શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ “હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા” (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-043/) ભાગ – ૪૩માં આપણે લંકામાં રાવણ અને અન્ય રાક્ષસોના અંત:પુરના વર્ણન આધારે ઉદ્ભવેલા પ્રશ્નોના સુંદર સમાધાન, હરિમંદિર શબ્દ આધારે મંદિર ઘરથી કે ઘરમાં શયનખંડથી અલગ હોવું જોઇએ તેની વિગતો જોઇ હતી. આ ઉપરાંત વિભીષણ વિષ્ણુભકત હતા છતાં રાવણ તેને રોકતો ન હતો, તેના તર્કની, રાવણના વાત્સલ્ય ભાવના અને કૌટુંબિક ભાવના સાથે જીવવાના સારા ગુણોની ચર્ચા પણ કરી હતી. હાલ સમાજમાં ધર્મો અને સંપ્રદાયોમાં ચાલતા ભેદભાવો વિશે થોડી વાતો સાથે આજની કથાની સુંદર શરૂઆત કરીએ.
રાવણ આટલો પરાક્રમી અને શક્તિશાળી હોવા છતાં વિભીષણને ભગવાન વિષ્ણુની પુજા કરવાની ના નહોતો પાડતો અને આજકાલ? એક માર્ગ કે સંપ્રદાય વાળા કપડા ‘સીવ’ડાવવા હોય તો પણ ભગવાન ‘શીવ’જીનું નામ લેવું ન પડે માટે દરજી પાસે જઇને કપડા ‘સીવ’ડાવવા છે, તેવું બોલતા નથી. આ તો વાત થઇ બે અલગ સંપ્રદાયોની, પરિસ્થિતી તો તેનાથી પણ બહુ વિકટ છે. એક જ સંપ્રદાયના કેટલાય ફાટા પાડી દેવામાં આવે છે અને આ એક જ સંપ્રદાયની અંદર પણ એક પ્રકારની વિચારસરણીમાં માનનારા અનુયાયીઓ અન્ય વિચારસરણીવાળા અનુયાયીઓનો વિરોધ કરે છે, એકબીજા સાથે વૈમનસ્ય રાખે છે, એકબીજાની ટીકા કરે છે. અરે! આ શું છે? સાચો ધર્મ તો સનાતન ધર્મ છે, તેમાં કોઇનો વિરોધ નથી, સર્વધર્મ સમભાવની ભાવના છે. રાવણ ખૂબ જ શક્તિશાળી શીવભક્ત હોવા છતાં, વિભીષણને વિષ્ણુપુજાની કે તેના મહેલ ઉપર રામાયુધ અંકિત કરાવવાની ના નહોતો પાડતો.
ઘણીવખત એવું પણ ધ્યાન ઉપર આવે છે કે ધર્મગુરુઓ જ આવા વૈમનસ્ય ઊભુ કરતા હોય છે અને ઘણીવખત તેઓ આવા ભેદભાવમાં જરાય માનતા હોતા નથી, પરંતુ તેના અનુયાયીઓમાં આવી બદી પ્રવર્તતી હોય છે. ઉદાહરણ રૂપે જોઇએ તો, પુષ્ટીમાર્ગમાં બાવાશ્રીના ઘરે પ્રસંગમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલુ જોયુ છે અને તેના ચુસ્ત અનુયાયી વૈષ્ણવો પોતાના ઘરે શુભ પ્રસંગોમાં ગણપતિજીની સ્થાપના નથી કરતા કારણ કે તે શીવજીના પુત્ર છે. આ ઉપરાંત, પુષ્ટીમાર્ગના ઘણા ચુસ્ત વૈષ્ણવો રાંદલ માતાને માનતા નથી, જ્યારે શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે તેમ, યમુના મહારાણી સુર્ય ભગવાન અને રાંદલ માતાના પુત્રી છે. તમને એવું લાગે છે કે આપણે દિકરી(યમુના મહારાણી)ની ભક્તિ કરીએ અને માતા(રાંદલ માતા)ને માનીએ નહિ, તો આપણા આરાધ્ય દેવ (યમુના મહારાણી) ખુશ થાય? એક વધુ વાત, જેના વિશે મેં વાંચ્યુ નથી પરંતુ મારા દાદી, જેઓ ચુસ્ત વૈષ્ણવ હતા અને પુષ્ટાવેલા ઠાકોરજીની સેવા કરતા, કહેતા કે જે આ ભવમાં શીવપુજા કરે તેને આવતા ભવમાં લાલાની સેવા મળે, તેવું તેઓની બુકમાં લખેલું છે. અમે ભગવાન શંકરની પુજા કરતા, તો તેઓ કહેતા કે આવતા ભવમાં તમે ઠાકોરજીની સેવાને અધિકારી