Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન (ભાગ- ૧) । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન (ભાગ- ૧) । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન (ભાગ- ૧) । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન – ૧ | Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ(શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૮ | मेरा राम की कृपा से… – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-028/ )માં આપણે શ્રીહનુમાનજી સમુદ્રને પાર ઉતરીને વૃક્ષોથી આચ્છાદિત અને ફૂલોથી ભરેલી વનોની હારમાળામાં વિચરતા આગળ વધે છે, આગળ એક પર્વત જોઇ, દોડીને તેની ઉપર ચઢી જાય છે અને આ બધા પરાક્રમ એ પ્રભુનો જ પ્રતાપ છે તથા છેલ્લે કિલ્લાના ટૂંકમાં વર્ણન સુધીની કથા જોઇ હતી. છંદના માધ્યમથી ગોસ્વામીજી શ્રીતુલસીદાસજીએ કરેલા લંકાના વર્ણનથી આજની કથાનો શુભારંભ કરીએ.

:: છંદ ::

કનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના

ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના

ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ ।

બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ

બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહીં

નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં

કહુઁ માલ દેહ બિસાલ સૈલ સમાન અતિબલ ગર્જહીં

નાના અખારેન્હ ભિરહિં બહુબિધિ એક એકન્હ તર્જહીં

કરિ જતન ભટ કોટિન્હ બિકટ તન નગર ચહુઁ દિસિ રચ્છહીં

કહુઁ મહિષ માનુષ ધેનુ ખર અજ ખલ નિસાચર ભચ્છહીં ॥

એહિ લાગિ તુલસીદાસ ઇન્હ કી કથા કછુ એક હૈ કહી

રઘુબીર સર તીરથ સરીરન્હિ ત્યાગિ ગતિ પૈહહિં સહી ॥

ગોસ્વામી શ્રીતુલસીદાસજી મહારાજે લંકાનગરીનું વર્ણન ફક્ત ત્રણ જ છંદમાં પણ ખૂબ અદ્‌ભૂત કર્યુ છે. પ્રથમ છંદથી શરૂઆત કરીએ તો –

કનક કોટ બિચિત્ર મનિ કૃત સુંદરાયતના ઘના

ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના

ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ ।

બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ

વિચિત્ર મણિઓથી જડેલો સોનાનો કોટ છે, તેની અંદર ઘણાં જ સુંદર ઘરો છે. ચાર રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે; સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ તથા પાયદળ અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે? અનેક પ્રકારના રાક્ષસોના દળો છે, તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી જ શકાતી નથી.

‘કનક કોટ’ નગરની ચારેય બાજુ સુવર્ણકોટ એટલે કે બાઉન્ડ્રી વોલ હતી. લંકાના કિલ્લાના વર્ણનની શરૂઆત જ કેટલી અદ્‌ભુત છે. કિલ્લાની ફરતી બાજુનો વંડો સોનાનો. કોઇના ઘરમાં મંદિરમાં સોનાની મૂર્તિ હોય, કોઇ બહુ ધનવાન હોય તો કદાચ મંદિર આખુ સોનાનું હોય, પરંતુ ઘરની ફરતી દિવાલ સોનાની હોય? ન હોય ને! અહીં આખી લંકાનગરીના ફરતી બાજુનો કોટ સોનાનો છે. છે ને અદ્‌ભુત? પણ આપણને બધાને ખબર જ છે કે માનસમાં ખૂબ જ સુંદર અને ગુઢ જીવનદર્શનનું પણ નિરૂપણ કરવામાં આવેલું છે. અહીં પણ આ જીવનદર્શનના સંદર્ભમાં લંકાની ફરતી બાજુ સોનાના કોટ બાબતે સમજીએ તો –

પહેલું, શ્રીહનુમાનજી માટે હેમશૈલાભદેહમ્‌, કનક ભૂધરાકાર શરીરા, કંચન બરન, કનક બરન વગેરે વિશેષણો અલગ-અલગ જગ્યાએ વાપરવામાં આવેલા છે. તેનો એક અર્થ એવો પણ થાય છે કે શ્રીહનુમાનજીનું શરીર સુવર્ણની જેમ આગથી ન બળનારું અને વિકારરહિત છે. અહીં શ્રીહનુમાનજી સોનાના અને લંકા પણ સોનાની છે. હવે આગળ આગ પણ લાગવાની છે. જે બળી જાય તે સાચુ સોનું નથી. પરીણામ આપણને બધાને ખબર જ છે. બીજું, બાબાજી અહીં એવું કહેવા માંગે છે કે જે સોનાનો કિલ્લો તોડી શકે, તે જ ભક્તિને પામી શકે. ભલભલા ત્યાગીઓ સોનાનો કિલ્લો તોડી કે ભેદી શક્યા નથી. અગાઉ જોયેલા અન્ય વિઘ્નો કદાચ પાર કરી જાય, પરંતુ આ સોનાનો, ધનનો, સંપત્તિનો કિલ્લો પાર કરવો કે તેનો મોહ છોડવો ખરેખર દુર્ગમ જ છે. અરે આજ-કાલ અખાડાના મહંતે આત્મહત્યા કરી હોય શકે, તેવી બાબત નેશનલ ન્યુઝ હોય છે અને તે અખાડાની સંપત્તિ હજારો કરોડ હોવાની ચર્ચા ચોરેને ચૌટે થતી જોવા મળે છે. તેનાથી વધુ શું સાબિતી જોઇએ?

એક તો દુર્ગમ કિલ્લો અને તેમાં પણ વળી ગોસ્વામીજીએ તેને બિચિત્ર એટલે કે વિચિત્ર કહ્યો છે. આ સોનાના કિલ્લામાં વિવિધ રંગોના દિવ્ય મણીઓ જડવામાં આવ્યા હતા અને માટે તેને વિચિત્ર કહ્યો છે. ત્યારબાદ આવે છે, સુંદરાયતના ઘના. આયતનનો અર્થ વિસ્તાર અને આકાર બન્ને થાય છે, જ્યારે ઘનાનો અર્થ ગીચ વસ્તી ધરાવતો કે વધુ ઘરો વાળો એવો થાય છે. અહીં આ કિલ્લો સુંદર આકારનો અને ગીચ વસ્તી ધરાવતો હશે, તેવું માની શકાય.

આવા સુંદર અને વિચિત્ર કિલ્લાની અંદર એક શહેર વસેલું છે. આગળ ગોસ્વામીજી આ શહેરનું વર્ણન કરતા કહે છે કે, ચઉહટ્ટ હટ્ટ સુબટ્ટ બીથીં ચારુ પુર બહુ બિધિ બના નગરમાં ચોક, બજાર, સુંદર રસ્તાઓ, સડકો અને ગલિઓ છે. અતિસુંદર, સુવ્યવસ્થિત અને સુઆયોજિત નગર છે. પહેલા કોટનું વર્ણન કર્યું, પછી શહેરનું અને હવે માનસકાર તેના રક્ષકોનું વર્ણન કરે છે. ગજ બાજિ ખચ્ચર નિકર પદચર રથ બરૂથન્હિ કો ગનૈ’. હાથી, ઘોડા, પાયદળ અને રથ આ ચારેય મળી ચતુરંગિણી સેના થાય. આ ચતુરંગિણી સેના સાથે ખચ્ચરોનો સમૂહ પણ રક્ષકો તરીકે સામેલ હતો. આ રક્ષકોની સંખ્યા એટલી વધુ હતી કે, શ્રીતુલસીદાસજીએ લખ્યુ કે, કો ગનૈ અર્થાત આ બધાને કોણ ગણી શકે?

આગળ ગોસ્વામીજી લખે છે, બહુરૂપ નિસિચર જૂથ અતિબલ સેન બરનત નહિં બનૈ’. બહુરૂપ એટલે કે વિવિધ રૂપોવાળા. અહીં એવું પ્રતિપાદિત થાય છે કે વિવિધ લંકામાં વિવિધ બટાલિયન હતી, વિવિધ રૂપોવાળા રાક્ષસો હતા. જેમ આપણે આર્મી, બીએસએફ, પોલીસ, કમાન્ડો વગેરે વિવિધ પ્રકારની રક્ષક ટૂકડીઓ હોય છે, તેમ અહીં પણ વિવિધ રૂપોવાળા રાક્ષસોના સમૂહો રક્ષા માટે તત્પર હતા. આવા વિવિધ સમૂહોના મુખ્યાઓ અગણિત હતા અર્થાત સેના ખૂબ જ મોટી અને બળવાન હતી, જેનું વર્ણન થઈ શકતું નથી.

ઉકત છંદ અન્વયે વધુ બે સુંદર વાતો પણ જોઈએ. પહેલી, અહીં નગરની સુરક્ષા માટે સાત આવરણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, હાથી, ઘોડા, રથ, પાયદળ, ખચ્ચર, પહેલવાનો અને યોદ્ધાઓ. તે સમયે આ એક આદર્શ સુરક્ષા વ્યવસ્થા ગણાતી હતી. બીજી, મહાભારતમાં સુરક્ષા સંદર્ભમાં સાત સ્થાનોનું વર્ણન કરવામાં આવેલું છે. નિર્જળ ભૂમિ, દલદલ, પાણીની ખાડી, વન, પર્વત, ચતુરંગિણી સેના અને કિલ્લો. રાજધાનીમાં આ સાતેય પ્રકારના આશ્રય સ્થાનો હોવા જોઈએ. લંકામાં દલદલ સિવાયના છ આશ્રય સ્થાનોનો ઉલ્લેખ જોવા મળે છે.

બન બાગ ઉપબન બાટિકા સર કૂપ બાપીં સોહહીં

નર નાગ સુર ગંધર્બ કન્યા રૂપ મુનિ મન મોહહીં

વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય. નાગો, દેવો, અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌન્દર્યથી મુનિઓના મનોને મોહી લે છે.

‘બન’ એટલે વન, જેમાં સિંહ, વાઘ વગેરે જંગલી પશુઓ રહે છે. વનને સામાન્ય રીતે ઉગાડવું પડતું નથી, એટલે કે આપ મેળે જ ઉગેલું વન કે જંગલ. જે રીતે આજે આપણે વૃક્ષો કાપીએ છીએ, હવે ઉગાડવું પડે છે અને તો પણ જંગલ ઘટતું જ જાય છે. ‘બાગ’ એટલે ફક્ત ફળ-ફૂલવાળા જ વૃક્ષો હોય તેવું સ્થળ અને ‘ઉપબન’ એટલે કે જેનો વિસ્તાર બાગથી વધુ અને વનથી ઓછો હોય, જેમાં ફરવા જઇ શકાય તેવું સ્થળ. ‘બાટિકા’ એટલે કે ફક્ત ફૂલોના જ છોડ હોય, તેવું સ્થળ. વાટિકા ફૂલે, બાગ ફળે અને વન ખીલે. આ વાટીકાની વચ્ચે જળાશય, કૂવો કે વાવડી હોય છે. અહીં વન, બાગ, ઉપવન, વાટીકા, જળાશય, કૂવો અને વાવડી આ સાતેયથી નગર શોભતુ હોય, તેઓનું વર્ણન કરવામાં આવેલું છે.

નર નાગ સુર ગંધર્બ કન્યા’ એટલે કે મનુષ્ય, નાગ, દેવો, ગંધર્વો, યક્ષો વગેરેની કન્યાઓ અહીં હતી. અને આ બધી કન્યાઓ કેવી હતી? તો ‘રૂપ મુનિ મન મોહહીં’ અર્થાત તેઓના રૂપ મુનિઓના મનને પણ મોહી લે તેવા હતા. ભલ-ભલા મુનિઓનો વૈરાગ્ય છૂટી જાય તેવી સુંદર આ સ્ત્રીઓ હતી. અહીં તરત જ એવો પ્રશ્ન થાય કે, રાક્ષસોના નગરમાં આ બધી કન્યાઓ કેમ હતી? શું કરતી હશે? તો, રાવણ આખી સૃષ્ટિમાં કોઈપણ સુંદર કન્યાને જોતો, પછી તે મનુષ્ય, નાગ, કિન્નર, દેવ, યક્ષ કે ગંધર્વ કોઇપણ કન્યા હોય, તેનું અપહરણ કરી લાવતો કે જીતી લાવતો હતો – “દેવ યક્ષ ગંધર્બ નર કિન્નર નાગ કુમારિ, જીતિ બરીં નિજ બાહુબલ બહુ સુંદરિ બર નારિ”.

આપણે રાવણ શબ્દ બોલીએ કે સાંભળીએ એટલે તરત જ મગજમાં કેવું ચિત્ર ઉપસે? રાક્ષસ, દસ માથાવાળો, કદમાં મોટો, વિકરાળ અને કાળો? કંઈક વિચિત્ર? એવું નથી. શાસ્ત્રોમાં વર્ણન મુજબ તે ખૂબ જ સ્વરૂપવાન હતો, જાણે કે તેજપુંજ. તેના રાણીવાસમાં એકથી એક વધે તેવી સુંદરીઓ હતી. આ બધી સુંદરીઓ તેને મન, વચન અને કર્મથી પ્રેમ કરનારી હતી, પછી તે કોઇ પણ હોય. નાગ કન્યા હોય કે ગંધર્વ કન્યા હોય, આ બધી સુંદર સ્ત્રીઓ બગીચામાં વિહાર કરી રહી હતી અને તેનું સૌંદર્ય એવુ હતું કે મુનિઓના મનને પણ મોહિ લે. આ સુંદર સ્ત્રીઓ વિહાર કરી રહી હતી કારણ કે શ્રીહનુમાનજી સૂર્યાસ્તમાં થોડી ઘડીઓની વાર હતી ત્યારે પહોંચ્યા હતા. વિહાર કરવાનો આ સૌથી યોગ્ય સમય હોય છે, માટે આવું વર્ણન કરવામાં આવેલું છે. લંકાનું વધુ વર્ણન આવતા અંકમાં કરીશું, આજની કથાને અહીં વિરામ આપીએ છીએ.

સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here