Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૨ | મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ – ૪૧, શ્રીહનુમાનજીનો લંકા પ્રવેશ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-041/)માં આપણે શ્રીહનુમાનજી ફરી નાનું સ્વરૂપ ધારણ કરે છે અને પ્રભુ સ્મરણ સાથે લંકામાં પ્રવેશ કરે છે, સંપાતિએ માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે તેવું જણાવ્યું હતુ છતાં શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં શોધવા કેમ ગયા હશે? અને રાક્ષસોના અંત:પુરના વર્ણનની કથા જોઇ હતી. અન્ય રાક્ષસોના મહેલોમાં જનકનંદીનીની ભાળ ન મળતા, શ્રીહનુમાનજી રાવણના મહેલમાં જાય છે, ત્યાંથી આજની કથાની શરૂઆત કરીએ.

ગયઉ દસાનન મંદિર માહીં અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં

સયન કિએં દેખા કપિ તેહી મંદિર મહુઁ ન દીખી બૈદેહી

શ્રીહનુમાનજી ત્યારબાદ રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, તેનું વર્ણન થઈ શકતું નથી. શ્રીહનુમાનજીએ રાવણને સુતો જોયો; પરંતુ તે મહેલમાં પણ જાનકીજી જોવામાં ન આવ્યા.

પહેલા શ્રીહનુમાનજીએ અન્ય યોદ્ધાઓના મહેલમાં માતાજીની શોધ કરી. આ યોદ્ધાઓ માટે બાબાજીએ ટૂંકમાં કહી દીધુ કે દેખે જહઁ તહઁ અગનિત જોધા’. ત્યારબાદ બાબાજીએ લખ્યું છે કે, શ્રીહનુમાનજી રાવણના મહેલમાં ગયા. શ્રીહનુમાનજીને કેમ ખબર પડી કે આ રાવણનો જ મહેલ છે? તો ગોસ્વામીજીએ લખ્યું છે કે, ‘અતિ બિચિત્ર કહિ જાત સો નાહીં’ અર્થાત આ મહેલ એટલો વિચિત્ર હતો કે તેનું વર્ણન થઇ શકતું નથી. આ મહેલનું બાહ્ય વર્ણન કરતા વાલ્મીકિજીએ લખ્યું છે કે, આ હવેલી ઘણી સુંદર અને સુખદ હતી. એમાં મણિઓના પગથિયાં બનાવેલા હતા અને સોનાની બારીઓથી શોભા અનુપમ જણાતી હતી. મોટા ભાગના લોકોનો એક કિંમતી મણી લેવો હોય તો જન્મારો નીકળી જાય, આમણે પગથિયાં મણિઓના બનાવેલા હતા. આ મહેલ એટલે કે હવેલીનું તળીયું સ્ફટિક-મણિઓથી બનેલું હતુ, જેમાં વચ્ચે-વચ્ચે હાથીદાંતથી બનેલી વિવિધ પ્રકારની કૃતિઓ મુકેલી હતી. મણિઓના મોટા-મોટા, એકસરખા, સીધા અને ઊંચા થાંભલાઓ ચારે તરફથી શણગરેલા હતા અને તેનાથી હવેલી દીપી રહી હતી. પોતાના આ ઊંચા સ્તંભોરૂપી પાંખોથી જાણે હવેલી આકાશમાં ઊડતી હોય, તેવી ભાસતી હતી. આ હવેલીમાં બહુમૂલ્ય પાથરણાં પાથરેલા હતા. આ હવેલી શ્વેત અને નિર્મળ હતી. આ મહેલમાં સોનાના દિપકો અખંડ જલતા રહેતા હતા અને આ હવેલી જ જાણે ઇન્દ્રપુરી હોય તેવું લાગતું હતું.

