Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૨ | હેતુ રહિત પરહિત રતસીલા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૨ | હેતુ રહિત પરહિત રતસીલા । Sundarkand | सुंदरकांड

1
શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૨ | હેતુ રહિત પરહિત રતસીલા । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

અગાઉના લેખ ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: –  http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-021/ )માં આપણે દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો હશે? અને પરીક્ષા લેવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા, તેની વિગતો જોઇ હતી. સુરસા શ્રીહનુમાનજી સમક્ષ પરીક્ષા લેવાના આશયથી જાય છે, પરંતુ વાતની શરૂઆત દેવોએ શ્રીહનુમાનજીને તેના આહાર તરીકે આપી દીધા છે, ત્યાંથી કરે છે. અહીં સુરસા શ્રીહનુમાનજી સામે ખોટું બોલે છે, ત્યાંથી આજના લેખમાં આગળ વધીએ.

ઘણા લોકો શાસ્ત્રોના ખોટા અર્થઘટન કરનારા હોય છે ને? સુરસા શરૂઆતમાં શ્રીહનુમાનજી પાસે ખોટું બોલે છે, તેના સમર્થનમાં કોઇએ તો માનસની ચોપાઇઓ, “નારિ સુભાઉ સત્ય સબ કહહીં અવગુન આઠ સદા ઉર રહહીં સાહસ અનૃત ચપલતા માયા ભય અબિબેક અસૌચ અદાયા અર્થાત બધા સાચુ જ કહે છે કે, સ્ત્રીઓના હૃદયમાં આઠ અવગુણો સદાય વાસ કરે છે. સાહસ, ખોટુ બોલવું, ચંચળતા, માયાજાળ ફેલાવવી, ડરપોકતા, અવિવેકીપણું, અપવિત્રતા અને નિર્દયતા, ટાંકીને જ કહી દીધું કે સુરસા સ્ત્રી છે અને ખોટુ બોલવું તે સ્ત્રીઓનો સહજ સ્વભાવ હોય છે. પરંતુ, આ તર્ક સાથે અંગત રીતે હું જરાય સહમત નથી. મારા આ બાબતે મંતવ્યો નીચે મુજબ છે.

પહેલું, આ ચોપાઇ માનસકારે લંકાકાંડમાં રાવણના મુખેથી બોલાઇ છે તે મુજબ લખેલી છે. રાવણ ગમે તેટલો જ્ઞાનિ અને શાસ્ત્રોનો જ્ઞાતા હોય, પરંતુ એક વખત મનમાં આસુરીવૃત્તિનો વાસ થયા પછી તેવી વ્યક્તિના મુખે બોલાયેલા શબ્દો વ્યાવહારિક રીતે પ્રમાણભૂત ગણી શકાય નહી. બીજું, ગોસ્વામીજી આ ચોપાઇ થકી એવું દર્શાવવા માગે છે કે જેના મનમાં આસુરીવૃત્તિ હોય છે, તેઓ સ્ત્રીઓનું ક્યારેય સન્માન જાળવી શકતા નથી અને તેઓ સ્ત્રીઓ માટે ઉપરની ચોપાઇ મુજબ માનતા હોય, તે સ્વાભાવિક જ છે. ત્રીજું, જો કોઇ સ્ત્રીના મનમાં આસુરીવૃત્તિ હોય તો તેના હૃદયમાં આ આઠ અવગુણો વાસ કરતા હોય છે અથવા તો આ આઠ અવગુણો વસતા હોય તેવી સ્ત્રીને આસુરીવૃત્તિવાળી કહેવાય. અહીં રાવણ મંદોદરી માટે કહે છે એટલે સ્ત્રીનો ઉલ્લેખ છે, પરંતુ જે પુરુષોમાં આ આઠ અવગુણો વસતા હોય, તેઓના કિસ્સામાં પણ આસુરીવૃત્તિ માટે આ બાબત સમાન રીતે જ લાગુ પડે. તેવું વર્ણવવાનો માનસકારનો આશય હોઇ શકે.

સામે પક્ષે કોઇ પણ હોય, પરંતુ શ્રીઅંજનીનંદન તો હરિભક્ત છે. હરિભક્તનો સ્વભાવ કેવો હોય? હેતુ રહિત પરહિત રતસીલા એટલે કે પોતાના અંગત સ્વાર્થ વગર પણ બીજાનું હિત કરવું. દેવતાઓએ પોતાને કોઇના આહાર તરીકે આપી દીધા છે, ખાનાર સામે ઉભા છે. ધર્માત્મા કેસરીનંદન ના કેમ પાડે? માનસમાં જ લખ્યું છે કે, પર હિત લાગિ તજઇ જો દેહી, સંતત સંત પ્રસંસહિં તેહી અર્થાત જે બીજાઓના હિત માટે પોતાના શરીરનો ત્યાગ કરે છે, સંતો સદાય તેની પ્રશંસા કરે છે. કામદેવે દેવતાઓના કાર્ય માટે અને મહર્ષિ દધીચિએ ઇન્દ્રના વજ્ર માટે પોતાના શરીરનો ત્યાગ કર્યાના અને તેઓના નામો અમર થઇ ગયાના દાખલાઓ આપણી સામે જ છે. અહીં શ્રીહનુમાનજીને ધર્મસંકટ એ છે કે એક બાજુ દેવતાઓનું વચન પુરું ન કરે, તો ધર્મ ભંગ થાય છે અને બીજી બાજુ શરીર ખોઇ દે તો રામકાર્ય થઇ શકતું નથી. ધર્મસંકટ જેવી કઠિન પરિસ્થિતિમાં જ સાચી પરીક્ષા થતી હોય છે. શ્રીહનુમાનજી તો બળ-બુદ્ધિના ધામ છે. તેને કંઇ વિચારવા સમય ન જોઇએ, તેઓએ તુરંત જ, સુનત બચન અર્થાત સુરસાના વચન સાંભળીને તરત જ બુદ્ધિપૂર્વકનો જવાબ આપ્યો કે –

