Home Blog Page 16

Mutual Fund – Introduction & Concept

INTRODUCTION

The financial system of the country is an important tool for economic development of the country, as it helps in creation of wealth by linking saving with investments. It facilitates the flow of funds from households to business firms to aid in wealth creation and development of both the parties. The Indian financial system is based on four basic components like Financial Markets, Financial Institutions, Financial Services and Financial Instruments. These elements mobilize the resources from the surplus sector and channelize the same to the different needy sectors in the economy. All these elements play important role for as an intermediary and facilitates the flow of funds from the areas of surplus to the areas of deficit. Reform of the financial sector was recognized, from the very beginning, as an integral part of the economic reforms initiated in 1991 in India with implementation of New Economic Policy. The major delineations of the financial sector reforms in India were found as under:

  • Removal of the erstwhile existing financial repression.
  • Creation of an efficient, productive and profitable financial sector.
  • Providing operational and functional autonomy to institutions.
  • Preparing the financial system for increasing international competition.
  • Opening the external sector in a calibrated manner.
  • Promoting financial stability in the wake of domestic and external shocks.

Series of reforms are made in Indian economy with lapse of time. Recent Indian Financial System reforms are as under:

  1. Withdrawal of Legal Tender Status for Rs 500 and Rs 1000 Notes
  2. Setting up of the Monetary Policy Committee
  3. Implementation of Goods and Services Tax
  4. Passage of the Insolvency and Bankruptcy Code
  5. Thrust towards digitization of Government receipts and payments

CONCEPT

The term Mutual Fund refers to a pool of money accumulated by several investors who aim at saving and making money through their investment. The corpus of money so created is invested in various asset classes, viz. debt funds, liquid assets etc. Mutual Fund brings together money from many people and invests it in stocks, bond or other assets. The combined holdings of stocks, bonds or other assets the funds own are known as its portfolio. Mutual Funds are dynamic financial institutions, which play a crucial role in an economy by mobilizing savings and investing in the capital markets. Therefore, the activities of Mutual Funds have both short and long term impact on the savings and capital market and national economy. The organization that manages the investment is called Asset Management Company (AMC). AMCs normally come out with a number of schemes with different investment objectives from time to time. Mutual Funds are registered with Securities and Exchange Board of India (SEBI) that regulates security markets prior to the collection of the funds from the investors.

ઈ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગરની સામાજિક પ્રવૃતિઓ

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વિવિધ 17 પ્રકારના પરોક્ષ વેરાઓને એક છત્ર હેઠળ આવરી લઇ, તા. 1લી જુલાઇ, 2017થી માલ અને સેવા કર – જીએસટી અમલી બનાવવામાં આવેલ છે. પરોક્ષ કર માળખામાં ‘ન ભૂતો ના ભવિષ્યતિ’ એવા ધરમૂળથી કરવામાં આવેલા સુધારાથી અમલમાં આવેલ માલ અને સેવા કર – જીએસટીના સુચારૂ અમલીકરણ માટે કેન્દ્ર સરકાર કક્ષાએ જીએસટી કાઉન્સિલ, ગૂડ્સ અને સર્વિસીઝ ટેક્ષ નેટવર્ક – જીએસટીએન, એન્ટી પ્રોફિટીયરીંગ કમિટી વગેરેની રચના કરવામાં આવેલ છે. આ જ રીતે કેન્દ્ર સરકારની સાથે સુધારાઓમાં કદમથી કદમ મિલાવવા, રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય માલ અને સેવા કર – એસજીએસટીની આવકોના કેન્‍દ્રીયકૃત હિસાબો નિભાવવા ઈ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગર” ની રચના કરવામાં આવેલ છે. આ કચેરી તા. 21.06.2017થી કાર્યરત છે. આ કચેરીના કર્મચારીઓ એક કુટુંબની જેમ સાથે રહી પરસ્પર સહકારની ભાવના સાથે સમગ્ર રાજ્યની જીએસટીની આવકોના હિસાબો રાખવાનું ભગીરથ કાર્ય કરે છે.

એપ્રિલ 2014માં કંપની એક્ટ, 2013માં સુધારો કર્યા પછી, ભારત કોર્પોરેટ સોશીયલ (સામાજિક) રિસ્પોન્સિબિલીટી (જવાબદારી) – સીએસઆર ફરજિયાત બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ છે. સામાજિક જવાબદારી (સોશીયલ રિસ્પોન્સિબિલીટી)ની વિભાવના દ્વારા કંપનીઓ તેમના વ્યાવસાયિક કામગીરી ઉપરાંત સામાજિક અને પર્યાવરણીય કાર્યોને સંકલિત કરે છે તથા આર્થિક, પર્યાવરણીય અને સામાજિક આવશ્યકતાઓ(ટ્રીપલ – બોટમ લાઇન – એપ્રોચ)નું સંતુલન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસો જેવા કે, ટાટા ગૃપ, અલ્ટ્રાટેક સિમેંટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇટીસી ગૃપ વગેરે સામાજિક જવાબદારી નિભાવવા શિક્ષણ, બેકારી, વાતાવરણ વિવિધ ક્ષેત્રે ઘણી કામગીરી કરે છે અને આ વિભાવનાને સુપેરે નિભાવે છે.

સરકારશ્રીની મહેસૂલી આવકોમાં મોટો હિસ્સો ધરાવતી જીએસટીની આવકોના હિસાબો નિભાવવાની સાથે-સાથે આ કચેરી પણ કોર્પોરેટ સોશીયલ (સામાજિક) રિસ્પોન્સિબિલીટી (જવાબદારી) – સીએસઆર જેવી જવાબદારીની અદા કરવાનું ચૂકતી નથી. આ કચેરી દ્વારા વર્ષ – 2019માં અત્યાર સુધીમાં ચાર જેટલી સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવેલ છે; જેની વિગતો નીચે મુજબ છે.

  1. જાન્યુઆરી – 2019માં ઇ-પીએઓ(જીએસટી) પરિવારના સભ્યો દ્વારા સેક્ટર – 16ની શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોની મુલાકાત લીધી હતી. આ બાળકો સાથે સમય વિતાવવો એ પણ એક લહાવો છે. મુલાકાત દરમ્યાન મકરસંક્રાંતિને અનુરૂપ મમરાના લાડુ, રાજગરાના લાડુ, માવા ચીકી, સીંગ ચીકી વગેરે નાસ્તો બાળકોને વહેંચવામાં આવ્યો હતો.
  2. ફેબ્રુઆરી – 2019માં સેક્ટર – 19 ખાતે આવેલ સ્પેશિયલ ચાઇલ્ડ હોમ કે જ્યાં HIV-AIDS અસરગ્રસ્ત બાળકો રહે છે અને ભણે છે, તેઓની મુલાકાત લીધી હતી. આ બાળકો પૈકી એક બાળકની, ‘વિદ્યા દાનમ મહા દાનમ’ને ચરિતાર્થ કરવાના શુભાશય સાથે, અર્ધ-વાર્ષિક શિક્ષણ ફી ભરી તેનું આગળનું ભણતર સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું અને બાળકોને તાજા ફળો વહેંચી પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવેલ હતો.
  3. તા 4થી મે, 2019ના દિવસે 420 સે. જેટલા ધોમ-ધખતા તાપમાનમાં ઇ-પીએઓ(જીએસટી) પરિવારના સભ્યો દ્વારા ‘ચ’ રોડ ઉપર વટેમાર્ગુઓને આશરે 400 ગ્લાસ ઠંડી મસાલાવાળી છાશનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
  4. તાજેતરમાં તા. 3જી જુલાઇ, 2019ના રોજ સેક્ટર – 6 ખાતે આવેલા કર્મ ફાલ્ય ટ્રસ્ટ સંચાલિત ‘કિશ્ર્ના વૃધ્ધાશ્રમ’ની મુલાકાત લેવામાં આવેલ હતી. વૃધ્ધાશ્રમના વડીલો માટે બનતી રસોઇમાં જરૂરી મસાલા જેવા કે, મરચું, હળદર, ધાણાજીરૂ, રાય, આખું જીરૂ, હિંગ વગેરેનો જથ્થો આપવામાં આવેલ હતો. આ ઉપરાંત વડીલો સાથે હળવો નાસ્તો કરી, સમય પસાર કરવામાં આવ્યો હતો. વડીલો સાથે પસાર કરેલો સમય અને તેઓની અનુભવ ભરી વાતોથી કદાચ સમાજને તેનો સાચો અરીસો બતાવતા હોય તેવું પ્રતિત થતું હતું.

ઇ-પીએઓ(જીએસટી) પરિવારના સભ્યો દ્વારા આવી પ્રવૃતિઓ ખૂબ જ નાના પાયે થાય છે; પરંતુ તેની ખાસિયત એ છે કે દરેક સભ્યો તન, મન અને ધનથી તેમાં સહયોગ આપે છે. અગાઉની ત્રણ પ્રવૃતિઓ કર્યા બાદ અન્ય કચેરીના અધિકારીશ્રીઓએ આવી પ્રવૃતિમાં સહભાગી થવા લાગણી વ્યક્ત કરી હતી અને છેલ્લી પ્રવૃતિમાં માન. નિયામકશ્રી (ડીએટી), સંયુક્ત નિયામકશ્રી (પીવીયુ), હિસાબી અધિકારી (પીવીયુ) અને હિસાબી અધિકારી (આયુષ) વગેરે પણ ફાળો આપી સહભાગી થયા હતા અને ઇ-પીએઓ(જીએસટી) પરિવારના સભ્યો દ્વારા આયોજિત આવી પ્રવૃતિઓ માટે ઉત્સાહ વધાર્યો હતો.

આ કચેરી દ્વારા આયોજિત કરવામાં આવતી વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃતિઓનો આશય ઉદાહરણ રૂપ અને પ્રેરણાત્મક સંદેશો મળી રહે તેવો છે. ભવિષ્યમાં પણ આ કચેરી દ્વારા આવી પ્રવૃતિઓ નિરંતર થતી રહે તેવી અભિલાષા સેવું છું.

રામાયણ – પ્રથમ વિનમ્ર પ્રયાસ

સ્વર્ગસ્થ માતુશ્રીને ગર્ભથી જ રામાયણના સંસ્કાર આપવા બદલ સમર્પિત…

રામાયણ. આ… હા… કેટલો ભવ્ય, દિવ્ય, પવિત્ર અને આદર્શ ગ્રંથ. શ્રી રામ ભગવાનનું ચરિત્ર પણ ઉત્તુંગ, મર્યાદા પુરુષોત્તમ અને આદર્શ. બહુ મનોમંથન કર્યું કે શું હું પામર માનવી ભગવાન શ્રી રામ વિશે કે મહાન ગ્રંથ રામાયણ વિશે કંઇ પણ લખવા યોગ્યતા ધરાવું છું? અંતે માતુશ્રી તથા માતૃપક્ષ તરફથી બાળપણથી મળેલા સંસ્કારો અને પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અસીમ કૃપાથી જીવનમાં રહેલ રામાયણ પ્રત્યેના પ્રેમ અને આદરના નાતે પણ કંઇક લખવાનું નક્કી કર્યું.

પ્રભુ શ્રી રામનો મહિમા અપરંપાર છે. તેના વિશે ગમે તેટલું લખો ઓછુ જ પડે. પ્રભુનો મહિમા વર્ણવવા સંદર્ભમાં કહીએ તો –

असित गिरि समं स्यात् कज्जलम् सिन्धु पात्रे सुरतरुवर शाखा लेखनी पत्रम् उर्वी लिखति यदि गृहित्वा शारदा सर्वकालं तदपि तव गुणानां ईश पारं  याति 

કવિ શ્રી કાલિદાસજી કે જેના ઉપર સરસ્વતીજીની સાક્ષાત અસીમ કૃપા રહેલ છે, તેઓએ પણ વાલ્મીકિ રામાયણ લખાયા બાદ વંશવર્ણન કરતા “રઘુવંશ”ની રચનાની શરૂઆત ‘મંદ: કવિ: યશ: પ્રાર્થી’ એટલે કે ‘હું મંદ છું’ એવું કહીને કરી છે. ભક્ત શિરોમણી શ્રી એકનાથજી કે જેમના ઘરે ખુદ ભગવાને સેવા-ચાકરી કરી હતી તેઓએ પણ કહ્યું છે કે, ‘રામાયણનો ભાવાર્થ નહીં પણ ફક્ત શબ્દાર્થ જ હું કરું છું’. શ્રી રામચરિતમાનસના રચયિતા સંત શ્રી ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પણ ‘રામાયણના સંપૂર્ણ આકલન માટે ચરાચર સૃષ્ટિને બોલાવવી પડે’ તેવું કબુલ્યું છે. જો રામાયણ વિશે કંઇ લખતી વખતે આવા મહાન સંતો અને કવિઓની આ મનોદશા હોય, તો આધ્યાત્મિક માર્ગમાં હું તો એક પામર અને તુચ્છ મનુષ્ય છું. રામાયણ વિશે કંઇ પણ લખવા કે કહેવાને લાયક નથી. પરંતુ અંતઃસ્ફુરણા અને સદગુરુ સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજના મનથી આશીર્વાદ મેળવી રામાયણ વિશે કંઇક લખવાનો પ્રયત્ન કરું છું અને તેમાં સમયાંતરે ઉમેરો પણ કરતો રહીશ. રામાયણ અને શ્રી રામચરિત્રના પ્રસંગો વિશે લખવામાં કંઇ ભૂલ થાય, તો સંતો, ભક્તો અને વાચકો બધા તેને ક્ષમ્ય ગણશો તેવી પ્રાર્થના અને આવી ભૂલો પ્રત્યે ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.

કોસ્મિક રેઝ, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, એટમ બોમ્બ વગેરે જેવી શોધો કરનાર અને આધિભૌતિક વિચારોને જ સર્વસ્વ માનવાવાળા જગતને આપણે ગરદન ઊંચી કરીને કહી શકીએ એવું કંઇક આપણી પાસે છે, તો એ છે અલૌકિક ગ્રંથ “રામાયણ”. વિવિધ ભાષાઓમાં અનેક સારા કાવ્યો અને મહાકાવ્યો છે; પરંતુ રામાયણની તોલે આવે તેવું મહાકાવ્ય એક પણ હજુ જોવામાં કે સાંભળવામાં નથી. દરેક ભાષાના કાવ્યોમાં કંઇક સુંદર હોય છે; પરંતુ રામાયણમાં ‘એવું કંઇક છે’ જે અન્ય કાવ્યોમાં ખૂટે છે. આવું જ ગ્રીસ દેશનું એક પ્રાચિનતમ કાવ્ય છે “ઇલિયડ”. પાશ્ચાત્યો પોતાના સ્વાભિમાન ખાતર એવું કહે છે કે રામાયણની કલ્પના ઇલિયડમાંથી લેવામાં આવી છે. આવું સાંભળીને એવી વિચિત્ર પરિસ્થિતિ થઇ જાય છે કે આવા લોકો ઉપર હસવું કે રડવું? ખરેખર તો દયા આવી જાય છે. અહીં ઇલિયડ કોઇપણ રીતે ખરાબ છે તેવું કહેવાનો મારો જરાય આશય નથી. મેં ઇલિયડ આખું વાંચ્યું પણ નથી, પરંતુ તેના અધિકૃત ભાષાંતર ના આધારે ટૂંકમાં કહું તો, રાણી હેલનને લઇ આવવા માટે જેમ ઇલિયડમાં ટ્રોજન યુદ્ધ થયું તેમ સીતાજીને લઇ આવવા માટે રામ-રાવણનું યુદ્ધ થયું તેવું રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે; તેવી સરખામણી કરવામાં આવે છે. આવું બધુ વાંચીને રામાયણ અને ઇલિયડ વચ્ચે સરખામણી કરતા લેખો લખાવા માંડ્યા અને હદ તો એ છે કે આ સરખામણી કરતો શોધ-નિબંધ પણ લખાયો છે; જેમાં ઘણા બધા પાસાઓની સરખામણી કરવામાં આવી છે. આડકતરી રીતે રામાયણ એ ઇલિયડ ઉપરથી પ્રેરિત છે, તેવું દર્શાવવા પ્રયત્ન પણ કરવામાં આવે છે. હું અહિ બન્ને વચ્ચેનો તફાવત એક જ વાક્યમાં કહેવાનો પ્રયત્ન કરીશ જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. ઇલિયડમાં રાણી હેલન પોતાના પતિને છોડીને તેના પ્રિયકર જોડે ભાગી ગયેલી; જ્યારે પતિવ્રતા સીતાજીને જબરદસ્તીથી રાવણ લઇ ગયો હતો. વાલ્મીકિજીએ રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ચરિત્ર થકી એક વિશિષ્ટ આદર્શ મૂર્તિમંત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. આમ, રામાયણ એ ઇલિયડ આધારિત કલ્પના નથી, પરંતુ સ્વતંત્ર વિભાવના અને પ્રભુકૃપાથી રચાયેલું આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મહાકાવ્ય છે. જેની દિવ્યતા, ચારિત્ર્યની પવિત્રતા, હેતુની શુધ્ધિ, શબ્દોની રમણીયતા અને માધુર્ય અદ્‌ભુત અને અલૌકિક છે.

