Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

1
શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

સુંદરકાંડની આ સુંદર કથાના આગલા ભાગમાં અતિશય બળશાળી પવનપુત્ર શ્રીહનુમાનજી વારંવાર રઘુવીર શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરીને પર્વત ઉપરથી મોટા વેગ સાથે કૂદ્યા, ત્યાંસુધીની કથા જોઇ હતી. શ્રીહનુમાનજીએ છલાંગ લગાવ્યા બાદ સમુદ્ર કિનારાની પરિસ્થિતિના વર્ણનથી આજની કથાની શરૂઆત કરીએ. આ વર્ણન સંદર્ભમાં ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજ લખે છે કે –

જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા ચલેઉ સો ગા પાતાલ તુરંતા

જે પર્વત પરથી શ્રીહનુમાનજી પગ મૂકીને ચાલ્યા, તે પર્વત તરત જ પાતાળમાં ચાલ્યો ગયો.

જેવી શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તે ‘તુરંતા’ તરત જ પાતાળમાં ચાલ્યો ગયો. ઘણીવાર એવું બને છે ને કે, ઘરના કોઇ સભ્ય કે મહેમાનને એરપોર્ટ મુકવા જઇએ અને ફ્લાઇટ ટેક ઓફ થાય ત્યારપછી ત્યાંથી નીકળીએ. શહેરમાં ઘર દૂર હોય અને ટ્રાફિકમાં આપણે ઘરે પહોંચીએ કે નજીકના ગામથી ગયા હોઇએ તો ગામ પરત ફરીએ, તે પહેલા તો ફ્લાઇટ નિર્ધારિત સ્થળે પહોંચી જાય અને આપણને ફોન આવી જાય કે અમે પહોંચી ગયા છીએ. તેમ શ્રીહનુમાનજી હજુ લંકા પહોંચે તે પહેલા તો પર્વત છેક પાતાળમાં પહોંચી ગયો.

શ્રીહનુમાનજી માટે ‘બિજ્ઞાન નિધાના’ એવું પણ કહેવાયુ છે. સુંદરકાંડની આ લેખમાળાના પાંચમા મણકા “બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી” (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-005/) માં આપણે આગળ તેના જોયુ હતુ. તેનું એક પ્રમાણ પણ અહીં પણ જોઇએ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, “આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરૂધ્ધ દિશામાં હોય છે”, તેની શ્રીહનુમાનજીને સુપેરે ખબર જ હતી. પર્વત ઉપર કેટલું બળ આપીને છલાંગ લગાવું? તો સીધું સમુદ્રને સામે પાર લંકા સુધી પહોંચી જવાય, તે વિજ્ઞાન તેઓને સારી રીતે જ્ઞાત જ હતુ. તેથી જ તેઓ માટે ‘બિજ્ઞાન નિધાના’ પણ કહેવાય છે.

આમ પણ સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય. પછી જીવે પૃથ્વી ઉપર રહેવાની જરૂર રહેતી નથી. શ્રીહનુમાનજીના ચરણનો સ્પર્શ થતા જ મહેન્દ્ર પર્વતની પણ ગતિ થઇ ગઇ અને તે ધામમાં પહોંચી ગયો. આ બાજુ પર્વત પાતાળમાં પહોંચી ગયો અને બીજી બાજુ શ્રીહનુમાનજીની લંકા તરફની યાત્રા શરૂ થઇ. ભક્તિની શોધની યાત્રા કંઇ સુગમ ન હોય, પરંતુ પ્રભુ સ્મરણ થકી દુર્ગમમાં દુર્ગમ યાત્રા પણ સુગમ થઇ જતી હોય છે. આગે બાબાજી લિખતે હૈ, શ્રીહનુમાનજી એવી રીતે જઇ રહ્યા છે, જેમ –

જિમિ અમોઘ રઘુપતિ કર બાના એહી ભાઁતિ ચલેઉ હનુમાના

જેમ શ્રીરઘુનાથજીના ધનુષમાંથી નિકળેલુ અમોઘ બાણ જઇ રહ્યુ હોય, તેવી જ રીતે શ્રીહનુમાનજી જઇ રહ્યા હતા.

અમોઘ એટલે કે અવિફલ, અચૂક, મોઘ નહિ એવું. શ્રીરામ ભગવાનના બાણ અમોઘ હતા એટલે કે નિશ્ચિત ધ્યેય સુધી સચોટ રીતે પહોંચી, કાર્ય પૂર્ણ કરી અને પાછા ભાથામાં આવી જતા હતા. અહીં શ્રીતુલસીદાસજીએ અન્ય કોઇ અસ્ત્ર-શસ્ત્ર કે બાણની ઉપમાં નથી આપી, તેના મારા મતે મુખ્ય બે કારણો છે –

પહેલું, અન્ય કોઇ પણ યોદ્ધાના અસ્ત્ર-શસ્ત્ર વિફળ જઇ શકે, પરંતુ ભગવાન શ્રીરામનું અમોઘ બાણ ક્યારેય વ્યર્થ જતુ નથી. આજના યુગની જ વાત કરીએ તો, વિશ્વની ઉચ્ચતમ ટેકનોલોજી ઉપર પકડ ધરાવતા અને ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે જાણીતી કંપની ટેસ્લા મોટર્સના સંસ્થાપક એલન મસ્ક તેઓના ‘મિશન મંગળ’ અન્વયે મંગળ પર શહેર વસાવવાનું સપનું જોઇ રહ્યાં છે. માર્ચ-૨૦૨૧માં આ મીશન હેઠળનું સ્પેસએક્ષ સ્ટારશિપ એસએન-૧૦ રોકેટ ટેક્સાસના બોકા ચિકા પેડ ઉપરથી લોન્ચ તો થઇ ગયું, પરંતુ થોડી જ મિનિટોમાં અગનગોળામાં ફેરવાઇ ગયું અને નિષ્ફળ રહ્યું. ટેકનોલોજીના જમાનામાં તેના તજજ્ઞો વિફળ જાય, પરંતુ ભગવાન શ્રીરામનું એકપણ અમોઘ બાણ ક્યારેય નિષ્ફળ જતુ નથી.

બીજુ, બાણની ગતિ. વાલ્મીકીય રામાયણમાં લખ્યુ છે, યથા રાઘવનિર્મુક્ત: શર: શ્વસનવિક્રમ: ગચ્છેત્‌ અર્થાત જેમ શ્રીરામચન્દ્રજીનું છોડેલું બાણ વાયુવેગે જાય છે. પરંતુ પુરાણોમાં તેનાથી પણ કંઇક વિશેષ ગતિ કહી છે. તો ભગવાન શ્રીરામના બાણની ગતિ કેટલી છે? સુપરસોનિકથી પણ ઉપર? આપણા પુરાણો મુજબ હવાની ગતિ અતિ તિવ્ર હોય છે. હવાથી વધુ ગતિ પ્રકાશની હોય છે. પ્રકાશથી વધુ ગતિ ખગરાજ ગરૂડજીની હોય છે. ગરૂડજીથી વધુ ગતિ શ્રીકૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રની હોય છે અને સુદર્શન ચક્રથી પણ વધુ ગતિ શ્રીરાઘવેન્દ્રના ધનુષ્યમાંથી છૂટતા અમોઘ બાણની હોય છે.

રસ્તામાં સુરસા, સિંહિકા, લંકિની વગેરે રૂપી અનેક વિઘ્નો આવવાના હોવા છતાં, શ્રીહનુમાનજી પોતાનું નિશ્ચિત કાર્ય પૂર્ણ કરીને પરત પ્રભુ શ્રીરામ પાસે આવી જવાના હોઇ, બાબાજીએ જિમિ અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાઁતિ ચલેઉ હનુમાનાએવું લખ્યુ છે. બાબાજી આગે લિખતે હૈ, –

જલનિધિ રઘુપતિ દૂત બિચારી તઈ મૈનાક હોહિ શ્રમ હારી

સમુદ્રએ શ્રીહનુમાનજીને શ્રીરઘુપતિના દૂત સમજીને ગિરિશ્રેષ્ઠ મૈનાક પર્વતને કહ્યુ કે હે મૈનાક! તમે તેઓનો થાક ઉતારનારા, તેઓને વિશ્રામ આપનારા બનો.

માનસમાં શ્રીતુલસીદાસજીની એકેક ચોપાઇ અને તેના એકેક શબ્દમાં ગુઢ અર્થો સમાયેલા હોય છે, તેની પાછળ ભવ્ય ઇતિહાસ છુપાયેલો હોય છે. અહીં સમુદ્ર ઉપરથી તો ઘણાં પક્ષીઓ વગેરે પસાર થતા હોય છે, પરંતુ શ્રીહનુમાનજીને જોઇને જ સમુદ્રને કેમ વિચાર આવ્યો? સમુદ્રને પહેલા શું વિચાર આવ્યો? તો ઇક્ષ્વાકુ કુલમાનાર્થી ચિન્તયામાસ સાગર: એટલે કે સમુદ્રને ઇક્ષ્વાકુકુળનું સન્માન કરવાની ઇચ્છા થઈ. સમુદ્રને આવો વિચાર કેમ આવ્યો? કારણ કે અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: અર્થાત સમુદ્ર વિચારે છે કે મને ઇક્ષ્વાકુકુળના મહારાજ સગરે જ પુષ્ટ કર્યો હતો. તેના ઉપરથી ફલિત થાય છે કે સમુદ્ર અને ઇક્ષ્વાકુકુળ વચ્ચે કંઇક સંબંધ છે. ઇક્ષ્વાકુકુળના શ્રીરામ અને સમુદ્ર વચ્ચે શું સંબંધ છે? તે અંગેની કથા જોઇએ તો –

પૂર્વકાળની વાત છે, અયોધ્યામાં શ્રીરામના પૂર્વજ સગર નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓને પુત્ર ન હતો. વિદર્ભ રાજકુમારી કેશિની રાજા સગરની મુખ્ય પટરાણી હતી અને અરિષ્ટનેમિ કશ્યપની પુત્રી તથા ગરુડની બહેન સુમતિ તેઓની બીજી પત્નિ હતી. પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી રાજા સગર બન્ને પત્નિઓ સાથે હિમાલય પર્વતના ભૃગુપ્રસ્ત્રવણ શિખર ઉપર ગયા અને ત્યાં તપસ્યા કરવા લાગ્યા. સો વર્ષની તપસ્યા પૂર્ણ થતા મહર્ષિ ભૃગુએ રાજા સગરને વરદાન આપ્યું કે, એક પત્નિને એક પુત્ર થશે અને બીજી પત્નિને સાઇઠ હજાર પુત્રો થશે. રાજા સગરને વરદાન અનુસાર પુત્રો પ્રાપ્ત થયા અને સમયાનુસાર યુવાન થઇ ગયા. પુત્રો યુવાન થયા બાદ એક વખત રાજા સગરને યજ્ઞ કરવાનો શુભ વિચાર આવ્યો અને તેણે તે માટે નિશ્ચય પણ કર્યો.

હિમાલય અને વિધ્યાંચલ બન્નેની વચ્ચેની પુણ્યભૂમિમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. રાજા સગરના યજ્ઞના અશ્વની જવાબદારી તેના પૌત્ર ધનુર્ધર મહારથી અંશુમાને ઉઠાવી હતી. એક દિવસ શચિપતિ ઇન્દ્રએ રાક્ષસનું રૂપ ધારણ કરીને યજ્ઞના અશ્વને ચોરી લીધો. રાજા સગરે તેના સાઇઠ હજાર પુત્રોને યજ્ઞનો ઘોડો શોધવાની આજ્ઞા આપી અને કહ્યુ કે, જ્યાંસુધી અશ્વ ન મળે ત્યાંસુધી પૃથ્વીને ખોદતા રહો. રાજા સગરના સાઇઠ હજાર પુત્રો આખી પૃથ્વી ઉપર ફરી વળ્યા, પરંતુ અશ્વ ન મળતા અશ્વચોરને શોધવાના આશયથી પૃથ્વીને ખોદવા લાગ્યા. પૃથ્વી પરના વૃક્ષોનું નિકંદન નિકળવા લાગ્યું, પ્રાણીઓ મરવા લાગ્યા અને પૃથ્વી આર્તનાદ કરવા લાગી.

સગરના પુત્રો ધરતીને ખોદતા-ખોદતા ચારેય દિશાએથી પૃથ્વીને ધારણ કરનારા ગજરાજોને મળ્યા. પૂર્વ દિશામાં વિરૂપાક્ષ, દક્ષિણ દિશામાં મહાપદ્મ, પશ્ચિમ દિશામાં સૌમનસ અને ઉત્તર દિશામાં શ્વેતભદ્રના દર્શન થયા. તેઓ ચારેય ગજરાજોને પ્રણામ કરી તેઓની પરિક્રમા કરીને પૃથ્વીને ખોદતા આગળ વધવા લાગ્યા. ચારેય દિશાઓને ખોદી નાખ્યા બાદ, પૂર્વોતર દિશામાં બધા સાથે મળી ખોદતા સનાતન વાસુદેવ સ્વરૂપ ભગવાન કપિલ પાસે પહોંચી ગયા. ઇન્દ્રએ કપટ પૂર્વક યજ્ઞના અશ્વને કપિલ ભગવાન પાસે છોડી દીધો હતો. કપિલમુનિ પાસે અશ્વને જોઇ સગર રાજાના પુત્રો ક્રોધે ભરાયા અને તેઓને અશ્વચોર સમજી બધા રાજકુમારો તેની તરફ શસ્ત્રો લઇ દોડ્યા. તે જોઇ કપિલમુનીને ક્રોધ આવ્યો અને તેની ક્રોધાગ્નિથી બધા જ સગરપુત્રો બળીને ભષ્મ થઈ ગયા.

લાંબો સમય વીતી જવા છતાં પુત્રો પરત ન ફરતા રાજા સગરે પૌત્ર અંશુમાનને મોકલ્યા. અંશુમાન તેના કાકાઓને શોધવા તેઓના માર્ગે જ આગળ વધ્યા. રસ્તામાં વારાફરતી ચારેય ગજરાજો મળ્યા. તેઓને કાકાઓના સગડ પૂછતા-પૂછતા, ક્રોધાગ્નિમાં બળીને ભષ્મ થઈ ગયેલા કાકાઓના રાખના ઢગલા સુધી પહોંચી ગયા. પોતાના કાકાઓની આ દશા જોઇને તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા. તે સમયે અંશુમાને દૂર દ્રષ્ટિ કરતા ગરુડજીને જોયા, જેઓ આ સાઇઠ હજાર સગર પુત્રોના મામા થતા હતા. ગરુડજીએ અંશુમાનને સમજાવ્યા અને યજ્ઞ અશ્વ લઇને રાજ્યમાં પરત ફરવા કહ્યું. ત્યારબાદ યજ્ઞની વિધિવત્‌ પૂર્ણાહુતી થઇ શકી. ત્યારબાદની કથા ઘણી લાંબી છે, પરંતુ સગરના સાઇઠ હજાર પુત્રોએ અશ્વને શોધવા પૃથ્વીને ખોદી તેનાથી જ સમુદ્રનો વિસ્તાર થયો, તેની પુષ્ટિ થઇ. આ કારણે સમુદ્રને ઇક્ષ્વાકુ કુલમાનાર્થી ચિન્તયામાસ સાગર: ઇક્ષ્વાકુકુળનું સન્માન કરવાની ઇચ્છા થઈ. આ કારણોસર જ રાજા સગરના નામ ઉપરથી સમુદ્રનું એક નામ સાગર પણ પડ્યુ છે.

આજની કથાને અહિં વિરામ આપીએ છીએ. ગયા અંકથી આપણે રામાયણ વિશે એક-એક પ્રશ્ન પુછવાની શરૂઆત કરેલી. ગયા અંકનો પ્રશ્ન હતો – શ્રીહનુમાનજીના માતા અંજનાજી તેઓના પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. તે સમયે તેઓનું નામ શું હતું? જેનો જવાબ છે – પુંજિકસ્થલા.

આજનો પ્રશ્ન છે – ભગવાન શ્રીરામએ જે વૃક્ષની આડમાં ઉભા રહી વાલીનો વધ કર્યો હતો, તે વૃક્ષનું નામ જણાવો?

સર્વે વાચકોને મારા જય સિયારામ.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here