રામકાજુ કરિ ફિરિ મૈં આવૌં સીતા કઇ સુધિ પ્રભુહિ સુનવૌં

તબ તવ બદન પૈઠહઉઁ આઈ સત્ય કહઉઁ મોહિ જાન દે માઈ

પ્રભુ શ્રીરામનું કાર્ય કરીને હું પાછો આવું અને જનકનંદિનીના ખબર પ્રભુ શ્રીરામને સંભળાવી દઉં, પછી હું આવીને તમારા મુખમાં પ્રવેશ કરીશ. હે માતા! હું સત્ય કહુ છું, અત્યારે મને જવા દો.

રામકાજુ કરિ ફિરિ મૈં આવૌં શ્રીહનુમાનજીના જવાબમાં પૂરતા વિશ્વાસનો રણકાર છે કે પ્રભુ શ્રીરામનું કાર્ય પૂર્ણ કરીને પાછો આવીશ જ. અગાઉ પણ આપણે ‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’ ચોપાઇનો અર્થ શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-016/ સમજતી વખતે આ જ દ્રઢ વિશ્વાસ અને તેનું કારણ જોયું હતુ. ચોપાઇના બીજા ભાગમાં પ્રભુનું ક્યુ કાર્ય? તેની વાત કહેતા કહે છે કે, સીતા કઇ સુધિ પ્રભુહિ સુનવૌં’ માતા સીતાજીના ખબર પ્રભુ શ્રીરામને સંભળાવી દઉં. અગાઉ જામવંતજીએ આ કાર્ય બાબતે કહ્યુ હતુ કે, “એતના કરહુ તાત તુમ્હ જાઈ, સીતહિ દેખી કહહુ સુધિ આઈ” એટલે કે લંકા જવુ, ત્યાં જઈ માતા સીતાજીને જોઈને પાછા ફરવું અને પછી તેના સમાચાર પ્રભુ શ્રીરામને આપવા. અત્યારે એ જ રામકાર્ય (શ્રી સુંદરકાંડ | ભાગ – ૮ | રાજિવનયન ધરેં ધનુસાયક http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-008/ ) છે. ગત લેખ શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: –  http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-021/ માં આપણે જોયું હતુ કે સુરસાએ કહ્યુ, આજુ સુરન્હ મોહિ દીન્હ અહારા, તો અહીં શ્રીહનુમાનજી તેને કહે છે કે દેવતાઓએ મને આપના આહાર તરીકે આપી, આપની ઉપર ઉપકાર કર્યો છે. પ્રભુ શ્રીરામનું આ કાર્ય દેવતાઓ માટે જ છે, તો તેમાં સહકાર આપી આપ દેવતાઓ ઉપર પ્રત્યુપકાર કરો. પ્રભુ દેવતાઓને રાક્ષસોના ત્રાસથી મુક્ત કરાવવા જ આ લીલા કરી રહ્યા છે. તમે આ કાર્ય પૂર્ણ થવામાં મદદરૂપ થાઓ, પછી હું આવીને આપના મુખમાં પ્રવેશ કરીશ, જેથી તમારુ પણ ભલું થશે.

તબ તવ બદન પૈઠહઉઁ આઈ ત્યારે તમારા મુખમાં પ્રવેશી જઇશ. અહીં પહેલી વાત તો એ છે કે શ્રીહનુમાનજી મુખમાં પેસવાની વાત કેમ કરે છે? એવું પણ કહી શકતને કે હું પાછો તમારી પાસે આવીશ. તમે મારું ભક્ષણ કરી જજો. અધ્યાત્મરામાયણમાં જણાવ્યા મુજબ જ્યારે સુરસા શ્રીહનુમાનજીની સામે આવીને કહે છે કે દેવોએ મને આહાર તરીકે તમને આપ્યા છે, ત્યારે એવું પણ કહે છે કે, “એહિ મે બદનં શીઘ્રં પ્રવિશસ્વ મહામતે, અર્થાત હે મહામતે! આવો, ઝડપથી તમે મારા મુખમાં પ્રવેશ કરો”. આમ, અગાઉ સુરસાએ મુખમાં પ્રવેશવાનું કહ્યુ હોય, શ્રીહનુમાનજી તબ તવ બદન પૈઠહઉઁ આઈએવું કહે છે. બીજું, અગાઉ ઘણીવખત આપણે વાત કરી કે શ્રીહનુમાનજી સંત છે અને તેઓ ક્યારેય જુઠું નથી બોલતા અને તેઓ જે કંઇ બોલે તે સત્ય થઈ જાય. જો ‘તમે મારું ભક્ષણ કરી જજો’ એવું કહે, તો તેના શબ્દો ખોટા પડે. આમ, માત્ર મુખમાં પ્રવેશવાનું કહે છે.

