શું શિક્ષિત કર્મચારી નગરી (ગાંધીનગર) ખરેખર કેળવણી પામેલ છે?

Posted by

ગાંધીનગર – ગુજરાતનું પાટનગર. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાના ભારતના રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુને અંજલી સ્વરૂપ સુચન પરથી નામાંકિત આ શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ. આ સુ-આયોજિત નગર ઇ.સ. ૧૯૭૧માં ગુજરાતનું સાતમું (૧. આનર્તપુર – વડનગર પાસે આવેલુ, ૨. દ્‌વરાવતી – દ્વારકા, ૩. ગિરિનગર – જુનાગઢ, ૪. વલ્લભી – ભાવનગર, ૫. અણહિલપુર – પાટણ તથા ૬. અમદાવાદ પછી) પાટનગર બન્યુ ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી હિતેન્દ્ર દેસાઇ હતા. વસતી ગણતરી – ૨૦૧૧ મુજબ ૨,૦૬,૧૬૭ની જનસંખ્યા ધરાવતા ગાંધીનગરની આશરે ૯૧% પ્રજા (૯૫.૧૮% પુરુષો અને ૮૬.૫૨% સ્ત્રીઓ) શિક્ષિત છે. જે દેશની સરેરાશ ૭૪.૦૪ અને ગુજરાતની સરેરાશ ૭૮.૦૩ કરતા ઘણી વધુ છે. અહિ, શિક્ષણ એટલે ફક્ત અક્ષરજ્ઞાન નહીં પણ શિક્ષણ એટલે અક્ષયજ્ઞાન જે માનવજીવનને સંસ્કારે છે. ગાંધીનગરમાં અધિકારી/કર્મચારીઓના રૂપમાં આટલો મોટો શિક્ષિત વર્ગ હોવા છતાં અમૂક અ-સંસ્કૃત હરકતો ખરેખર અચરજ પમાડે તેવી છે.

1.ચીફ આર્કિટેક શ્રી એચ. કે. મેવાડા અને તેમના સહયોગી શ્રી પ્રકાશ એમ. આપ્ટે દ્વારા સુ-વ્યવસ્થિત રચાયેલા ગાંધીનગરના દરેક સેક્ટરની આંતરિક અને બાહ્ય રચનાનુસાર ચાર રસ્તાઓના સર્કલનું નિર્માણ થાય છે. સેક્ટરના આવા આંતરિક રસ્તાઓ ઉપરથી પસાર થઇએ તો ઠેર-ઠેર વિવિધ વિધિઓ કરી તેની જાત-જાતની અને ભાત-ભાતની વસ્તુઓ આવા ચાર રસ્તાઓ ઉપર મુકેલી જોવા મળે છે. શું આ શિક્ષિત સમાજ/પ્રજા પાસે એટલી અપેક્ષા ન રાખીએ શકાય કે આ વસ્તુઓ અંધશ્રધ્ધાથી પ્રેરાઇ બગાડવા કરતા જરૂરીયાતમંદોને પહોચે તો વધુ ઉચિત રહે?

2.ગાંધીનગરની સ્થાપનાને પાંચ દાયકાથી વધુ સમય થયા બાદ નવમી વાયબ્રંટ સમિત – ૨૦૧૯ના અરસામાં ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા જે હજુ પૂર્ણ રીતે કાર્યરત થઇ રહેલ છે. ગાંધીનગરના રસ્તાઓ ખૂબ જ સુંદર અને પહોળા (બન્ને બાજુ ત્રણ-ત્રણ લેનવાળા) છે પરંતુ જ્યારે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ ચાલુ હોય અને વાહનોએ થોભવાનું હોય ત્યારે કહેવાતા ભણેલા-ગણેલા લોકો પૈકી કેટલાક હજુ ટ્રાફિક સિગ્નલની લાઇટ જોવા જ ટેવાયેલા નથી અને અમૂક સાક્ષરો ડાબીબાજુ વળનારા વાહનો માટે ખાલી રાખવાની ત્રીજી લેન રોકી ઉભા રહી જાય છે જેથી બધો ટ્રાફિક જામ થઇ જાય છે અને લીલી લાઇટ શરૂ થયા બાદ જ ત્રીજી લેનના વાહનો પણ નીકળી શકે છે. આ ખરેખર અચરજ પમાડે તેવી જ નહિ પણ હાસ્યાસ્પદ બાબત પણ છે. આ બાબતે તાલીમ પણ કેમ આપવી કે જેના નિયમો વાંચી, તેની પરીક્ષા પાસ કરી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવેલું હોય છે?  દંડ એ જ ઉપાય…

3.જાહેર સ્થળોએ થૂંકવું એ ખરેખર ધૃણાસ્પદ અનેનિંદનીય બાબત છે. ગાંધીનગરની સરકારી કચેરીઓ કે જ્યાં મોટાભાગે ભણેલા લોકો જ આવે-જાય છે ત્યાં સીડી ઉપર કે લિફ્ટમાં પાનની પીચકારી મારેલી અવશ્ય જોવા મળશે અને હા, “અહિં થૂંકવાની મનાઈ છે” તેવી સુચનાની આસપાસ તો અચૂક. વળી અમૂક સાક્ષરો બહાર પીચકારી ન મારતા કચરાપેટી (કચરો નાંખવાની પેટી)માં થૂંકે છે કે જે કચરાપેટી કોઇ હાથથી સાફ કરે છે. કોઇ ઉપાય છે, આ માનસિકતાનો????

4.ગાંધીનગરમાં મોટાભાગે સરકારી કર્મચારી/અધિકારીઓ રહે છે, તેઓ પોતાની કામગીરીના ભાગરૂપે અરજદારો લાઇનમાં ઉભા રહી, શાંતિ જાળવી સહકાર આપે તેવી અપેક્ષા રાખે છે જે વાજબી પણ છે. પરંતુ આ પૈકી અમૂક કર્મચારી/અધિકારીઓ જ્યારે પોતે અરજદાર તરીકે અન્ય કોઇ કચેરીમાં જાય ત્યારે લાઇનમાં ઉભા રહેવાનું કે રાહ જોવાનું ડહાપણ દાખવી શકતા નથી. છે ને મજાની કેળવણી પામેલ પ્રજા?

આ તો ફક્ત જૂજ ઉદાહરણો જ છે… મિત્રો બ્લોગ વાંચી આપની કોમેન્ટ આપવાનું ભૂલશો નહિ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *