Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે… । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે… । Sundarkand | सुंदरकांड

2
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે… । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે... । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

આજનો લેખ મારી લાડલી દિકરીને સમર્પિત…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “ચાર મિલે ચોસઠ ખિલે”, ભાગ – ૪૯ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-049/)માં રામભક્ત રામકથા સાંભળે કે વાંચે અને બે રામભક્તો મળે એટલે તેઓ આનંદવિભોર થઈ જાય અને બન્નેના શરીર પુલકિત થઈ જાય; આ બાબત ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ મારફતે જોઈ હતી. ત્યારબાદ વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે અનેઆ જ ઉદાહરણ આપવા પાછળના તર્કો સુધીની કથા જોઇ હતી. આ વિવિધ તર્કોના પરિપ્રેક્ષ્યમાં એક વાતથી આજની કથાની સુંદર શરૂઆત કરીએ.

આ વાત ૧૭.૦૨.૨૦૨૨ના રોજની સત્યઘટના છે અને મારી અંગત લાગણીઓ સાથે જોડાયેલી પણ છે. તે દિવસે સવારે હું મારી દિકરીને સ્કૂલે મુકવા ગયો હતો. તે દિવસની પરિસ્થિતિ અન્ય દિવસો કરતા અલગ હતી. આ વાતને થોડી વિગતે સમજીએ તો, કોરોનાકાળમાં સ્કૂલો બંધ થઈ તે પહેલા તેણી બાલમંદિરમાં હતી. તેણીને બાલમંદિરે મુકવા જઇએ એટલે પરિચર (એટેન્ડન્ટ) તેને લઇને (રીસીવ કરીને) છેક વર્ગખંડ સુધી લઈ જાય. કોરોનાકાળ દરમ્યાન જ પહેલા ધોરણમાં દાખલ કરી. ભણવાનું ઘરેથી ઓનલાઈન જ હતું. પહેલું ધોરણ તો ઓનલાઈન જ પુરુ થઈ ગયું. દોઢેક વર્ષના લાંબાગાળા બાદ, બીજું ધોરણ પણ અડધુ પુરુ થઈ ગયા પછી, એકાંતરા ઓફલાઈન શાળા શરૂ થઈ. નાના બાળકો માટે શાળાએ જવાનો પ્રથમ જ અનુભવ હોય, શાળા સંચાલકો થોડા ઉદાર હતા અને વાલીઓ પોતાના બાળકોને તેઓના વર્ગખંડ સુધી મુકવા જતા હતા. મારું પણ આવુ જ હતું.

ત્રીજી લહેર આવી ગઈ, ફરી શાળાઓ બંધ થઇ ગઇ, પરંતુ હરિકૃપાથી આ લહેર હળવી રહી અને એકાદ મહિનાના ટૂંકાગાળામાં શાળાઓ ફરી શરૂ પણ થઇ ગઇ. શાળાના સુચારુ વ્યવસ્થાપના ભાગરૂપે આ વખતે વાલીઓને વર્ગખંડ સુધી મુકવા જવાની મનાઇ હતી. શાળાના મુખ્ય દરવાજે જ બાળકને છોડવાનું ફરજીયાત કરવામાં આવ્યું. આજે મારી દિકરીને શાળાના મુખ્ય દરવાજા પાસે ઉતારી. તેણીનો અહીંથી પોતાના વર્ગખંડ સુધી એકલા જવાનો પ્રથમ દિવસ હતો. તેણીનો આત્મવિશ્વાસ તો બુલંદ હતો અને ઉત્સાહ પણ ખૂબ જ હતો, પરંતુ બાપનું હૃદય ને? હું મુખ્ય દરવાજે ઉભો રહી તેણીને જતી જોઇ રહ્યો હતો. તે પોતાની મસ્તીમાં મસ્ત જઇ હતી અને સામેથી એક ગાડી આવી રહી હતી. તેની મસ્તીમાંથી સજાગ થઇ, તે સહેજ બાજુમાં જતી રહી. ગાડી નિકળી ગઇ એટલે ફરી એજ મસ્તીમાં આગળ વધી ગઇ.

તેણી દેખાતી બંધ થઇ એટલે હું સ્કુટર લઇ ઘરે આવવા નિકળ્યો. રસ્તામાં મન વિચારોના ચકડોળે ચડ્યુ. ઘરે આવીને શ્રીસુંદરકાંડ વિશે લખવા બેઠો. જીંદગીની ખરી વાસ્તવિકતા અને વિભીષણજીના આ લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ તેઓ રહે છે, એ ઉદાહરણ; આ બન્નેને એકદમ સરળ અને સુંદર રીતે સમજાવતી ઘટના. આ જીવનના પથ ઉપર જીવે એકલું જ ચાલવાનું છે. પોતાની મસ્તીમાં અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાના દ્રઢ નિર્ધાર સાથે ઉત્સાહથી ચાલવાનું છે. ભક્તિના પથ ઉપર જતા હોઇએ અને સામેથી કોઇ વિઘ્ન આવે, તો સહેજ બાજુમાં હટી જવું અને ફરી પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે આગળ વધી જવું. જીંદગીમાં ચાલવાનું તો એકલું જ છે, તે નિશ્ચિત છે. આ સમયે બે સુંદર રચનાઓ પણ યાદ આવી ગઈ. “એકલા જ આવ્યા મનવા, એકલા જવાના…..”  અને શ્રી રવિન્દ્રનાથ ટાગોરજીની સુપ્રસિદ્ધ રચના –

જોદી તોર ડાક સુને કેઉ ના આસે તોબે એકલા ચોલો રે,

એકલા ચોલો, એકલા ચોલો, એકલા ચોલો રે,

જોદી તોર ડાક સુને કેઉ ના આસે તોબે એકલા ચોલો રે…

જેવી રીતે જીવનના પથ ઉપર એકલું ચાલવાનું છે, તેમ સમાજમાં સજ્જનોએ પણ એકલું જ રહેવાનું છે. નકારાત્મક વિચારસરણી વાળા કે કોઇને તકલીફ આપી વિકૃત આનંદ લેનારાઓ ભેગા થઇ જ્યારે વિઘ્ન ઊભું કરે, તો બસ સંભલી જવાનું. ભક્તનો કે સંતનો સ્વભાવ માયાળું હોય છે. દુર્જનો ગમે તેટલી તકલીફ આપે, પરંતુ દાંતમાં કંઇ ફસાઇ જાય ને, તો પાછી જીભ જ તે કાઢી આપે. દાંત જેવા બત્રીસ હોય, જીભ બિચારી એકલી જ હોય. દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે. આગળ બાબાજી લખે છે –

તાત કબહુઁ મોહિ જાનિ અનાથા કરિહહિં કૃપા ભાનુકુલ નાથા

હે તાત! મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રીરામચંદ્રજી શું મારા ઉપર ક્યારેય કૃપા કરશે?

‘તાત’ અગાઉ પણ આપણે જોઇ ગયા છીએ કે પ્રેમ કે લાગણી સાથે આદરભાવ દર્શાવવા સામાન્ય રીતે ‘તાત’ સંબોધનનો ઉપયોગ થાય છે. અહીં વિભીષણજીને શ્રીહનુમાનજી પ્રત્યે રામભક્ત હોવાને નાતે પ્રેમ અને આદર બન્ને છે. “મોહિ જાનિ અનાથા” અર્થાત મને અનાથ જાણીને. ભગવાન કેવા દીનબંધુ છે, તે આગળના અંકમાં આપણે જોયું હતું. અહીં વિભીષણજી પોતાને અનાથ ગણાવી પોતાની દીનતા દર્શાવે છે. રઘુકૂળ હંમેશા દીન-દુ:ખીઓની મદદ કરતું આવ્યું છે, તેની ઉપર કૃપા કરતું આવ્યું છે. આ બાબત જગજાહેર છે અને તેના કિસ્સાઓ પ્રસિદ્ધ છે.

ભાનુકુલ નાથા” અર્થાત સૂર્યવંશ કે રઘુકૂળના નાથ. રઘુકૂળ હંમેશા દીન-દુ:ખીઓની મદદ કરતું આવ્યું છે, તો શ્રીરામચંદ્રજી તો આ કૂળના નાથ છે; તેઓ ચોક્કસ જ મારા ઉપર કૃપા કરશે. અહીં ‘રઘુકૂળ નાથા’ એવું પણ લખી શકાત, પરંતુ બાબાજીએ “ભાનુકુલ નાથા” શબ્દનો પ્રયોગ એટલા માટે પણ કર્યો હોઇ શકે કે જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે અને લંકા નગરીમાં ધર્મનું રાજ્ય સ્થપાશે તથા સોનાનો સુરજ ઉગશે. દીનતા એ પણ ભક્તનું એક લક્ષણ છે. અહીં વિભીષણજી દીન ભાવે પુછે છે કે હે મારુતીનંદન! પ્રભુ મુજ અનાથ ઉપર ક્યારેય કૃપા કરશે? વિભીષણજી આવું પુછે છે, તેના માટે તેની પાસે કારણો પણ છે. –

તામસ તનુ કછુ સાધન નાહીં પ્રીતિ ન પદ સરોજ મન માહીં ।।

મારું તામસી (રાક્ષસી) શરીર હોવાથી સાધન તો કંઇ થતુ નથી અને મનમાંય પ્રભુ શ્રીરામચંદ્રજીના ચરણકમળોમાં પ્રેમ નથી.

સામાન્ય રીતે કર્મ, જ્ઞાન અને ઉપાસનાથી પ્રભુકૃપાનો નિશ્ચય થતો હોય છે, તેવું આપણે માનીએ છીએ. અહીં વિભીષણજી પોતાને આ તમામથી રહિત છે, તેવું જણાવે છે. સૌથી પહેલા જોઇએ તો રાક્ષસોની નગરીમાં રહે છે એટલે સંગ સારો નથી મળ્યો. પ્રભુકૃપા પ્રાપ્ત કરવા માટે ‘તામસ તનુ’ બાધક છે, સારો સંગ જરૂરી છે. સત્‌સંગ જરૂરી છે, “ભવસાગર કહઁ નાવ સુદ્ધ સંતન્હકે ચરન, તુલસીદાસ પ્રયાસ બિનુ મિલહિં રામ દુખહરન”. વળી, વિભીષણજીએ ‘તામસ તનુ’થી પોતાના માટે નિશાચરી તામસ ઘુવડની ઉપમા આપી દીધી, “સહજ પાપ પ્રિય તામસ દેહા, જથા ઉલૂકહિં તમપર નેહા”. જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે. આમ, ‘તામસ તનુ’ કહી પોતાને જ્ઞાનરહિત જણાવેલ છે.

કછુ સાધન નાહીં” અર્થાત પોતાને કર્મરહિત જણાવ્યા છે. સાધન એટલે કે કર્મથી પણ પ્રભુપ્રાપ્તિ થઇ શકે, “સબ સાધન કર સુફલ સુહાવા, રામલખનસિય દરસનુ પાવા”. પોતાનો ભાઈ માતા જાનકીજીને હરિ લાવ્યો, તો પણ પોતે કંઇ કરતા નથી. પ્રભુપ્રીતિ પ્રાપ્ત કરવા કોઇ પ્રભુકાર્ય કરતા નથી. આમ, તેઓના કર્મો પણ એવા નથી કે ભગવાન તેના ઉપર પ્રસન્ન થાય.