સત્ય કહઉઁ અર્થાત સાચુ કહું છું. આપણે કહીએ છીએને કે સમ ખાઉં છું, કસમ ખાઉં છું. તેમ અગાઉ ફક્ત હું સત્ય કહું છું આટલું કહેવાનું ખૂબ જ મહત્વ હતું અને જેમ સેલ્ફ એટેસ્ટેડ નકલ માન્ય રાખવામાં આવે છે તેમ તેને પ્રમાણભૂત માનવામાં આવતું. આ બાબત શ્રીસુંદરકાંડની શરૂઆતમાં બીજા શ્લોક્માં સત્યં વદામિના અર્થમાં ( શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-012/ ) પણ જોઇ હતી. ત્યારબાદ લખ્યું છે, ‘મોહિ જાન દે માઈ હે માતા! મને રામકાર્ય પૂર્ણ કરવા જવા દો. ‘માઈ’, સંત પર (આંકડામાં બાવન નથી હો, પર એટલે કે અન્ય) સ્ત્રીને માતા સમાન ગણે છે, માનસ મૈં લિખા હૈ, જનની સમ જાનહિં પર નારી. એક જ ભજનમાં આપણું આખુ નાગરિકશાસ્ત્ર આવી જાય છે, તેવી ‘વૈષ્ણવજન તો તેને રે કહીયે…’ રચનામાં નરસિંહ મહેતાએ પણ લખ્યું જ છે, પરસ્ત્રી જેને માત રે”. આમ, શ્રીહનુમાનજી સુરસાને માતા તરીકે સંબોધીને પ્રભુ શ્રીરામનું કાર્ય પૂર્ણ કરવા જવા અનુમતિ માંગે છે, પરંતુ તેણી કોઇ રીતે જવા દેતી નથી.

કવનેહુઁ જતન દેઇ નહિં જાના ગ્રસસિ ન મોહિં કહેઉ હનુમાના

જ્યારે કોઇપણ ઉપાયે, કોઇપણ રીતે સમજાવવા છતાં સુરસાએ જવા ન દીધા, ત્યારે શ્રીહનુમાનજીએ કહ્યુ કે, સારું ત્યારે મારું ભક્ષણ કરી જ જાઓ ને!

કવનેહુઁ જતન સુરસા શ્રીહનુમાનજીને કોઇ રીતે જવા દેતી નથી. શ્રીહનુમાનજીને સુરસા પાસેથી જવું કોઇ મોટી વાત ન હતી, પરંતુ તેઓ એક સંત છે. દેવોએ પોતાને સુરસાના ખોરાક તરીકે આપ્યા માટે દૈવીવચનો જુઠા ન પડે અને વાલ્મીકીય રામાયણમાં લખ્યું છે કે, નાતિવર્તેન્માં કશ્ચિદેષ વરો મમ, અર્થાત સુરસાને બ્રહ્માજી તરફથી એવું વરદાન મળેલ હતું કે તેની અવજ્ઞા કરીને કોઇ આગળ જઇ શકતું નથી. જો શ્રીહનુમાનજી સુરસાને હરાવીને કે મારીને આગળ નિકળી જાય તો દેવતાઓનું આહાર તરીકે આપ્યાનું વચન તો જુઠું પડે અને બ્રહ્મવર પણ મિથ્યા થાય. આમ, શ્રીહનુમાનજી તેને પ્રભુ શ્રીરામનું કાર્ય કરવા આગળ જવા દેવા અનેક પ્રકારે સમજાવે છે. શ્રીહનુમાનજી કેવી-કેવી રીતે સમજાવે છે? ત્યાંથી કથાને હવે પછીના ભાગમાં આગળ ધપાવીશું.      

ગયા અંકનો પ્રશ્ન – મહર્ષિ વાલ્મીકિનું બાળપણનું નામ શું હતું? – રત્નાકર.

આ અંકનો પ્રશ્ન – લંકા જવા સેતુ બાંધતી વખતે ભગવાન શ્રીરામે સ્થાપેલ શિવલિંગનું નામ શું છે?

સર્વે વાચકોને મારા જય સિયારામ…

મંગલ ભવન અમંગલ હારી દ્રવઉ સો દસરથ અજિર બિહારી

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

1 COMMENT

Leave a Reply to Bindulakhani Cancel reply

Please enter your comment!
Please enter your name here