Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૧ | શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૪૦, પ્રભુકૃપાનો અપાર મહિમામાં (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-040/) આપણે પ્રભુ કૃપાથી જીવનમાં દરેક વસ્તુ સરળ થઇ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ થઈ જતો હોય છે, તે જોયુ હતું. આ બાબતના શ્રીસુંદરકાંડમાં આગળની ચોપાઈમાં વર્ણવેલા દરેક મુદ્દાઓને ઉદાહરણો સાથે જોયા હતા. અહીં લંકિની સાથેના શ્રીહનુમાનજીના મેળાપની કથા પૂર્ણ થાય છે. લંકિનીની આ સત્‌સંગના મહત્વ, પ્રભુકૃપાનો પ્રતાપ અને બ્રહ્માજીએ તેણીને આપેલી નિશાનીને, પોતાના માટે પણ બ્રહ્માજીનું વરદાન અને પ્રભુ ઇચ્છા સમજી આગળ વધે છે, ત્યારે બાબાજીએ માનસમાં લખ્યુ છે.

અતિ લઘુ રૂપ ધરેઉ હનુમાના । પૈઠા નગર સુમિરિ ભગવાના

પછી શ્રીહનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો.

પહેલા શ્રીહનુમાનજીએ મસક સમાન એટલે કે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું હતું અને લંકામાં પ્રવેશ જ કરવા જઇ રહ્યા હતા કે, લંકિનીના પ્રસંગમાં આપણે શ્રીહનુમાનજીએ મહાકપિ એટલે કે ફરીથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, સત્‌સંગનો મહિમા અને પ્રભુ શ્રીરામની કૃપાનું મહાત્મય જોયું હતું. હવે શ્રીહનુમાનજીએ અગાઉ નક્કી કર્યું હતું તેમ ફરીથી નાનું રૂપ ધારણ કરી રહ્યા છે, ‘અતિ લઘુ રૂપ ધરેઉ હનુમાના’ અને પછી ‘પૈઠા નગર સુમિરિ ભગવાના’ અર્થાત ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. અગાઉ બાબાજીએ ‘લંકહિ ચલેઉ સુમિરિ નરહરિ’ એવું લખ્યુ હતું, તેની વિગતો જોઇ હતી. ભક્તની રક્ષા કાજે નૃસિંહ અવતારનું સ્મરણ કર્યું હતું. લંકામાં પ્રવેશ પછી તો ખબર નહી કેવી-કેવી વિદ્યા, શક્તિ કે કૃપાની જરૂર પડશે. જ્યારે કંઇ ન સમજાય ત્યારે આપણે કહિએ છીએ ને કે, ભગવાન જાણે. ભગવાનની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે. ક્યારેક અનુકૂળતાએ શક્ય હશે તો આવરી લઇશું, પરંતુ અત્યારે એટલું સમજીએ કે “તમામ ઐશ્વર્ય , ધર્મ, યશ, કિર્તી, લક્ષ્મી, જ્ઞાન અને  વૈરાગ્યથી યુક્ત તથા ઉત્પતિ, પ્રલય, પાલન, ગતિ અને તમામ વિદ્યા તથા અવિદ્યાને જાણનારા ભગવાન”ને યાદ કરી, શ્રીહનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો. લંકામાં પ્રવેશીને પહેલું કામ શું કર્યું?

મંદિર મંદિર પ્રતિ કરી સોધા દેખે જહઁ તહઁ અગનિત જોધા

શ્રીહનુમાનજીએ પ્રત્યેક મહેલમાં તપાસ કરી. આ મહેલોમાં તેઓએ જ્યાં-ત્યાં અસંખ્ય યોદ્ધાઓ જોયા.

મંદિર મંદિર પ્રતિ કરી સોધા’ અર્થાત પ્રત્યેક મહેલમાં તપાસ કરી. આટલું વાંચતા જ બે પ્રશ્નો ઉદ્‌ભવે, ૧) સંપાતિએ કહ્યુ હતું કે માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે, તો શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? ૨) મંદિર શબ્દનો અર્થ મહેલ ન કરીએ અને મંદિર જ રાખીએ, તો શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં કેમ શોધવા ગયા હશે? પ્રશ્નો ઉદ્‌ભવ્યા છે, તો સમાધાન પણ જોઇએ.

પહેલા પ્રશ્નનું સમાધાન જોઇએ તો, સંપાતિએ સમુદ્રના પેલે પારથી જોઇને કહ્યુ હતું કે સીતાજી અશિકવાટીકામાં વૃક્ષની નીચે બેઠા છે, તેવું તે જોઇ શકે છે. સંપાતિ જોડે આ ચર્ચા થઈ, ત્યારે દિવસનો સમય હતો. શ્રીહનુમાનજીએ વિચાર્યું હશે કે દિવસના માતાજીને અશોકવાટીકા વગેરે જગ્યાએ બહાર રાખતા હશે. અત્યારે રાત્રીનો સમય છે, તો કદાચ હવે કોઇ મહેલમાં રાખવામાં આવ્યા હશે. આટલો ઐશ્વર્યવાન, પરાક્રમી અને ધનવાન રાજા એક સ્ત્રીને રાત્રે પણ અશોકવાટીકામાં વૃક્ષ નીચે જ રહેવા દે, તેવું તો વિચારી પણ કેમ શકાય? કદાચ આ કારણસર શ્રીહનુમાનજીએ પહેલા મહેલોથી માતા જાનકીજીની શોધ શરૂ કરી હોઇ શકે.

બીજા પ્રશ્નનું સમાધાન જોઇએ તો, શ્રીહનુમાનજી માતા સીતાજીને શોધવા મંદિરોમાં કેમ ગયા હશે? તો ચોર ચોરીનો માલ પોતાના ઘરમાં થોડો રાખે? જો રાખે તો પકડાઇ જવાનો ભય રહે. આવા તર્ક સાથે કદાચ માતાજીને કોઇ મંદિરમાં છુપાવ્યા હોઇ શકે, તેવી શંકાથી લંકાના મંદિરોથી શોધ શરૂ કરી હોય શકે. આમ પણ આજકાલ મંદિર જેવા પવિત્ર સ્થળોનો દુરુપયોગ થતા આપણે ઘણી વખત જોઇએ છીએ. મંદિર જેવા પવિત્ર સ્થાનની આડમાં નશીલા પદાર્થોનો વેપાર, ભ્રષ્ટાચારના નાણાની સુરક્ષિત આપ-લે, કાળાનાણાને ધોળા કરવાના હવાલા અને અન્ય ઘણા ગોરખધંધાના સમાચારો આપણે વાંચતા હોઇએ છીએ. આમ, શ્રીહનુમાનજીએ વિચાર્યું હોય કે રાવણે માતા સીતાજીને કોઇ મંદિરમાં છુપાવ્યા હોઇ શકે, જેથી કોઇને શક ન જાય અને તેઓએ મંદિરોથી શોધ શરૂ કરી હોઇ શકે.

શ્રીહનુમાનજી સાચા સંત હતા અને ભક્તિ સ્વરૂપા માતા જાનકીજીની શોધમાં નિકળ્યા હતા. ભક્ત ભક્તિની શોધ મંદિરમાં જ કરે ને! ભક્તિતો મંદિરમાં જ મળે ને! સાચા સંતની નજરે દરેક ઘર મંદિર જ હોય છે. આમ, શ્રીહનુમાનજીની નજરે દરેક ઘર મંદિર જ છે, તેથી આપણે અહીં મંદિરનો અર્થ મહેલ જ કર્યો છે. વળી, આગળ ગોસ્વામીજીએ લખ્યું છે, ‘દેખે જહઁ તહઁ અગનિત જોધા’ અર્થાત જ્યાં-ત્યાં અસંખ્ય યોદ્ધાઓ જોયા. મંદિરોમાં યોદ્ધાઓની બહું જરૂર ન હોય. અહીં તેઓના ઘરોની જ વાત કરવામાં આવેલ છે. રાક્ષસોના ઘરનું અને રાત્રીના સમયનું વર્ણન હોય, કહેવાતા આપણા સભ્ય સમાજમાં તેની બહું વિગતવાર ચર્ચા થતી હોતી નથી. ગોસ્વામીજીએ બહું સભ્ય ભાષામાં અને ખૂબ જ ટૂંકમાં કહી દીધુ કે મહેલોમાં શ્રીહનુમાનજીએ ઘણા યોદ્ધાઓને જોયા. આ બાબતે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં રાત્રીના સમયે મહેલોની અંદરનું વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. અગાઉ છંદના માધ્યમથી શ્રીગોસ્વામીજીએ લંકાનું વર્ણન કર્યું હતું ત્યારે પણ શ્રીગોસ્વામીજીએ લખ્યું હતુ, ‘એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી । રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥’ અર્થાત શ્રીતુલસીદાસજીએ લંકાનગરીના વર્ણનની કથા એટલા માટે કંઇક ટૂંકમાં જ કહી છે કારણ કે ચોક્કસ તેઓ બહુ જલ્દી શ્રીરામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમગતિને પામવાના છે. શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણના આધારે થોડું વર્ણન જોઇએ તો –

શ્રીહનુમાનજીએ કમળ, સ્વસ્તિક વગેરે વિવિધ આકારના મહેલો જોયા. જેમાં કોઇ રાક્ષસો લલકાર અને ગર્જના કરી રહ્યા હતા, તો ઘણા મંત્રજાપ કરી રહ્યા હતા. અમૂક સ્વાધ્યાયમાં તત્પર હતા, તો અમૂક રાવણની સ્તુતિ કરી રહ્યા હતા. કેટલાક જાડા, કેટલાક પાતળા, કેટલાક લાંબા તો કેટલાક ઠીંગણા હતા. કેટલાક કદરૂપા તો કેટલાક બહુરૂપી હતા. કેટલાકે અસ્ત્રો ધારણ કરેલા હતા, કેટલાકે શસ્ત્રો ધારણ કરેલા હતા, તો કેટલાકે શક્તિ અને વૃક્ષોરૂપી આયુધ ધારણ કરેલ હતા.

રાત્રીનો સમય હતો અને મહેલોની અંદરનું વર્ણન છે, તો શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં લખ્યું છે કે મહેલોમાં શ્રીહનુમાનજીએ રાક્ષસો અને સાથે તેની સ્ત્રીઓને પણ જોઇ. આ રાક્ષસ સ્ત્રીઓ સુંદર હતી અને તેઓના ભાવ વિશુદ્ધ હતા. ઘણી સ્ત્રીઓના મન પ્રિયતમમાં અને મધુપાનમાં આસક્ત હતા. ઘણી લજ્જાળુ સ્ત્રીઓ અડધી રાત્રીના સમયે પોતાના પતિના આલિંગન પાશમાં જકડાયેલી હતી. ઘણી ધર્મપરાયણ વિવાહિતા સ્ત્રીઓ કામભાવનાથી ભાવિત હતી અને પોતાના પ્રિયતમના ખોળામાં સુખપૂર્વક બેઠેલી હતી. અમૂક સ્ત્રીઓ પ્રિયતમનો સંયોગ પામીને અત્યંત પ્રસન્ન જણાતી હતી, તો અમૂક પતિ-વિયોગિનીઓ ચન્દ્રમા જેવા શ્વેત વર્ણની દેખાતી હતી. નાયિકાઓ પોતાના અંગોમાં ચંદન વગેરેનો લેપ કરી રહી હતી, તો બીજી અમૂક સ્ત્રીઓ પ્રણય-કલેશથી રોષે ભરાઇને ઊંડા શ્વાસ ખેંચી રહી હતી.

ત્યારબાદ શ્રીહનુમાનજી લંકાના સાતમાળિયા ભવનોમાં પહોંચી ગયા. આ ભવનો ધન-વૈભવથી સંપન્ન અને રાવણના કુટુંબીજનોના જણાતા હતા. શ્રીહનુમાનજી પહેલા તો પ્રહસ્તના ઘરમાં, ત્યારબાદ મહાપર્શ્વના, કુંભકર્ણના અને ત્યારબાદ ક્રમશ: મહોદર, વિરૂપાક્ષ, શુક, સારણ, ઇન્દ્રજિત, જાંબુમાલિ અને સુમાલિ વગેરેના ઘરોમાં પહોંચી ગયા. આમ, બહું બધા યોદ્ધાઓ અને તેના અંત:પુરમાં તપાસ કરી, પરંતુ હંમેશા પ્રભુ શ્રીરામના ચરણોમાં રત, પ્રભુ શ્રીરામના પ્રેમથી પરિપૂર્ણ, હંમેશા સનાતન માર્ગ પર સ્થિત રહેનારા જનકનંદીનીને ક્યાંય ન ભાળ્યા. આ બધા મહેલોમાં માતાજીને ન જોતા –

ગયઉ દસાનન મંદિર માહીં અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં

સયન કિએં દેખા કપિ તેહી મંદિર મહુઁ ન દીખી બૈદેહી

શ્રીહનુમાનજી ત્યારબાદ રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, તેનું વર્ણન થઈ શકતું નથી. શ્રીહનુમાનજીએ રાવણને સુતો જોયો; પરંતુ તે મહેલમાં પણ જાનકીજી જોવામાં ન આવ્યા.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, રાવણના મહેલના અંદરના વર્ણનની કથાથી આવતા અંકની આગળની કથા જોઇશુ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here