કવિ વર્ડ઼ઝવર્થે કાવ્યની પરિભાષા કરતી વખતે કહ્યું છે કે, “Poetry is the spontaneous overflow of powerful feelings” અને આ મહાકાવ્ય ખરેખર આ પરિભાષાને સાર્થક કરતું છે. એફ. આર. બ્લુકે એ કહ્યું છે કે, “the popularity of the Valmiki Ramayana and the voluminous Rama – Literature of many centuries is a monument to the idealism of India, its high esteem of moral values and its belief in the ultimate triumph of good over evil. In the same way, the enthusiastic response of the millions of Indians to the message of Ramacharitamanasa testifies to the deep-seated religious belief and spontaneous piety of the soul of India.” બ્રિટીશ લાઈબ્રેરી એ પણ લખ્યું છે કે, “The epic’s (Ramayana’s) origins are in India and Hinduism, but over the centuries the story has crossed seas and mountains, languages and religions, performance styles and art forms.” (“મહાકાવ્ય – રામાયણની ઉત્પત્તિ ભારત અને હિન્દુ ધર્મમાં છે, પરંતુ સદીઓથી આ વાર્તા સમુદ્ર અને પર્વતો, ભાષાઓ અને ધર્મો, પ્રદર્શન શૈલીઓ અને કલા સ્વરૂપો પાર કરી છે.). આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ “રામાયણ” આપણું છે.

હવે વાત કરીએ રામાયણના રચયિતા કવિશ્રેષ્ઠશ્રીઓ શ્રી વાલ્મીકિજી અને શ્રી ગોસ્વામી તુલસીદાસજી વિશે. કવિ કેવા હોવા જોઇએ? ઈશાવાસ્ય ઉપનિષદમાં લખ્યું છે, “કવિર્મનીષી પરિભૂઃ સ્વયમ્ભૂર્યાથાતથ્યતોઽર્થાન્વ્યદધાચ્છાશ્વતીભ્યઃ સ:” એટલે કે ઋષિમુનિઓનું દર્શન છે કે, આ સંસારમાંના  બધા જ પદાર્થો (અર્થાન્) યોગ્ય રીતે (યથાતથ્યતો) પોતાની મેળે (સ્વયંભૂ:) અને સર્વાંગપૂર્ણ રીતે (પરિભૂ:) શાશ્વતકાળથી(શાશ્વતીભ્ય: સમાભ્ય:) ગોઠવેલાં છે (વ્યદધાત્). કવિ જીતેન્દ્રિય હોવો જોઇએ, ઇન્દ્રિયોના ગુલામ માટે પ્રભુસૃષ્ટિનું રહસ્ય પામવું શક્ય નથી. કવિ વ્યાપક બુદ્ધિવાળો અને આખા બ્રહ્માંડને પોતાના પેટમાં સમાવવાવાળો હોવો જોઇએ. જે પથ્થરમાં પણ પ્રેમ જુએ, સૃષ્ટિ જોવાની જેની બુદ્ધિ ઉદાર હોય અને આત્મનિષ્ઠ હોય, તે જ સાચો કવિ. સામાન્ય માનવી જ્યારે દુન્યવી સુખોનો વિચાર કરતો હોય ત્યારે કવિ આત્માનંદનું ચિંતન કરતો હોય. શ્રી વાલ્મીકિજી અને શ્રી ગોસ્વામી તુલસીદાસજી વિશે અભ્યાસ કરશો તો સમજાશે કે આ બન્ને મહાકવિઓ આવા અસંખ્ય ગુણોને યથાર્થ રીતે પામેલા હતા.

રામાયણમાં કેટલી વિશાળ શાશ્વત કાળ માટેની દૂરંદેશી ભાવનાના દર્શન થાય છે? કોઇપણ માણસને વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, આર્થિક કે રાજકીય કોઇપણ બાબતે દ્વિધા હોય, તો તેનો વ્યવહારુ જવાબ આજે પણ રામાયણમાંથી મળી રહે છે. રામાયણની બીજી એક અજોડ વિશિષ્ટતા એ પણ છે કે તેમાં નર, વાનર, રાક્ષસો, દેવો, પશુપક્ષીઓ વગેરેનું સુંદર સ્નેહસંમેલન જોવા મળે છે. આવા અલૌકિક, દિવ્ય અને પરમ પવિત્ર ગ્રંથ વિશે અને તેના સંદર્ભમાં કંઇક લખવાનો પ્રયત્ન કરું છું; તેમાં કોઇ ક્ષતિ રહેવા પામે તો બધા સંતો, ભક્તો અને વાચકોની પૂર્વ ક્ષમા યાચના સહ આ લેખ પૂર્ણ કરું છું. શ્રી રામાયણ અને શ્રી રામ ચરિત્રના પ્રસંગો વિશે સમયાંતરે લખતો રહીશ…

ડિજિટલ લેન્ડીંગ – અહો આશ્ચર્યમ્‌! લોન લેવી આટલી સરળ છે?

આપણે ત્યાં એક કહેવત છે ને કે, ઉધારી કરીને પણ ઘી તો પીવું જ જોઇએ. સિન્થેટીક જંક ફૂડ ખાઈને નમાલો થતો જતો અને કહેવાતો હેલ્થ કોન્સીયસ યુવા વર્ગ ઉધારી કરીને ઘી પીવાનું તો નહીં વિચારે કે નહીં પચાવી શકે એવું માની લઇએ પણ લોન લઇને ટુ વ્હીલર, મોબાઇલ કે એવી અન્ય પોતાના મોજશોખની વસ્તુ ખરીદવાનું તો ચોક્કસ પસંદ કરે છે, બરાબરને? વળી આપણા પ્રવાસ પ્રિય ગુજરાતીઓ વેકેશન કે અન્ય તહેવારોની રજામાં લોન લઇ ડોમેસ્ટીક કે ફોરેન ટૂર પર જવાનું પણ પસંદ કરે છે. પરંતુ આપણે એ ક્યારેય વિચાર્યું છે? કે આ મોબાઇલ ઓનલાઇન ખરીદીએ અને તેના સરળ હપ્તા કેવી રીતે થઇ જાય છે? ફ્રિજ, ટીવી વગેરે ઓનલાઇન ખરીદીએ અને વ્યાજ વગરના હપ્તે નાણા કેમ ચૂકવીએ છીએ? ઝેસ્ટ મની, મની ટેપ વગેરે એપ 4 થી 5 મિનિટમાં લોન મંજુર કરી તેના નાણા આપણા ખાતામાં જમા કેવી રીતે કરી દે છે? આ રીતે મળતી ઓનલાઇન લોનને ડિજિટલ લેન્ડીંગ કહેવામાં આવે છે. આવુ ધિરાણ આપતી નાણાકીય કંપનીઓ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોય “ફિનટેક” તરીકે પણ ઓળખાય છે.

પ્રણાલિગત લોન લેવાની પ્રક્રિયામાં સંબંધિત નાણાકીય સંસ્થાને અરજી કરવી પડે છે, ત્યારબાદ કર્મચારી દ્વારા તેઓની ધિરાણ નીતિ પ્રમાણે અરજદારની આવક, પરત ચૂકવણીની કેપેસિટી, અન્ય લોન અને તેની ચૂકવણીમાં નિયમિતતા વગેરેની ચકાસણી કરવામાં આવે છે. આવી તમામ ચકાસણી પૂર્ણ થયે લોન મંજુર કરવામાં આવે છે અને ત્યારબાદ નાણા વાપરવા મળે છે. તેમાં પણ નાના પગારદાર હોય, ઓછી આવક વાળા હોય, ઇન્કમ ટેક્ષ રીટર્ન ન ભરતા હોય વગેરેને તો લોન લેવામાં પારાવાર મુશ્કેલી પડે છે અને વ્યાજનો દર પણ બહુ ઊંચો ચૂકવવો પડે છે.

છેલ્લા થોડા વર્ષોમાં સઢવાળા વહાણ તોફાની દરિયામાં આમતેમ ફંગોળાય તેમ વિશ્વના આ ઉભરતા અર્થતંત્રના ધિરાણરૂપી મહાસાગરમાં આ રૂઢિગત લોન આપવાની રીત ફંગોળાય  ગઇ છે. આવું બનવાના કારણો જોઇએ તો પ્રથમ, બદલાતા સમયમાં ગ્રાહકોની વર્તણૂંકમાં ફેરફાર જોવા મળે છે. પહેલાના ગ્રાહકો બજારમાં વસ્તુ જોવા જતાં, વસ્તુ પસંદ આવે, ખરીદવાના નાણા હોય અને ખરીદવાની ઇચ્છાશક્તિ હોય ત્યારે ખરીદી કરતા તેવી જુનવાણી પ્રણાલીને બદલે આજની જનરેશનના લોકો જે વસ્તુ ઓનલાઇન જુએ તે મેળવવા તત્પર થઇ જાય છે અને તે ખરીદવા લોન પણ લેવા તૈયાર થઇ જાય છે અને તે વસ્તુ મેળવીને જ જંપે છે. બીજું, ટેકનોલોજીમાં ખૂબ જ ઝડપથી સુધારા થઇ રહ્યા છે. વ્યક્તિદિઠ સ્માર્ટફોનની સંખ્યા, ઇન્ટરનેટનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ત્રીજું, કાયદાકિય ફેરફારો જેવા કે આધાર આધારિત ઇ-કેવાયસીની અધિકૃતિ વગેરે સાનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. ચોથું, બેંકોની સરખામણીએ એનબીએફસીની ધિરાણ કરવાની રીત અને જોખમ ખેડવાની વૃતિ બદલી રહી છે. આ બધા સાનુકૂળ પરિબળોને લીધે ડિજિટલ લેન્ડીંગનો વ્યાપ વધી રહ્યો છે.

અલગ રીતે કહીએ તો, બેંક માંથી લોન લેવાની પ્રણાલિગત રીત 3-6-3 ફૉર્મ્યુલા ઉપર આધારિત હતી જે ડિજિટલ લેન્ડીંગના કિસ્સામાં 3-1-0 ફૉર્મ્યુલા ઉપર કામ કરે છે. 3-6-3 ફૉર્મ્યુલા એટલે 3% વ્યાજે ડિપોઝીટ મેળવવી, 6% વ્યાજે લોન આપવી અને બપોરે 3 વાગ્યા પછી બેંક બાબુઓ કેરમ, ચેસ કે વૉલીબૉલ રમતાં નજરે પડતા હતા. ડિજિટલ લેન્ડીંગમાં 3-1-0 ફૉર્મ્યુલા આધારિત કામ થાય છે, એટલે કે 3 મિનિટમાં લોન લેવાનું નક્કી કરવું, 1 મિનિટમાં લોનના નાણા ખાતામાં જમા થવા અને 0 હ્યુમન ટચ એટલે કે કોઇ વ્યક્તિના સંપર્કની આવશ્યકતા રહેતી નથી.

ડિજિટલ લેન્ડીંગમાં જ્યારે વ્યક્તિ તેની વિગતો ઓનલાઇન ઉમેરતો હોય ત્યારે બેક એન્ડમાં JAM અને India Stack જેવી ટેકનોલોજી કે જેમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયેલો હોય છે તેની મદદથી વ્યક્તિનો સીબીલ રિપોર્ટ, ઇ-કેવાયસી, અન્ય લોનની વિગતો, આવક, રોકાણો, ખર્ચ કરવાની રીત, નિયમિત લોન ભરપાઈ કરવાની માનસિકતા વગેરે ચેક થઇ જાય છે. આ તમામ પરિમાણો ઉપરાંત અરજદારના સોશીયલ મીડિયા એકાઉન્ટની વિગતોના પૃથક્કરણના આધારે સ્કોરની ગણતરી થઇ લોનની પાત્રતા અને વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ લોનની પ્રોસેસીંગ ફી ગણી બતાવવામાં આવે છે. જો વ્યાજનો દર અને પ્રોસેસીંગ ફી ગ્રાહક દ્વારા માન્ય રાખવામાં આવે તો એક જ મિનિટમાં તેના ખાતામાં લોનના નાણા જમા કરી દેવામાં આવે છે. ગ્રાહક આવા નાણા તરત જ તેઓના નિશ્ચિત હેતુ માટે ઉપયોગમાં પણ લઇ શકે છે.

થોડા વર્ષો પહેલા ભારતમાં આ ક્ષેત્ર સંપૂર્ણ વણ-ખેડાયેલું હતું. બોસ્ટન કન્સલ્ટન્સી ગૃપના એક અહેવાલમાં આ બજારની પ્રચ્છન્ન વિશાળ હકારાત્મક સંભાવનાઓ વિશે ઉલ્લેખ થયા બાદ ઘણી કંપનીઓ આ ક્ષેત્રે કાર્યરત થઇ છે. હાલની પરિસ્થિતિએ જોઇએ તો આ બજાર 35 હજાર કરોડનું છે અને એક અંદાજ મુજબ વર્ષ – 2023 સુધીમાં 60 થી 70 હજાર કરોડનું થશે. આવી અપાયેલી લોનો પૈકી 60% લોન કક્ષા – અ શહેરોમાં આપવામાં આવેલ છે. આવી ઓનલાઇન લોન લેનાર ગ્રાહકો મોટા ભાગે 20 – 35 વર્ષની વય જુથના છે અને દર ત્રણ માંથી બે ગ્રાહકો પુરુષો છે. આવી લોન પરત ચૂકવણીનો દર 98-99% જેટલો છે. આવી કંપની ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોય, તેનો સંચાલન ખર્ચ ઘણો ઓછો હોય છે, જેમ કે Early Salary નામના એકમની વાત કરીએ તો તેઓ દર મહિને 70000 જેટલી લોન ફક્ત 205 લોકોના સ્ટાફથી કરે છે.

સર્ચ એન્જીન માંધાતા ગુગલ ભારતની ચાર અગ્રણી બેંકો HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Bank તથા Federal Bank સાથે મળી આ દિશામાં તેઓની એપ ‘ગુગલ પે’ મારફતે આગળ વધી રહેલ છે. જ્યારે સોશીયલ મીડિયા માંધાતા ફેસબુક તેની ‘વોટ્સએપ’ એપ્લીકેશન મારફતે આ બજાર સર કરવા ગંભીરતાથી આગળ વધી રહ્યા છે. ટૂંક સમયમાં આવા મોટા કોર્પોરેટ હાઉસો આ ક્ષેત્રમાં હજુ પણ નવી ક્રાંતિ લાવશે અને ડિજિટલ લેન્ડીંગ અર્થતંત્રનો ખૂબ જ અગત્યનો ભાગ બની જશે.

જ્યારે નાણાકીય ક્ષેત્રમાં માળખાગત ફેરફાર થતાં હોય તેવી અર્થતંત્ર માટે અગત્યતા ધરાવતી બાબતો માટે જરૂરી અને થોડા આકરા કાયદા, નિયમો અને નીતિ નક્કી કરવી પણ તેટલી જ આવશ્યક છે. હાલની પરિસ્થિતિએ જુઓ તો અર્થતંત્ર માટે આ 35000 કરોડનો પ્રશ્ન છે. આ બાબતે ભારતીય રીઝર્વ બેંક એ ડિજિટલ લેન્ડીંગ જેના ઉપર આધારિત છે તેવી નાગરિકોની અંગત નાણાકીય માહિતી બાબતે સુદ્રઢ માળખું સૂચવેલ છે. આ માળખામાં ‘ડેટા સબ્જેક્ટસ્‌’ એટલે કે આવી નાણાકીય માહિતી ભેગી કરનાર એકમો, ‘ડેટા કન્ટ્રોલર’ કે જે માહિતીનો ઉપયોગ કરે છે અને ગ્રાહકને આ માહિતીના વપરાશથી કોઇ નુકશાન જાય તો તેના માટે જવાબદાર છે તથા ‘ડેટા કમિશ્નર’ કે જેઓ ગ્રાહક અને એકમો વચ્ચેની ફરિયાદોના નિવારણ માટેની સંસ્થા રહેશે વગેરેનો સમાવેશ થાય છે. આ સૂચિત માળખું સ્કેંડિનેવિયન દેશો એટલે કે ઉતરીય યુરોપના ડેનમાર્ક, નોર્વે અને સ્વીડન દેશોનો સમાવેશ થાય છે ત્યાં અમલમાં છે તેવું સરકાર ઉપર વિશ્વાસ આધારિત મોડેલથી પ્રેરિત છે.

છે ને લોન લેવી ખૂબ જ સરળ??? પરંતુ આશા રાખીએ કે આ ડિજિટલ લેન્ડીંગ મોડેલનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય સાથે-સાથે જરૂરિયાતમંદોને તેનો યોગ્ય લાભ પણ મળી રહે અને અર્થતંત્ર માટે લાંબાગાળે હકારાત્મક જ સાબિત થાય…..

બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ (ભાગ – ૨) Banking Ombudsman Scheme – 2006 (Part – II)

નમસ્કાર વાચક મિત્રો,

બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ વિશે અગાઉના લેખમાં યોજનાની પ્રાસ્તાવિક બાબતો, બેંકિંગ લોકપાલની નિમણૂંકને લગતી બાબતો, બેંકિંગ લોકપાલ સમક્ષ કઇ-કઇ બાબતે ફરિયાદ થઇ શકે છે? ફરિયાદની અરજી કરવાની જોગવાઇ, ફરિયાદની અરજી અન્વયે કાર્યવાહીની વિગતો, ફરિયાદનું નિવારણ ક્યારે ગણવામાં આવે છે? વગેરે વિગતો આવરી લેવામાં આવી હતી.

આ લેખમાં લોકપાલ યોજના – ૨૦૦૬ અન્વયે બેંકિંગ લોકપાલ ફરિયાદ ક્યારે નામંજુર કરી શકે છે? અરજીના ચૂકાદાથી સંતોષ ન હોય તો અપીલની જોગવાઇઓ, પ્રજાજનોને યોજનાની વિગતો પ્રસિધ્ધ કરવાને લગતી જોગવાઇ તથા બેંકિંગ લોકપાલ યોજનાના વહીવટી અહેવાલ વર્ષ ૨૦૧૭ – ૧૮ (૧લી જુલાઇ, ૨૦૧૭ થી ૩૦મી જુન, ૨૦૧૮ સુધી) આધારિત કામગીરીની વિગતો આવરી લેવામાં આવી છે.

ફરિયાદની ના-મંજુરી

નીચેના કારણોસર બેંકિંગ લોકપાલ કોઇપણ તબક્કે ફરિયાદ નામંજુર કરી શકે છે.

૧. ફરિયાદ વ્યર્થ, બદ-ઈરાદાપૂર્વક કે પૂરતા કારણ વગરની જણાય,

૨. બેંકિંગ લોકપાલના મતે ફરિયાદીને નુકશાન, હાનિ કે અગવડ થતી ન હોય,

૩. બેંકિંગ લોકપાલના નાણાકીય ક્ષેત્રાધિકાર બહારની ફરિયાદ હોય,

૪. બેંકિંગ લોકપાલને એવું લાગે કે ફરિયાદ વધુ પડતી ગૂંચવણભરી અને તેની વિચારણા માટે લાંબા દસ્તાવેજી અને મૌખિક પુરાવા આવશ્યક છે, જે ફરિયાદના ન્યાયી નિર્ણય માટે તેમની સમક્ષ કાર્યવાહીને યોગ્ય નથી.

૫. સંબંધિત બેંક પાસેથી ફરિયાદના નિવારણ સારુ પ્રયત્ન કર્યા વગર સીધી બેંકિંગ લોકપાલને ફરિયાદ કરવામાં આવેલ હોય,

૬. બેંક તરફથી જવાબ મળ્યાના એક વર્ષમાં અથવા ફરિયાદ કર્યાના એક વર્ષમાં જવાબ મળેલ ન હોય, તેના એક મહિનાની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી ન હોય,

૭. જે ફરિયાદ સંદર્ભમાં એક વખત બેંકિંગ લોકપાલ દ્વારા અગાઉ નિરાકરણ આપવામાં આવેલ હોય,

૮. અન્ય કોઇ કોર્ટ, ટ્રિબ્યુનલ કે લવાદી પાસે પડતર ફરિયાદ હોય,

૯. ક્ષુલ્લક અથવા ત્રાસદાયક સ્વરૂપની ફરિયાદ હોય.

અપીલની જોગવાઇ

જે ફરિયાદના સંદર્ભમાં બેંકિંગ લોકપાલ દ્વારા આપવામાં આવેલ ચુકાદો બે પૈકી કોઇ પક્ષને માન્ય ન હોય, તો આવા ચુકાદા સામે અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી શકાય છે. ભારતીય રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર અપીલ અધિકારી તરીકે નિયુક્ત થયેલા છે. અપીલ અધિકારી તેઓને અપીલ મળ્યે –

  • અપીલ માન્ય કરી અને મૂળ ચુકાદો રદ કરી શકે.
  • અપીલ રદ કરી શકે.
  • અપીલ અધિકારીને ઉચિત જણાય તે રીતે નવેસરથી બેંકને ફરિયાદ નિવારણ માટે ફરીથી જણાવી શકે.
  • અગાઉના ચુકાદાનો નિર્ણય સુધારી અને અમલમાં મૂકવા જરૂર હોય તેવી અન્ય સુચના આપી શકે.
  • તેમને યોગ્ય જણાય તેવો બીજો હુકમ કરી શકે છે.

બેંકિંગ લોકપાલ વધુમાં વધુ રૂ. ૨૦ લાખ કે ફરિયાદમાં નોંધાવેલ રકમ બન્નેમાંથી જે ઓછુ હોય તેટલી રકમનો ચુકાદો આપી શકે. વધુમાં ફરિયાદીને થયેલ નુકશાન, પડેલ અગવડ અને ભોગવેલ માનસિક યાતના માટે વધુમાં વધુ રૂ. ૧ લાખ સુધીનું વળતર મંજુર કરી શકે છે.

બેંકિંગ લોકપાલ યોજનાની બહોળી પ્રસિધ્ધિ

આ યોજના હેઠળ આવતી બેંકોને બેંકિંગ લોકપાલ યોજનાની વિગતો જેવી કે હેતુ, સંપર્ક વિગતો વગેરે તેના ગ્રાહકોને આગવી રીતે દેખાય તેવી રીતે દર્શાવવા સુચના આપવામાં આવેલ છે. બેંકના નિયુક્ત અધિકારી પાસે આ બેંકિંગ લોકપાલ યોજનાની સુચનાઓની નકલ ઉપલબ્ધ હોય તેવી વ્યવસ્થા રાખવા પણ તમામ બેંકોને જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત, બેંકિંગ લોકપાલ તરફથી બેંકોને નિવારણ માટે મોકલવામાં આવેલી ફરિયાદો સંદર્ભે થયેલ અને પડતર કામગીરીની વિગતો ઉપલબ્ધ કરાવવા દરેક બેંકને તેઓની વિભાગીય/ક્ષેત્રિય કચેરી કક્ષાએ નોડલ અધિકારી નિમવા અને બેંકિંગ લોકપાલના કાર્યક્ષેત્રમાં બેંકના એક થી વધુ નોડલ અધિકારી આવતા હોય તો, આવા નોડલ અધિકારીઓ પૈકી એક મુખ્ય નોડલ અધિકારીની નિમણૂંક કરવા સુચના આપવામાં આવેલ છે.

બેંકિંગ લોકપાલ યોજના – વહીવટી અહેવાલ વર્ષ ૨૦૧૭ – ૧૮

બેંકિંગ લોકપાલે તેઓએ કરેલ કામગીરીનો વાર્ષિક અહેવાલ અપીલ અધિકારી એટલે કે ભારતીય રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરને આપવાનો રહે છે. છેલ્લે બેંકિંગ લોકપાલ દ્વારા અપીલ અધિકારી અને ભારતીય રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરને ૧લી જુલાઇ, ૨૦૧૭ થી ૩૦મી જુન, ૨૦૧૮ સુધી કરેલ કામગીરીનો વર્ષ ૨૦૧૭ – ૧૮નો અહેવાલ રજુ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૭ – ૧૮ના અહેવાલ અનુસાર –  

  • બેંકિંગ લોકપાલને વર્ષ ૨૦૧૫ – ૧૬માં ૧૦૨૮૯૪, વર્ષ ૨૦૧૬ – ૧૭માં ૧૩૦૯૮૭ અને વર્ષ ૨૦૧૮ – ૧૯માં ૧૬૩૫૯૦ ફરિયાદો મળેલ હતી. જે વર્ષ ૨૦૧૫ – ૧૬ની સરખામણીએ વર્ષ ૨૦૧૬ – ૧૭માં ૨૭.૩% અને વર્ષ ૨૦૧૬ – ૧૭ની સરખામણીએ વર્ષ ૨૦૧૭ – ૧૮માં ૨૪.૯%નો વધારો દર્શાવે છે.
  • વર્ષ ૨૦૧૭ – ૧૮માં અગાઉની બાકી અને વર્ષ દરમ્યાન મળેલ કૂલ ફરિયાદોના ૯૬.૫% નિરાકરણ કરવામાં આવેલ હતું.
  • બેંકિંગ લોકપાલ યોજનાની જવલંત સફળતા બાદ નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની – એનબીએફસી માટે પણ આ જ ધોરણે બેંકિંગ લોકપાલ યોજના શરુ કરવામાં આવેલ છે. જે શરૂઆતમાં થાપણો સ્વીકારતી એનબીએફસીઓ માટે લાગુ પાડવામાં આવેલ છે. યોગ્ય સમયે અન્ય એનબીએફસીને પણ આ યોજના લાગુ પાડવામાં આવશે.
  • વર્ષ ૨૦૧૭ – ૧૮ દરમ્યાન ભારતીય રીઝર્વ બેંક દ્વારા મોબાઇલ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી લલચામણી જાહેરાતો, ફિશિંગ અને છેતરામણા ફોન કોલથી વન ટાઇમ પાસવર્ડ – ઓટીપી અને અન્ય વિગતો મેળવી ભોળા ગ્રાહકોને છેતરવાની રીત સામે જાગૃતતા માટે અભિયાન ચલાવી બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવેલ હતી.
  • ફરિયાદોમાં વધારાની સાથે બેંકિંગ લોકપાલ કચેરીઓએ અસરકારક અને કરકસર પૂર્વક કામગીરી કરતા વર્ષ ૨૦૧૬ – ૧૭માં ૯૨% ફરિયાદોનો નિકાલ કરેલ હતો તેની સામે વર્ષ ૨૦૧૭ – ૧૮માં ૯૬.૫% ફરિયાદોનો નિકાલ કરેલ હતો.
  • વર્ષ ૨૦૧૭ – ૧૮માં મધ્યસ્થી મારફતે ફરિયાદ નિવારણની ટકાવારી પણ વર્ષ ૨૦૧૬ – ૧૭ની ૪૨.૪૩%ની સામે વર્ષ ૨૦૧૭ – ૧૮માં ૬૫.૮૨% રહેવા પામેલ હતી.
  • કૂલ મળેલ ૧૬૩૫૯૦ ફરિયાદો પૈકી વાજબી વ્યવહારના સિધ્ધાંતો (Fair Practices Code)ને લગતી ૨૨.૧%, એટીએમ અમે ડેબિટ કાર્ડને લગતી ફરિયાદો ૧૫.૧%, ક્રેડિટ કાર્ડને લગતી ફરિયાદો ૭.૭% અને ઇલેક્ટ્રોનિક બેંકિંગને લગતી ફરિયાદો ૫.૨% મુખ્યત્વે હતી.
  • અપીલ માટેની જોગવાઇઓનું ક્ષેત્ર વિશાળ કરવામાં આવતા વર્ષ ૨૦૧૬ – ૧૭માં મળેલ ૧૫ અપીલોની સરખામણીએ વર્ષ ૨૦૧૭ – ૧૮માં આઠ ગણી એટલે કે ૧૨૫ અપીલો મળેલ હતી.
  • બેંકિંગ લોકપાલ કચેરીઓની અસરકારક અને કાર્યક્ષમ શૈલીને લીધે વર્ષ ૨૦૧૬ – ૧૭માં એક ફરિયાદના નિવારણ પાછળ થયેલ સરેરાશ ખર્ચ રૂ. ૩૬૨૬ની સરખામણીએ વર્ષ ૨૦૧૭ – ૧૮માં ફરિયાદ દીઠ સરેરાશ નિવારણ ખર્ચ રૂ. ૩૫૦૪ રહેવા પામેલ હતો. જે વર્ષ ૨૦૧૫ – ૧૬માં તે ખૂબજ વધુ એટલે કે રૂ. ૪૨૩૭ ફરિયાદ દીઠ હતો.
  • ફરિયાદો વધવાના કારણો જોઇએ તો ખૂબ જ ઝડપે વધી રહેલી બેંકિંગ સેવાઓનો વ્યાપ, બેંક ગ્રાહકોની સંખ્યામાં વધારો, ભારતીય રીઝર્વ બેંક દ્વારા ટીવી ચેનલ, એફ. એમ. રેડિયો, RBISay એસ.એમ.એસ. હેન્ડલર મારફતે હાથ ધરવામાં આવેલ પ્રસિધ્ધિ અભિયાન અને વિભાગીય કચેરીઓ દ્વારા નાગરિકો સુધી આ યોજનાની જાણકારી પહોંચાડવા કરવામાં આવેલા સઘન પ્રયત્નો કારણભૂત ગણી શકાય.
  • વર્ષ ૨૦૧૭ – ૧૮ દરમ્યાન મળેલ કૂલ ફરિયાદો ૧૬૩૫૯૦ પૈકી દિલ્હીની બે કચેરીઓને કૂલ ૩૫૭૩૭ ફરિયાદો મળેલ હતી, જે સમગ્ર દેશમાં મળેલ કૂલ ફરિયાદના ૨૧.૮% જેટલી થવા પામે છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૭ – ૧૮માં બેંકિંગ લોકપાલ કચેરી, કાનપુર ખાતે મળેલ ફરિયાદોમાં વર્ષ ૨૦૧૬ – ૧૭ની સરખામણીએ ૬૩% જેટલો સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.

આપણે આ લેખમાં બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ (તા. ૧લી જુલાઇ, ૨૦૧૭ સુધી સુધારેલી)ની જોગવાઇઓ અને વર્ષ ૨૦૧૭ – ૧૮ની કામગીરીની વિગતો જોઇ. મારા મતે હજુ પણ વિવિધ બેંકોની શાખાઓમાં બેંકિંગ લોકપાલ યોજનાની વિગતો પ્રદર્શિત કરવામાં ઉદાસીનતા સેવવામાં આવે છે અને પ્રજાજનો સુધી આ યોજનાની વિગતોને જોઇતા પ્રમાણમાં ફેલાવો થયેલ નથી. વર્ષ ૨૦૧૭ના નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણીમાં બેંકિંગ લોકપાલ યોજનાની જાણકારીનો મુદ્દો આવરી લેવામાં આવેલ હતો, પરંતુ હજુ આ બાબતે વધુમાં વધુ જાગૃતતા ફેલાવવા સઘન પ્રયાસો કરવામાં આવે તે જાહેર હિતમાં ખૂબ જ આવશ્યક છે.

વાચક મિત્રો, બેંકિંગ સેવાઓ જ્યારે આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયેલ છે, ત્યારે ગ્રાહક કોઇપણ નુકસાન કે છેતરપીંડીના કિસ્સામાં સુરક્ષિત મહેસૂસ કરે અને જરૂર જણાય તો યોગ્ય ન્યાય પણ મેળવી શકે, તે માટે આ લેખ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ જરૂર કરજો.

આભાર…

બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ (ભાગ – ૧ ) Banking Ombudsman Scheme – 2006 (Part – I)

પ્રસ્તાવના

ભારતીય રીઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિમય અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૩૫(અ) અન્વયે સૌપ્રથમ વર્ષ – ૧૯૯૫માં ગ્રાહકોને બેંકો દ્વારા આપવામાં આવતી સુવિધા બાબતે કોઇ ફરિયાદ હોય, તો તેનું ઝડપી અને બિન-ખર્ચાળ નિરાકરણ લાવવા માટે બેંકિંગ લોકપાલની યોજના દાખલ કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને આવરી લેવા અને બેંકિંગ લોકપાલ દ્વારા આપવામાં આવેલ ચૂકાદાના પુનર્વિલોકનની જોગવાઈ આવરી લેવા વર્ષ – ૨૦૦૨માં સુધારવામાં પણ આવેલ હતી.

સમય પસાર થવાની સાથે બેંકો દ્વારા આપવામાં આવતી સેવાઓનું સ્વરૂપ બદલાતા બેંકિંગ લોકપાલ યોજનાનો વ્યાપ વધારવા સુધારેલી બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ અમલમાં મૂકવામાં આવી. જેમાં વીમાનું વેચાણ, મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ, અન્ય થર્ડ પાર્ટી પ્રોડક્ટનું વેચાણ, ક્રેડિટ કાર્ડને લગતી ફરિયાદો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો. સતત બદલાતી ટેકનોલોજી અને સમયની માંગને ધ્યાને લઈ, ૧૬મી જુન, ૨૦૧૭ના જાહેરનામાથી ૦૧લી જુલાઇ, ૨૦૧૭થી અમલમાં આવે તે રીતે આ યોજનામાં ફરી સુધારા કરવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે મોબાઇલ બેંકિંગ, ઇલેક્ટ્રોનિક બેંકિંગ વગેરેને લગતી ફરિયાદો અને લોકપાલ દ્વારા આપવામાં આવતા વળતરની રકમમાં સુધારો કરવાની બાબતોનો સમાવેશ થાય છે.

નવી બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬નું કાર્યક્ષેત્ર વિશાળ રાખવામાં આવેલ છે અને તેમાં બેંક તેમજ ગ્રાહક બન્નેને કોઇ લોકપાલ દ્વારા આપવામાં આવેલ ચૂકાદા સામે અપીલ કરવા માટે તક પુરી પાડવા અપીલ અધિકારીની જોગવાઈ પણ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ તમામ અનુસૂચિત વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને અનુસૂચિત પ્રાથમિક બેંકો આવરી લેવામાં આવી છે.

બેંકિંગ લોકપાલ

આ યોજના હેઠળ ભારતીય રીઝર્વ બેંક દ્વારા ચાલુ નોકરીમાં હોય તેવા જનરલ મેનેજર કે ચીફ જનરલ મેનેજર કક્ષાના અધિકારીને ત્રણ વર્ષથી વધુ નહી તેટલા સમય માટે બેંકિંગ લોકપાલ તરીકે નીમવામાં આવે છે. બેંકિંગ લોકપાલ અર્ધ-ન્યાયિક સત્તાધિકારી છે. તેમને બેંક અને તેના ગ્રાહકોને તેમની સમક્ષ હાજર થવા ફરમાવવા અને મધ્યસ્થી કે સમાધાન દ્વારા ફરિયાદનું નિરાકરણ સરળ બનાવવાની સત્તા છે.

બેંકિંગ લોકપાલ સમક્ષ નીચે મુજબની બેંકિંગ સેવા સંબંધિત ફરિયાદો કરી શકાય છે.

૧ ગ્રાહક દ્વારા ઇશ્યુ કરેલ યોગ્ય ચેકોની ચૂકવણી ન કરવી કે ભરેલા ચેકોની વસુલાતમાં અસાધારણ વિલંબ કરવો.

૨ નાના દરની નોટો અને સિક્કાઓ સ્વીકારવા ઇન્કાર કરવો કે સ્વીકારવા માટે કમિશન લેવું.

૩ ડ્રાફ્ટ, પે ઓર્ડર કે બેંકર્સ ચેકો આપવામાં ચૂક અથવા વિલંબ.

૪ કામકાજના નિયત કલાકોનું પાલન ન કરવું.

૫ બાંહેધરી અથવા શાખપત્રની સ્વીકારેલી જવાબદારી અદા ન કરવી.

૬ બેંકમાં રાખવામાં આવતી થાપણ, બચત ખાતા, ચાલુ ખાતા કે અન્ય કોઇ ખાતાઓમાં વ્યાજ દરને લાગુ પડતી માર્ગદર્શક સુચનાઓના પાલનમાં કસૂર.

૭ ગ્રાહકના ખાતામાં ઉપજ જમા ન લેવી કે થાપણની યથાયોગ્ય સમયે ચૂકવણી ના કરવી વગેરે.

૮ ઇનકાર કરવા માટે યોગ્ય કારણ વગર ખાતું ખોલવાની ના પાડવી.

૯ ગ્રાહકોને પુરતી આગોતરી નોટીસ પાઠવ્યા વગર ખર્ચની વસુલાત કરવી.

૧૦ એટીએમમાં ડેબિટ કાર્ડ સંબંધી વ્યવહારો/કામગીરીમાં ભારતીય રીઝર્વ બેંકની સુચનાઓનું પાલન ન કરવું.

૧૧ ભારતીય રીઝર્વ બેંક/સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવેલ બેંક દ્વારા તેઓ જે કરવેરા સ્વીકારવા અધિકૃત હોય તે ન સ્વીકારવા કે તેમાં વિલંબ કરવો.

૧૨ યોગ્ય અને/અથવા પુરતી નોટીસ આપ્યા વિના થાપણ ખાતા જબરદસ્તીથી બંધ કરવા.

૧૩ ખાતા બંધ કરવાનો ઇન્કાર અથવા તેમાં વિલંબ.

૧૪ બેંક દ્વારા સ્વીકૃત યોગ્ય પ્રથાના નિયમોનું પાલન ન કરવું.

૧૫ બેંકિંગ અથવા અન્ય સેવાઓ અંગે ભારતીય રીઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શક સુચનાઓના ભંગ સંબંધી ફરિયાદ.

ઉક્ત યાદી ઉદાહરણ રૂપ છે સંપૂર્ણ નથી અને આ ઉપરાંત બેંકિંગ સંબંધી અન્ય સેવાઓ સંદર્ભે પણ બેંકિંગ લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવી શકાય છે.

ફરિયાદની અરજી કરવા બાબત

કોઇપણ વ્યક્તિને બેંકની સુવિધા સંદર્ભે ફરિયાદ હોય તો તે પોતે અથવા પોતાના અધિકૃત વ્યક્તિ (વકીલ સિવાય) મારફતે લેખિતમાં કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરેલી ફરિયાદો ગ્રાહ્ય રાખવામાં આવે છે. ફરિયાદ નોંધાવવા કરવામાં આવતી અરજીમાં જરૂરી વિગતો જેવી કે ફરિયાદીનું નામ અને સરનામું, બેંકની જે શાખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની હોય તેની વિગતો, ફરિયાદની વિગત, કેટલું અને કેવું નુકસાન થયેલ છે તેની વિગતો, જે રાહત કે સહાય માંગવામાં આવેલી હોય તેની વિગતો વગેરે દર્શાવવાની રહે છે.

બેંકિંગ લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવતા પહેલા ફરિયાદીએ સંબંધિત બેંકને ફરિયાદ કરવી જોઇએ અને નિયત સમય મર્યાદામાં જવાબ ન મળે કે જવાબ/નિરાકરણ સંતોષકારક ન હોય તો બેંકિંગ લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવી શકાય છે. હાલની પરિસ્થિતિએ દેશમાં કૂલ ૨૧ બેંકિંગ લોકપાલની કચેરીઓ કાર્યરત છે. બેંકિંગ લોકપાલની કચેરીઓના સરનામાં અને અન્ય સંપર્ક વિગતો માટે https://m.rbi.org.in/CommonPerson/english/scripts/againstbankabo.aspx લિંક ઉપર ક્લિક કરી મુલાકાત લેવી. જે-તે બેંકિંગ લોકપાલના અધિકારક્ષેત્ર હેઠળની શાખા માટે તેની સમક્ષ ફરિયાદ નોંધાવી શકાય છે. બેંકો દ્વારા જે વિષયની કામગીરી કેન્‍દ્રીયકૃત કરવામાં આવે છે, તે વિષયની ફરિયાદ માટે ગ્રાહકને જે રાજ્યમાં બિલ મળતું હોય, તે રાજ્યના બેંકિંગ લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવવાની હોય છે.

બેંકિંગ લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે એક નમૂનો નિયત કરવામાં આવેલ છે. પરંતુ આ જ નમૂનામાં ફરિયાદ કરવી ફરજિયાત નથી. ગ્રાહક બેંકિંગ લોકપાલને સાદા કાગળ ઉપર લેખિત ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઇ-મેઇલ દ્વારા અને બેંકિંગ લોકપાલની વેબસાઇટ https://secweb.rbi.org.in/BO/precompltindex.htm લિંક ઉપર પણ ફરિયાદ નોંધાવી શકે છે. અરજીમાં ફરિયાદ માટે જરૂરી વિગતોનો સમાવેશ થવો જરૂરી છે. બેંકિંગ લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે કોઈ ફી નથી. બેંકિંગ લોકપાલ બિન-નિવાસી ભારતીયોની વિદેશમાંથી તેમના ભરણાં, થાપણો અને અન્ય બેંક સંબંધી ફરિયાદો પરત્વે પણ કામગીરી હાથ ધરે છે.

ફરિયાદ અરજી મળ્યે કાર્યવાહી

બેંકિંગ લોકપાલને ફરિયાદ મળ્યે તેઓ ફરિયાદી અને બેંક વચ્ચે સમજૂતી કે મધ્યસ્થી મારફતે સહમતી સાધવાનો પ્રયત્ન કરશે. બેંકિંગ લોકપાલ તેઓને મળેલી ફરિયાદ સંબંધિત બેંકની શાખાને મોકલશે અને ફરિયાદનું નિવારણ કરવા જણાવશે. બેંકિંગ લોકપાલ ફરિયાદી અને બેંક વચ્ચે સુલેહ કરાવવા બેઠકનું આયોજન પણ કરી શકે છે.

જો બેંક પતાવટ કરવાની તૈયારી દર્શાવે અને પતાવટની શરતો ફરિયાદી ગ્રાહકને તે જ સમયે માન્ય હોય તો તે મુજબ કાર્યવાહી નોંધ તૈયાર કરવામાં આવે છે અને બન્ને પક્ષો સહમતીથી સહી કરી ફરિયાદનું નિવારણ લાવે છે. બેંક દ્વારા આપવામાં આવેલ નિવારણની શરતો ફરિયાદી ગ્રાહકને તે જ સમયે માન્ય ન હોય, તો સ્વીકારવા ફરિયાદી ગ્રાહકને એક મહિનાનો સમય આપવામાં આવે છે. જો એક મહિનામાં ફરિયાદી ગ્રાહક સહમતી ન આપે તો બેંકિંગ લોકપાલ પોતાનો ચુકાદો આપે છે. આવો ચુકાદો આપતી વખતે બેંકિંગ લોકપાલ બન્ને પક્ષો દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા, બેંકિંગ કાયદાના સિધ્ધાંતો, ભારતીય રીઝર્વ બેંકે આપેલા આદેશો અને બીજી અન્ય વિગતો જે તેમના મત મુજબ ન્યાયના હિતમાં જરૂરી હોય તેવી તમામ વિગતો ધ્યાનમાં લઇ ચુકાદો આપશે. ચુકાદો આપ્યા પછી તેની નકલ ફરિયાદી ગ્રાહક અને ફરિયાદમાં દર્શાવેલ બેંકને મોકલી આપશે. આ બન્નેને ફરિયાદની પતાવટના ચુકાદાનો સ્વીકારવા કે અસ્વીકાર કરવાની પુરતી સ્વતંત્રતા હોય છે.

જો આ ચુકાદો/નિર્ણય ફરિયાદીને માન્ય હોય તો તેઓએ ૧૫ દિવસમાં ચુકાદો સ્વીકાર્ય છે તે દર્શાવતો સ્વીકારપત્ર બેંકિંગ લોકપાલને મોકલી આપવાનો રહે છે. જો આ સમય ગાળા દરમ્યાન ફરિયાદી ચુકાદો સ્વીકારવા વધુ સમય માંગે તો, બેંકિંગ લોકપાલ કારણો ધ્યાને લઈ આ મુદ્દત વધુ ૧૫ દિવસ સુધી લંબાવી શકે છે. બેંકને ફરિયાદી તરફથી તેની ફરિયાદના આખરી અને પુરી પતાવટના ચુકાદાનો સ્વીકારપત્ર મળ્યાની તારીખથી એક મહિનાની મુદ્દત સુધીમાં તે ચુકાદા સાથે સહમત હોય તો તેનું પાલન કરવાનું રહે છે, અને તેની જાણ બેંકિંગ લોકપાલને કરવાની રહે છે.

