાત કરતા શ્રીગોસ્વામીજી લખે છે કે, ચતુરંગિણી સેના, નિશાચરના જુથો, પહેલવાનો અને યોદ્ધાઓ, આ બધા લંકાનગરીની બધી રીતે અને ચારેય દિશાઓમાં રક્ષા કરી રહ્યાં છે. સામાન્ય પાયદળથી વધુ બળવાન રાક્ષસોના જુથ હોય છે, રાક્ષસોના જુથથી વધુ બળવાન પહેલવાનો હોય છે અને પહેલવાનો ભલે ઓછા હોય પરંતુ તેઓને પણ શુરવીર યોદ્ધાઓ હરાવી શકે છે. ‘કરિ જતન’ એટલે કે યત્ન કરીને, વિવિધ પ્રયત્નો કરીને જેમ કે કોઇ માર્ગમાં કે કોઇ આકાશમાં, કોઇ ગુપ્ત રીતે તો કોઇ પ્રગટ થઈને, તમામ રક્ષકો નગરીની રક્ષામાં તત્પર હતા.

‘કોટિન્હ’ એટલે કે કરોડો. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે કે પૂર્વ દ્વાર ઉપર દસ હજાર યોદ્ધાઓ, દક્ષિણ દ્વાર ઉપર એક લાખ યોદ્ધાઓ, પશ્ચિમ દ્વાર ઉપર દસ લાખ યોદ્ધાઓ અને ઉત્તર દ્વાર ઉપર સો કરોડ યોદ્ધાઓ રક્ષા કાજે નિયુકત કરવામાં આવેલા હતા. જો સંખ્યા લખવામાં આવે તો પ્રમાણના પ્રશ્નો ઉદ્‌ભવે, માટે બાબાજીએ લખી દીધું કે ‘કોટિન્હ’ અર્થાત કરોડો યોદ્ધાઓ લંકાનગરીની રક્ષા કરી રહ્યાં હતા. ‘ચહુઁ દિસિ’ આખા નગરની ચારેય દિશાઓમાં રક્ષા થઈ રહી છે.

આ રાક્ષસો કહુઁ ક્યાંક-ક્યાંક મહિષ એટલે કે ભેંસો, માનુષ – મનુષ્યો, ધેનુ – ગાયો, ખર – ગધેડાઓ, અજ – બકરાઓનું ભક્ષણ કરી રહ્યાં છે. આ રાક્ષસો એટલે કોણ? માથે શિંગળાવાળા, કાળા અને ભયાનક પ્રાણીઓ? નહિ… એક ખ્યાલ મુજબ ખલ. ખ = ખાનાર અને લ = લડનાર કે લડાવનાર. જે ફક્ત ખાવાનું અને બીજા સાથે લડવાનું કે બીજાઓને લડાવવાનું જ જાણે છે, તેવા અકરાંતિયા હોય તેને રાક્ષસ જ કહેવાય. આજે પણ જો આપણી આજુબાજુ આવું કોઇ દેખાય…. તો બસ આપણે મનમાં સમજી લેવાનું. આજના સમયમાં પણ આવા રાક્ષસો સમાજમાં છે જ. ત્યારબાદ આવે છે ભચ્છહીં એટલે કે કાચા ખાઈ રહ્યા હતા. પાડા, માણસો, ગધેડાઓ વગેરેને જીવતા પકડી લાવીને ખાતા હતા. જો મારીને ખાતા હોત, તો ગોસ્વામીજીએ માંસ ખાઈ રહ્યા હતા, તેવું લખ્યુ હોત.

માનસના આ છંદમાં સમાયેલું ગુઢ જીવનદર્શન જોઇએ તો, રાક્ષસ કોને કહેવાય? તે શ્રીતુલસીદાસજીએ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે. ઉક્ત છંદની ચારેય લાઇનના છેલ્લા શબ્દોને ધ્યાનથી નિરખો. ગર્જહીં, તર્જહીં, રચ્છહીં અને ભચ્છહીં. પહેલું છે, ગર્જહીં. ગર્જહીં એટલે કોઇની પણ સામે આત્મશ્લાઘા જ કર્યે રાખે કે પોતાની મોટાઈ જ કર્યે રાખે. જે હંમેશા અહંકારમાં જ રાચે અને જેને અહંકાર સિવાય બીજુ કંઇ જ સુઝે નહિ, તેવી વ્યક્તિ. બીજું છે, તર્જહીં. તર્જહીં એટલે કે તિરસ્કાર કરવો કે અપમાન કરવું. જે બીજાનો તિરસ્કાર જ કરતો રહે. નાના, મોટા, ધર્મ વગેરે કંઇ જ જોયા કે વિચાર્યા વગર સામેવાળાનો તિરસ્કાર કે અપમાન જ કર્યે રાખે, તેવી વ્યક્તિ. ત્રીજું છે, રચ્છહીં. રચ્છહીં એટલે કે રક્ષા કરવી કે ધ્યાન રાખવું. જે પોતાનું અંગત જ ધ્યાન રાખે, બીજાની સામે જોવે પણ નહિ. જે ફક્ત પોતાની અંગત સંપતિ, વૈભવ કે સ્વાર્થનું જ રક્ષણ કરે, તેવી વ્યક્તિ. ચોથું છે, ભચ્છહીં. ભચ્છહીં એટલે કે ભક્ષણ કરવું, આરોગવું નહિ હો!!! જે વ્યક્તિ જે-તે, જેવું-તેવું અને જેનું-તેનું કંઇપણ ખાધે જ રાખે, અકરાંતિયાની જેમ કંઇપણ ખા-ખા જ કરે, તેવી વ્યક્તિ. બાબાજી કહે છે, આ ચારેય પ્રકારના લક્ષણો ધરાવતી વ્યક્તિને રાક્ષસ જ ગણી શકાય. આ ચારેય લક્ષણો સાથે ધરાવતો હોય, તે સંપૂર્ણ રીતે રાક્ષસ. જો આ ચારેય પૈકી કોઇ એક કે એકથી વધુ દુર્ગુણો ધરાવતો હોય, તેને રાક્ષસી પ્રકૃતિનો જ ગણી શકાય. આગળ વાત કરી તેમ, રાક્ષસ એટલે ખાસ દેખાવવાળા કોઇ જીવને શોધવાની જરૂર નથી, ઉકત ગુણો જ રાક્ષસી પ્રકૃતિનું પ્રતિક છે.    

એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી

રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥

શ્રીતુલસીદાસજીએ આની(લંકાનગરીના વર્ણનની) કથા એટલા માટે કંઇક ટૂંકમાં જ કહી છે, કારણ કે ચોક્કસ તેઓ બહુ જલ્દી શ્રીરામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમગતિને પામશે.

લંકા નગરીના વર્ણનની કથા શ્રીતુલસીદાસજીએ ટૂંકમાં કહી છે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લંકાનું ઘણું લાંબુ વર્ણન આલેખેલું છે. અહીં કિલ્લો, નગર, ચતુરંગિણી સેના, રાક્ષસોના જુથ, વનની શોભા, સુંદરીઓનું અદ્‌ભુત સૌંદર્ય, પરાક્રમી યોદ્ધાઓ, પહેલવાનોની કસરત, નગરની રક્ષા અને રાક્ષસોનું ભક્ષણ, આ દસેયનું વર્ણન બહું ટૂંકમાં કરવામાં આવેલ છે. કેમ ગોસ્વામીજીએ આટલું ટૂંકમાં વર્ણન કર્યું છે? તો પહેલું કારણ એ છે કે, લંકામાં રાક્ષસીવૃત્તિ વધુ છે અને તેનું બહું વર્ણન કરવું યોગ્ય જણાયું નહિ હોય. બીજું કારણ, આ બધા રાક્ષસો બહું ટૂંક સમયમાં પ્રભુ શ્રીરામના બાણોરૂપી તીર્થમાં શરીર ત્યાગીને પરમગતિ પામવાના છે. ભગવાન શ્રીરામના બાણોથી મૃત્યુ પામી, આ પૃથ્વી છોડી દેવાના હોય, તેનું વધુ વર્ણન શું કરવું?

અહીં એક પ્રશ્ન તરત જ ઉદ્‌ભવે કે ભગવાન શ્રીરામ તો આવશે ત્યારે રાક્ષસોનો વધ કરશે અને પછી તેઓ પરમગતિ પામશે. પરંતુ તેની પહેલા નજીકના સમયમાં, પહેલા તો શ્રીહનુમાનજીના હાથે રાક્ષસોનો વધ થવાનો છે. આ શ્રીહનુમાનજીના હાથે હણાયેલા રાક્ષસોને પરમગતિ પ્રાપ્ત થશે? ચોક્ક્સ થાય જ, કારણ કે આપણે અગાઉ ‘જિમિ અમોઘ રઘુપતિ કર બાના’ ચોપાઈ વિશે આ લેખમાળાના અઢારમાં મણકા અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-018/)માં જોયું હતુ તે મુજબ, ગોસ્વામીજીએ શ્રીહનુમાનજીને પ્રભુ શ્રીરામના અમોઘ બાણની ઉપમા આપી દીધી છે. આમ, શ્રીહનુમાનજીના હાથે જે રાક્ષસોનો વધ થશે, તેઓને પણ પરમગતિ પ્રાપ્ત થવાની જ છે.

આમ, ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજે શ્રીરામચરિતમાનસમાં લંકાનગરીનું છંદના માધ્યમથી ટૂંકમાં વર્ણન કરેલું છે. આખા છંદને યાદ કરી આજની કથાને અહીં વિરામ આપીએ.

:: છંદ ::

કનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના

ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના

ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ ।

બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ

બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહીં

નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં

કહુઁ માલ દેહ બિસાલ સૈલ સમાન અતિબલ ગર્જહીં

નાના અખારેન્હ ભિરહિં બહુબિધિ એક એકન્હ તર્જહીં

કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુઁ દિસિ રચ્છહીં

કહુઁ મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં ॥

એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી

રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥

હે સદ્‌ગુરુ શ્રીવિશ્વંભરદાસજી મહારાજ ! હું સુંદરકાંડ વિશે આ જે કથા લખું છું, તે આપની જ અસીમ કૃપાનો પ્રતાપ છે. મારામાં કોઇ શક્તિ નથી કે મારું એવું કોઇ સામર્થ્ય નથી કે હું સુંદરકાંડ વિશે કંઇપણ લખી શકું. હું સંપૂર્ણ રીતે આપનો આશ્રિત છું અને આપ મારા એકમાત્ર આશ્રય છો. આપની અનુકંપા આ બાળક ઉપર સદાય રાખજો…

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here