Sundarkand-021

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: | Sundarkand | सुंदरकांड

Posted by

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

અગાઉના લેખ ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-020/ )માં આપણે દેવતાઓએ પવનપુત્ર શ્રીહનુમાનજીને મૈનાક સાથે વાર્તાલાપ કર્યા બાદ આગળ જતાં જોયા અને બધાએ સાથે મળી તેઓની વિશિષ્ટ બળ-બુદ્ધિની કસોટી લેવાનું નક્કી કર્યુ. આજની કથામાં આપણે દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? અને શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? તેની વિગતો જોઇશુ.

દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો હશે? તેના વિવિધ કારણો જોઇએ તો, પહેલું તો ‘પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક બિગ્યાન નિધાના ચોપાઈમાં ભાગ – ૪માં ( http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-004/ ) જામવંતજીના મુખે આપણે સાંભળી ચુક્યા છીએ કે તેઓ બળ, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનનો ભંડાર છે. બીજું, દેવતાઓ જ્યારે શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનું વિચારે છે, ત્યારે જ મૈનાકને સ્પર્શ કરી તેનું માન જાળવવાનું અને પ્રભુકાર્યમાં વિલંબ ન થાય, આ બન્નેના સુંદર સંયોજનમાં શ્રીઅંજનીનંદનની કુશાગ્ર બુદ્ધિનું તાદર્શ ઉદાહરણ સામે જ હતું. ત્રીજું, શ્રીહનુમાનજીના બાળપણના પરાક્રમ જેવા કે સૂર્યને ગ્રસી જવો, ઇન્દ્રના વજ્રનો ઘાવ સહી જવો વગેરે સર્વવિદિત જ છે, પરંતુ જ્ઞાન અને શક્તિઓની વિસ્મૃતિના શ્રાપવશ યુવાવસ્થામાં આવું કોઇ પરાક્રમ જોવા મળ્યુ ન હતું. ચોથું, જામવંતજીએ તાજેતરમાં જ મહાબલી શ્રીહનુમાનજીને તેઓના અપાર બળને યાદ કરાવેલું હતું. આ બધી બાબતો ધ્યાને લઇ, દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો હશે. આ ઉપરાંત, રણકર્કશ શ્રીહનુમાનજી લંકામાં એટલે કે એવી જગ્યાએ જઇ રહ્યા હતા, જ્યાં રાવણ-મેઘનાદ એવા મહાન યોદ્ધાઓ સામે જવાનું હતું, જેઓએ દેવો, ગંધર્વો, ગ્રહો, નાગો વગેરેને પણ જીતીને બંદી બનાવી રાખેલા. આવા મહાન યોદ્ધાઓનો સામનો કરવાનો હોય વિશિષ્ઠ બળ-બુદ્ધિની આવશ્યકતા રહે. આવા વિવિધ કારણોસર દેવતાઓને બુદ્ધિમાનોમાં અગ્રગણ્ય એવા શ્રીહનુમાનજીના વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો હશે.

સુરસા નામ અહિન્હ કૈ માતા દેવોએ શ્રીહનુમાનજીની પરીક્ષા કરવા કોને પસંદ કર્યા? સૂર્યસંકાશાં સુરસાં નાગમાતરમ્‌ સૂર્ય જેવા તેજસ્વીની નાગમાતા સુરસાને પસંદ કર્યા. દેવતાઓએ શ્રીહનુમાનજીના પરીક્ષા કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કર્યા હશે? તેના પણ વિવિધ તર્કો જોઇએ તો –

(૧) દેવતાઓને મનમાં ભય હશે કે કદાચ અમારામાંથી કોઇ પરીક્ષા લેવા જાય અને કંઇ ભૂલ થઈ જાય, તો શ્રીહનુમાનજી મૃત્યુદંડ આપે. આમ, શ્રીહનુમાનજીના કોપથી બચવા સુરસાને મોકલી હોઇ શકે.

(૨) જેઓએ દેવો, ગંધર્વો, નાગો વગેરેને જીતીને બંદી બનાવી રાખેલા હોય, તેવા મહાન રાક્ષસ યોદ્ધાઓની વચ્ચે જવું હોય, તો તેઓના બળ અને માયાવીપણાને અનુરૂપ પરીક્ષા થવી જોઇએ. નાગમાતા સુરસા રાક્ષસોની જેમ બળવાન અને માયાવી બન્ને હતા. તેથી મોકટેસ્ટ કે પ્રેક્ટીસ મેચ માટે નાગમાતા સુરસાની પસંદગી કરવામાં આવેલ હોઇ શકે.

