Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड

1
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રીરામનવમીના પાવન પર્વની આપ સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “અબ મોહિ ભા ભરોસ હનુમંતા”, ભાગ – ૫૧ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-051/)માં વિભીષણજી પોતાના ઉપર પ્રભુ શ્રીરામની કૃપા થશે જ તેવો દ્રઢ વિશ્વાસ જતાવી દે છે, “પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા” અને “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા” આ બે વચ્ચેની પાતળી ભેદ રેખા, પ્રભુ શ્રીરામના ‘રઘુવીર’ નામ સંબોધનમાં સમાવિષ્ટ પાંચ પ્રકારની વીરતા, પ્રભુનો સેવકો પર સદાય પ્રેમ વરસાવતા રહેવાનો વિલક્ષણ સ્વભાવ અને ભગવાનને આપણી ઉપર કૃપા કરવાનો મોકો આપતા રહેવા સુધીની કથા જોઇ હતી. આગળ શ્રીતુલસીદાસજી લખે છે કે શ્રીહનુમાનજીએ કહ્યુ કે –

કહહુ કવન મૈં પરમ કુલીના કપિ ચંચલ સબહીં બિધિ હીના

પ્રાત લેઈ જો નામ હમારા તેહિ દિન તાહિ ન મિલૈ અહારા

ભલા કહો, હું જ ક્યો મોટો કુળવાન છું? જાતિએ ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાત:કાળે જે અમારા લોકોનું નામ લઈ લે તો તેને તે દિવસે ભોજન ન મળે;   

જ્યારે વિભીષણજી કહે છે કે હું તામસ શરીરવાળો છું, મને સંગ પણ સારા લોકોનો નથી, હું કોઇ પ્રભુકાર્ય પણ કરતો નથી અને પ્રભુના ચરણકમળોમાં પ્રીતિ પણ નથી. તો પણ શું ભગવાન મારા ઉપર કૃપા કરશે? ત્યારે શ્રીહનુમાનજી કહે છે , અરે ભાઈ! “કહહુ કવન મૈં પરમ કુલીના” તો કહેં, હું વળી ક્યાં કોઇ ઉચ્ચકુળનો છું? તમે તામસ શરીરધારી છો, પરંતુ તમારું કુળ તો ઉત્તમ છે, “ઉત્તમ કુલ પુલસ્તિ કર નાતી”. મારું તો કુળ પણ ઊંચુ નથી અને વધુમાં “કપિ ચંચલ” અર્થાત વાનરનું શરીર અને ચંચળ સ્વભાવ છે. આ પામર પશુનું કામી શરીર, કિષ્કિંધા કાંડમાં લખ્યુ છે, “મૈં પાઁવર પસુ કપિ અતિ કામી”, અને ચંચળ સ્વભાવના લીધે જ્ઞાન, કર્મ અને ઉપાસના એકેય થતા નથી. તેનાથી આગળ શ્રીહનુમાનજી કહે છે કે “સબહીં બિધિ હીના” અર્થાત શુભ કર્મ કરવાની બધી જ વિધિઓ કે પ્રભુપ્રીતિ પ્રાપ્ત કરવાની બધી રીતોમાં હું દીન છું, પામર છું.

પ્રાત લેઈ જો નામ હમારા તેહિ દિન તાહિ ન મિલૈ અહારા ” અર્થાત જે લોકો સવારમાં અમારું નામ લે તેઓને તે દિવસે ભોજન પણ નસીબ થતું નથી. મોટાભાગે લોકો શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર ચોપાઈઓ વાંચતા હોય, એટલે આ ચોપાઈ પણ વાંચી જાય. ઘણા લોકો આ ચોપાઇનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન નથી કરતા. વળી એવી બેહૂદી માન્યતા વાળા લોકોનો પણ આપણા દેશમાં થોડો સમુહ છે, જે લોકો આ ચોપાઈને આધાર લઈને શ્રીહનુમાનજીનું સવારમાં સ્મરણ નથી કરતા. આ તો થઈ રામાયણ કાળની વાત, આજે પણ જામનગર નજીક એક તાલુકા સ્થળ છે, ધ્રોલ. એવું કહેવાય છે કે જો સવારમાં ઉઠતાવેત કે ઉઠીને પહેલા જ જો ધ્રોલ નામ લેવામાં આવે તો તે દિવસે જમવાનું નસીબ થતું નથી. આવો કોઇ શ્રાપ છે. આ કારણોસર ત્યાંના સ્થાનિક,  આજુબાજુના વિસ્તારના અને અન્ય પરિચિતો ધ્રોલ નામ લેવાને બદલે ‘સામે ગામ’ એવા શબ્દનો આજેય પણ ઉપયોગ કરે છે.