બેંકિંગ લોકપાલના ચુકાદાથી ફરિયાદી ગ્રાહકને કે બેંકને સંતોષ ન થાય તો આવા ચુકાદાનો નિર્ણય મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં અપીલ અધિકારી સમક્ષ ચુકાદા સામેની અપીલ નોંધાવી શકે છે. જો ૩૦ દિવસથી સમય વધી જાય તેવા કિસ્સામાં અપીલ અધિકારીને અરજી સમયમર્યાદામાં ન થવા યોગ્ય કારણ હોવાનો સંતોષ થાય તો આ મુદ્દત વધુ ૩૦ દિવસ સુધી લંબાવી શકે છે.

ફરિયાદનું નિવારણ

નીચેની પરિસ્થિતિમાં બેંકિંગ લોકપાલ દ્વારા ફરિયાદનું નિવારણ થઇ ગયાનું માની લેવામાં આવે છે:

૧ બેંકિંગ લોકપાલની દરમિયાનગીરીથી બેંકે તેની શાખા દ્વારા ફરિયાદનું નિવારણ લાવી દેવામાં આવે.

૨ બેંકિંગ લોકપાલની મધ્યસ્થી અને સમાધાનથી મળેલ નિરાકરણ સાથે ફરિયાદી ગ્રાહક સહમતી દર્શાવે.

૩ બેંકિંગ લોકપાલને એવું લાગે કે, બેંકે નિયત ધારા-ધોરણો અપનાવેલ હતા તથા તેની જાણ ફરિયાદીને કરવામાં આવે અને ફરિયાદી નિયત સમયમર્યાદામાં તેની સામે કોઇ વાંધો રજુ ના કરે.

વાચક મિત્રો, બેંકિંગ લોકપાલ યોજના વિગતો ઘણી વિસ્તૃત છે. આ લેખમાં પ્રાસ્તાવિક બાબતો, બેંકિંગ લોકપાલની જોગવાઇઓ, બેંકિંગ લોકપાલ સમક્ષ કઇ-કઇ બાબતે ફરિયાદ થઇ શકે છે? ફરિયાદની અરજી કરવા બાબતની જોગવાઇ, ફરિયાદની અરજી અન્વયે કાર્યવાહીની વિગતો, ફરિયાદનું નિવારણ થઇ ગયાનું ક્યારે ગણવામાં આવે છે? વગેરે વિગતો આવરી લેવામાં આવી છે. હવે પછીના લેખમાં બેંકિંગ લોકપાલ યોજના હેઠળ બેંકિંગ લોકપાલ ફરિયાદ ક્યારે નામંજુર કરી શકે છે? ફરિયાદના નિવારણથી સંતોષ ન હોય તો અપીલની જોગવાઇઓ, સમાવિષ્ટ બેંકોએ પ્રજાજનોને યોજનાની વિગતો પ્રસિધ્ધ કરવાની જોગવાઇ તથા બેંકિંગ લોકપાલ યોજનાના વહીવટી અહેવાલ વર્ષ ૨૦૧૭ – ૧૮ આધારિત વિગતો આવરી લઇશું.

વાચક મિત્રો, આ લેખ વાંચીને આગળ મોકલવાનું અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં….

આભાર….

નાણાકીય સાક્ષરતા સપ્તાહ – ૨૦૧૯ (Financial Literacy Week – 2019)

ભારતીય રીઝર્વ બેંક દ્વારા ગ્રાહકોમાં બેંકોની સુવિધા અને નાણાકીય જાગૃતતા તથા સાક્ષરતા માટે દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ – ૨૦૧૮માં ગ્રાહક સુરક્ષાના વિષય ઉપર ઉજવણી કરવામાં આવેલ હતી જ્યારે વર્ષ – ૨૦૧૯માં ખેડુતો વિષય સાથે તા. ૩જી જુન, ૨૦૧૯ થી તા. ૭મી જુન, ૨૦૧૯ સુધી નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

વર્ષ – ૨૦૧૭ની સ્થિતિએ વિશ્વના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો સરેરાશ ફાળો ૬.૪% છે, જેની સરખામણીએ ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ૧૫.૪% છે. આમ, વૈશ્વિક ફલક ઉપર જોઇએ તો ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘણો વધુ છે. ભારતના અર્થતંત્રના સર્વગ્રાહિ વિકાસ માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય છે. કોઇપણ ક્ષેત્રના વિકાસ માટે તેને લગતા નાણાકીય આયોજનની ભૂમિકા પાયાની રહે છે.

ભારતીય રીઝર્વ બેંક કૃષિ ધિરાણને લગતી નીતિ ઘડતરમાં સક્રિય ભાગ ભજવી રહેલ છે ત્યારે ખેડૂતોને કૃષિ ધિરાણ માટે બજારમાં યોગ્ય માત્રામાં નાણા ઉપલબ્ધ રહે, ખેડૂતોને કૃષિ ધિરાણ યોગ્ય માત્રામાં અને સરળતાથી મળી રહે, ધિરાણ મેળવવા અને તેની પરત ચૂકવણી માટે ખેડૂતો યોગ્ય આયોજન કરી શકે વગેરે બાબતે જાગૃતતા ફેલાવવા “ખેડૂતો” વિષય પર નાણાકીય સાક્ષરતા સપ્તાહ – ૨૦૧૯ ઉજવવામાં આવશે.

“ખેડૂતો” વિષય આધારિત નાણાકીય સાક્ષરતા સપ્તાહ – ૨૦૧૯ની ઉજવણીમાં વિવિધ બેંકો દ્વારા ખેડૂતોને પુરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે લોન, રોકડ વ્યવહારોમાં સરળતા, કિશાન ક્રેડિટ કાર્ડ, વીમો, રોકાણો બાબતે જાણકારી આપવા પોસ્ટર અને પત્રિકાઓ તૈયાર કરવામાં આવેલ છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા તમામ બેંકોને આ પોસ્ટર નાણાકીય સાક્ષરતા કેન્દ્રો તથા એટીએમ ઉપર લગાવવા અને વેબસાઇટ ઉપર પ્રદર્શિત કરવા સુચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત, ભારતીય રીઝર્વ બેંક દ્વારા જુન મહિનામાં દુરદર્શન અને ઓલ ઇન્ડીયા રેડિયો ઉપર ખેડૂતોને નાણાકિય જાગૃતતા માટેના સંદેશાઓ પાઠવતા કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

વધુમાં, મારા મંતવ્ય પ્રમાણે ભારતીય રીઝર્વ બેંક ખેડૂતોમાં વધુમાં વધુ જાગૃતતા આવે તે માટે બેંકના પ્રતિનિધિઓને ગ્રામ્ય કક્ષાએ જઈ તેઓ દ્વારા અપાતી સેવાઓ/યોજનાઓની માહિતી ખેડૂતોને આપે તેવી સુચના આપી શકે. આ બાબતે ગ્રામીણ અને સહકારી બેંકો અગત્યની ભૂમિકા ભજવી શકે. ખેડૂતો માટેની સહકારી મંડળીઓને પ્રચાર સાહિત્ય મોકલી વધુમાં વધુ ફેલાવો કરી શકાય. રાજ્ય સરકારનો સહયોગ લઈ ખેતીવાડી વિભાગની કચેરીઓ, સહકાર વિભાગની કચેરીઓ, જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયત કચેરીઓ વગેરે મારફતે પ્રચાર સાહિત્યની મદદથી જાણકારી ફેલાવી શકાય.

વાચક મિત્રો, ખેડૂત લક્ષી યોજનાઓની જાણકારીનો જેટલો વધુ ફેલાવો થશે તેટલો ખેડૂતો વધુ લાભ લઇ શકશે અને આ યોજનાઓનો આશય ખરા અર્થમાં સિધ્ધ થઈ શકશે.  ખેડૂતો સુધી યોગ્ય માહિતી વધુમાં વધુ પહોંચે તે આપણી પણ નૈતિક ફરજ છે. તો આપ સહુને નમ્ર નિવેદન છે કે, ભારતીય રીઝર્વ બેંકની “ખેડૂતો” વિષય આધારિત નાણાકીય સાક્ષરતા સપ્તાહ – ૨૦૧૯ની ઉજવણીની માહિતી આ લેખ વધુમાં વધુ લોકો સુધી શેર કરી પહોંચાડીએ અને ભારતીય રીઝર્વ બેંકના આ જ્ઞાન યજ્ઞમાં શક્ય તેટલું યોગદાન આપીએ.               

આભાર….

*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*