(૩) જાત પવનસુત દેવન્હ દેખા અને સુરસા નામ અહિન્હ કૈ માતા ચોપાઇઓમાં પવનસુત એટલે કે પવનપુત્ર અને અહિન્હ કૈ માતા એટલે કે નાગોની માતા, આવું સંયોજન પ્રયોજવામાં આવેલ છે. અખાના છપ્પાઓમાં એવું કહેવાયુ છે કે, સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર’. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સાપનો ખોરાક હવા છે, તેવું માનવામાં આવે છે. અહીં નાગ હવા ખાઇને જીવતા હોય તેવી માન્યતાના આધારે કે નાગમાતા સુરસા  પવન(હવા)પુત્રને ગ્રસી શકે તેટલી યોગ્યતા ધરાવતી હોય, તો જ યોગ્ય પરીક્ષા પણ લઇ શકે.

(૪) શ્રીહનુમાનજી બાલ-બ્રહ્મચારી છે, માટે પણ તેની પરીક્ષા લેવા એક સ્ત્રીને મોકલવામાં આવી હોઇ શકે.

(૫) ફક્ત મનુષ્યજાત(બધાને એકસમાન લાગુ ન પડે)માં જ અઘરા કામમાં અન્યને આગળ ધરી દેવાની, ઊંટીયું બનાવવાની, કપટી ભાવના હોય છે, તેવું નથી. મેં તો એવું સાંભળ્યું છે કે દેવતાઓ તો વધુ સ્વાર્થી હોય છે. આમ, પોતાના સ્વાર્થ ખાતર પણ દેવતાઓએ જાતે સામે આવવાને બદલે સુરસાને મોકલી હોઇ શકે.

(૬) સ્ત્રી અવધ્ય ગણાય છે. તેનું ઉદાહરણ લઈએ તો વાલિ વધ બાદ સુગ્રીવનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રાજ્યસુખ મળતા સુગ્રીવ શ્રીરામને આપેલ વચન વિસરી જાય છે, ત્યારે શ્રીલક્ષ્મણજી ગુસ્સે થઇને કિષ્કિંધા નગરીમાં આવે છે. શ્રીલક્ષ્મણજીના કોપથી નગરીમાં ખળભળાટ મચી જાય છે. આ સમયે સુગ્રીવ કહે છે કે, સુનુ હનુમંત સંગ લૈ તારા હે હનુમાન! આપ તારાને સાથે લઇને જાવ. તારાના મૃદુ વચનોથી શ્રીલક્ષ્મણજી શાંત થઇ જાય છે. અહીં પણ દેવતાઓ પોતાના કાર્ય માટે એક સ્ત્રીની પસંદગી કરી છે, જેથી કાર્ય શાંતિપૂર્વક પૂર્ણ થાય. સ્ત્રીઓને અબળા સમજનારાઓ પણ અહીં તેની શક્તિને સમજી લેવાની ખાસ જરૂર છે.

(૭) હું નાનો હતો ત્યારે મેં બે વાતો સાંભળેલી છે. એક, વિંછણ તેના બચ્ચાઓને જન્મ આપે, પછી તેના એ જ બચ્ચાઓ પોતાની ભૂખ મિટાવવા પોતાની માતાનું લોહી ચુસી જાય છે અને બીજી, નાગણ ઇંડા મૂકે પછી તેને ભૂખ લાગે અને બીજું કંઇ ખાવાનું ન મળે, તો પોતાના ઇંડાઓ ખાઇ જાય છે. આમ, નાગમાતાને ક્રુર અને તમોગુણી માનવામાં આવે છે. કમાન્ડોને બ્લેકબેલ્ટ આપવાની પરીક્ષા લેવી હોય, તો પરીક્ષક પણ સામે તેવા જ હોવા આવશ્યક છે. આમ, યોગ્ય પરીક્ષા થઇ શકે તેવા ભાવ સાથે સુરસાને મોકલવામાં આવ્યા હોઇ શકે છે.

