Home Literature વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌ | विभीषणजी कृत श्रीहनुमत्स्तोत्रम् | Shree Hanumat Strotram by Vibhishanji

વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌ | विभीषणजी कृत श्रीहनुमत्स्तोत्रम् | Shree Hanumat Strotram by Vibhishanji

3
વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌ | विभीषणजी कृत श्रीहनुमत्स्तोत्रम् | Shree Hanumat Strotram by Vibhishanji
વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌

શ્રી ગણેશાય નમ:

આપને તથા આપના પરિવારને અંજનીનંદન શ્રીહનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌

નમો હનુમતે તુભ્યં નમો મારુતસૂનવે નમ: શ્રીરામભક્તાય શ્યામાસ્યાય ચ તે નમ:

ભાવાર્થ: – હે શ્રીહનુમાનજી! હું આપને નમસ્કાર કરું છું. હે મારુતિનંદન! હું આપને પ્રણામ કરું છું. હે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત! આપનું અભિવાદન કરું છું. જેમનું મુખારવિંદ શ્યામ વર્ણનું છે, તેવા આપને કોટી-કોટી નમસ્કાર કરું છું. (૧)

નમો વાનરવીરાય સુગ્રીવસખ્યકારિણે લંકાવિદાહનાર્થાય હેલાસાગરતારિણે

ભાવાર્થ: – હે પવનપુત્ર! આપ સુગ્રીવજીની ભગવાન શ્રીરામ જોડે મિત્રતા કરાવનાર અને લંકાને બાળીને ભસ્મ કરવાના આશયથી વિશાળ મહાસાગરને રમતમાત્રમાં પાર કરનારા છો, એવા વાનરવીર શ્રીહનુમાનજી હું આપને પ્રણામ કરું છું. (૨)

સીતાશોકવિનાશાય રામમુદ્રાધરાય ચ । રાવણાન્તકુલચ્છેદકારિણે તે નમો નમ:

ભાવાર્થ: – હે મહાવીર હનુમાનજી! આપ માતા સીતાજીના શોકને દુર કરવાવાળા અને પ્રભુ શ્રીરામની મુદ્રિકા ધારણ કરનારા છો. રાવણકુળના વિનાશક એટલે કે રાવણકુળના સંહારના મુખ્ય કારણ એવા ભગવાન શંકરના અગિયારમા રુદ્ર સ્વરૂપ, શ્રીહનુમાનજીને હું કોટી-કોટી વંદન કરું છું. (૩)

મેઘનાદમખધ્વંસકારિણે તે નમો નમ: અશોકવનવિધ્વંસકારિણે ભયહારિણે

ભાવાર્થ: – હે અંજનીનંદન! આપ અશોકવાટિકાનો નાશ કરવાવાળા અને મેઘનાદના યજ્ઞનો પણ વિધ્વંસ કરનારા છો, એવા ભક્તોના તમામ ભય અને સંકટ હરનારા, સંકટમોચન શ્રીહનુમાનજી હું આપને વારંવાર નમસ્કાર કરું છું. (૪)

વાયુપુત્રાય વીરાય આકાશોદરગામિને વનપાલશિરશ્છેદલંકાપ્રાસાદભજ્જિને

ભાવાર્થ: – હે મારુતિનંદન શ્રીહનુમાનજી! આપ વાયુદેવના પુત્ર, શ્રેષ્ઠ વીર, આકાશમાં ગમન કરનારા અને અશોકવાટિકાના રક્ષકોના શિરચ્છેદ કરી લંકાના ઊંચા-ઊંચા મહેલોની અટારીઓને ધરાશાયી કરનારા છો. (૫)

જ્વલત્કનકવર્ણાય દીર્ઘલાંગૂલધારિણે સૌમિત્રિજયદાત્રે ચ રામદૂતાય તે નમ:

ભાવાર્થ: – આપના શરીરની ક્રાંતિ તપતા સોના જેવી છે, આપનું પુંછ લાંબુ છે અને આપ સુમિત્રાનંદન શ્રીલક્ષ્મણજીને વિજય અપાવનારા છો. એવા રામદૂત શ્રીહનુમાનજી હું આપને નમસ્કાર કરું છું. (૬)