ઉપાસના કે પ્રભુ પ્રત્યે પ્રીતિ પણ નથી, “પ્રીતિ ન પદ સરોજ મન માહીં”. ભગવાન તો ભાવના ભુખ્યા હોય છે. સુતીક્ષ્ણજીને પ્રભુ ઉપર અનન્ય ભાવ હતો તો, “અતિસય પ્રીતિ દેખિ રઘુબીરા, પ્રગટે હૃદય હરન ભવભીરા”. ‘પદ સરોજ’ પ્રભુના ચરણો કમળ સમાન છે અને આપણું મન ભમરાની જેમ તેમાં જ લલચાયેલું રહેવું જોઇએ. આમ, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાના તેઓમાં એક પણ ગુણ કે લક્ષણ નથી, માટે તેઓ શ્રીહનુમાનજીને પુછે છે કે શું દીનબંધુ પ્રભુ શ્રીરામ મારા જેવા નગુણા ઉપર ક્યારેય કૃપા કરશે? આજની શ્રીસુંદરકાંડની કથાને અહીં વિરામ આપીએ છીએ.

મિત્રો, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી ચૈત્રી નવરાત્રી, જેને આપણે વાસન્તી નવરાત્રી કે શ્રીરામ નવરાત્રી તરીકે પણ ઓળખીએ છીએ, તે શરૂ થઈ રહી છે. આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાનનું આગવુ મહત્વ છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર પ્રભુભજન કરી શકે. આ સમય દરમ્યાન બીજુ કંઇ ન થાય, તો શ્રીરામચરિતમાનસનું નવાહ પારાયણ એટલે કે નવ દિવસમાં આખા શ્રીરામચરિતમાનસનું વાંચન-મનન કરી શકાય. શ્રીરામચરિતમાનસ વ્યક્તિના જીવનને સુધારી દેનાર, ભક્તિની પાપ્તિ કરાવનાર, સંકટ અને કલેશોથી મુક્તિ અપાવનાર પ્રભુ શ્રીરામનું અદ્‌ભુત ચરિત છે. આખું ન વંચાય તો પણ જેટલું વંચાય તેટલું અને શ્રીરામચરિતમાનસ ઉપલબ્ધ ન હોય, તો મારી આ શ્રીસુંદરકાંડની લેખમાળાના અગાઉના મણકા નવ દિવસમાં જેટલા વંચાય તેટલા વાંચવા કે સાંભળવા અનુરોધ કરું છું. શ્રીરામચરિતમાનસ વાંચવા હું કેમ આગ્રહ કરું છુ, તે માટે એક સુંદર રચના “प्रिय तुम रामचरितमानस जरूर पढ़ना।।” સાથે આજની કથાને વિરામ આપશું.

जीवन के अनुबंधों की,

तिलांजलि संबंधों की,

टूटे मन के तारो की,

फिर से नई कड़ी गढ़ना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

बेटी का धर्म निभाने को,

पत्नी का मर्म सिखाने को,

भाई का प्रेम बताने को,

हर चौपाई दोहा सुनना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

लक्ष्मण से सेवा त्याग सीखना,

श्री भरत से राज विराग सीखना,

प्रभु का सबसे अनुराग सीखना,

फिर माता सीता को गुनना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

केवट की भक्ति भरी गगरी,

फल मीठे बेर लिए शबरी,

है धन्य अयोध्या की नगरी,

अवसादों में जब घिरना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

न्याय नीति पर राम अड़े,

संग सखा वीर हनुमान खड़े,

पशु-पक्षी तक हैं युद्ध लड़े,

धन्य हुआ उनका तरना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

जो राम नाम रघुराई है,

जीवन की मूल दवाई है,

हर महामंत्र चौपाई है,

सियाराम नाम जपते रहना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

जगती में मूल तत्व क्या है?

राम नाम का महत्व क्या है?

संघर्ष में राम रामत्व क्या है?

संकट में जब तुम फंसना, प्रिय तुम रामचरितमानस पढ़ना।।

हर समाधान मिल जाता है,

कोई प्रश्न ठहर नहीं पाता है,

बस राम ही राम सुहाता है,

श्री राम है वाणी का गहना, प्रिय तुम रामचरितमानस पढ़ना।

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

2 COMMENTS

  1. ખૂબ સરસ લેખ છે, ક્યારેક ગ્રંથો સરળ ભાષામાં લખાયેલા હોય તો વધારે આત્મસાત કરી શકાય..

Leave a Reply to Nayanaben Patel Cancel reply

Please enter your comment!
Please enter your name here