Home Informative શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड

0
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે... । Sundarkand | सुंदरकांड

શ્રી ગણેશાય નમ:

શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: |

શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “શ્રમદાન – શ્રેષ્ઠદાન”, ભાગ – ૫૩ (http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-053/) માં પ્રભુ શ્રીરામનો અધમોદ્ધારણ કૃપાનો ગુણ, જો દ્રવ્યદાન ન કરી શકો તો કંઇ નહી, પરંતુ શ્રમદાન ચોક્કસ કરવું જોઇએ, સાચા સંત સદ્‌ગુરુ જ્યારે જીવના અંતરાત્માને ઢંઢોળે એટલે જીવ તરત જ જાગૃત થઈ જાય અને પ્રભુકાર્ય તરફ વળી જાય, જનકસુતા અર્થાત જેવી રીતે સંસારમાં રહીને પણ જનકજી નિર્લેપ હતા, તેવી રીતે લંકા-માયાવી નગરીમાં રહીને પણ જનકદુલારી તમામ બાબતોથી નિર્લેપ હતા, શ્રીહનુમાનજીની માતા સીતાજીને મળવાની તિવ્ર ઉત્કંઠા વગેરે કથા જોઇ હતી. શ્રીહનુમાનજીને માતાજીના દર્શન માટે આટલા ઉત્સુક જોઇને વિભીષણજીએ શું કર્યું? ત્યાંથી આજની કથામાં આગળ વધીએ.

જુગુતિ બિભીષન સકલ સુનાઈ ચલેઉ પવનસુત બિદા કરાઈ

વિભીષણજીએ માતા જાનકીજીના દર્શનની બધી જ યુક્તિઓ કહી સંભળાવી. પછી શ્રીહનુમાનજી વિદાય લઈને ચાલ્યા.

શ્રીહનુમાનજીને માતાજીના દર્શન માટે આટલા આતુર જોઇને, “જુગુતિ બિભીષન સકલ સુનાઈ” અર્થાત વિભીષણજીએ માતા જાનકીજીના દર્શનની બધી જ યુક્તિઓ કહી સંભળાવી. માતા જાનકીજીના દર્શન કરવા માટે કેમ યુક્તિઓ અજમાવવી પડે તેમ હતી? કારણ કે આપણે અગાઉ જોઇ ગયા તેમ, સલામતીની બાબતમાં લંકા અભેદ્ય કિલ્લો છે. વળી, સુંદર નામના શીખર ઉપર આવેલી અશોકવાટિકા કે જ્યાં જનકનંદીની સીતાજીને રાખવામાં આવ્યા હતા, તે રાવણનો અંગત સમય, ફુરસદનો સમય તેની રાણીઓ સાથે કે અંગત સ્વજનો સાથે ગાળવાની અંગત અને સૌથી સુરક્ષિત જગ્યા હતી. અહીંની સુરક્ષા વ્યવસ્થા અન્ય તમામ સ્થળો કરતા વધુ સઘન હતી. આ જગ્યાએ કોઇનું પણ પહોંચવું લગભગ અશક્ય હતુ. એવું પણ વાંચવામાં આવ્યુ છે કે, રાવણની મંજુરી વગર તેના જીવતાજીવ અશોકવાટિકામાં પ્રવેશ કરવો અશક્ય હતો. આ સંજોગોમાં વિભીષણજીએ ત્યાં પહોંચવા માટેની યુક્તિઓ શ્રીહનુમાનજીને વર્ણવી કે જેથી તેઓ અશોકવાટિકામાં વિના વિઘ્ને પહોંચી શકે.

વિભીષણજીએ યુક્તિઓ વર્ણવી તેને ભક્તિમાર્ગ ઉપર પ્રભુપ્રાપ્તિના દ્રષ્ટિકોણથી જોઇએ તો, જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, તેઓનું માર્ગદર્શન ન મળે, તેઓની અનુકંપા પ્રાપ્ત ન થાય, ત્યાંસુધી ભક્તિ કે પ્રભુપ્રીતિ પ્રાપ્ત થતી નથી, “ભગતિ તાત અનુપમ સુખમૂલા, મિલઈ જો સંત હોઇ અનુકૂલા”. વિભીષણજીએ જ્યારે યુક્તિઓ વર્ણવી પછી તરત જ શ્રીહનુમાનજીએ ત્યાંથી વિદાય લીધી, “ચલેઉ પવનસુત બિદા કરાઈ”.  અહીં ચલેઉ એટલે કે તુરંત ચાલ્યા અને તેઓ અતિશિઘ્રતાથી, પવનવેગે, ચાલ્યા હશે માટે પવનસુત સંબોધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “ચલેઉ પવનસુત” માતાજીને મળવા શ્રીહનુમાનજી પવનવેગે ચાલ્યા.

કોઇને મળીએ અને પછી છુટા પડવાનું થાય, તો વિદાય લઇ પછી જ છુટા પડવું; એ શિષ્ટાચાર છે. કોઇને મળીએ અને આપણું કામ પુરું થાય કે આપણે જોઇતી વિગતો મળી જાય એટલે ત્યાંથી નીકળી જવું, કોણ તું અને કોણ હું? આભાર માનવાનું તો ઠીક, હું જાઉં છું, તેટલું કહેવાનો શિષ્ટાચાર પણ રાખવામાં ન આવે, તે યોગ્ય નથી. અહીં શ્રીહનુમાનજી માતાજીને મળવા ભલે આતુર હતા, પવનવેગે ત્યાંથી ચાલ્યા પણ ખરા, પરંતુ તેઓ બળ, બુદ્ધિ અને વિવેકની ખાણ છે. તેણે વિદાય લીધી અને પછી જ ત્યાંથી નીકળા છે. આજ્ઞા મેળવીને વિદાય લેવાથી સામેવાળા પ્રત્યે પ્રેમ અને આદરભાવ પ્રગટ થાય છે. બન્ને રામભક્તો મળ્યા હતા, સત્‌સંગનો પરફેક્ટ માહોલ હતો, તો સ્વાભાવિક જ રામદૂતને અહીંથી જવાનું મન ન થાય, પરંતુ, “રામકાજુ કીન્હેં બિનુ મોહિ કહાઁ બિશ્રામ” અર્થાત જવું આવશ્યક જ હતું. જવાની આવશ્યકતા, માતાજીને મળવાની ઉત્કંઠા, પવનવેગે ગમન અને વિદાય માંગવાનો શિષ્ટાચાર, આ બધાનો સંગમ “કરાઈ”થી શોભી રહ્યો છે. સત્‌સંગ છોડવાનું મન નથી એટલે “બિદા કરાઈ” વિદાય કરાવવામાં આવી. જ્યારે કોઇ જઈ રહ્યુ હોય તો, બે હાથ જોડીને, નમ્રતાથી વિદાય આપવી જોઇએ અને કવિ કાગે લખ્યુ છે તેમ, “એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે… આવકારો મીઠો આપજે રે…

કરિ સોઇ રૂપ ગયઉ પુનિ તહવાઁ બન અસોક સીતા રહ જહવાઁ

શ્રીહનુમાનજી ફરી તે જ પહેલાના જેવું મચ્છરનું રૂપ ધારણ કરીને ત્યાં ગયા, જ્યાં અશોક વનમાં સીતાજી રહેતા હતા.

કરિ સોઇ રૂપ” અર્થાત પાછુ પોતાનું અગાઉનું રૂપ ધારણ કરીને. વિભીષણજીને મળવા માટે “બિપ્ર રૂપ” વિપ્રનું રૂપ ધારણ કર્યું હતુ. હવે ફરી “મસક સમાન રૂપ” મચ્છર જેવડું રૂપ ધારણ કરી લીધુ. કેમ ફરી મચ્છર જેવડું સુક્ષ્મ રૂપ ધારણ કરી લીધું? અશોકવાટિકાની સઘન સુરક્ષા વ્યવસ્થા વગેરે તો ઠીક, પરંતુ જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, તો નાનુ બનવું પડે, રાંક થઈને રહેવું પડે. અહીં શ્રીહનુમાનજી ભક્તિ સ્વરૂપા માતા વૈદેહીને મળવા જતા હતા એટલે ફરી નાનું સ્વરૂપ ધારણ કરી લીધું. આ પ્રસંગે ગંગાસતીનું આ વાત ખૂબ સુંદર રીતે સમજાવતું ભજન યાદ કરીએ –

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું,

મેલવું અંતરનું અભિમાન રે,

સતગુરુ ચરણમાં શીશ રે નમાવી,

કર જોડી લાગવું પાય રે…. ભક્તિ રે કરવી એણે…

આગળ જોઇએ, “તહવાઁ” એટલે કે ત્યાં. વિભીષણજીએ અગાઉ માતા જાનકીજી ક્યાં રહે છે? તે સ્થળનું નામ નહોતુ કહ્યુ. એટલું જ કહ્યુ હતુ કે, “જેહિ બિધિ જનકસુતા તહઁ રહી”, માટે માનસકારે લખ્યુ છે, “ગયઉ તહવાઁ” અર્થાત ત્યાં ગયા. કયાં ગયા? “બન અસોક સીતા રહ જહવાઁ” એટલે કે અશોકવનમાં કે જ્યાં જનકદુલારીને રાખવામાં આવ્યા હતા. આ અશોકવાટિકા કેવી હતી તેનું માનસમાં વિગતે વર્ણન નથી, પરંતુ શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આ અશોકવાટિકાનું વિગતે વર્ણન કરવામાં આવેલુ છે.

અશોકવાટિકામાં વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓ હતી, પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. આ પક્ષીઓ તથા હરણાંઓના લીધે તેની શોભા અનુપમ હતી અને ઉદયકાળના સૂર્ય જેવા અરૂણ વર્ણની દેખાતી હતી. કોયલો અને મોરના ટહુકાઓથી વાટિકા નિરંતર ગૂંજતી રહેતી હતી. શ્રીહનુમાનજીના વાટિકામાં પ્રવેશથી માળામાં સૂઈ રહેલા પક્ષીઓ જાગી ગયા અને માળામાંથી ઉડવા લાગ્યા. પક્ષીઓના ઉડવાથી અનેક પ્રકારના વૃક્ષો ઉપરથી રંગ-બેરંગી ફૂલો શ્રીહનુમાનજી ઉપર વરસવા લાગ્યા. આવા સુંદર રંગીન ફૂલોથી આચ્છાદિત શ્રીહનુમાનજી અશોકવનમાં પુષ્પોના પર્વતની જેમ શોભતા હતા અને ઋતુરાજ વસંત જ વાટિકામાં વાનરવેશે વિચરી રહ્યા હોય, તેવું લાગતુ હતું.

આ વાટિકામાં જુદા-જુદા પ્રકારની નિર્મળ જળથી પરિપૂર્ણ વાવડીઓ હતી. જેની અંદર પરવાળાં અને મોતીની રેત હતી અને વાવડીના તળિયે સ્ફટિકમણિઓ જડેલા હતા. અહીં કમળોથી શોભતા ઘણાં સરોવરો પણ હતા. જેના પગથિયાં મણિઓના હતા અને મોતીઓની રેત શોભતી હતી. બધી ઋતુઓમાં ફૂલ આપનારાં મનોરમ ગંધયુક્ત વૃક્ષોથી ભરાયેલું તથા જાત-જાતના કલરવ કરનારા મૃગો અને પક્ષીઓથી સુશોભિત એ ઉદ્યાન બહું રમણીય પ્રતીત થતું હતું. આવી અદ્‌ભૂત, અવર્ણનીય, અલૌકિક અશોકવાટિકામાં શ્રીહનુમાનજીએ સુવર્ણમય અશોકનું વૃક્ષ જોયું અને આ અશોક વૃક્ષની નીચે જનકસુતાને બેઠેલા જોયા. અશોકવાટિકા ખૂબ જ સુંદર હતી અને તેનું અદ્‌ભુત સૌંદર્ય અનુપમ હતું, પરંતુ શ્રીહનુમાનજીનું ચિત્ત વૈદેહી જાનકીજીની શોધમાં જ એકાગ્ર હતુ એટલે આ બધુ જોયા વગર કે આ બધાના વર્ણન વગર માનસમાં સીધું જ લખ્યુ છે કે, શ્રીહનુમાનજી અશોકવનમાં ગયા અને ત્યાં જઈને માતા સીતાજીને અશોકવૃક્ષ નીચે બેઠેલા જોયા. આગળ બાબજી લીખતે હૈં –

દેખિ મનહિં મહુઁ કીન્હ પ્રનામા બૈઠેહિં બીતિ જાત નિસિ જામા

સીતાજીને જોઇને શ્રીહનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યાં. તેમને (જાનકીજીને) ત્યાં બેઠાં બેઠાં જ આખી રાત્રિના બધા પ્રહર વીતી જાય છે.

માતા જાનકીજીને જોઇને ‘દેખિ’ પહેલા તો “મનહિં મહુઁ કીન્હ પ્રનામા” અર્થાત મનોમન પ્રણામ કર્યાં. અહીં રૂબરૂ મળવાનો આ યોગ્ય સમય ન હતો. રાવણ સીતાજીને પામવા અનેક યુક્તિઓ કરતો હતો. જો અશોકવાટિકામાં જઈને શ્રીહનુમાનજી સીધા જ માતાજીને રૂબરૂ મળે, તો માતાજી તેને માયાવી જાણી યોગ્ય પ્રતિભાવ ન પણ આપે. વળી, જો રાક્ષસીઓને ખબર પડી જાય તો ઘર્ષણ પણ થાય. આ બધામાં પ્રભુકાર્ય થવામાં વિલંબની સંભાવના ધ્યાને લઈને શ્રીહનુમાનજી પહેલા તો માતાજીને મનોમન પ્રણામ કરીને અટકી ગયા.

શ્રીહનુમાનજીએ જોયું કે, માતાજીની આખી રાત ત્યાં અશોકવૃક્ષ નીચે બેઠાં-બેઠાં જ વીતી જાય છે. અલગ-અલગ વિદ્વાનોના મતે રાત્રીના પ્રહરો બાબતે અલગ-અલગ મંતવ્યો જોવા મળે છે. કોઇ ત્રણ પ્રહરની રાત્રી કહે છે, તો કોઇ સાડાત્રણ પ્રહરની, તો વળી કોઇ ચાર પ્રહરની રાત્રી ગણે છે. શિવરાત્રીના સંદર્ભમાં રાત્રીના ચારેય પ્રહર શિવપુજાનું વિધાન જોવા મળે છે. અહીં પ્રહર બાબતે મતમતાંતરનો છેદ ઉડાડતા માનસકારે “નિસિ જામા” અર્થાત જેટલા પ્રહર હોય તેટલા, આખી રાત વીતી જાય છે, તેવું વર્ણવ્યું છે.

આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. સર્વે વાચકોને મારા જય સિયારામ…..

મંગલ ભવન અમંગલ હારી । દ્રવઉ સો દસરથ અજિર બિહારી ॥

|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here