આવી માન્યતાઓ અને યોગાનુયોગ બનતી ઘટનાઓથી કંઇક અલગ વિચારીએ તો શું કોઇ વ્યક્તિ, પ્રાણી કે સ્થળ આટલું ખરાબ કે અપશુકનીયાળ હોઈ શકે? આ ચોપાઈ ઉપર થોડુ ચિંતન કરવાની આવશ્યકતા છે. શું અહીં વર્ણવ્યું છે તેમ શ્રીહનુમાનજીએ નીચા કુળના, ચંચળ સ્વભાવના, પ્રભુપ્રાપ્તિની રીતિઓ માટે હિન અને સવારમાં તેઓનું નામ લેનારને આખો દિવસ જમવાનું ન મળે તેટલા અપશુકનિયાળ હતા? આટલું ખરાબ કોઇ હોઇ શકે? નહી…. અહીં ચિંતનની, મનનની ખાસ આવશ્યકતા છે. “કહહું કવન…… થી …. ન મિલૈ અહારા” સુધીની ચોપાઇઓમાં વર્ણવેલી બાબતો “કાર્પણ્ય શરણાગતિ”નું લક્ષણ છે. કાર્પણ્ય શરણાગતિ એટલે સંપૂર્ણ સમર્પણની ભાવના. આપણા ભક્તિમાર્ગમાં ભક્ત પોતાને હિન અને નીચામાં નીચો માનવાની અને ભગવાનને સર્વોપરિ – સર્વશક્તિમાન માનવાની પ્રણાલી છે. જેમાં ભગવાનની પરમ કરૂણતા અને કૃપાળુતા દર્શાવવાનો ભાવ છે. તેનાથી ભક્ત નબળો બની જતો નથી. અમૂક મોડર્ન વક્તાઓ તેને વખોળે છે કે પોતાને હલકા ગણી-ગણીને જ આપણું ઝમીર ગુમાવી દીધુ છે. પોતાની જાતને જ હલકી ગણવી અને બ્રહ્મચર્યના નામે શરીરના કુદરતી આવેગો રોકી શરીર ઉપર અત્યાચાર કરવામાં આવે છે. આવું લોકોને સમજાવવામાં આવે છે. આ વાત કોઇ સામાન્ય એકલ-દોકલ લેખ લખનાર કે વક્તવ્ય આપનારની નથી, બેસ્ટસેલર બુકો લખનાર અને બહોળો વાચકવર્ગ ધરાવનારની છે. મારા મતે પહેલા તો બ્રહ્મચર્ય એ શારીરિક કરતા વધુ માનસિક કે મુખ્યત્વે માનસિક બાબત જ છે. વિદેહી જનકરાજા સંસારી હતા, આપણા આરાધ્ય દેવો સંસારી જ છે અને શિવલિંગની તો આપણે પૂજા પણ કરીએ છીએ, આમાં બધુ જ બ્રહ્મચર્ય આવી ગયું. વાત રહી પોતાને હિન કે નબળો કહેવાની અને ભગવાનને સર્વશક્તિમાન કહેવાની, તો ભક્ત કેટલો પણ શક્તિશાળી કે પરાક્રમી હોય, પોતાને નબળો અને પ્રભુને સર્વશક્તિમાન કહે, માને કે સ્વીકારે તેમાં કોઇ ઝમીર મરી જતું નથી. રામભક્ત કે રામદૂત કહેવડાવી, પ્રભુના જ ચરણોના અનુરાગી રહીને પણ અને વળી તેનાથી જ શ્રીહનુમાનજીની બુદ્ધિ, બળ, પરાક્રમ, વિવેક વગેરે અતુલ્ય હતા, રહ્યા અને આજે પણ છે જ.

ભક્તિનો માર્ગ જ શરણાગતિનો માર્ગ છે. પ્રભુ સર્વશક્તિમાન અને સર્વોપરિ જ છે. તેને સ્વીકારવા ન સ્વીકારવાનો પ્રશ્ન જ નથી. પ્રભુની સામે આપણે પામર જીવ પોતાને નબળા કે અશક્તિમાન ગણીએ, ભગવાનને દીન ભાવે ભજીએ તો આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ-અહંકાર વગેરે દુર્ગુણો હાવી ન થાય અને આપણે ભક્તિના માર્ગ ઉપર સતત સ્થિર રહી શકીએ. આ કોઇ વ્યક્તિગત શરણાગતિ થોડી છે? કે ઝમીર મરી જાય. અર્જુન એક મહાન યોદ્ધો જ હતો, છતાં યુદ્ધના મેદાનમાં શ્રીકૃષ્ણને સંપૂર્ણ શરણાગત થઇ જાય છે કે હે કાનુડા! મને કંઇ સમજાતુ નથી, તું કહે તેમ કરું. અહીં તે સંપૂર્ણ સમર્પણ ભાવથી પોતાની લગામ ભગવાનના હાથમાં સોંપી દે છે અને આ સમયે શ્રીકૃષ્ણ એક સખા કે ગુરુ તરીકે તેનું માર્ગદર્શન કરે છે. આ માર્ગદર્શન રૂપી ગીતાજી આજે ધર્મના સીમાડાઓથી પર માનવજાત માટેના એક ઉત્તમોત્તમ ગ્રંથ સ્વરૂપે આપણી સમક્ષ છે. આમા અર્જુનનું કયું ઝમીર મરી પરવાર્યું હતું? પ્રભુમાં સંપૂર્ણ શરણાગતિ જ જીવનો એકમાત્ર આધાર છે.  બાકી શ્રીહનુમાનજી તો નિત્ય પ્રાત:સ્મરણીય છે.

अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्चविभीषणः। कृपःपरशुरामश्च सप्तैते चिरंजीविनः॥

सप्तैतान्संस्मरेन्नित्यं मार्कण्डेय मथाष्टमम्। जीवेद्वर्षशतं सोपि सर्वव्याधि विवर्जित।।

મિત્રો, આજે રામનવમીનો પરમ પવિત્ર દિવસ છે. આદર્શ પુત્ર, આદર્શ બંધુ, આદર્શ પતિ, આદર્શ રાજા વગેરે જેવા અનેક માનવીય સંબંધોની આદર્શ આચાર સંહિતા પ્રસ્થાપિત કરનાર મર્યાદા પુરુષોત્તમ, પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ, સચ્ચિદાનંદ, આનંદકંદ, પરબ્રહ્મનું સુંદર સાકાર સ્વરૂપ પ્રભુ શ્રીરામનો આજે પ્રાગટ્‌ય દિવસ છે. પ્રભુ શ્રીરામનું નામ જ કળીયુગમાં કલ્પતરુ સમાન અને સુમંગલ દાયક છે, “રામ નામ કલિકલ્પતરુ સકલ સુમંગલ કંદ, સુમિરત કરતલ સિદ્ધિ સબ પગ પગ પરમાનંદ”. તેનું સ્મરણ કરતાં જ સર્વ સિદ્ધિઓ સુલભ થઈ જાય છે અને ડગલેને પગલે પરમાનંદની અનુભૂતિ થાય છે. આવા પરમ કૃપાળુ, દીનદયાળુ, કરુણાનિધાન રાઘવેન્દ્ર સરકારના જન્મદિવસના પાવનપર્વથી ગયા વર્ષે આ જ દિવસે વિઘ્નહર્તા ગજાનન મહારાજની સ્તુતિ, વિદ્યાની દેવી માતા સરસ્વતીજીની પ્રાર્થના, પરમકૃપાળુ દીનદયાળુ કરૂણાનિધાન પ્રભુ શ્રીરામના આશ્રિત થઈ, રામદૂત શ્રીહનુમાનજીને વંદન કરીને તથા પરમ પૂજ્ય ગુરુદેવના હૃદયથી આશીર્વાદ મેળવી શ્રીસુંદરકાંડની આ સુંદર કથાનો પ્રારંભ કર્યો હતો. પ્રભુ શ્રીરામનું ચરિત અને શ્રીસુંદરકાંડની આ કથા તો અનંત છે, “હરિ અનંત, હરિ કથા અનંતા”. તેના વિશે કંઇપણ લખવું એ મારી ક્ષમતા બહારની વાત છે.

કબિ ન હોઉઁ નહિ ચતુર કહાવઉઁમતિ અનુરૂપ રામ ગુન ગાવઉઁ।।

કહઁ રઘુપતિ કે ચરિત અપારા। કહઁ મતિ મોરિ નિરત સંસારા॥

હું જે કંઇપણ લખી રહ્યો છું, જે ભાવો વ્યક્ત કરી રહ્યો છું, તે પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની જ અસીમ કૃપાનો પ્રતાપ છે. અહીં હું પણ ગુરુદેવને કાર્પણ્ય શરણાગતિ ભાવથી સંપૂર્ણ સમર્પિત છું. તેઓની અસીમ કૃપા માત્રથી જ હું કાલીઘેલી ભાષામાં પ્રભુની વાતો કરી રહ્યો છું, તેની કથા લખી રહ્યો છું. મારી કોઇ અંગત ક્ષમતા નથી કે શ્રીસુંદરકાંડ વિશે કંઇપણ લખી શકુ. આધ્યાત્મની દુનિયામાં હું રજ સમાન છું. આ લેખમાળાના કોઇપણ મણકામાં કોઇપણ ક્ષતિ રહી જવા પામેલ હોય, તો બાળક સમજી માફ કરશો. આવી કોઈ ક્ષતિ બાબતે ધ્યાન દોરશો, તો હું આપનો આભારી થઈશ. આ ઉપરાંત આપના મંતવ્યો અને પ્રતિભાવો મારા માટે અમૂલ્ય ખજાનો થઈ રહેશે.

હું તો સંસારમાં આસક્ત પામર મનુષ્ય છું, છતાં પોતાની બુદ્ધિ અનુસાર કંઇક પ્રભુકાર્ય કરી રહ્યો છું. શ્રીહનુમાનજીના ચરિત્ર અને ચરિતની વાતો માટે તો અનેક જન્મો પણ ઓછા પડે. અહીં હું જે કંઈ કથા લખી રહ્યો છું, તે ‘કથા કરું મતિ અનુસાર’ છે. સતત એક વર્ષથી ચાલતા આ શ્રીસુંદરકાંડરૂપી સુંદર યજ્ઞમાં આપ સહુનું યોગદાન પણ અમૂલ્ય છે. આપના પ્રતિભાવો અને પ્રોત્સાહનરૂપી આહુતિઓ જ આ યજ્ઞની અત્યાર સુધીની સફળ યાત્રાનું પ્રેરકબળ છે. આપના આશીર્વાદ, આપની શુભેચ્છાઓ સતત વરસાવતા રહેજો, જેથી શ્રીસુંદરકાંડની આ સુંદર લેખમાળામાં એક પછી સુંદર-સુંદર મણકાઓ ઉમેરાતા રહે અને આપણે સહુ સાથે મળી તેને માણતા રહીએ. આ લેખમાળાના છેલ્લા એક વર્ષથી સતત પ્રસિદ્ધ થતા લેખો પાછળ પ્રભુકૃપા અને ગુરુકૃપા ઉપરાંત મારા સ્નેહી અને સ્વજનોનું પણ અમૂલ્ય યોગદાન છે, આ તમામને હૃદયપૂર્વક વંદન કરું છું.

રામનવમીના પાવન પર્વ નિમિતે પ્રભુ શ્રીરામના જન્મની કથા અને સ્તુતિ “ભયે પ્રગટ કૃપાલા” વિશે વાંચવા માટે અહીં è  “રામાયણ – શ્રીરામ જન્મ” ક્લિક કરવા વિનંતી છે.

ફરીથી પ્રભુ શ્રીરામના પ્રાગટ્‌યોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here