થશો. જેની આ ભવમાં પુજા કરવાથી જ, તેના ફળ સ્વરૂપે જ, આવતા ભવમાં ઠાકોરજીની સેવાનો અધિકાર મળે, તો ઠાકોરજીની સેવાનો અધિકાર મળ્યા બાદ તેનું નામ લેવું પણ વર્જ્ય? કેટલું આશ્ચર્યજનક છે? ક્યો ધર્મ પાળવો, ક્યા સંપ્રદાયના અનુયાયી બનવું, ક્યા ભગવાનની પુજા કરવી એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. કોઇની અંગત માન્યતા સામે અન્ય કોઇને ક્યારેય તકલીફ પણ ન હોવી જોઇએ. અહીં મારો આશય પણ કોઇની ટીકા કરવાનો કે કોઇ વિશે ઘસાતુ કહેવાનો જરાય નથી. મારો આશય માત્ર એટલો જ છે કે અમુક નામ (શીવ) ન લેવા કે કોઇ સાથે ધર્મના નામે દુશ્મનાવટ ન હોવી જોઇએ, અન્યનો તિરસ્કાર ન હોવો જોઇએ. સર્વધર્મ સમભાવની ભાવના સાથે અન્યની માન્યતાને માન આપવું જોઇએ અને સાથે-સાથે સ્વધર્મને ચોક્કસ બચાવવો જ જોઇએ. ઘણીવાર આ જ લેખમાળામાં લખ્યું છે કે આપણા એકેય ભગવાન હથિયાર વગરના ન હતા. શ્રીરામ-લક્ષ્મણે વનવાસી બની બધુ ત્યજી દીધુ હતુ, પરંતુ તેઓના આયુધો સાથે જ હતા.
“ભવન એક” શબ્દ ઉપરથી વળી એવો પ્રશ્ન પણ ઉદ્ભવ્યો કે ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલોને મંદિર કહ્યા અને વિષ્ણુભક્ત વિભીષણજીના ઘરને ભવન માત્ર કહ્યું? આવુ કેમ? તો આ બાબતે બે-ત્રણ કારણો હોઇ શકે. પહેલું, સામાન્ય રીતે રાક્ષસો પોતાની જાતને પુજ્ય માનતા હોય છે અને પોતાની જ પુજા થાય તેવું ઇચ્છતા હોય છે, જ્યારે વિભીષણજી હરિભકત છે, તેને પોતાને નથી પુજાવુ. આમ, બાબાજીએ અન્ય રાક્ષસોના ઘરોને મંદિર કહ્યા હોઇ શકે અને વિભીષણજીના ઘરને ભવન કહ્યુ હોઇ શકે. બીજું, રાક્ષસો પોતાના ઘરમાં જ ભગવાનની સ્થાપના કરતા હતા. સામાન્ય રીતે પોતાના રૂમમાં અર્થાત શયનખંડમાં ભગવાનની સ્થાપના કરવી જોઇએ નહી. જે લોકો એક જ રૂમના ઘરમાં રહેતા હોય, તેઓએ રાત્રે મંદિરને પડદો કરી દેવો જોઇએ, તેવી માન્યતા છે. અહીં રાક્ષસો ઘરની અંદર જ ભગવાનના સ્થાનક છે, માટે તેઓને મંદિર કહ્યા હોઇ શકે. વિભીષણજીના ઘરથી મંદિર અલગ બનાવેલુ છે, “હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા”, માટે ભવન શબ્દનો પ્રયોગ કર્યો હોઇ શકે છે. ત્રીજું, દરેક વ્યક્તિ માટે પોતાના આરાધ્ય દેવ જ્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપસ્થિત હોય, તે મંદિર હોય છે. અગાઉ બધા રાક્ષસોના ઘરની અંદરનું વર્ણન છે એટલે કે શ્રીહનુમાનજી દરેક ઘરમાં અંદર ગયા હતા, માટે તુલસીદાસજીની દ્રષ્ટિએ તે મંદિર બની ગયું. શ્રીહનુમાનજી વિભીષણજીના ઘરમાં અંદર ગયા નથી. તેઓના ઘરનું બહારનું વર્ણન કરવામાં આવેલું છે અર્થાત તે હજુ મંદિર બન્યુ નથી, ભવન જ છે અને જ્યારે જાય છે ત્યારે પણ બ્રાહ્મણ રૂપ ધરીને જાય છે. આવા કારણોસર ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના ઘર માટે મંદિર અને વિભીષણજીના ઘર માટે ભવન શબ્દનો ઉપયોગ કર્યો હોઇ શકે છે. વિભીષણજીના ઘર માટે ભલે ભવન શબ્દ પ્રયોજવામાં આવેલ હોય, પરંતુ આ ભવન કેવું હતું?