અક્ષસ્ય વધકર્ત્રે ચ બ્રહ્મપાશનિવારણે લક્ષ્મણાંગમહાશક્તિઘાતક્ષતવિનાશિને

ભાવાર્થ: – આપ અક્ષકુમારનો વધ કરનારા, બ્રહ્મપાશમાંથી મુક્તી અપાવનારા તથા શ્રીલક્ષ્મણજીના શરીર ઉપર મહાશક્તિથી થયેલા આઘાતનું નિવારણ કરનારા છો. (૭)

રક્ષોઘ્નાય રિપુઘ્નાય ભૂતઘ્નાય ચ તે નમ: ઋક્ષવાનરવીરૌઘપ્રાણદાય નમો નમ:

ભાવાર્થ: – હે હનુમાનજી! આપ રાક્ષસો, શત્રુઓ અને ભૂતોના સંહારક અને રીંછ તથા વાનરવીરોના સમુદાયના જીવનદાતા છો. એવા હે સંકટમોચન શ્રીહનુમાનજી! હું આપને વરંવાર વંદન કરું છું. (૮)

પરસૈન્યબલઘ્નાય શસ્ત્રાસ્ત્રઘ્નાય તે નમ: વિષઘ્નાય દ્વિષઘ્નાય જ્વરઘ્નાય ચ તે નમ:

ભાવાર્થ: – આપ શત્રુઓના અસ્ત્રો-શસ્ત્રોનો નાશ કરનારા અને તેના સેનાબળને મસળી નાખનારા છો, તેવા હે શ્રીહનુમાનજી! હું આપને નમસ્કાર કરું છું. ઝેર, શત્રુઓ અને ત્રિવિધ તાપોનો નાશ કરનારા આપને પ્રણામ કરું છું. (૯)

મહાભયરિપુઘ્નાય ભક્તત્રાણૈકકારિણે પરપ્રેરિતમન્ત્રાણાં યન્ત્રાણાં સ્તમ્ભકારિણે ૧૦

ભાવાર્થ: – આપ મહા ભયંકર શત્રુઓનો નાશ કરનારા, ભક્તોના એકમાત્ર તારણહાર તથા બીજા દ્વારા પ્રેરિત મંત્રો-યંત્રોને અટકાવી દેનારા કે નિષ્ફળ બનાવી દેનારા છો. (૧૦)

પય:પાષાણતરણકારણાય નમો નમ: બાલાર્કમંડલગ્રાસકારિણે ભવતારિણે ૧૧

ભાવાર્થ: – સમુદ્રના જળ ઉપર પથ્થરો અને પહાડોના તરવાના કારણ સ્વરૂપ, બાળપણમાં સુર્યને ગ્રસી જનારા અને ભક્તોને ભવસાગર પાર કરાવવાવાળા આપને હું વારંવાર નમસ્કાર કરું છું. (૧૧)

નખાયુધાય ભીમાય દન્તાયુધધરાય ચરિપુમાયાવિનાશાય રામાજ્ઞાલોકરક્ષિણે ૧૨

ભાવાર્થ: – આપનું સ્વરૂપ વિકરાળ છે. આપ નખ અને દાંતોને હથિયાર તરીકે ધારણ કરનારા છો તથા શત્રુઓની માયાનો નાશ કરનારા અને ભગવાન શ્રીરામની આજ્ઞાથી પ્રજાના પાલનહાર છો. (૧૨)

પ્રતિગ્રામસ્થિતાયાથ રક્ષોભૂતવધાર્થિને કરાલશૈલશસ્ત્રાય દ્રુમશસ્ત્રાય તે નમ: ૧૩

ભાવાર્થ: – રાક્ષસો અને ભૂતોનો વધ કરવો એ આપનું લક્ષ્ય છે, દરેક ગામમાં આપ મૂર્તિરૂપે પ્રતિષ્ઠિત છો એટલે કે દરેક ગામમાં આપનું મંદિર અવશ્ય હોય જ છે. વિશાળ પર્વતો અને વૃક્ષો આપના શસ્ત્રો છે, તેવા હે હનુમાનજી! હું આપને નમસ્કાર કરું છું. (૧૩) 

બાલૈકબ્રહમચર્યાય રુદ્રમૂર્તિધરાય ચ વિહંગમાય સર્વાય વજ્રદેહાય તે નમ: ૧૪

ભાવાર્થ: – આપ એકમાત્ર બાલ-બ્રહ્મચારી, રુદ્રરૂપે અવતરેલા અને ગગનગામી છો. આપનું શરીર વજ્ર સમાન કઠોર છે, આપના આવા તમામ સ્વરૂપોને હું પ્રણામ કરું છું. (૧૪)

કૌપીનવાસસે તુભ્યં રામભક્તિરતાય ચ દક્ષિણાશાભાસ્કરાય શતચન્દ્રોદયાત્મને ૧૫

ભાવાર્થ: – લંગોટ એકમાત્ર આપનું વસ્ત્ર છે, આપ નિરંતર રામભક્તિમાં મગ્ન રહો છો. દક્ષિણ દિશાને પ્રકાશિત કરવા માટે આપ સૂર્ય સમાન છો અને સેંકડો પૂનમના ચંદ્રો જેવી આપના શરીરની ક્રાંતી છે. (૧૫)

કૃત્યાક્ષતવ્યથાઘ્નાય સર્વક્લેશહરાય ચ સ્વામ્યાજ્ઞાપાર્થસંગ્રામસંખ્યે સંજયધારિણે ૧૬

ભાવાર્થ: – આપ તાંત્રિક વિદ્યાઓથી થતા આધાતના દુ:ખોનો નાશ કરનારા, તમામ પ્રકારના કષ્ટોનું નિવારણ કરનારા અને સ્વામીની આજ્ઞાથી પૃથા(કુંતી)પુત્ર અર્જુનને મિત્રતા પ્રદાન કરવાવાળા છો. (૧૬)

ભક્તાન્તદિવ્યવાદેષુ સંગ્રામે જયદાયિને કિલ્‌કિલાબુબુકોચ્ચારઘોરશબ્દકરાય ચ ૧૭

ભાવાર્થ: – આપ ભક્તોને વિવાદ તથા સંગ્રામમાં દિવ્ય વિજય અપાવનારા અને  ‘કિલકિલા’ તથા ‘બુબુક’ના ઉચ્ચારવાળા ભીષણ નાદ કરવાવાળા છો. (૧૭)

(કિલકિલા = યુદ્ધમાં શબ્દ, રાગ અને નગારાનો અવાજ. બુબુક = યુદ્ધના ગંભીર રુદનનો ધ્વનિ)

સર્પાગ્નિવ્યાધિસંસ્તમ્ભકારિણે વનચારિણે સદા વનફલાહારસંતૃપ્તાય વિશેષત: ૧૮

મહાર્ણવશિલાબદ્ધસેતુબન્ધાય તે નમ: (૧૮.૫)

ભાવાર્થ: – આપ નાગ, અગ્નિ અને તમામ વ્યાધિઓને અટકાવી દેનારા, હંમેશા વનમાં રહેનારા તથા ફળોનો આહાર કરીને વિશેષ રીતે સંતુષ્ટ થનારા છો. શીલાઓથી સેતુનું નિર્માણ કરી સમુદ્રને બાંધનારા, હે મહાવીર! હું આપને નમસ્કાર કરું છું. (૧૮-૧૮.૫)

વાદે વિવાદે સંગ્રામે ભયે ઘોરે મહાવને ૧૯

સિંહવ્યાઘ્રાદિચૌરેભ્ય: સ્તોત્રપાઠાદ્‌ ભયં ન હિ । (૧૯.૫)

ભાવાર્થ: – આ સ્ત્રોત્રનો પાઠ કરવાથી વાદ-વિવાદ, યુદ્ધ અને ઘોર વનમાં સિંહ-વાઘ વગેરે હિંસક પ્રાણીઓથી તથા ચોરોથી ભય લાગતો નથી. (૧૯ – ૧૯.૫)

દિવ્યે ભૂતભયે વ્યાધૌ વિષે સ્થાવરજંગમે ૨૦

રાજશસ્ત્રભયે ચોગ્રે તથા ગ્રહભયેષુ ચ જલે સર્વે મહાવૃષ્ટૌ દુર્ભિક્ષે પ્રાણસમ્પ્લવે ૨૧

પઠેત્‌ સ્તોત્રં પ્રમુચ્યેત ભયેભ્ય: સર્વતો નર: તસ્ય ક્વાપિ ભયં નાસ્તિ હનુમત્સ્તવપાઠત: ૨૨

ભાવાર્થ: – જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરે છે, તે દૈવિક તથા ભૌતિક ભય, વ્યાધિ, સ્થાવર કે જંગમ સંબંધિ ઝેર, રાજાના શસ્ત્રો, ગ્રહો, જળ, સર્પ, અતિવૃષ્ટિ, દુકાળ તથા પ્રાણસંકટ વગેરે પ્રકારના ભયોથી મુક્ત થઈ જાય છે. આ હનુમત્સ્તોત્ર કરવાથી તેને કોઇપણ પ્રકારનો ભય સતાવતો નથી. (૨૦-૨૨)    

સર્વદા વૈ ત્રિકાલં ચ પઠનીયમિદં સ્તવમ્‌ સર્વાન્‌ કામાનવાપ્નોતિ નાત્ર કાર્યા વિચારણા ૨૩

ભાવાર્થ: – દરરોજ ત્રિકાળ અર્થાત સવારે, બપોરે અને સાંજે આ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. આવું કરવાથી તમામ કામનાઓની પૂર્તિ થાય છે, તેમાં શંકાને કોઇ સ્થાન નથી. (૨૩)

વિભીષણકૃતં સ્તોત્રં તાર્ક્ષ્યેણ સમુદીરિતમ્‌ યે પઠષ્યન્તિ ભક્ત્યા વૈ સિદ્ધયસ્તત્કરે સ્થિતા: ૨૪

ભાવાર્થ: – વિભીષણજી દ્વારા રચિત આ સ્તોત્રનો ગરુડજીએ શ્રદ્ધાપૂર્વક પાઠ કર્યો હતો. જે મનુષ્ય આ પાઠ ભક્તિભાવ પૂર્વક કરશે તેને સર્વે સિદ્ધિઓ સહજ હસ્તગત થઈ જશે.

ઇતિ શ્રીસુદર્શનસંહિતાયાં વિભીષણગરુડસંવાદે વિભીષણકૃતં હનુમત્સ્તોત્રં સમ્પૂર્ણમ

આ રીતે શ્રીસુદર્શન સંહિતા અંતર્ગત વિભીષણ-ગરુડ સંવાદમાં વિભીષણજી દ્વારા રચિત શ્રીહનુમત્સ્તોત્ર પૂર્ણ થયો.

શ્રીહનુમાનજીના જન્મની વિવિધ શાસ્ત્રોમાં વર્ણવેલી રસપ્રદ કથાઓ વાંચવા – રામાયણ – શ્રી હનુમાનજીના જન્મની કથાઓ – ઉપર ક્લિક કરો.

આજ રોજ તા. ૧૬.૦૪.૨૦૨૨ના રોજ રાજયોગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મોરબીના બેલા ગામ પાસે આવેલા તીર્થધામ પૂજ્ય કેશવાનંદજી બાપુની તપોભૂમિ એવા ‘ખોખરા હનુમાનજી ધામ’ ખાતે ગુજરાતના ગૌરવ સમી ૧૦૮ ફૂટ ઉંચી શ્રીહનુમાનજીની પ્રતિમાનું શ્રીહનુમાન જન્મોત્સવના પાવન અવસરે અનાવરણ કરવામાં આવ્યું છે. દેશના ચારેય ખૂણે શ્રીહનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવાના પ્રોજેક્ટના ભાગરુપે વર્ષ – ૨૦૧૦માં શિમલા ખાતે પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના ભાગરૂપે આ બીજી પ્રતિમા છે સ્થાપિત કરવામાં આવી. આ મૂર્તિમાં ૭ લાખ જેટલી રામનામ લખેલી ચિઠ્ઠીઓ મૂકવામાં આવેલી છે. ત્રીજી પ્રતિમા રામેશ્વરમ્‌ ખાતે સ્થાપિત કરવામાં આવી રહેલ છે, જેનું નિર્માણ કાર્ય શરુ થઈ ગયું છે અને ચોથી પ્રતિમા પશ્ચિમ બંગાળમાં પ્રસ્થાપિત કરવાનું આયોજન છે.

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

3 COMMENTS

  1. Jay shree ram, પ્રતિ પર્વ રસ વર્ધનમ,,દરેક નવો લેખ વિશેષ માણવા જેવો

Leave a Reply to Uday Bhayani Cancel reply

Please enter your comment!
Please enter your name here