શ્રીહનુમાનજી રાવણના મહેલમાં પહોંચ્યા ત્યારે અડધી રાત વીતી ગઇ હતી, માટે બાબાજીએ લખ્યું છે કે ‘સયન કિએં દેખા કપિ તેહી’ અર્થાત રાવણને સુતેલો જોયો. હવે રક્ષકોનો ક્યાંય ઉલ્લેખ નથી કારણ કે જ્યાં રાજા સૂતો હોય, ત્યાં સંપૂર્ણ શાંત વાતાવરણ જાળવવામાં આવતું હોય છે. હવે મહેલની અંદરનું વર્ણન જોઇએ તો, ત્યાં હજારો સુંદર સ્ત્રીઓ હતી. એ બધી ક્રીડાથી પરવારી મધુપાનના મદ અને નિંદ્રાને આધિન થઇને ગાઢ નિંદ્રામાં સૂઇ ગઈ હતી. આ સૂતેલી હજારો સ્ત્રીઓ કમળની કળીઓ જેવી હતી, જેનાથી આ મહેલ વિશાળ કમળવન સમાન શોભતો હતો. આ સ્ત્રીઓના ચહેરા ક્રીડા કર્યા પછી સંતોષરૂપી હર્ષથી ખીલેલા દેખાતા હતા. આવી સ્ત્રીઓથી ઘેરાયેલો રાવણ તારાઓથી ઘેરાયેલા કાન્તિમાન ચંદ્રની જેમ શોભી રહ્યો હતો.

મધુપાન પછી નૃત્ય, ગાન, ક્રીડા વગેરેને લીધે આ સ્ત્રીઓના કેશ વિખેરાઇ ગયેલા હતા, પુષ્પમાળાઓ મસળાઇ ગઇ હતી, આભૂષણો સરકી ગયેલા હતા. અમુકના માથાનું સિંદૂર ભૂંસાઇ ગયુ હતું, તો અમુકના પગમાંથી નૂપુર નીકળી ગયા હતા. અમુક સ્ત્રીઓના હાર તૂટી ગયા હતા અને તેના મોતીઓ વિખેરાઇ ગયેલા હતા, તો અમુકના વસ્ત્રો સરકી ગયા હતા અને કંદોરાની સેર તૂટી ગઈ હતી. અમુકના કાનના કુંડળ પડી ગયા હતા, તો અમુકની પુષ્પમાળાઓ મસળાઇને વિખેરાઇ ગઇ હતી, જે ગાઢ જંગલમાં ગજરાજ દ્વારા મસળી નાખવામાં આવેલી પ્રફુલ્લ લતાઓ જેવી દેખાતી હતી અને તેઓના શરીરમાંથી કસ્તુરી જેવી સુગંધથી હવેલી મધમધતી હતી. અમુક સુંદરીઓના સ્તન ઉપર પડેલા નીલમના હાર કાદંબ એટલે કે જળકાગ અને અમુક સુંદરીઓના સ્તન ઉપર રહેલા સોનાના હાર ચક્રવાક પક્ષીઓ જેવા લાગતા હતા. આ સુંદરીઓના સાથળના ભાગ નદીઓના તટ જેવા લાગતા હતા. કેટલીક સુંદરીઓના કોમળ અંગો તથા સ્તનોના અગ્રભાગ ઉપર ઉપસેલી આભૂષણોની સુંદર રેખાઓ જ નવા દાગીનાની જેમ શોભતી હતી.

રાવણના સુખપૂર્વક સૂઇ ગયા બાદ, ત્યાં ઝળહળી રહેલા સૂવર્ણમય પ્રદિપો આ અનેક કામિનીઓને જાણે એકીટશે જોઇ રહ્યા હતા. રાજર્ષિઓ, બ્રહમર્ષિઓ, દૈત્યો, ગંધર્વો તથા રાક્ષસોની કન્યાઓ કામને વશ થઇને રાવણની પત્નીઓ બની ગઇ હતી. ત્યાં એવી કોઇ સ્ત્રી ન હતી, જેમને બળ-પરાક્રમથી સંપન્ન હોવા છતાં રાવણ એમની ઇચ્છા વિરૂદ્ધ બળજબરીથી હરી લાવ્યો હોય. આ બધી સ્ત્રીઓ તેને પોતાના અલૌકિક ગુણોથી જ પ્રાપ્ત થયેલ હતી, માટે જ તેનું સામ્રાજ્ય ભવ્ય હતું.

રાવણના મહેલમાં શોધ્યા તો પણ જનકનંદીની ન મળ્યા, ‘મંદિર મહુઁ ન દીખી બૈદેહી‘. અહીં બાબાજીએ માતા જાનકીજી માટે ‘બૈદેહી’ શબ્દનો પ્રયોગ ખૂબ ચતુરાઇપૂર્વક કર્યો છે. જ્યારે સીતાજી ક્યાંય ન દેખાયા એટલે કદાચ તેઓએ રાવણનો સ્વીકાર ન કર્યો હોય અને રાવણે તેનો વધ કરી દીધો હોય અથવા પ્રભુ શ્રીરામના વિયોગે પણ દેહરહિત-વિદેહી થઈ ગયા હોય, તેવા ભાવ સાથે ‘બૈદેહી’ શબ્દનો પ્રયોજવામાં આવેલો હોઇ શકે.

અગાઉ આપણે લોકોની ભૌતિકતા અને બાહ્ય સુંદરતાને પામવાની આંધળી દોટ તથા તેની સામે આંતરિક સૌંદર્યનું મહત્વ અને પૈસાને સ્પર્શ ન કરવો, સ્ત્રીઓનું મુખ ન જોવું વગેરે દંભની વાતો વિશે અગાઉ જોયું હતું (શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड – http://udaybhayani.in/sundarkand_explanation_in_gujarati_with_uday_part-020/). લંકા વર્ણન – ૨ (ભાગ – ૩૦) – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-030/માં ગોસ્વામીજીએ લંકાનું ટૂંકમાં વર્ણન કેમ કર્યું હતું, તેનુ કારણ પણ જોયુ હતું. તો પછી આગળના ભાગમાં રાવણ સિવાયના અન્ય રાક્ષસોના અંત:પુર અને આ લેખમાં રાવણના અંત:પુરનું આટલું લાંબુ અને કહેવાતા દંભી સમાજમાં જેની ખુલીને ચર્ચા થતી નથી, તેવું વર્ણન અહીં કેમ કરવામાં આવ્યું? તેવો પ્રશ્ન ઉદ્‌ભવવો સ્વાભાવિક છે.

આપણે ઘણી એવી જગ્યા, ખાસ કરીને ધર્મસ્થળોએ જઇએ છીએ, જ્યાં પૈસાને હાથ અડાડવામાં આવતો નથી. એક કવર આપે તેમાં ભેટ(પૈસા કે તેને સમકક્ષ) મુકીએ એટલે આખુ કવર ઉપાડે એટલે કે પૈસાને સ્પર્શ ન કરે, પરંતુ સ્વીકાર કરી લે. સંતશ્રી બેઠા હોય તે રૂમમાં સ્ત્રીઓને પ્રવેશની મનાઇ હોય કારણ કે તેઓ સ્ત્રીનું મુખ જોતા નથી હોતા. આ કાલ્પનિક નથી, મારા સ્વાનુભવ સાથે લખી રહ્યો છું. અહીં લંકાના અંત:પુરના આટલા લાંબા અને કહેવાતા સભ્ય સમાજમાં જેની ખુલીને વાત નથી થતી કે આવા શબ્દો સામાન્ય રીતે બોલાતા નથી, તેવા સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કરવાનો આશય ફક્ત એટલો જ છે કે એક સાચો, ફક્ત સારો જ નહી, મેસેજ આપવો હતો. એકવાર મન શાંત કરી જરા વિચારો, આ વર્ણન કોણે કરેલું છે અને કોની દ્રષ્ટિએ કરવામાં આવેલ છે? આ વર્ણન મહર્ષિ વાલ્મીકીજીએ કરેલું છે. આ વર્ણનમાં હું તો શું લખી શકું? શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં વાંચજો, અહીં કરેલા વર્ણન કરતા અતિસુંદર રીતે નિરુપણ કરવામાં આવેલું છે. અહીં તો ઝલક માત્ર છે. આ વર્ણન કરનારા એક સંત હતા અને આપણે માનીએ છીએ તેમ રામાયણ સમકાલિન હતા. બીજુ, આ વર્ણન કોની દ્રષ્ટિએ કરવામાં આવેલ છે? બાલબ્રહ્મચારી શ્રીહનુમાનજીની નજરે જોયેલી લંકાનું વર્ણન છે. આવું જોવા છતાં તેઓનું બ્રહ્મચર્ય ખંડિત નથી થતું, તેઓને કોઇ પાપ નથી લાગતું કારણ કે તેઓનું મન શુદ્ધ છે.

મનો હિ હેતુ: સર્વેષામિન્દ્રિયાણાં પ્રવર્તને શુભાશુભાસ્વવસ્થાસુ તચ્ચ મે સુવ્યવસ્થિતમ્‌

અર્થાત સઘળી ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે. અહીં શ્રીહનુમાનજી કહે છે કે મારું મન તો પૂર્ણપણે પ્રભુકાર્યના હેતુમાં સુસ્થિર જ હતું, તેઓનું મન માતા જાનકીજીની શોધમાં જ હતું. તેઓના મનમાં ક્યાંય રાગ કે દ્વેષ ન હતા, માટે પરસ્ત્રીદર્શન તેઓ માટે ધરમનો લોપ કરનારું બનતું નથી. બસ મનમાં કચરો ભરેલો ન હોવો જોઇએ. મન નિર્મળ હોવું જોઇએ. અગાઉ પણ આપણે જોઇ ગયા છીએ કે પાશ્ચાત દેશોમાં શરીર ઉપર કપડા ભલે ઓછા જોવા મળે, પરંતુ તેઓનું મન સંશોધનો કરી શકે તેટલું સ્વચ્છ હોય છે. તેઓ જ નવી-નવી શોધો કરી શકે છે અને દુનિયા ઉપર, દરેક લોકોના દિલોદિમાગ ઉપર, રાજ પણ કરે છે. આપણને તેઓની બ્રાંડનું નામ મોઢે જ હોય અને તે ખરીદવી આપણું સ્વપ્ન પણ હોય છે. કહેવાતા સભ્ય સમાજ અને પાખંડી ધાર્મિકતાના નેજા હેઠળ કપડા ભલે આખું શરીર ઢાંકતા પહેરાવામાં આવતા હોય, પરંતુ મનની શુદ્ધતા ઘટે છે.

પૈસાને ન અડવા, સ્ત્રીનું મુખ ન જોવું વગેરે-વગેરે પણ જો અંગત માન્યતા હોય તો દરેકને પોતાની માન્યતા મુજબ જીવવાની છુટ છે, પરંતુ દંભ ખોટો છે. મનમાં ભરેલી આ વિકૃતી જ ત્રણ વર્ષની અબુધ દિકરીનો રેપ કરી શકે, તેની હત્યા કરી શકે. આ વિકૃતી આપણા માટે ઘાતક છે. જ્યાંસુધી સંસારમાં રહીને વૈરાગ્ય નહી આવે, ત્યાંસુધી ભક્તિની પ્રાપ્તિ ન થાય.

આપણા મોટા ભાગના ભગવાન સાંસારિક જ છે, દરેક પાસે હથિયાર પણ હતું જ. આપણા ધર્મગ્રંથો ખૂબ જ  વિશાળ અને ગુઢ દ્રષ્ટિકોણ સાથે લખાયેલા છે, આ સંકુચિતતા તો આપણી ઊભી કરેલી છે. આપણા ધર્મગ્રંથો, સાહિત્ય કે શિલ્પોમાં ક્યાંય છોછ નથી, વિકૃતતા તો આપણો સ્વભાવ બનતો જાય છે. મન વિશુદ્ધ રાખો, બધુ શુદ્ધ અને સુંદર જ છે. મનને સમજાવે કોણ? મનમાં ઇચ્છા-તૃષ્ણાઓ સતત રહે જ છે. કોઇ ઘરબાર, ધન-દોલત, સંપતિ-સંતતિ-સંસાર બધુ ત્યાગીને સાધુ થઇ જાય છે, પરંતુ આ બધુ ત્યાગ્યા પછી પણ શ્રીતુલસીદાસજીએ કહ્યું છે તેમ –

કનક તજ્યો કામીની તજ્યો, તજ્યો ધાતુકો સંગ; તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ.

આવા સાધુ ધન ત્યજી દે છે, કામીની (સંસાર) ત્યજી દે છે, ધાતુ અર્થાત માંગવાનું વાસણ સુધ્ધા ત્યજી દે છે. તે અલ્પાહારી થઈ જાય છે પણ માનના રંગે જીવે છે; કોઇક મને પુજે, કોઇક મને પગે લાગે, કોઇક મને માન આપે. શ્રીહનુમાનજી આ બધાથી પર હતા. જેમનું મન આટલું નિર્મળ હોય, તેના માટે પરસ્ત્રીદર્શન ધર્મમાં બાધક ન બને. આપણે તો અનેકાનેક ઇચ્છા, તૃષ્ણા, કામનાઓ સાથેના પામર જીવો છીએ, માટે કોઇ ઢોંગ કે દંભ કરવાને બદલે મન નિર્મળ કરવા, પરમપદને પામવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. લંકાના અંત:પુરનું વર્ણન હું તો શું કરી શકું? મૂળ શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણ વાંચશો તો આનાથી અનેકગણું સુંદર વર્ણન આપવામાં આવેલું છે. આજની કથાને મનને નિર્મળ કરવાના સુંદર વિચાર અને નિશ્ચય સાથે વિરામ આપીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here