:: દોહા – ૫ ::
રામાયુધ અંકિત ગૃહ સોભા બરનિ ન જાઇ ।
નવ તુલસિકા બૃંદ તહઁ દેખિ હરષ કપિરાઇ ॥
આ મહેલ શ્રીરાઘવેન્દ્રના આયુધ(ધનુષ-બાણ)ના ચિહ્નોથી અંકિત હતો, તેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં તુલસીના નવીન-નવીન એટલે કે તાજા-તાજા છોડવાઓ અર્થાત તુલસીવનને જોઇને કપિરાજ શ્રીહન્નુમાનજી ખૂબ જ હર્ષ પામ્યા.
“રામાયુધ અંકિત ગૃહ” અર્થાત શ્રીરાઘવેન્દ્રના આયુધ એવા ધનુષબાણથી અંકિત ગૃહ હતુ. વિભીષણજીના ઘર ઉપર ભગવાનના આયુધો કેમ અંકિત કરાવેલા હશે? તો રામપટલ ગ્રંથમાં યજુર્વેદોક્ત પાંચ સંસ્કારોના વર્ણનમાં એવો ઉલ્લેખ છે કે, ઘર, ઘરવખરી, પશુ, પુત્ર, વાહન વગેરેને શ્રીહરિના આયુધો શંખ-ચક્ર વગેરેથી અંકિત કરવા એ વૈષ્ણવોનો ધર્મ છે. મહાશિવસંહિતામાં પણ એવું જણાવવામાં આવ્યુ છે કે. જે વ્યક્તિ જે ભગવાનનો ઉપાસક હોય, તેઓનું ચિહ્ન ધારણ કરવું જોઇએ. વિભીષણજી પ્રભુ શ્રીરામના ઉપાસક હતા, તો રામાયુધ અંકિત કરાવેલા હતા. આપણે ઘણા લોકોને જેવા કે પુષ્ટિમાર્ગ, સ્વામિનારાયણ સંપ્રદાય, શ્રીહનુમાનજીના ભક્તો વગેરેને અલગ-અલગ પ્રકારના તિલક કરેલા જોઇએ છીએ, તેનો તર્ક આ જ છે. વળી ઘણા લોકો પોતાના વાહન ઉપર પોતાના આરાધ્ય દેવના નામ વગેરે લખાવે છે કે ચિહ્નો દોરાવે છે, તેનો પણ એક રીતે આ જ અર્થ થાય છે. બસ આવા તિલક કે ચિહ્નો દેખાડા કે ઢોંગ કરવા માટે ન હોવા જોઇએ. ઋગવેદ, યજુર્વેદ અને સામવેદમાં પણ થોડો ઉલ્લેખ જોવા મળે છે અને શાસ્ત્રો (શ્રુતિઓ)માં પણ જણાવાયું છે કે ધનુષબાણથી અંકિત થયેલો પુરુષ જ ઉત્તમ સંસ્કારોવાળો બની વેદોનો અધિકારી બને છે. આવો પુરુષ ધર્મના માર્ગ ઉપર ચાલવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને સંસાર સાગર પાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. આવો પુરુષ કામ, ક્રોધ, લોભ વગેરે શત્રુઓ ઉપર ભગવદ્ બાણની કૃપાથી જ વિજય પ્રાપ્ત કરે છે. આમ, વિભીષણજી સાચા વૈષ્ણવ અને રામભક્ત હોવાને નાતે તેઓના ઘર ઉપર આમાયુધ અંકિત થયેલા હતા. રામાયુધ અંકિત થયેલા હોય પછી શ્રીહનુમાનજીનું તો પુછવું જ શું? આનંદવિભોર થઈ ગયા માટે લખ્યુ છે કે, “સોભા બરનિ ન જાઇ”. આ ઘર અન્ય ઘરોની જેમ વિચિત્ર ન હતુ, પરંતુ એટલુ સુંદર હતુ કે તેનું વર્ણન કરવું શક્ય ન હતુ. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ, આગળની કથા આવતા અંકમાં જોઇશુ.
સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||