આગળ જોઇએ તો – પઠઇન્હિ આઈ કહી તેહિં બાતા, અહીં પઠઇન્હિ એટલે કે મોકલવામાં આવ્યા છે. દેવતાઓએ નાગમાતાને શ્રીહનુમાનજીએ મહેન્દ્રાચલ ઉપરથી છલાંગ મારી અને મૈનાક જોડે વાર્તાલાપ થયો તે દરમ્યાન જ તેઓના વિશિષ્ઠ બળ-બુદ્ધિની પરીક્ષા કરવા મોકલી દીધા હતા. જેવા મૈનાક પાસેથી શ્રીહનુમાનજી મુક્ત થઇ આગળ વધ્યા કે તરત જ સુરસા આઈ સામે આવી ગયા. પવનપુત્ર શ્રીહનુમાનજીની ગતિ એટલી તેજ હતી કે જો સહેજ પણ રાહ જોવામાં આવે, તો તેઓ સમુદ્ર પાર થઇ જાય. વળી, ભક્તિની શોધમાં માયા, વિઘ્ન કે એક પરીક્ષામાંથી છૂટો એટલે બીજી તૈયાર જ હોય, માટે ભકતએ સતત સતર્ક રહેવું પડે. સુરસા આવીને શું કરે છે? કહી તેહિં બાતા તેણી પરીક્ષા લેવાના આશયથી આવી છે, માટે આવીને સીધી ખાવા નથી દોડતી, વાર્તાલાપ શરૂ કરે છે. ખાવા આવી હોય તો પણ શું ખાઇ શકે ખરી? બજરંગ બલી તુરંત જ રામ રમાડી દે. કોઇની પરીક્ષા કરવી હોય કે ભેદ પામવો હોય, તો તેની જોડે વાતચીત કરવી પડે, તેને સમજવું પડે. અહીં સુરસાનો આશય શ્રીઅંજનેયની પરીક્ષા કરવાનો હતો, તેની સાથે યુદ્ધ કરવાનો નહી. આમ, તેણીએ આવીને વાતચીત કરવાનું શરૂ કર્યું. ક્યા કહા?

આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા સુનત બચન કહ પવનકુમારા

સુરસાએ કહ્યું કે આજે દેવોએ મને આપના સ્વરૂપે ભોજન આપ્યું છે. આ વચનો સાંભળીને પવનકુમાર શ્રીહનુમાનજીએ કહ્યું –

દેવતાઓએ સુરસાને શ્રીહનુમાનજીની પરીક્ષા કરવા મોકલ્યા હતા. તેણીએ વાતની શરૂઆત જ દેવોએ તમને મારા આહાર તરીકે આપી દીધા છે, તેનાથી કરી. તેણીએ કહ્યું, અહં ત્વાં ભક્ષયિષ્યામિ પ્રવિશદં મમાનનમ્‌ અર્થાત હું તમને ખાઇ જઇશ, તમે મારા મોઢામાં ચાલ્યા આવો. અહીંયા પહેલા તો આવું યુક્તિપૂર્વકનું જુઠ બોલી, સુરસાએ યુદ્ધની કે અથડામણની સંભાવના ટાળી દીધી. બીજું, એવું કહેવાય છે ને કે, Everything is fair in love and war. તેવી રીત શાસ્ત્રોક્ત રીતે પણ પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર્મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી. નાટકનું પાત્ર ભજવતા હોઇએ અને તેની સ્ક્રીપ્ટની માંગ મુજબ જુઠુ બોલવાનું થાય તેમાં બાધ હોતો નથી.

આજુ મતલબ આજે તથા સુરન્હ એટલે કે દેવતાઓ. પછી લખ્યુ છે અહારા. કોઇને કંઇપણ વસ્તુ આપવી હોય, તો પાત્રતા ચકાસવી પડે, વસ્તુ માટે વ્યક્તિની અને વ્યક્તિ માટે વસ્તુની. પરંતુ આહાર એટલે કે ભોજન આપવામાં કોઇ વિચાર કરવાનો હોતો નથી. આંગણે કોઇપણ અતિથિ આવે તેને ભોજન આપી શકાય, આપવું જ જોઇએ. અતિથિ હંમેશને માટે પૂજનીય હોય છે, આપણા શાસ્ત્રોમાં પણ લખ્યુ જ છે કે ‘અતિથિ દેવો ભવ:’.

હમણાં આપણે જોયુ કે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી તેમાં પાપ નથી લાગતું. પરંતુ સુરસા શ્રીહનુમાનજી સામે પહેલા જુઠુ કેમ બોલ્યા અને હરિભક્તનો સ્વભાવ કેવો હોય? તે બાબતે આગળની કથામાં જોઇશું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.

ગયા અંકનો પ્રશ્ન – અશોક વાટિકાનું બીજું નામ શું હતું? – પ્રમદાવન.

આ અંકનો પ્રશ્ન – મહર્ષિ વાલ્મીકિનું બાળપણનું નામ શું હતું?

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી||

શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *