Home Contemporary યે દિન ભી ચલા જાયેગા…

યે દિન ભી ચલા જાયેગા…

12
યે દિન ભી ચલા જાયેગા…

આ નાનકડી વાર્તાથી આપણે મોટાભાગે પરિચિત જ છીએ કે જેમાં, એક રાજા હોય છે. તે બધી જ રીતે સુખી હોય છે. તેના રાજ્યમાં ખૂબ જ સુખ-શાંતિ હોય છે. તેની પ્રજા સર્વ રીતે સુખી હોય છે. આ રાજ્યમાં એક દિવસ એક સંત આવે છે. કોઈએ રાજાને મેસેજ આપ્યો કે, આ સંત ખૂબ જ તપસ્વી અને ત્રિકાળ જ્ઞાની છે. રાજા પણ સંતોનો ખૂબ જ આદર કરતો હતો. તે સંતના દર્શન કરવા ગયો. સંતે તેને બે પડીકી આપી અને કહ્યું કે, જ્યારે તને એવું લાગે કે દુનિયામાં હું સૌથી સુખી છું ત્યારે આ પહેલી પડીકી ખોલજે અને જ્યારે તને એવું લાગે કે હું આ દુનિયામાં સૌથી વધુ દુઃખી છું ત્યારે આ બીજી પડીકી ખોલજે. રાજા આ બંને પડીકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને તેણે વિચાર્યું કે, અત્યારનો સમય જ શ્રેષ્ઠ છે કે જ્યારે અંગત રીતે, રાજપાટમાં બધી રીતે હું સુખી છું. તેણે પહેલી પડીકી ખોલી અને એ પડીકીની અંદર એવું લખેલું હતું કે “યે દિન ચલા જાયેગા”. રાજા વિચારમાં પડ્યો કે એવું થોડું હોય? પરંતુ તેને બીજી પડીકી પોતાની પાસે સાચવીને રાખી. થોડા વર્ષો બાદ ધીમે-ધીમે રાજ્યની આવક ઓછી થવા માંડી, રાજ્યમાં અંદર ખટ-પટ થવા લાગી, આજુ-બાજુના રાજ્યોવાળા ચડાઈ કરવા લાગ્યા અને રાજ્યની શક્તિ નબળી પડવા લાગી. એક વખત શક્તિશાળી પાડોશી રાજય આક્રમણ કરતા રાજાનો પરાજય થયો અને રાજા જીવ બચાવી ત્યાંથી નીકળી ગયો. આજે તેની પાસે કંઈ જ ન હતું. ના ખાવા-પીવા કંઈ હતું, ના પોતાના કુટુંબીજનો હતા કે ના રાજ્ય હતું. રાજાને થયું કે મારી જિંદગીનો આ સૌથી દુઃખી દિવસ છે. રાજાને આ સમયે સંતે આપેલી પડીકી યાદ આવી કે તેનાથે કંઈ મદદ થાય કે ફાયદો મળે. રાજાએ પડીકી ખોલી તો અંદર લખેલું હતું કે, “યે દિન ભી ચલા જાયેગા”. રાજાને હવે સમજાયું કે કોઈપણ દિવસ કાયમ માટે રહેતો નથી.

મને આ વાર્તા આજે એટલે યાદ આવી કે બપોરે મારા ઘરના હિંડોળા ઉપર બેસીને રવિવારનો શાંત સમય માણતો હતો, ત્યારે મારી દીકરી અચાનક દોડતી મારી પાસે આવી અને મને કહેવા લાગી કે, ‘ડેડી, મેં આજે જે જે વાલાને એવી પ્રાર્થના કરી છે કે, આ કોરોના હવે જતો રહે.’ મેં પુછ્યું કેમ બેટા? તો કહે, જુઓને કોરોનાને લીધે નથી આપણે બહાર નીકળી શકતા, નથી કોઈ સગા-વ્હાલાઓ આપણી આવી શકતા, કેટલા બંધઈ ગયા છીએ. મેં કહ્યું કે બેટા આ સમય પણ જતો રહેશે અને ત્યારે મને આ નાનપણમાં સાંભળેલી વાર્તા યાદ આવી ગઈ. મિત્રો, મને એવું લાગે  છે કે કોરોનાના આ કપરા કાળમાંથી આપણે બધા બહુ ઝડપથી બહાર નીકળી જઈશું. મને પાકું યાદ છે કે જ્યારે મેં પહેલી વખત કોરોનાને લઈને નેગેટીવ લેખ લખ્યો હતો, ત્યારે મને જરા પણ ગમ્યું ન હતું અને તેનો ઉલ્લેખ મેં લેખમાં પણ કર્યો હતો. કોરોનાના આ કપરા કાળમાં લાંબા સમય પછી કંઈક પોઝિટીવ લખવાનો વિચાર આવ્યો અને તેનું કારણ મારી દીકરી બની. આ હકારાત્મક બાબતો લખવા પાછળ મારી પાસે થોડા ચોક્કસ કારણો પણ છે જ.

પહેલું, તાજેતરમાં મળેલા સમાચાર મુજબ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલ રસીના પરીક્ષણો સફળ થઈ રહ્યાં છે. આ પરીક્ષણો આખરી તબક્કામાં છે, એટલે કે હવે ટૂંકા સમયમાં આપણને રસી ઉપલબ્ધ થઈ જશે. આખા વિશ્વને જેટલા જથ્થામાં રસીની જરૂરિયાત રહેશે તેટલા મોટા જથ્થામાં ઉત્પાદન માટે વિશ્વમાં બે દેશો સૌથી વધુ સક્ષમ ગણી શકાય એટલે કે ભારત અને ચીન. પશ્ચિમના દેશો આ પરિસ્થિતિમાં ચીનનો વિશ્વાસ કરે તેવી શક્યતા ઓછી છે, માટે આ રસી બનાવવાનો કોન્ટ્રાકટ મોટાભાગે ભારતને મળશે તેવું લાગે છે. વળી, થોડા દિવસ પહેલા માનનીય વડાપ્રધાનશ્રીએ તેમના ભાષણમાં કહ્યું હતું તે મુજબ એક વખત રસી ઉપલબ્ધ થઈ જાય, તો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ પ્રજા સુધી કઈ રીતે રસી પહોંચે તેનું આગોતરું આયોજન કરવામાં આવી રહેલ છે. આ જોતા  2021ની શરૂઆતમાં દેશમાં પ્રથમ રસી ઉપલબ્ધ થાય તેવી શક્યતા કહી શકાય. દેશની સંપૂર્ણ પ્રજાને રસી આપવાનું કામ બહું મોટું છે, પરંતુ, શરૂઆત થઈ જશે.

બીજું, કોરોના વાયરસનો ફેલાવો જે રીતે થઈ રહ્યો છે અને તેની વિવિધ દેશોમાં ફેલાવા રીત ઉપરથી કંઈપણ વિશ્લેષણ કરી અને તારણો કે નિષ્કર્ષ ઉપર આવવું શક્ય લાગતું નથી. શરૂઆતમાં રશિયામાં બહુ જ ઓછા કેસો હતા, પરંતુ ત્યાર બાદ એકાએક કેસોમાં ખૂબ જ વધારો થઈ ગયો. ભારતમાં પણ શરૂઆતનો તબક્કો ખૂબ જ નિયંત્રણ હેઠળ હતો, પરંતુ આજે આપણે વિશ્વમાં અમેરિકા પછી બીજા નંબરે આવી ગયા. એવા પણ ઘણા દેશો છે કે જ્યાં શરૂઆતના તબક્કામાં ખૂબ જ કેસો હતા, જ્યાં આજે ઘણું નિયંત્રણ છે. પરંતુ આવા ફેરફાર પાછળ ચોક્કસ તારણ નીકળી શકતું નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના તજજ્ઞ દ્વારા પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થવા માંડી છે. જે રીતે અને જેટલી ઝડપથી કેસો વધે છે અને જેવી રીતે નિયંત્રણમાં આવી જાય છે, તે જોતા હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થતી જતી હોય તેવું લાગે છે. આપણે અમદાવાદનો જ દાખલો લઈએ કે શરૂઆતમાં જેટલા કેસ આવતા હતા તેની સામે છેલ્લા થોડા સમયમાં કેસોની સંખ્યા ખૂબ જ નિયંત્રણમાં છે. સીધી કે આડકતરી રીતે એ સ્પષ્ટ દર્શાવે છે કે અમદાવાદના લોકોમાં ઘણા અંશે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે અને અન્ય વિસ્તારોમાં, રાજ્યોમાં અને દેશોમાં પણ આ જ પ્રકારે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ જશે અને વાયરસ બિન અસરકારક થઈ જશે. 

ત્રીજું, શરૂઆતના સમયમાં દવાખાનાઓ કે જ્યાં મોટાભાગે મોટી ઉંમરના લોકો સારવાર માટે જતા હતા, ત્યાંથી આ વાઇરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાયો. કારણ કે હોસ્પિટલમાં આવા ચેપી લોકો જાય અને તેનો ચેપ મોટી ઉંમરના લોકોને લાગે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, તેને લીધે આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાયો. સુપરસ્પ્રેડરઓ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી. પરંતુ, લોકડાઉન, સોશીયલ ડિસ્ટન્સીંગ, પર્સનલ હાઇજીન એટલે કે હાથ ધોવા અને માસ્ક પહેરવાની બાબતો પર ભાર મૂકવાની સાથે વાયરસ માટે ફેલાવવા માટે મુશ્કેલ વાતાવરણ ઊભું થતું જાય છે. તેનો અર્થ એ થયો કે આ બધા ઉપાયો અસરકારક સાબિત થતા જાય છે અને લોકો પણ તેનાથી ટેવાતા જાય છે. હજુ પણ માસ્ક પહેરવામાં અને સોશીયલ ડિસ્ટન્સીંગ બાબતે આપણે ત્યાં ઘણી બધી નિષ્કાળજી જોવા મળી રહી છે, પરંતુ જે રીતે આ બાબતની જાણકારીનો ફેલાવો, તેના ફાયદા વગેરે વિશે લોકોને માહિતી આપવામાં આવી રહેલ છે અને સરકાર દ્વારા પણ મોટી રકમનો દંડ લેવામાં આવી રહી છે તે જોતા જો આ પગલાઓ ઉપર આવું જ પૂરતું ધ્યાન આપવામાં આવશે, તો કોરોનાથી છુટકારા માટેનું આ એક સબળ કારણ બની રહેશે.

ચોથું, શરૂઆતના સમયમાં કઈ રીતે સારવાર કરવી? ટેસ્ટિંગ કેટલા અને કોના કરવા? ટ્રેસિંગ કેવી રીતે કરવું? પોઝિટિવ દર્દી મળ્યા પછી તેને કઈ રીતે તાત્કાલિક સારવાર આપવી? સારવાર આપવા માટે કયા સાધનો જોઈએ? આ બધી બાબતોથી આપણે અજાણ હતા. પરંતુ આજે છ મહિના જેટલો સમય વિતી જવાથી આપણને હવે એ ખબર છે કે સારવાર કઈ રીતે કરવી? અને તેમાં કયા-કયા સાધનોની આવશ્યકતા રહે છે. આવા સાધનો અને અન્ય સુવિધાઓ પણ ખૂબ સારી રીતે ઉપલબ્ધ થઈ ગયેલ છે. 

પાંચમું, આપણને હવે એ પણ ખબર છે કે ગંભીર રીતે બીમાર હોય તે લોકોની સારવાર કેવી રીતે  કરવી? તેને કઈ દવા આપવી? કઈ દવાની શું અસર થાય છે? પહેલા આપણે વેન્ટિલેટર પર જ વધુ ભાર મૂકતા હતા, પરંતુ આજે આપણને એ ખબર છે કે વેન્ટિલેટર કરતાં પણ વધુ ગંભીર બાબત લોહી ગંઠાઇ જવાની છે અને આ કિસ્સામાં અમુક દવા ખૂબ જ કારગત નીવડી છે અને તેનાથી ગંભીરમાં ગંભીર કેસો સાજા થઈ રહ્યા છે. મોટાભાગના દર્દીઓ કોરોના મુક્ત થઈ રહ્યા છે અને મૃત્યુદર ખૂબ જ નીચો રહેવા પામેલ છે.

મિત્રો, હકારાત્મક વાત કરવાથી કોરોના જતો રહેશે તેવા કોઈ ભ્રમમાં રહેવાનું નથી, પરંતુ તેનાથી ચોક્કસ બચી શકાશે. શિયાળામાં ઘણા લોકોને વાયરસ પોતાની અડફેટમાં લે છે. સામાન્ય રીતે, શરદી અને ફ્લૂના વાયરસ ચરબીયુક્ત હોય છે. વાયરસ ઠંડી અને સુકી પરિસ્થિતિમાં વધુ સમય જીવે છે અને સાર્વત્રિક ગરમ હવા આપણા રક્ષણાત્મક લાળ પટલને સૂકવી નાખે છે. આવા સમયે સેકન્ડ વેવ એટલે કે આ વાયરસ ફરીથી ઉથલો મારશે તેવી પૂરી શક્યતા છે. પરંતુ આપણે થોડું ધ્યાન રાખીશું તો મુશ્કેલી નહીં પડે. એટલે કે આપણને જ્યારે સામાન્ય તાવ શરદી હોય છે, તો આપણે રજા લેવાને બદલે આખો દિવસ કામ કરીએ છીએ. આપણે તેનો ગર્વ લઇએ છીએ અને આપણા સહકાર્યકરો અને બોસ પણ તેને સરાહે છે, પરંતુ સામાન્ય તાવ કે શરડી સાથે કામ કરવું હવે ખતરાથી ખાલી નથી. એક દિવસ ચોક્કસ આરામ કરવો, રજા લેવી, પરંતુ કોઈપણ મેળાવડામાં કે પ્રસંગમાં કે ઓફિસે કે જ્યાં વધુ માણસો ભેગા થતા હોય તેવી કોઈપણ જગ્યાએ જવું યોગ્ય નહી ગણાય. એક ખૂબ જ સારી બાબત કહું તો આ વખતે ઓસ્ટ્રેલિયામાં શિયાળાના સમય એટલે કે જાન્યુઆરીથી જૂનના અંત સુધીમાં ગત વર્ષે 1,30,000થી વધુ તાવ શરદીના કેસો નોંધાયા હતા જે ચાલુ વર્ષે એ જ સમયગાળામાં 21,000 જેટલા ઓછા દર્દીઓ નોંધાયા છે. આનું મુખ્ય કારણ માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સીંગ જણાવાઈ રહ્યું છે.  

તો મિત્રો આશા રાખીએ કે બહુ ઝડપથી આપણને કોરોનાના કહેરમાંથી મુક્તિ મળે અને આપણે પૂર્વવત્ જીવન જીવી શકીએ. ત્યાંસુધી માસ્ક, સોશીયલ ડિસ્ટન્સીંગ અને પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખશું તો કોરોનાથી ચોક્કસ બચી શકીશું. આપણે બીજા પણ ઘણાં અગત્યના કામો કરવાના છે. આજે પણ આપણા દેશમાં કોરોનાને બદલે અન્ય રોગોથી મરતા લોકોની સંખ્યા ઘણી વધુ છે. આપણું અર્થતંત્ર કે જેની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે, તેને પણ પાટા પર લાવવા – પૂર્વવત કરવા અથાક પ્રયત્નો કરવાની આવશ્યકતા છે.

છેલ્લે એક અગત્યની બાબત – જો આપણે કોરોનાને હરાવી શકીશું એટલે કે કોરોનાની રસી મળી જશે તો શ્વસનતંત્રને લગતા ઘણા બધા રોગોમાંથી પણ આપણને મુક્તિ મળવાની શક્યતા છે. એક તજજ્ઞ અભિપ્રાય મુજબ કોરોનાની રસી મળી ગયા બાદ આ જ દિશામાં થઈ રહેલ સંશોધનો મુજબ આવતા એક દાયકામાં પોલિયોની જેમ સામાન્ય તાવ શરદીથી પણ મુક્ત થઈ શકીએ. નાના બાળકોનું સતત વહેતું નાક ભૂતકાળ બની જશે એટલે કે શેડારા બાળકો ભવિષ્યમાં કદાચ ન પણ જોવા મળે….

12 COMMENTS

  1. I like your story of King in relation with Covid-19.
    I fully agree. This time will be also pass.

Leave a Reply to Manoj Pujara Cancel reply

Please enter your comment!
Please enter your name here